માની લો તો હાર,
મંડ્યા રહો તો જીત...
– પુલક ત્રિવેદી
સામાન્ય માનવી પણ સફળ થતાં વેંત અસામાન્ય લાગે. સફળતા એક સંજીવની છે. સફળતાના માપદંડો અલગ અલગ હોઈ શકે. કોઈ વૈચારિક તાકાતનું સફળતાના સંદર્ભમાં મૂંલ્યાકન કરે તો કોઈ
સત્તાના સિંહાસનને સફળતાના દ્રષ્ટીકોણથી જુએ. પણ સફળતાનો જો કોઈ સર્વસ્વીકૃત માપદંડ હોય તો એ આર્થિક પારાશીશીનો છે. આર્થિક રીતે સંપન્ન બનનાર વ્યક્તિને રાતોરાત કોઈ જાદુઈ ચિરાગ પ્રાપ્ત
થઈ ગયો નથી હોતો. સખત પરિશ્રમ, ચોક્કસ ધ્યેય, અનુસાશન જેવા પાયાના સિદ્ધાંતોના
અર્કથી બનેલી જડીબુટ્ટીઓ રોજે રોજ ઘસીને પીનાર વ્યક્તિ સફળ બને છે. સફળ વ્યક્તિના જીવનનો અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવે કે સફળતાની
દિશામાં એમની ગાડી ડાયરેક્ટ ટોપ ગીયરમાં નથી આવી ગઇ. સખત મહેનત અને ધ્યેયની સ્પષ્ટતાના પ્રથમ ગીયર બાદ આત્મવિશ્વાસ, નિષ્ઠા અને લગનનું સેકંડ ગીયર પડે. સંસ્કાર, સંગઠન અને નિર્ભય વલણનું થર્ડ ગીયર આવે
અને ત્યાર પછી છેલ્લે સફળતાના સાફ સુથરા માર્ગે જીવનની ગાડી પુરપાટ સ્પીડ પકડે. વિશ્વના કેટલાક ગણમાન્ય સંપન્ન અને સફળતમ લોકોના સિદ્ધાંતો અને
ખ્યાલોને જાણીએ.
માર્ક બુઝર્ગ :
સોશ્યલ મિડીયા દ્વારા આખી દુનિયાની સંવેદનાની પરિભાષા જેણે બદલી નાખી
એવા ફેસબુકના સહ સંસ્થાપક માર્ક ઝુકરબર્ગની
કુલ સંપત્તિ ૪૪.૬ બિલીયન યુએસ ડોલર એટલે કે ભારતીય ચલણ
મુજબ રૂ. ૩૦૩૯૪૯ કરોડની છે. ઝુકરબર્ગની જ્યારે જ્યારે ટીકા થાય ત્યારે એ બિલકુલ સ્વસ્થતાથી કહે
છે કે, પરિસ્થિતિ પ્રમાણે તરત માણસે બદલાવું
જોઈએ. ફેસબુકમાં ઘણા બધા બદલાવ એમના પ્રભાવ
વગર થતાં રહ્યા છે. માર્ક ઝુકરબર્ગે ફેસબુકના
વપરાશકર્તાઓની પ્રતિક્રિયાઓ ઉપર જ ફેસબુકનું સ્વરૂપ રચ્યું છે. ઝુકરબર્ગ ઝડપી બદલાવમાં વિશ્વાસ રાખે છે. બદલાવનો માર્ક ઝડપથી સ્વીકાર પણ કરે છે. કદાચ ફેસબુકમાં આવતા સતત બદલાવનું કારણ ઝુકરબર્ગની નવી બાબતોના
સ્વીકાર અને ઝડપથી તેમાં ઢળવાની વિશેષતા હોઈ શકે. બદલાવનો અવરોધ કે બદલાવને દબાવવાની વાત ન હોય બદલાવનો હકારાત્મક
સ્વીકાર ઝુકરબર્ગની પાયાની સોચ છે.
કાર્લોસ સ્લિમ :
ગ્રુપો કાર્સોના માલિક કે જેમની સંપત્તિ ૫૦ બિલિયન યુએસ ડોલર છે. એવા કાર્લોસ
સ્લિમને આખી દુનિયા ‘સંભાળીને ખર્ચ કરનારા બિલીયોનર’ તરીકે ઓળખે છે. એ એક સામાન્ય મકાનમાં રહે છે. પોતાની ગાડી માટે શોફર રાખતા નથી. પોતે જ કાર ડ્રાઈવ કરે છે. કાર્લોસ તેની
કમાણીના નાણાં પોતાની ઉપર વાપરવા કરતા બિઝનેસના વિકાસ માટે ઉપયોગમાં લેવાનું વધુ
પસંદ કરે છે. કાર્લોસ હંમેશા બીજા વ્યક્તિઓની
મનઃસ્થિતિના વિશે વિચારતા રહે છે. બીજાવ્યક્તિના વિચારોનો અભ્યાસ કરતા
રહે છે. એ માને છે કે, સંપત્તિ એક બાગ જેવી છે. એને ફરી વાવીને-નિવેશ કરીને વધુ ને વધુ કમાવાનું હોય છે. એમના વિચારો આખી દુનિયાથી અલગ છે. ઓછા ખર્ચા કરીને પણ કાર્લોસ પોતાના બિઝનેસને વધારવાના સપના સાકાર
કરતા જાય છે.
