Tuesday, 31 December 2019

અસફળતાનો અર્થ માત્ર એટલો જ છે કે, તમારે હજી સફળ થવાનું બાકી છે


અસફળતાનો અર્થ માત્ર એટલો જ છે કે, તમારે હજી સફળ થવાનું બાકી છે

આજે વર્ષનો છેલ્લો દિવસ. વર્ષ ૨૦૧૯ને ‘ગુડબાય’ અને ૨૦૨૦ને ‘વેલકમ’ કરવાનો અવસર. આજના દિવસની ઉજવણીનો સાર એટલો કે, ૨૦૧૯માં મળેલી સફળતાઓ આનંદ કરવાનો અને નિષ્ફળતાઓની સામે તમારી પ્રતિક્રિયા કેવી હતી એનુ વિશ્લેષણ કરવાનો સમય. માણસનું જીવન સફળતાઓ અને ઘણી બધી નિષ્ફળતાઓથી ભરેલું હોય છે. શક્તિશાળી હોય કે નિર્બળ વ્યક્તિનું જીવન હોય, એ હંમેશા નિષ્ફળતાના અનેક પ્રસંગોથી જ ઘડાયેલું હોય છે. સામાન્ય રીતે એક એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે, સારું અને અનુકૂળ પરિણામ હોય એટલે સફળતા. ખરાબ કે પ્રતિકૂળ અસર જન્માવતું પરિણામ મળે એટલે નિષ્ફળતા. ખરેખર તો સફળતા હોય કે નિષ્ફળતા બન્ને વ્યક્તિની ક્ષમતાને ઉજાગર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.



        સૌ કોઈનો અનુભવ હોય છે કે, નિષ્ફળતા મળે એટલે હતાશાના વમળમાં ઘેરાઈ જઈને ડિપ્રેસનનો ભોગ બનતા હોય છે. જ્યારે સફળતા મળે ત્યારે વ્યક્તિ મનોમન ફૂલાઈ જઈને એવું માનવા લાગે કે, દુનિયામાં સૌથી અગત્યનો અને મહાન વ્યક્તિ એ જ છે. આ પ્રકારની અસરો બહુ ખતરનાક છે. પ્રગતિમાં અવરોધરૂપ બને છે. નિષ્ફળતામાંથી પદાર્થપાઠ લઈને કંઈક શીખીને આગળ વધવાનું હોય. સફળતા હોય કે નિષ્ફળતા એ કાયમી હોતી નથી. સૂર્યપ્રકાશ સારો લાગે અને ચિત્તમાં આનંદ પણ આપે. પરંતુ સુર્ય પ્રકાશ ચોવીસે કલાક અને બારેમાસ ન રહી શકે. દિવસ પછી રાત અને રાત પછી દિવસ એ કુદરતનો ક્રમ છે. એ જ પ્રમાણે નિષ્ફળતા પછી સફળતા અને સફળતા પછી નિષ્ફળતા સ્વાભાવિક ક્રમ છે.



        નિષ્ફળતા મળે ત્યારે વ્યક્તિની પોતાની અને તેની આસપાસના લોકો એ નિષ્ફળતાને કેવી રીતે ટ્રીટ કરે છે એની ઉપર વ્યક્તિના ઘડતરનો બહુ મોટો આધાર હોય છે. શાળામાં ભણતાં એક વિદ્યાર્થીનું બોર્ડનું રીઝલ્ટ આવ્યું. એના માતા-પિતાએ એને કહ્યું ‘ચલ દીકરા, આજે આપણે બધા હોટલમાં જઈને જમીએ’. ત્રણેય જણા શહેરની સારામાં સારી અને મોંઘી હોટલમાં પહોંચ્યા ત્યારે પુત્રના આશ્ચર્યનો પાર ન રહ્યો. એને એમ થયું કે, આજે કેમ મમ્મી-પપ્પા હોટલમાં જમવાનું કહે છે. અને તે પણ આવી મોંઘી હોટલમાં ? એ લોકો સામાન્ય પરિવારના હતા અને આવી મોંઘી હોટલમાં ક્યારેય જમવા ગયા ન હતા. એમની આર્થિક સ્થિતિ એટલી બધી સારી ન હતી એટલે સ્વાભાવિક રીતે જ આવી મોંઘી હોટલમાં જતાં દીકરાને ખૂબ આશ્ચર્ય થયું.



