Monday, 30 September 2019

વિશ્વમાં ભારત સેકંડ હાઇએસ્ટ મિલ્ક પ્રોડ્યુસર બ્રાઝીલ સહિત દુનિયાભરમાં ગીર ગાયની જબરી ડીમાંડ છે.



વિશ્વમાં ભારત સેકંડ હાઇએસ્ટ
મિલ્ક પ્રોડ્યુસર
બ્રાઝીલ સહિત દુનિયાભરમાં ગીર ગાયની જબરી ડીમાંડ છે

ગીરની ગાયનું દૂધ કેન્સર, ટ્યુમર જેવા અસાધ્ય રોગો સામે રક્ષણ આપતી ગુણકારી જડીબુટ્ટી છે.


શહેરના પોશ વિસ્તારમાં પલાશ અને પૌલમીનો આલીશાન બંગલો. પાંચ વર્ષના પુત્રની પાછળ રોજ સવારે દોડતા એક ડાયલોગ પૌલમી અવશ્ય બોલે, ‘જો બેટા દૂધ પી લે. નહીં તો તું સ્ટ્રોંગ કેવી રીતે બનીશ...’ અને પાંચ વર્ષનો રોહન સ્ટ્રોંગ બનવા માટે રોજ એક ગ્લાસ દૂધ ગટગટાવી જાય. ઘેર ઘેર આ દ્રષ્ય જોવા મળતા હોય છે. એની પાછળનું કારણ દૂધ સંપૂર્ણ આહાર છે. ગાય, ભેંસ, બકરી, ઊંટ વગેરે ઘણા પ્રાણીઓના દૂધનો ઉપયોગ થતો હોય છે. ભારતની ઈકોનોમીમાં પશુપાલન અને મિલ્ક પ્રોડકશનનો મોટો હિસ્સો છે. આપણા ગુજરાતની જ વાત કરીએ તો ૧૩૫.૬૯ લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં અગ્રસ્થાને છે. સમગ્ર વિશ્વમાં દૂધના ઉત્પાદનના આંકડા ઉપર નજર નાખીએ તો અમેરિકા ૯૧.૩ બિલિયન કિલોગ્રામ સાથે પ્રથમ સ્થાને આવે છે. જ્યારે ભારત ૬૦.૬ બિલિયન કિલોગ્રામ સાથે બીજા ક્રમે છે. ત્યાર પછી ૩૫.૭ બિલિયન સાથે ચીન, બ્રાઝીલ ૩૪.૩ બિલિયન, જર્મની ૩૧.૧ બિલિયન, રશીયા ૩૦.૩ બિલિયન, ફ્રાન્સ ૨૩.૭ બિલિયન અને ન્યુઝીલેન્ડ ૧૮.૯ બિલિયન કિલોગ્રામ દૂધ ઉત્પાદન કરે છે.