અમાનસિયો આર્ટેગા :
ઝારા ઇન્ડિટેક્સના સંસ્થાપક રૂ. ૪,૫૬,૬૦૫ કરોડની માતબર સંપત્તિના માલિક અમાનસિયો પોતાની ઉપલબ્ધિઓથી હંમેશા
અસંતુષ્ટ રહે છે. એમનુ જોરદાર સુત્ર છે કે, વિકાસ પામતા રહો અથવા ખતમ થઈ જાવ. હંમેશા નવી ઉંચાઈઓ નક્કી કરવી અને એને હાંસલ કરવી અમાનસિયોને ગમે છે. કોઈપણ ઉપલબ્ધિનો સંતોષ ન કરવો સતત વધુ ને વધુ પ્રયાસ કરવામાં
અમાનસિયો માને છે.
લેરી એલિસન :
ઓરેકલ કોર્પોરેશનના સંસ્થાપકો પૈકીના એક એવા લેરી એલિસનની સંપત્તિ ૪૩.૬ બિલિયન યુએસ ડોલર્સ (રૂ. ૨,૯૭,૧૩૪ કરોડ) છે. લોરેન્સે જોખમ ખેડવામાં ક્યારેય પાછી પાની નથી કરી. એ માને છે કે, જીવનમાં સફળતા જોખમ ખેડ્યા વિના મળતી
નથી. જે જીવનમાં રિસ્ક લે છે, એ સફળતાના શિખરો સર કરે છે. જોખમ ખેડો અને
જીવનમાં બદલાવ લાવો એમ લેરી દ્રઢ પણે માને છે.
બિલ ગેટ્સ :
બિલ ગેટ્સ માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક અને ૭૫ બિલિયન યુએસ ડોલર
(રૂ. ૫,૧૧,૧૨૫ કરોડ)ની સંપત્તિના માલિક છે. વિશ્વભરમાં બિલ ગેટ્સ એક એવું નામ છે
કે, જેને સફળતાનો પર્યાય માનવામાં આવે છે. બિલ માને છે કે, હંમેશા એક બાબત ઉપર લક્ષ કેન્દ્રીત
કરવું જોઈએ જેથી પ્રત્યેક કામ સફળ બને. બિલ ‘ ટારગેટ સેટર ‘ છે. નિર્ધારીત લક્ષ્યને પાર પાડવા એ સખત પરિશ્રમ કરે છે. લઘ્ય પ્રાપ્તિ માટે બિલ ગેટ્સ હંમેશા નવા નવા માર્ગો શોધી એની ઉપર ચાલતા
નથી પણ દોડે છે.
વોરેન બફેટ :
બર્ક શાયર હેથવેના સીઈઓ વોરેન બફેટ પાસે ૬૦.૮ બિલિયન યુએસ ડોલર (રૂ. ૪,૧૪,૩૫૨ કરોડ)ની સંપત્તિ છે. બફેટ કહે છે કે, જીવનમાં જીત ત્યારે જ મળે કે, જ્યારે વ્યક્તિ પોતાના ક્ષેત્રનો નિષ્ણાત બને. ‘વેલ્યુ ઈન્વેસ્ટિંગ‘ના સ્ટ્રેટેજીમાં માનતા બફેટની
વિચારધારાને આધુનિક યુગમાં જુના જમાનાની અને સમય ખાઈ જતી
ઢીલી ઢાલી નીતિ ગણાવે છે. જોકે બફેટને આ નીતિ એકદમ સચોટ અને
સંપૂર્ણ લાગે છે. આજે દુનિયામાં સૌથી સફળ ‘વેલ્યુ ઈન્વેસ્ટર’ વોરેન બફેટ કહેવાય છે.
જેફ બેજોરી :
‘એમેઝોન ડોટ કોમ કંપનીના માલિક જેફ બેજોરીની સંપત્તિ ૪૫.૨ યુએસ ડોલર (રૂ. ૩,૦૮,૦૩૮ કરોડ)ની છે. જેફ ક્યારેય નિષ્ફળતાથી ડગ્યા નથી અને ઈનોવેશન ઉપરથી એમનું ધ્યાન
ક્યારેય ડગ્યું નથી. નિષ્ફળતા પચાવવાની અને એની સામે
મુશ્કુરાઈને આગળ વધવાની શક્તિ ધરાવનાર જ જીવનમાં સફળ થઈ શકે છે.
વિશ્વના આ સંપત્તિવાન અને આર્થિક રીતે સફળ થયેલા ખેરખાંઓના વિચારો ઉપરથી
એક વાત તો સ્પષ્ટ છે કે, જિવનમાં માની લો તો હાર પણ વળગી રહો અને
મંડ્યા રહો તો જીત છે. ‘હાઉ ટુ વીન
ફેન્ડસ એન્ડ ઈન્ફ્લુઅન્સ પીપલ’ પુસ્તકના રચયીતા અને યુવાનોના માર્ગદર્શક એવા ડેલ
કાર્નેગીએ કહે છે કે, જે વિચારીએ અને મળી જાય એ સફળતા
કહેવાય પરંતુ જે મળે અને પસંદ કરીએ તો એને પ્રસન્નતા કહેવાય. કહેવાય છે ને કે સૌથી મોટી ખુશી ત્યારે થાય છે જ્યારે લોકો કહેતા હોય
કે આ કામ તમે નહીં કરી શકો અને તમે એ કામ આસાનીથી કરીને સ્માઈલ આપો. સફળ થવા માટે અસફળતાના ભય કરતા સફળ થવાની ઇચ્છા પ્રબળ હોવી જરૂરી છે. સફળતાનો આત્મવિશ્વાસ જ નિષ્ફળતાના ભયથી મુક્ત કરતો હોય છે.
ધબકાર :
લોકો આપણી નિષ્ફળતા વિશે શું વિચારે છે એ પણ આપણે જ
વિચારીશું, તો પછી લોકો શું વિચારશે ?
000000000000000000000