        હોટલમાં જઈને પિતાએ પુત્રને ભાવતી વાનગીઓનો ઓર્ડર કર્યો. ત્રણેય જણા પેટ ભરીને મોજથી જમ્યા. પછી પિતાએ પુત્રને હળવેથી કરહ્યું ‘બેટા તને ખ્યાલ છે તું બોર્ડની પરિક્ષામાં ફેઈલ થયો છે ?’ દીકરાને તો કાપો તો લોહી ન નીકળે. એ સ્તબ્ધ બની ગયો. હક્કોબક્કો થઈને પિતાની સામે શુન્યમનસ્ક રીતે જોઈ રહ્યો. પિતા એની ખુરશીમાંથી ઊભા થયા એની બાજુમાં બેસીને એના ખભે હાથ મૂકીને કહ્યું, ‘બેટા આ પરીક્ષા તારા જીવનની છેલ્લી પરીક્ષા થોડી છે ? એટલું સમજી લેજે કે, કાલથી તું ભણવામાં મહેનત કરીને સારા માર્કસ સાથે સફળ પણ થઈ જઈશ. પરંતુ જીવનમાં આવનારી મુશ્કેલીઓ, નિષ્ફળતાઓ અને સફળતાઓનો હિંમત અને ધીરજપૂર્વક સામનો કરીશ તો તું જરૂર સુખી થઈશ. સુખ, સફળતા અને નિષ્ફળતાઓ ઉપર મોહતાજ ન રહેવું જોઈએ.’
આ નાના બાળકને આજે આખું ભારત મોટા ગજાના કલાકાર અનુપમ ખેર તરીકે ઓળખે છે. પિતાજીએ બોર્ડની પરીક્ષા વખતે આપેલી અણમોલ વર્તનભેટે એમને જીવનને બદલીને અસફળતાની પણ ઉજવણી કરતા કરી દીધા. નાપાસ થયેલા કે ઓછા ટકા આવેલા બાળકને કરડવા દોડતાં વાલીઓને મહાન કલાકાર અનુપમ ખેરના પિતાજીનો વર્તનસંદેશ અર્થપૂર્ણ પદાર્થપાઠ પૂરો પાડે છે.
        વિંન્સ્ટન ચર્ચીલ હંમેશા કહેતાં કે, સફળતા અંત નથી હોતો અને અસફળતા ક્યારેક ઘાતક નથી હોતી. નિષ્ફળતા એક એવો અવસર પૂરો પાડે છે કે જ્યાંથી ફરી પાછી નવી શરૂઆતનો મજાનો મોકો મળે છે. વ્યાકુળતાના ગર્ભમાં અસંતોષ હોય છે અને અસંતોષ જ પ્રગતિની પહેલી શરત છે. અસફળતાનો અર્થ એ નથી કે, તમે નિષ્ફળ ગયા છો. અસફળતાનો અર્થ માત્ર એટલો જ છે કે, તમારે હજી સફળ થવાનું બાકી છે.
થોડા મહિના પહેલાં દેશ અને દુનિયાએ એક અદભુત દ્રશ્ય ટીવીના પડદે જોયું. ભારતનું ચંદ્રયાન–૨ મિશન નિષ્ફળ જતાં ઇસરોના વૈજ્ઞાનિક કે. સિવન ભાંગી પડ્યા હતા. ભારતના વડાપ્રધાન સ્પેસ સેન્ટર પહોંચી જઇને કે. સિવનને ઉષ્માથી ભેટીને કહ્યું કે, ‘ આ મિશનની નિષ્ફળતાના અનુભવને આધારે આનાથી પણ વધુ બહેતર બીજું મિશન થવાનું છે. તમારી લોકોની મહેનત ક્યારેય એળે નહીં જાય. ’ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ ‘હીલીંગ થેરેપી’ અને વિચક્ષણતાએ વૈજ્ઞાનિક સિવન સહિત ઈસરોના સેંકડો વૈજ્ઞાનિકોના દિલો દીમાગમાં નવો ઉત્સાહ અને નવું જોમ ભરી દીધું. ઇસરોના બધા જ વૈજ્ઞાનિકો ફરી પાછા કામે લાગી ગયા. નિષ્ફળતા ખરેખર તો સફળતા માટેનો અનુભવ તેજપૂંજ છે. જે વ્યક્તિ જીવનનો આનંદ લઈ રહ્યો હોય એને ક્યારેય અસફળતાની આંચ લાગી શકતી નથી. મોટાભાગે સફળતા અસફળતાની ઠોકરોમાંથી જ પેદા થતી હોય છે.
        કેન્સરથી પીડાતા એપલ કંપનીના સ્ટીવ જોબ્સે એમના અનુભવ તારવતાં કહ્યું છે કે, ‘ હું જલ્દી મરી જવાનો છું એ સતત યાદ રહેતાં મોટા નિર્ણયો લેવામાં મને ખૂબ અનુકૂળતા રહી છે. જ્યારે મોત વિશે વિચારું છું પછી ઘમંડ, અસફળતાનો ડર, આશાઓ, અપેક્ષાઓ બધું જ ગાયબ થઈ જાય છે. પછી એટલું જ બાકી બચે છે જેની ખરેખર આવશ્યકતા હોય છે. ’
        જે વ્યક્તિ એના જીવનકાળના ૪૦ વર્ષો સુધી કોઈ દિવસ નિષ્ફળ જ ગયો નથી તો એમ સમજી લેવું પડે કે એ વ્યક્તિ જીવનના ઉતાર-ચઢાવના રસથી વંચિત રહ્યો છે. વિશ્વ વિખ્યાત કાર્ટુનિસ્ટ સ્કોટ એડમ્સ એક એક્ઝિક્યુટિવ ઓફિસર બનવાના લક્ષ્યમાં નિષ્ફળ ગયા પછી પીંછી અને કલમ પકડી સફળતાની સીડી સડસડાટ ચડી ગયા. વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન ૧૫ વર્ષના હતા ત્યારે શ્રવણશક્તિ ગુમાવી હતી. એમના શિક્ષકો, સંબેધીઓ અને સાથીઓ માનવા લાગ્યા કે હવે એડિસન જીવનમા કશું પ્રાપ્ત કરી શકશે નહીં, પરંતુ સાંભળવાની ક્ષતિને અતિક્રમીને એડિસન વિશ્વના મહાન વૈજ્ઞાનિક બન્યા. નિષ્ફળતાને ગળે લગાવીને ફરવા કરતાં એમાંથી પ્રેરણા મેળવી આગળ વધવામાં જ જિવનનો આનંદ છે. સફળતાના નશામાં છકી ન જવાય અને નિષ્ફળતાનાં ગમમાં વહી ન જવાય.

ધબકાર :
એક નિષ્ફળતા સફળતાના હજાર દ્વારા ખોલી નાખે છે.