દૂધની વાત નીકળે અને ગુજરાતના ગીરને ન યાદ કરાય તો બહુ મોટી નાઇન્સાફી થઇ કહેવાય. આમ તો ગીરનું નામ પડે એટલે ત્રાડ પાડતો વિકરાળ ડાલામથ્થો સિંહ નજર સામે ખડો થઈ જાય. ગીર સિંહ ઉપરાંત ગાય માટે પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ગીરની ગાયની ચર્ચા આખી દુનિયામાં છે. ૧૮મી સદીમાં ભાવનગરના મહારાજાએ બ્રાઝીલના એક ખેડૂતને ગીર પ્રદેશનો આખલો ભેટમાં આપ્યો હતો. બ્રાઝીલમાં ગીર નસલની ગાયો આવતા ત્યાંના અર્થતંત્રની કાયાપલટ થઈ. બ્રાઝીલનો મિલ્ક બિઝનેસ જબરજસ્ત વિકાસ પામ્યો તેના પાયામાં આપણી ગીરની ગૌમાતા છે. આજે બ્રાઝીલમાં ૪૦ લાખ ઉપરાંત ગીર ગાયો છે. બ્રાઝીલની રાજધાનીમાં ભાવનગરના મહારાજાની પ્રતિમા છે એને આદરપૂર્વક બ્રાઝીલિયનો આવતા જતાં મનોમન એને સેલ્યુટ કરતા હોય છે.
ગીર ગાયની સ્પેશિયાલિટી એ છે કે એક વાર વિઆયા બાદ પાંચ હજાર લીટર સુધી દૂધ આપી શકે છે. જ્યારે સામાન્ય ગાય બેથી અઢી હજાર લીટર દૂધ આપી શકે છે. ભારતમાં ગીર ગાયની નસલ ઘટતા ૨૦૧૮મા ભારત સરકારે બ્રાઝીલથી ગીર સાંઢના એક લાખ સીમન (વીર્ય) ઈમ્પોર્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇમ્પોર્ટ થયેલા સીમન આખા દેશના પશુપાલક ભાઇઓને અપાયા. જેના પરિણામે ગીર ગાયોની સંખ્યા ભારતમાં ફરી પાછી વધશે. ગાયનું દૂધ અને એમાં પણ ગીરની ગાયનું દૂધ અત્યંત ફાયદાકારક છે. મેલબોર્નમાં કરવામાં આવેલા એક સંશોધનમાં જણાવાયું છે કે, ગાયના દૂધમાંથી સરળતાથી એવું ક્રીમ બનાવી શકાય છે કે જે એચઆઈવી સામે રક્ષણ આપે છે. મેલબોર્નના વૈજ્ઞાનિકોએ ગર્ભવતી ગાયો ઉપર કરેલા અભ્યાસમાંથી આ તારણ બહાર આવ્યું હતું.
બાળકોના બૌદ્ધિક વિકાસમાં ગીર ગાયનું દૂધ ઉત્તમ પરિણામ આપે છે. ગાયના દૂધમાં શુદ્ધ મધ ભેળવીને પીવાથી ચમત્કારિક લાભ મળે છે. પાચનતંત્રની વિવિધ સમસ્યામાંથી ગાયના દૂધથી છૂટકારો મળે છે. એક વૈજ્ઞાનિક તારતમ્ય એવું પણ છે કે, ગીર ગાયનું દૂધ પુરુષોના શુક્રાણુઓને વધારે છે. શુક્રાણુઓની કમીને કારણે બાળકથી વંચિત યુગલોએ ગાયના દૂધનું નિયમિત સેવનનો પ્રયોગ શરૂ કરવો જોઈએ. ટીબીના દર્દીઓને ગીર ગાયના દૂધથી ફાયદો થયો હોવાના પ્રમાણો ઉપલબ્ધ છે. ગાંધીનગર જિલ્લાની જ વાત છે. એક બહેનને બ્રેઈન ટ્યુમર હતું. એમણે એક વર્ષ સુધી સવાર-સાંજ ગીરની ગાયનું દૂધ ભરપુર માત્રામાં લીધું. સવા વર્ષ બાદ જ્યારે ડૉકટરોએ ટ્યુમર માટે પુનઃ બધા ટેસ્ટ કરાવ્યા તો તબીબોને આશ્ચર્ય થયું કે એ બહેનના મગજમાં ટ્યુમરની ગાંઠ હતી જ નહીં.
સુન સુન સુન... ગીરગાય કે દૂધ મેં હૈ બડે બડે ગુન... ગાયનું દૂધ પિત્તનાશક છે. કાઇન્ડ એટેન્શન ટુ યંગ ગર્લ્સ એન્ડ બોયઝ... ગીર ગાયનું દૂધ ચહેરા ઉપર મસાજ કરવાથી ચામડી ચમકદાર બની ઉઘડે છે. ગાયના દૂધમાં કૈરોટીન નામનો પદાર્થ હોય છે જે આંખોની રોશની વધારે છે. કેન્સર, ટીબી, હૈઝા જેવી કેટલીય ગંભીર બિમારીઓમાં ગાયનું દૂધ અમૃત સમાન કાર્ય કરે છે. સંશોધનકર્તાઓએ નોંધ્યું છે કે, ગીરની ગાયના દૂધમાં આઠ પ્રકારના પ્રોટીન, છ પ્રકારના વિટામીન, ૨૧ જેટલા એમિનાએસિડ, ૧૧ જેટલા ચરબીયુક્ત એસિડ, ૨૫ જેટલા ખનિજ તત્વો, ૧૬ પ્રકારના નાઈટ્રોજન તત્વ, ચાર પ્રકારના ફોસ્ફરસ તત્વ, બે પ્રકારની શર્કરાનું તત્વ હોય છે. આ ઉપરાંત એમાં સોનુ, તાંબુ, આયર્ન, કેલ્શિયમ, આયોડિન, ક્લોરિન અને સિલીકોન ઉપલબ્ધ હોય છે. ગીરની ગાયના દૂધનું સેવન કરવાથી કોલોસ્ટોરોલ વધવાનું જોખમ નથી હોતું.
ભારતીય મૂળની કાઠિયાવાડમાં જોવા મળતી આ નસલનું આયુષ્ય ૧૨થી ૧૫ વર્ષનું હોય છે. તેના જીવનકાળ દરમિયાન છથી બાર વાછરડા આપે છે. ગીર ગાયના દૂધમાં અનેક ઉપયોગી તત્ત્વો ઉપરાંત સુવર્ણ હોઈ ગજબની રોગપ્રતિકારક શક્તિ એમાં હોય છે. ગીરની ગાયની ત્વચા સફેદ અને ઘાટા લાલ કે ચોકલેટ ભૂરા રંગના ધબ્બા અથવા ઘેરા લાલ રંગની જોવા મળે છે. ગીર ગાયની કાંધ, તેની વિશેષતા છે. કાંધમાં નાડીચક્ર સાથે સૂરજના કિરણોના સીધા સંપર્કથી તેના દૂધમાં સુવર્ણ પેદા થતું હોય છે. ગીરની ગાયનુ વજન સામાન્ય રીતે ૩૮૫ કિલોગ્રામ અને ઉંચાઈ ૧૩૦ સેન્ટીમીટર જેટલી હોય છે.
આપણા દેશમાં વેદકાલીન સમયથી ગાયને માતા કહેવામાં આવે છે. એની પાછળ શાસ્ત્રોમાં પણ ચોક્કસ આધારો આપવામાં આવ્યાં છે. આદી કાળમાં વાણિજ્યિક આદાન-પ્રદાનમાં ગાયનો ઉપયોગ થતો. પૌરાણિક કાળમાં ઉપલબ્ધ ગાયની સંખ્યા ઉપર વ્યક્તિની ધનાઢ્યતાનો માપદંડ રહેતો. ભગવાન શ્રીકૃષ્ણ અને ગાય ભારતીય સંસ્કૃતિનું સિમ્બોલ છે. પશુપાલન અને મિલ્ક ઈકોનોમીને આજે વિશ્વના મોટાભાગના દેશો સુપેરે સમજે છે.
આઝાદી વેળા હિન્દુસ્તાનની માનવ વસતી ૩૦ કરોડની આસપાસ હતી અને ગૌમાતાની સંખ્યા ૬૦ કરોડ આસપાસ હતી. આજે ભારતની માનવ વસતી ૧૨૫ કરોડ જેટલી છે અને ગૌમાતાની વસતી બે કરોડ છે. જો કે આજના યુવાનો ગૌવંશ પ્રતિ વધુ સજાગ બનતા જાય છે. જયપુરમાં વિભોર નામનો ૨૩ વર્ષનો એક યુવાન હોલોનેસ ડેરી ફાર્મ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચલાવે છે. ગીર નસલની ગાયોને એ ઉછેરી રહ્યો છે. શુદ્ધ ગાયુનું દૂધ, ઘી, માખણ, ગૌમુત્ર વગેરેનો વ્યવસાય એ સુઝ બુઝ અને નિષ્ઠાથી કરે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે હું ગાયોને ચરાવીને સાંજના સમયે પાછો ઘરે આવતો હોઉ છું ત્યારે ગૌ મૈયાના પગથી ઉડતી રજકણોની ‘ગૌધુલી’થી સ્નાન કરવા જેવું સુખ બીજું કોઈ નથી. વેદમાં કહ્યું છે કે, જેવી ગૌમાતાની સ્થિતિ એવી એ વ્યક્તિના ઘરની સ્થિતિ હોય છે. આજે ઘરોમાં ગાયની જગા શ્વાન, કાર અને બાઈકે લઈ લીધી છે. જોકે ગાયના દૂધ અને એની અન્ય પ્રોડક્ટનું મહાત્મ્ય દેશ અને દુનિયાને હવે સમજાતુ  જાય છે. એ સમય દૂર નથી કે જ્યારે ઘેર ઘેર ગાયનું દૂધ પીવાશે અને પહેલાની જેમ ગૌમાતાના ગુણગાન ગવાશે.

ધબકાર :
દૂધ દેવાવાળી ગાય માતાને કોઈ પૂછતું નથી અને ભસતા શ્વાનને ઘરમાં રાખી લાડ લડાવાય છે.




1 comment: