Thursday, 20 February 2020

ડૉ. સૌમ્યાના સમર્પણભાવનું મળ્યું શાનદાર પરિણામ


ડૉ. સૌમ્યાના સમર્પણભાવનું મળ્યું શાનદાર પરિણામ

સૌમ્યા એક એવા તબીબ છે કે, જેમના ટીબી અને એચ.આઈ.વી. ઉપરના સંશોધનોને સમસ્ત વિશ્વએ પોંખ્યા છે. લાગલગાટ ૩૦ વર્ષોથી તબીબી ક્ષેત્રે શોધ કાર્યમાં વ્યસ્ત એવા સૌમ્યાએ એમની અત્યંત પ્રભાવી કારકીર્દિમાં અનેક આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં સક્રીય યોગદાન આપ્યું છે.’ વિશ્વની નંબર વન હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHOએ સૌમ્યા એમ. સ્વામીનાથનની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડેપ્યુટી ડાયરેકટર જનરલ તરીકે નિયુક્તિ થઈ ત્યારે આવા શબ્દોથી તેમને નવાજ્યા હતાં. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં આ પદે પહોંચનારા સૌમ્યા પ્રથમ ભારતીય મહિલા છે. આ સમાચારની જ્યારે ભારતમાં બધાને ખબર પડી ત્યારે સૌ કોઈનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું.



ડૉ. સૌમ્યા સ્વામીનાથન ભારતના ચેન્નાઈ શહેરના છે. દેશની ગ્રીન રેવોલ્યુશનના ભીષ્મ પિતામહ તરીકે જાણીતા ડૉ. મીના સ્વામીનાથનની ડૉ. સૌમ્યા દીકરી છે. પિતા ડૉ. એમ. એસ. સ્વામીનાથનને તાજેતરમાં કૃષિ ક્ષેત્રે કરેલા વિશિષ્ટ યોગદાન માટે મુપ્પાવરપ્પુ વૈંકયા નાયડુ નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. સૌમ્યાની માતા શિક્ષણ ક્ષેત્રમાં કામ કરે છે. સૌમ્યાના બે બહેનો છે. મધુરા સ્વામીનાથન ભારતી સાંખ્યિક સંસ્થા, કોલકતામાં પ્રોફેસર છે અને નિત્યા સ્વામીનાથન યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયામાં લૈંગિક વિશ્લેષણ અને વિકાસ વિષયના વ્યાખ્યાતા છે.
ડૉ. સ્વામીનાથનના ઘરમાં પહેલેથી જ વૈજ્ઞાનિકો અને પ્રબુદ્ધોની અવરજવર રહેતી. સંશોધન કાર્યો અને મહત્વના વિષયો ઉપર ચર્ચાઓ અને વાતો બાળપણથી જ તેમના કાને પડતી રહેતી. મજાની વાત તો એ છે કે, ડૉ. સૌમ્યાને બાળપણમાં વેટરનરી ડોકટર બનવાની ઇચ્છા હતી. પરંતુ એમની કોલેજમાં સહઅધ્યાયીઓ દ્વારા મેડિકલ પ્રવેશની પરીક્ષા અપાતી હતી ત્યારે તેમણે આર્મી મેડિકલ કોલેજ, પુનાની એક માત્ર કોલેજમાં એડમીશન માટે જ પરીક્ષા આપી હતી. એ મનોમન એમ વિચારતા હતાં કે, માત્ર એક જ કોલેજમાં પ્રવેશ પરીક્ષા આપી છે એટલે પસંદગીની સંભાવના ખૂબ ઓછી છે. એટલે એ ભવિષ્યમાં એમએસસી અને પીએચડીની દિશામાં આગળ વધી શકશે. પરંતુ એમને આ એક કોલેજમાં પ્રવેશ મળી ગયો. પછી તો તબીબી ક્ષેત્રે બાળરોગોના નિષ્ણાંત તરીકેની એમની કારકીર્દિ પૂરપાટ ઝડપે આગળ વધવા લાગી.
ડૉ. સૌમ્યાને ઈન્ડિયન અને વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકનો ભારે શોખ છે. તેમની એકેડેમીશીયન માતા વેસ્ટર્ન ક્લાસિકલ પીયાનો ખૂબ સરસ વગાડે છે. ડો. સૌમ્યાએ કર્ણાટક સંગીતની તાલીમ લીધી છે. સંગીત ઉપરાંત તેમને ટ્રેકિંગનો શોખ છે. પહાડો, નદીઓ, જંગલો, પશુ-પક્ષી વગેરે કુદરતી સૌંદર્ય ડૉ. સૌમ્યાને પ્રિય છે. એમણે સિમલા, ભુતાન, અરુણાચલ પ્રદેશ, સિક્કીમ વગેરે સ્થળોએ ટ્રેકીંગ કર્યું છે. હવે WHOની હેડ ઓફિસ સ્વિટ્ઝરલેંડમાં ડૉ. સૌમ્યા બેસશે. સ્વિટ્ઝરલેંડમાં કુદરતે સૌદર્યનો મબલખ ખજાનો છુટે હાથે વેર્યો છે. ડૉ. સૌમ્યા એમની પ્રકૃતિને પોષે એવા દેશ સ્વિટ્ઝરલેંડમાં કુદરતી નઝારાને પણ ભરપુર માણી લેશે એમાં બેમત નથી.
ડૉ. સૌમ્યા સ્વામીનાથને એક ટીવી મુલાકાતમાં કહ્યું હતું કે, દુનિયાના દરેક દેશના લોકોને ક્વોલિટેટીવ હેલ્થ મળે એ દિશામાં નક્કર પલાં લેવાવા જોઇએ. આરોગ્ય કવચ જ્યાં સુધી મજબુત નહીં હોય ત્યાં સુધી આર્થિક સધ્ધરતાનું શમણું સાકાર ન થઇ શકે. ડૉ. સ્વામીનાથન દ્રઢપણે માને છે કે, જે જીવ પૃથ્વી પર આવ્યો છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે જ. પરંતુ આરોગ્યની નિષ્કાળજીથી મૃત્યુ થાય એ ન ચલાવી લેવાય. પ્રત્યેક દેશમાં હેલ્થ કેર માટે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ હોવી જોઈએ. હેલ્થ પ્રોગ્રામને સૌથી વધુ મહત્વ અપાવું જોઈએ. આયુષમાન ભારત પ્રોગ્રામ WHOના સ્ટ્રેટેજીક હેલ્થ પ્રોગ્રામની પ્રાથમિકતાની ખૂબ નજીક છે. આગામી પાંચ વર્ષમાં વિશ્વના વધુ એક બિલિયન લોકોને સુરક્ષા કવચ મળે એ દિશામાં WHOએ લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
ડૉ. સૌમ્યા સ્વામીનાથને દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો છે. સાર્વભૌમ સ્વાસ્થ્ય સુરક્ષા અને આરોગ્યલક્ષી સુખાકારી, મહામારી વખતે અસરગ્રસ્ત દેશની વહારે વધુ  આર્થિક મદદ આપવી, જરૂરિયાતમંદ રાષ્ટ્રોને વહીવટી સહાય પુરી પાડવી, માનવ સંસાધન વગેરે ડબલ્યુ.એચ..ના મુખ્ય કાર્યક્ષેત્ર છે. સૌમ્યા સ્વામીનાથન હવે સમસ્ત વિશ્વની આરોગ્ય સુરક્ષાની જવાબદારી વહન કરશે.
સૌમ્યા સ્વામીનાથનની કારકીર્દિ પહેલેથી જ તેજસ્વી રહી. એમણે સશસ્ત્ર સેનાની મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કરીને દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાંથી તબીબી ક્ષેત્રે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત સૌમ્યાએ નેશનલ બોર્ડ ઓફ એગ્ઝામિનેશનનો ડિપ્લોમા પણ મેળવ્યો છે. લોસ એન્જેલસની કેકે સ્કૂલ ઓફ મેડિસીનમાંથી તેમણે બાળ ચિકિત્સા પલ્મોનોલોજીમાં પોસ્ટ ડોક્ટોરલ મેડિકલ ફેલોશીપ મેળવી છે. ચેન્નાઈ સ્થિત રાષ્ટ્રીય ક્ષય રોગ અનુસંધાન સંસ્થાનના નિયામક તરીકે તેમણે સરાહનીય સેવા પ્રદાન કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને વિશ્વ સલાહકાર એજન્સીઓ તથા સમિતિઓમાં તેમણે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે.
ટીબી અને એચઆઈવી રોગના વિવિધ પાસાઓનો ગહન અભ્યાસ કરતી પ્રયોગશાળાઓ અને વૈજ્ઞાનિકોના સમૂહને કેળવવાની દિશામાં સૌમ્યા સ્વામીનાથને અદભુત કામ કર્યુ છે. whoમાં ડેપ્યુટી ડાયરેકટર જનરલના પદ ઉપર નિયુક્તિ સમયે તે ટીબી ઝીરો પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હતા. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૧ સુધી એમણે જીનિવામાં યુનિસેફ, યુએનડીપી, વિશ્વ બેન્ક અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના દુનિયાના ગરમ દેશોમાં થતાં રોગોના સંદર્ભમાં ઉલ્લેખનીય કામ કર્યું છે. બાળ ચિકિત્સા ક્ષેત્રે ડૉ. સૌમ્યા સ્વામીનાથને વર્ષ ૧૯૧૯માં પ્રસ્તુત કરેલા સ્ટડી પેપર માટે તેમને ડો. લહીરી સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૬માં સૌમ્યાને એક્સ્ટ્રાજેનેકા રિસર્ચ બંદોબસ્ત પુરસ્કાર નાઈપરથી નવાજવામાં આવ્યા હતા.
સૌમ્યા સ્વામીનાથનની આ કહાની સમર્પણની ભાવનાના સત્વથી છલોછલ ભરેલી છે. તબીબી ક્ષેત્રે અભ્યાસ પછી સતત જનહિતલક્ષી આરોગ્ય સુરક્ષા માટે તેમણે પ્રતિદિન પરિશ્રમ કર્યો છે. રોજેરોજ નિષ્ઠાપૂર્વકના સમર્પણભાવથી તેમણે કાર્યને અંજામ આપ્યો છે. કામમાં સમર્પણનું સત્વ ભળે ત્યારે એ કામ બોજો મટી આનંદનો માર્ગ બની જતો હોય છે.
દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક તો એવા લોકો કે જે દુનિયાની પરિભાષા અનુસાર પોતાને એ ઢાચામાં ઢાળી દે અને બીજા એવા લોકો કે જે પોતે બનાવેલા માર્ગ ઉપર દુનિયાને ચાલવા મજબૂર કરી દે. ડૉ. સૌમ્યા સ્વામીનાથન, ડૉં. એ.પી.જે. અબ્દુલ કલામ, સચિન તેંડુલકર, બિલ ગેટ્સ, રતન ટાટા જેવા વ્યક્તિઓએ સિદ્ધ કરી આપ્યું છે કે, વિશ્વમાં એવું કોઈ લક્ષ્ય છે જ નહીં કે જે સિદ્ધ ન થઈ શકે. આ બધા લોકોએ અલગ અલગ ક્ષેત્રમાં તેમનો ઝંડો ગાડ્યો છે. આ લોકોની અપ્રતિમ અને અલભ્ય લાગતી ઉંચાઈ પાછળનું સૌથી મોટું પરિબળ એમની સમર્પણ ભાવનાનું છે.
ઉંચાઈએ પહોંચેલા લોકોએ જીવનમાં ક્યારેય એમ નથી વિચાર્યું કે, ‘આ કાર્ય મારાથી નહીં થઈ શકે.’ આ લોકોએ હંમેશા એમ વિચાર્યું છે કે આ કામ મારાથી જ થઈ શકશે. આ કામ માટે જ મારો પૃથ્વી ઉપર જન્મ થયો છે.’ જો ખરેખર ખૂશ થવું હોય તો કામને ગમતું કરવાનો દ્રષ્ટિકોણ રાખવો પડે. જ્યારે સંપૂર્ણ સમર્પિત બનવામાં આવે ત્યારે કામ ગમવા જ લાગે.

ધબકાર :
એટલા નાના બનીએ કે બધાની સાથે બેસી શકીએ, એટલા મોટા બનીએ કે, જ્યારે ઊભા થઈએ તો કોઈ બેસી ન રહે.





Monday, 10 February 2020

પુસ્તકીયા પ્રશ્નોત્તરી ખરી પણ એની સાથે આગળ વધવાનો માર્ગ બતાવે એ શિક્ષક


પુસ્તકીયા પ્રશ્નોત્તરી ખરી પણ એની સાથે આગળ વધવાનો માર્ગ બતાવે એ શિક્ષક

આચાર, વિચાર અને સંસ્કાર વ્યક્તિના મૂલ્યોને ઉજાગર કરતાં મહત્વના પાસાં છે. વળી આ ત્રણેય પાસા ઉપર ચાર બાબતો અસર કરતી હોય છે. પ્રથમ પૂર્વ જન્મના મળેલા સંસ્કારો. એના પછી આવે, માતા-પિતા પાસેથી પ્રાપ્ત થયેલું ભાથું. ત્રીજા ક્રમે મિત્રો તથા સમાજ આવે. છેલ્લે ચોથી પણ સૌથી અગત્યની બાબત છે શિક્ષણની. સમાજના વિકાસ અને પરિવર્તનની જો કોઈ મજબૂત ધરોહર હોય તો એ શિક્ષકો છે. આદિ અનાદિ કાળમાં શિક્ષકનું સ્થાન ‘ગુરુ’ તરીકે નવાજાતું. એના પાયામાં ‘ગુ’ એટલે અંધકાર અને ‘રુ’ એટલે પ્રકાશ. અંધકારથી પ્રકાશ તરફ લઈ જનારને ‘ગુરુ’ના સ્થાને મૂકવામાં આવતા.



આજે ગુરુ શિક્ષક, ટીચર, માસ્તરના નામે ઓળખાય છે. એક ઉમદા શિક્ષક સાથે પસાર કરેલો એક દિવસ હૃદયપૂર્વક અભ્યાસ કરેલા એક હજાર દિવસથી વધુ મૂલ્યવાન હોય છે. સારો શિક્ષક આશા, આકાંક્ષા અને કલ્પનાને પ્રજ્વલિત કરીને કંઈક નવું શીખવા પ્રત્યે પ્રેમ વધારે છે. આચાર્ય દેવવ્રતને સમગ્ર દુનિયા ચાણક્યના નામથી જાણે છે. જાણીતી વાત છે કે, એક વાર મગધ રાજ્યમાં ધનનંદના દરબારમાં ચાણક્યનું અપમાન થતાં તેમણે ઢોર ચરાવતાં ચંદુને  સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય બનાવી દુનિયાને બતાવી આપ્યું કે, શિક્ષકનું સામર્થ્ય શું હોય છે.
વિલિયમ ઓર્થર વર્ડ કહે છે કે, એક શિક્ષક પુસ્તકિયું જ્ઞાન આપી શકે છે. સારો શિક્ષક એને સમજાવી શકે છે, ઉત્તમ શિક્ષક એનો અમલ કરીને બતાવે છે, પરંતુ એક મહાન શિક્ષક વિદ્યાર્થીને પ્રેરણા આપીને ઉપર ઉઠાવે છે. શિક્ષક દરેક જગ્યાએ સન્માન પ્રાપ્ત કરે છે કારણ કે, એ સૌથી સાચો અને સારો મિત્ર હોય છે. વર્ષો પહેલાં એક સંન્નિષ્ઠ શિક્ષકની પાસેથી પ્રાપ્ત કરેલી શિક્ષાના બીજ સાવરકુંડલામાં હરિયાળું વૃક્ષ બનીને મહોરી ઊઠ્યા.
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની કહાની છે. ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને મૂળ શિક્ષક એવા શ્રી રતિલાલ બોરીસાગરના વિદ્યાર્થીઓએ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક અનોખો આરોગ્ય યજ્ઞ આરંભીને સેવાની સુવાસ ચોમેર ફેલાવી છે. કહેવું પડે કે, આ વિદ્યાર્થીઓએ એમના ગુરુ રતિલાલ બોરીસાગરનું નામ ઉજાળ્યું છે. અહીં આદરણીય મોરારિબાપુની નિશ્રામાં સાહિત્ય અને શિક્ષણના સમન્વય સમો વાર્ષિકોત્સવ યોજાયો. તેમાં શિષ્યોએ ગુરુ રતિલાલ બોરીસાગરના સન્માન સાથે સેવાનો સંકલ્પ દ્રઢીભુત બનાવ્યો. તમામ વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે, એક એવું આરોગ્ય મંદિર બનાવીએ કે, જેમાં દર્દીનારાયણોની વિના મૂલ્યે સારવાર થાય અને ઉત્કૃષ્ટ સેવા આપી શકાય. જાન્યુઆરી ૨૦૧૫માં સાવરકુંડલામાં હોસ્પિટલનું લોકાર્પણ થયું. આમ જોવા જઇએ તો સાહિત્યકાર વૈચારિક પ્રક્રિયા અને શબ્દો વડે સમાજને શિક્ષિત કરવાનુ કાર્ય કરે છે. એટલે એ અર્થમાં જોઇએ તો સાહિત્યકાર એક શિક્ષક જ છે. ગુજરાતી ભાષાનુ સૌભાગ્ય છે કે, રતિલાલ બોરીસાગર સ્વરૂપે ઉચા ગજાના શિક્ષક અને ઉત્તમ સાહિત્યકારનો કોમ્બો તેને સહજ રીતે મળ્યો છે.
આ આરોગ્ય મંદિરમાં આવતાં દર્દીઓનું નિદાન, સારવાર, મેડિકલ ટેસ્ટ અને સાત્વિક ભોજનની સવલત નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં આંખો પહોળી થઈ જાય એટલાં પાંચ લાખથી વધુ દર્દીઓની આરોગ્ય મંદિરમાં નિઃશુલ્ક આરોગ્ય સેવા કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૫માં જનરલ ઓપીડી, મેડિકલ સ્ટોર્સ, પેથોલોજી, ગાયનેક, ડાયાલિસિસ વિભાગ સાથે આરોગ્ય મંદિરે દર્દીનારાયણોની સેવાનો યજ્ઞ આરંભ્યો. એક વર્ષ બાદ ૨૦૧૬માં ફીઝીયોથેરેપી, હોલિસ્ટિક સેન્ટર અને પ્રસાદગૃહ સાથે આરોગ્ય મંદિરે તેની આરોગ્ય સેવાને વધુ પ્રબળ બનાવી. બે વર્ષ એટલે ૨૦૧૭માં પીડિયાટ્રિક વિભાગ, ડેન્ટલ વિભાગ અને ૨૦૧૮માં આઈસીયુ, રેડિયોલોજી વિભાગ, મોબાઈલ ક્લિનિક, ટેલી કન્સલ્ટિંગ અને સર્જિકલ વિભાગ સાથે બોરીસાગર સાહેબના વિદ્યાર્થીઓએ આરોગ્ય મંદિરની સેવાઓને વધુ વિકસાવી.
એક શિક્ષકની પ્રેરણા, શિક્ષણ અને સંસ્કારે વિદ્યાર્થીઓના કરેલા ઘડતરની આ એક અદભુત કહાની છે. બાળપણમાં માનસપટ પર પડેલી છાપ અમીટ અને કાયમી એટલા માટે બની જાય છે કે, બાળમાનસ અત્યંત નાજૂક હોય છે. એ સમયે મનમાં પડેલી એક વાત જીવનભરનું ભાથું બની જતી હોય છે. શિક્ષક રતિલાલ બોરીસાગર પાસેથી પ્રાપ્ત કરેલા સંસ્કારવારસાને તેમના વિદ્યાર્થીઓએ સેવાની સાધનામાં પલટાવીને સમાજને એક નવતર ચીલો ચાતરી આપ્યો છે. સપનાની શરૂઆત શિક્ષક સાથે થાય છે. જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ આપી એને ખેંચીને, ધક્કો મારીને ઉપર લઈ જાય છે. જો દ્રોણાચાર્ય ન હોત તો કદાચ અર્જૂન ન હોત. એ જ પ્રમાણે જો રામકૃષ્ણ પરમહંસ ન હોત તો વિવેકાનંદ ક્યાંથી મળ્યા હોત ? જો આચરેકર ન હોત તો ક્રિકેટિંગ ગોડ સચિન તેંડુલકરનો પરિચય દુનિયાને ન થયો હોત.
જાણીતા શિલ્પકાર માઈકલ એન્જેલોની વાત છે. એક વખત એમને આરસની સરસ મૂર્તિ બનાવવાનો વિચાર આવ્યો. આરસપહાણ પથ્થનો ટૂકડો ખરીદવા માટે માઈકલ એન્જેલો પાસે પૂરતા પૈસા નહતાં. બજારમાંથી પસાર થતાં રસ્તામાં પડેલાં એક ગંદા અને ખરબચડાં આરસપહાણના પથ્થના ટૂકડા પર એમની નજર પડી. માઈકલ એન્જેલોએ એ પથ્થરનો ટૂકડો લઈને રોડની બાજુમાં આવેલી મારબલની દુકાનમાં જઈને એના માલિકને પૂછ્યું, ‘શું આ પથ્થર તમારો છે ? તમને આ પથ્થર ઉપયોગી છે ?’ દુકાનના માલિકે કહ્યું, ‘ના ભાઈ, આનો ઉપયોગ નથી એટલે જ તો મેં એને ફેંકી દીધો છે.’ માઈકલ એન્જેલોએ કહ્યું, ‘શું હું આ પત્થરનો ટૂકડો લઇ જઈ શકું.’ દુકાનના માલિક કહ્યું, ‘ચોક્કસ. મારે કશા કામનો નથી. તમે એને લઈ જઈ શકો છો. મારે એના પૈસા પણ નથી જોઈતા.’ માઈકલ એન્જેલો ખુશ થઇ ગયા. એ પથ્થરનો ટૂકડો ઘરે લઈ જઈને તેને સાફ કરીને એમાંથી મૂર્તિ ઘડવાનું શરું કર્યું. એમણે એ પથ્થરમાંથી જીસસ અને મધર મેરીની એક બીજાને વહાલથી ભેટતાં હોય એવું માતા-પુત્રનું સુંદર શિલ્પ કંડાર્યું. આ શિલ્પ દુનિયાની અમર કૃતિ બની ગઈ.
માઈકલ એન્જેલોને એક વખત પૂછવામાં આવ્યું કે, ‘તમે જીસસ અને મધર મેરીના આ શિલ્પને ઘડવા માટે આરસપહાણના આ પથ્થરને જ કેમ પસંદ કર્યો.’ ત્યારે માઈકલ એન્જેલેઓ જવાબ આપ્યો કે, ‘હું પથ્થરને ઘડવાનુ કામ જાણું છું. ગંદા અને રફ લાગતા પથ્થરના આત્માનો અવાજ મને બોલાવતો હતો. એટલે જ મેં આ પથ્થરને આવું સ્વરૂપ આપ્યું છે.’ શિક્ષક પણ એક મોટા ગજાનો શિલ્પકાર છે. ગમે તે વિદ્યાર્થીને શિક્ષક તરાશીને મહાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. શિક્ષક એક સડક જેવો હોય છે. સ્વયં તો ત્યાં જ ઉભો હોય છે પરંતુ બીજાને લક્ષ્ય સુધી પહોંચાડે છે.
એલેકઝાન્ડરે એના વિજયી પરચમનો શ્રેય આપતાં એક વાર કહ્યું હતું કે, એની સફળતાના પાયામાં જીવન જીવવા માટે એના માતા પિતાનો એ ઋણી છે. પણ સારું અને વિજયી જીવન જીવવા માટે એ એના શિક્ષકોનો હંમેશા ઋણી રહ્યો છે. એક સારો શિક્ષક પુસ્તકીયા પ્રશ્નના હલની સાથે આગળ વધવાનો માર્ગ નક્કી કરી આપે છે, એની ઉપર ચાલવા માટે વિદ્યાર્થીઓને વિકલ્પો આપે છે. એમાંથી એક વિકલ્પ પસંદ કરીને વિદ્યાર્થી તેના ઉજ્જવળ ભવિષ્યની ઇમારત બનાવે છે. એક ઇચ્છા કશું બદલી શકતી નથી. એક નિર્ણય જીવનમાં થોડો બદલાવ લાવે છે, પરંતુ એક નિશ્ચય બધું જ બદલી શકવાની ક્ષમતા ધરાવે છે. શિક્ષક વિદ્યાર્થીના માનસપટ ઉપર નિશ્ચય કરવાનું આત્મબળ પેદા કરતો હોય છે.

ધબકાર :
બાળકના કુમળા માનસ ઉપર ઉપદેશ કરતાં ઉદાહરણની વધુ અસર થતી હોય છે.




રાષ્ટ્રપ્રેમનું ઝનૂન એકાદ બે દિવસ માટે જ નહીં, બારે માસ અને ચોવીસે કલાક રગેરગમાં દોડવું જોઇએ


રાષ્ટ્રપ્રેમનું ઝનૂન એકાદ બે દિવસ માટે જ નહીં,
બારે માસ અને ચોવીસે કલાક રગેરગમાં દોડવું જોઇએ

લો, વધુ એક રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસ પસાર થઇ ગયો. ગણતંત્ર દિવસની દમામભેર ઉજવણી પણ થઈ. દેશપ્રેમ અને રાષ્ટ્રીય ભાવના શું છે ? સ્વાતંત્ર્ય દિવસ અને ગણતંત્ર દિવસે લાઉડસ્પીકર પર દેશભક્તિના ગીતો વગાડીને-ગાઇને કે પોતાના વાહન ઉપર ત્રિરંગો ઝંડો લગાવીને, માથા પર ત્રિરંગાની ટોપી કે સાફો પહેરી લીધો એટલે એ દેશપ્રેમ કહેવાય ? વર્ષમાં રાષ્ટ્રીય પર્વના માત્ર બે દિવસોએ દેશભક્તિના ગીતો ગાઈને કે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને દેશ પ્રત્યેની ફરજ પૂરી થઈ ગઈ એમ સમજવુ જોઇએ ? દેશની આઝાદીની ગરિમાને બરકરાર રાખવા માટેની જવાબદારી માત્ર પોલીસની કે સૈનિકની છે ? પોલીસ અને સૈનિક આ બે તો એક જાગૃત પ્રહરી માત્ર છે. સ્વાતંત્ર્ય અને સંસ્કૃતિની જાળવણી પ્રત્યેક રાષ્ટ્રવાસીની ન માત્ર નૈતિક ફરજ છે બલ્કે એનું પરમ કર્તવ્ય અને ધર્મ છે.



દેશમાં આતંકવાદીઓનો જેટલો ત્રાસ પરેશાન નથી કરતો એનાથી વધુ રાષ્ટ્રીય ભાવનાના અભાવવાળી જનતા દુઃખી કરે છે. ત્રિરંગાને શાનથી જોઈને એને સલામી આપવી કે વીર-શહીદના પરિવારોમાં જઈને આંસુ સારીને રાષ્ટ્રીય ભાવના ઝંકૃત થઈ છે એવો સંતોષ માણવો જોઈએ ? ચોક્કસ આ બન્ને બાબતો રાષ્ટ્રીય ભાવના જ કહી શકાય પરંતુ સાચી દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવના તો એ છે કે, દેશ માટે ફના થઈ જવાનો મોકો જેમને મળ્યો નથી એમણે રાષ્ટ્રની આન-બાન અને શાનને જાળવી રાખવા માટે જીવવાનો અવસર મળ્યો છે. તેમ સમજીને રાષ્ટ્ર પ્રતિ ઋણ અદા કરવાનો નૈતિક જૂસ્સો કેળવવાનો સમય છે.
એક સમય એવો હતો કે, જાપાન દેશ તેના અધિપત્ય અને સત્તા માટે પાગલ હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિરોશીમા અને નાગાશાકી ઉપર ઝીંકાયેલા અણુબોમ્બને કારણે જાપાનમાં સર્જાયેલી ખાનાખરાબી પછી જાપાન દેશ ધરાશાયી થઈ ગયો. પરંતુ જાપાનના સાડાબાર કરોડ જેટલા નાગરિકોએ મુઠ્ઠીવાળીને સંકલ્પ કર્યો કે, આપણા રાષ્ટ્રને ફરી પાછું દોડતું કરવું છે. જાપાનમાં એક મિનિટથી વધારે ટ્રેન મોડી પડે તો ડ્રાઈવર એન્જિનમાંથી નીચે ઉતરીને જાહેરમાં જનતાની સામે રીતસર દીલગીરી વ્યક્ત કરે છે. આખા જાપાનમાં ખોવાયેલી વસ્તુઓ પૈકી ૯૩ ટકા વસ્તુઓ સલામત રીતે પાછી મળી જાય છે. સમગ્ર દેશમાં પરિવહનનું નિયમન જનતા સ્વેચ્છાએ સ્વયં કરે છે. લોકો પોતાની જવાબદારી સમજીને કતારબદ્ધ ઊભા રહે છે. ક્યાંય કોઈ ધક્કા મુક્કીનો પ્રસંગ બનતો જ નથી. ‘દેશ સર્વોપરી’ જેવું સૂત્ર જાપાનીઓના માથે મારવામાં આવ્યું નથી પરંતુ આ વાત પ્રત્યેક જાપાનીના લોહીમાં વહે છે.
રતન ટાટાએ કહેલો આવો જ એક જર્મનીના હેમ્બર્ગનો પ્રસંગ યાદ આવે છે. બિઝનેશ ટાયફૂન રતન ટાટા તેમના મિત્રો સાથે એક વાર જર્મનીના પ્રવાસે ગયા હતા. જર્મની એક વિકસીત રાષ્ટ્ર છે. સામાન્ય રીતે લોકોના મગજમાં એવી છાપ હોય કે જર્મનીના લોકો શાનદાર જીવન જીવે છે. ટાટા એમના મિત્રો સાથે હેમ્બર્ગની એક રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. રેસ્ટોરન્ટના ખૂણાના એક ટેબલ પર એક યંગ કપલ ભોજન લેતું હતું. એમના ટેબલ પર માત્ર બે જ વાનગીની ડિશ હતી. રતન ટાટા મનોમન વિચારતા હતા કે, આ કંજૂસ છોકરાને એની પ્રેયસી કદાચ છોડીને જતી રહેશે. સાથે સાથે એમણે બાજુના ટેબલ પર કેટલીક બુઝુર્ગ મહિલાઓને ભોજન લેતાં જોઇ. રેસ્ટોરન્ટનો વેઈટર આ મહિલાઓને વાનગીઓ પીરસતો હતો. મહિલાઓ એમની ડિશમાં જેટલું પણ પીરસવામાં આવતું એ તમામ વાનગીઓને વ્યવસ્થિત રીતે આરોગી લેતી હતી.
રતન ટાટા અને એમના મિત્રોએ થોડું વધારે જમવાનું ઓર્ડર કર્યું હતું. જમવાનું પુરું કરીને જ્યારે આ બધા મિત્રો રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા ત્યારે લગભગ ત્રીજા ભાગનું ભોજન ટેબલ પર પડી રહ્યું હતું. બુઝુર્ગ મહિલાઓના વૃંદમાંથી એક મહિલા ઊભી થઈને ટાટા અને એમના મિત્રો પાસે આવીને બોલી, ‘હું તમારાથી ખૂબ નારાજ છું.’ આ મિત્રોએ પૂછ્યું, ‘એવું તો શું બન્યું કે, તમે અમારાથી નારાજ છો ?’ મહિલાએ કહ્યું, ‘તમે અનાજ બરબાદ કર્યું છે.’ મહિલાની વાત સાંભળીને એક મિત્ર બોલ્યો, ‘અમે જમવાના પૂરા પૈસા ચૂકવ્યા છે. તમને એનાથી શું ફરક પડે છે.’ આ સાંભળીને મહિલાઓનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો. એક મહિલાએ ફોન કરીને કોઈકની સાથે કંઈક વાત કરી. ગણતરીની મિનિટોમાં જ સોશિયલ સિક્યોરિટી ઓર્ગેનાઈઝેશનમાંથી એક ઓફિસર રેસ્ટોરન્ટમાં આવ્યો. એણે બધી જ વાત જાણી અને રતન ટાટા અને એમના મિત્રો ઉપર ૫૦ યુરો એટલે કે લગભગ રૂ. ૪૦૦૦નો દંડ ફટકારી દીધો. હવે આ મિત્રો બિલકુલ ઢીલા પડી ગયા હતા. સોશિયલ સિક્યોરિટી ઓર્ગેનાઈઝેશનના ઓફિસરે દ્રઢતાપૂર્વક આ મિત્રોને જણાવ્યું કે, ‘જમવાનો એટલો જ ઓર્ડર કરો જેટલું તમે ખાઈ શકો, પૈસા ભલે તમારા હોય પણ સંશાધન તો આખા સમાજના છે.’ દુનિયામાં એવા ઘણા લોકો છે કે જેમને બે ટંક પૂરું ભોજન મળતું નથી. તમારી પાસે આ ભોજન બરબાદ કરવાનું કોઈ વાજબી કારણ પણ નથી.’
જર્મનીના હેમ્બર્ગની આ ઘટના રતન ટાટાએ નોંધી લીધી અને હિન્દુસ્તાન આવીને જાહેરમાં અભિવ્યક્ત પણ કરી. ટાટા નોંધે છે કે, ‘જર્મની જેવા અમીર અને વિકસીત દેશની આ માનસિકતાથી એમણે અને એમના મિત્રોએ ખૂબ શરમિંદગી અનુભવી.’ જર્મનીના અને જાપાનના નાગરિકો જેવી માનસિકતા અપનાવવાની જરૂર છે. ભારત એક અદભુત સાંસ્કૃતિક વિરાસત ધરાવતું રાષ્ટ્ર છે. આપણો દેશ સંશાધનોની દ્રષ્ટીએ સમૃદ્ધ તો નથી જ. ત્યારે દેશના નાગરિકોએ નાની નાની બાબતમાં જાગૃતિ રાખી રાષ્ટ્ર પ્રત્યે તેમના પ્રેમના દર્શન કરાવવા જોઈએ. જ્યારે કોઈ પાર્ટીમાં જઈએ કે પાર્ટી આપીએ, ત્યારે એટલું જ જમવાનું ઓર્ડર કરીએ જેટલો ઉપયોગ કરી શકીએ. કૃષિ મંત્રાલયના એક અહેવાલ અનુસાર ભારતમાં પ્રતિવર્ષ ૫૦ હજાર કરોડનું જમવાનું બરબાદ થઈ રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, દર વર્ષે ૪૦ ટકા જેટલું ભોજન દેશમાં વેડફાઈ રહ્યું છે. વિકસીત દેશની પારાશીશી માત્ર આર્થિક બાબતો ઉપર જ અવલંબિત હોતી નથી. વિકસીત દેશમાં નાગરિકોની વિચારધારા, જવાબદારી, રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોય છે.
દેશપ્રેમની વાતો તો બધા કરે, પણ શું ખરેખર દેશપ્રેમ દિલમાં છે ખરો ? દેશ પર જો કોઈ આપત્તિ આવે તો દરેક લોકો લડવા તો જતા નથી પણ રાષ્ટ્રીય સંશાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ અને જાળવણી કરીને રાષ્ટ્રીય ભાવના પ્રજ્વલિત રાખવાની નિષ્ઠાપૂર્વકની કોશિષ કરાય છે ખરી ? દેશ માટે પ્રેમ હોય તો દિલ ખોલીને એને બતાવવો પડશે. જેમ એક લેખકની દેશભક્તિ ભાષા પ્રત્યેના દ્રષ્ટિકોણમાં સમાયેલી છે, વિદ્યાર્થીની દેશભક્તિ અભ્યાસમાં સમાયેલી છે, શ્રમિકની દેશભક્તિ શ્રમમાં સમાયેલી છે એમ દરેક વ્યક્તિની દેશભક્તિ એના કાર્યની નિષ્ઠા અને જવાબદારીમાં રહેલી છે. સ્વાતંત્ર્ય દિવસ અને ગણતંત્રદિન ગર્વથી શાનદાર રીતે ઉજવીએ જરૂર પરંતુ આખું વર્ષ દેશપ્રેમ અને રાષ્ટ્રીય ભાવના પળભર માટે પણ દિલ અને દિમાગમાંથી આઘી હટવા ન દઈએ.

ધબકાર :
‘નહીં જ ચાલે માત્ર રાષ્ટ્રગીતોના ગાનથી, જરૂરી છે દેશભક્તિનો રાગ ઊઠે માનથી...’ (વિશાલ ગોયાણીના બ્લોગ ઉપરથી)




ત્યારે શિવાજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા ‘ગઢ આલા પર સિંહ ગેલા...’


ત્યારે શિવાજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા ‘ગઢ આલા પર સિંહ ગેલા...

છેલ્લાં થોડા સમયથી બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઐતિહાસિક ફિલ્મોની ભારે બોલબાલા જોવા મળી છે. છેલ્લા એકાદ બે દાયકામાં આ ઉપક્રમ ઋત્વિક રોશન અને ઐશ્વર્યા રાય અભિનિત ‘જોધા અકબર’થી માંડીને ‘તાનાજી - ધ અનસંગ વોરિયર’ સુધી આવીને ઊભો છે. ઐતિહાસિક પાત્રો ઉપર આધારિત ફિલ્મો ધુમ એટલે મચાવે છે કે, ઇતિહાસના પાને ધરબાયેલી કથાઓ જીવંત બનીને રૂપેરી પરદે ઇતિહાસને ન માત્ર ખડો કરી દે છે બલ્કે પૌરાણિક સત્ય ઘટનાઓ અને એ જમાનામાં દેખાતા ઐતિહાસિક સ્થળોનો નજારો લોકોને અભિભુત કરે છે. આમ પણ બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં કોઈ એક બાબત ફીટ થઈ જાય છે પછી અનેક લોકો તે દિશામાં વિચારતા થઈ જાય છે. એવું  જ બન્યું છે ઐતિહાસિક ફિલ્મોની બાબતમાં.
અજય દેવગણ અને કાજોલ અભિનિત ‘તાનાજી - ધ અનસગ વોરીયર’ સિલ્વર સ્ક્રીન પર રજૂ થઈ. લોકોએ ઉમળકાભેર આ ફિલ્મને માણી. સોશ્યલ મીડિયા ઉપર લોકોએ તાનાજી ફિલ્મને કમસે કમ એકવાર જોવાલાયક ફિલ્મ તરીકે નવાજી છે. લોકોએ એમ પણ અભિપ્રાય આપ્યો કે, શરૂઆતમાં થોડો સમય ફિલ્મ કંટાળાજનક છે પણ સમગ્ર રીતે જોતાં ફિલ્મની વાર્તા, અજય દેવગણ અને સૈફ અલિ ખાનની અદાકારી અને ટેકનિકલ પાસુ જોરદાર છે. જો કે એ વાત પણ એટલી જ સાચી છે કે, દાયકા પૂર્વેની અદભુત અદાકારા કાજોલના નવ વર્ષ પછીના આ કમબેક ઉપર સોશ્યલ મીડિયા પર લોકોએ પ્રમાણમાં ઓછી પ્રતિક્રિયા આપી છે.



મહારાષ્ટ્રની દંતકથાઓ અને માલુસરે પરિવારની પાસે ઉપલબ્ધ વિગતો વચ્ચે સંતુલન બનાવતી આ ફિલ્મ અજય દેવગણનો નવો અવતાર તરીકે માઈલ સ્ટોનરૂપ પૂરવાર થઈ રહી છે. તાનાજી ફિલ્મનું સૌથી મોટું જમા પાસું એની ટેકનિકલ વિશેષતા છે. વિદેશથી બોલાવવામાં આવેલા સિનેમેટોગ્રાફર અને બોલીવુડના ટેકનિકલ તજજ્ઞોની ટીમે મળીને તાનાજી માલુસરેનો એવો સંસાર થ્રીડીમાં રૂપેરી પડદે ઊભો કર્યો છે કે, ભલે એ તમામ હોલીવુડની ફિલ્મોને ન પછાડી શકતી હોય પરંતુ એ ફિલ્મોથી એક તસુ પણ ઉતરતી કક્ષાની નથી લાગતી. તાનાજી ફિલ્મનું કથાનક છત્રપતિ શિવાજીના દરબારના એક સુબેદારની વાત છે. મોગલ સમ્રાટ ઔરંગજેબ ભારતના દક્ષિણ વિસ્તારમાં ન પ્રવેશી શકે એ માટે મરાઠાઓએ આપેલા પડકારને ફિલ્મમાં બખુબી પ્રસ્તુત કરાયો છે.
સંધાન ઘાટીમાં દોરડા ઉપર લટકીને હવામાં તરતા મરાઠા યોદ્ધાઓને ફિલ્મમાં જોઈને હોલીવુડની મશહુર ફિલ્મ ‘થ્રી હંડ્રેડ’  યાદ આવી જાય. ઢાલ અને તલવારો સાથે મરાઠા યોદ્ધાઓ ‘થ્રી હંડ્રેડ’ ફિલ્મથી ન ઉપર કે નીચે પરંતુ ‘થ્રી હંડ્રેડ’ ફિલ્મની ટક્કર લેતી હોય તેવું જરૂર લાગે. આ માટે અજય દેવગણ અને એની આખી પ્રોડકશન ટીમને સલામ કરવી પડે. અભિનયના દ્રષ્ટિકોણથી વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં અજય દેવગણે એક ઉત્તમ અદાકાર તરીકે  એની જાતને પ્રસ્થાપિત કરી છે. એણે એની આંખોથી ફિલ્મમાં ખૂબ અદભુત અભિનય કર્યો છે. પહેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી માંડીને ૯૯ ફિલ્મો પૂરી કરીને આ ફિલ્મથી અજય દેવગણે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સદી કરી છે. એના અભિનયના ઓજસ કોઈપણ આસાનીથી અવગણી ન શકે. દિવસે દિવસે એની અભિનય કલામાં પરિપક્વતા અને મેચ્યોરિટીના દર્શન થતાં જાય છે.
નવ વર્ષો પછી રૂપેરી પડદે પતિ સાથે પુનરાગમન કરતી કાજોલનો અભિનય પણ અમીટ છાપ છોડી જાય છે. એવું સહેજે લાગે કે, કાજોલ જેવી સમર્થ અભિનેત્રીએ મિશન મંગલ, સાંઢ કી આંખ, છપાક જેવી ફિલ્મોમાં કામ કરવું જોઈએ. સૈફ અલી ખાનની વિલનગીરી ફિલ્મનું મજબુત પાસુ છે. જેમ ‘પદમાવત’માં રણવીર સિંહે ખીલજીના પાત્રને જીવંત બનાવ્યું હતું તેવી જ રીતે સૈફ અલીએ ‘તાનાજી’માં ઉદયભાણનું પાત્ર અદભુત પ્રસ્તુત કર્યું છે.
ઓમ રાઉત નિર્દેશિત ‘તાનાજી - ધ અનસંગ વોરીયર’ ફિલ્મ પહેલાં ૧૯૩૫માં વી. શાન્તારામે ‘સિંહગઢ’ નામની મરાઠી ફિલ્મમાં તાનાજીની શૌર્યગાથા રજૂ કરી હતી. ઓફકોર્સ એ જમાનામાં ટેકનિકલ પાસા વિકસીત થયા ન હોવાના કારણે ‘તાનાજી - અનસંગ વોરીયર’ જેટલી ‘સિંહગઢ’ ટેકનિકલી ઈફેક્ટિવ નહોતી બની શકી પરંતુ તાનાજીની વીરગાથા ‘સિંહગઢ’માં વી. શાંતારામે સુંદર રીતે રજૂ કરવાની કોશિષ કરી હતી.
ભારત દેશ અનેક વીર યોદ્ધાઓના પરાક્રમ અને શૂરવીરતાની ગાથાથી ભરેલો પડ્યો છે. એમની શૂરવીરતાની કહાની દુનિયાભરમાં મશહૂર છે. આ નરબંકાઓએ ન માત્ર શૌર્ય જ દેખાડ્યું છે પરંતુ દેશ માટે હસતાં હસતાં ફના પણ થઈ ગયા છે. ઇતિહાસના પાના ઉપર આવા ઘણા નામી-અનામી શૂરવીરોની સાહસ અને વીરતા ભરેલી વાતો અંકિત થયેલી છે. તાનાજી માલુસરે આવા જ એક વીર યોદ્ધા હતા. મહારાષ્ટ્રમાં આ નામ અબાલ વૃદ્ધ સૌ કોઈના માનસપટ ઉપર આજે પણ એટલું જ તરોતાજા છે.  તાનાજી માલુસરેની સાહસ, બહાદુરી અને પરાક્રમની ગાથાઓ મહારાષ્ટ્ર બહાર દેશના બીજા વિસ્તારોમાં કદાચ એટલી જાણીતી નથી. તાનાજી છત્રપતિ શિવાજી મહારાજના બાળપણના સાથી હતા. શિવાજી પ્રતિ એમની નિષ્ઠા પ્રત્યેક સેનાપતિઓ - સુબેદારો માટે એક દ્રષ્ટાંતરૂપ હતી. શિવાજી મહારાજના અનેક યુદ્ધોમાં તાનાજી એમની પડખે ખડકની જેમ ઊભા રહ્યાં હતાં.
ઈ.સ. પૂર્વે ૧૬૦૦માં કોંકણ પ્રાંતમાં જન્મેલા તાનાજીને બાળપણથી જ તલવારો સાથે રમવાનો ગજબનો શોખ હતો. એમનો આ શોખ તેમને શિવાજી મહારાજની દોસ્તી સુધી લઇ ગયો. ફિલ્મમાં નથી બતાવી એવી એક અદભુત વાત એ પણ છે કે, તાનાજી અને શિવાજી ઔરંગજેબને જ્યારે મળવા ગયા ત્યારે આ મોગલ સમ્રાટે બન્નેને છળકપટથી બંદી બનાવી દીધા હતા. ઔરંગજેબની ચુંગાલમાંથી ચાલાકીપૂર્વક શિવાજી અને તાનાજી ભાગી છૂટ્યા હતા. શિવાજી અને તાનાજી મીઠાઈ અને ફૂલોના મોટા ટોપલામાં છુપાઈને ઔરંગજેબની નજર સામેથી ભાગી છૂટ્યા હતા એ જ વીરતા અને સાહસ સાથે એમની ચાલાકી અને સૂઝબુઝનો પુરાવો હતો. ઇતિહાસ ગવાહ છે કે, શિવાજી મહારાજ અને તાનાજીએ ઔરંગજેબને આખા ભારત ઉપર રાજ કરવાના મનસુબાને ચકનાચુર કરી નાખ્યા હતાં. શિવાજી મહારાજની તમામ યુદ્ધ યોજનાઓના પાયામાં તાનાજી માલુસરે રહ્યા હતા.
ઇતિહાસમાં ઉલ્લેખ છે કે, કોંઢાણાના ગઢ પર ચઢાઈ માટે શિવાજી મહારાજે જ્યારે તાનાજી માલુસરેને સંદેશો મોકલ્યો ત્યારે તાનાજીના પુત્રના વિવાહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. તાનાજીએ પળભરનો વિલંબ કર્યા વગર સંદેશ મળતાની સાથે એમના ચુનંદા સાથીઓને લઈને શિવાજી મહારાજને મળવા રાયગઢ જવા નિકળી પડ્યા. માતા જીજાબાઈએ તાનાજીને કોંઢાણા પર ચઢાઈ કરવા માટે જણાવતાં તાનાજી દીકરાના વિવાહની પરવા કર્યા વગર યુદ્ધની તૈયારીમાં લાગી ગયા. કોંઢાણા ગઢમાં થયેલા ભયંકર યુદ્ધમાં તાનાજી માલુસરે વીરગતિ પામ્યા. કોંઢાણા ગઢ મરાઠાઓએ જીતી તો લીધો પરંતુ તાનાજી માલુસરે જેવા યોદ્ધાને છત્રપતિ શિવાજીએ ગુમાવ્યા. મરાઠી લોકગીતોમાં એવા પણ વર્ણનો સાંપડે છે કે, તાનાજીની વીરગતી બાદ શિવાજી મહારાજ ૧૨ દિવસ સુધી કિલ્લામાંથી બહાર નહોતા નીકળ્યા. ૧૨ દિવસ સુધી શિવાજી મહારાજ તાનાજીની યાદમાં વિલાપ કરતાં રહ્યાં હતા. જ્યારે શિવાજી મહારાજને કોંઢાણા ગઢની જીતના સમાચાર આપવામાં આવ્યા ત્યારે એની સાથે સાથે તાનાજી માલુસરેની વીરગતીના પણ વાવડ જણાવવામાં આવ્યા. શિવાજી મહારાજના મુખમાંથી એ વખતે પહેલું વાક્ય એવું સરી પડ્યું કે, ‘ગઢ આલા પર સિંગ ગેલા’. ગઢ તો આવ્યો પણ સિંહ ગુમાવ્યોના દર્દ સાથે કોંઢાણા ગઢનું શિવાજી મહારાજે નવું નામાભિધાન ‘સિંહગઢ’ કર્યું.
અનેક વીર યોદ્ધાઓની કથાઓમા ‘મા ભારતી’ની મુક્તિ કાજે લડાયેલા અસંખ્ય યુદ્ધોના  પાયામાં તાનાજી જેવા સાહસ અને શૌર્યથી ભરેલા વીર યોદ્ધાઓની રૂંવાડા ખડા કરી દેતી કહાની ધરબાઈને પડી છે. જ્યારે જ્યારે પણ ઐતિહાસિક અમરપાત્રોને ઉજાગર કરતી ફિલ્મો બને છે ત્યારે દેશની જનતાએ તેને ઉમળકાભેર પોંખી છે. એના મૂળમાં નાગરિકોની દેશભક્તિની અમાપ ભાવના રહેલી છે. રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝ આવી ફિલ્મોથી વધુ બળવત્તર બનતી હોય છે. ‘તાનાજી - અનસંગ વોરીયર’ ફિલ્મ પછી એવું લાગી રહ્યું છે કે, બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઐતિહસિક પાત્રોને રજૂ કરતી કથાનક સાથે ટેકનિકલી હાઈ ક્વોલિટી ધરાવતી ફિલ્મોનો નવો દોર આરંભાશે એમાં બે મત નથી. સિનેમા માત્ર લોકરંજન કરતાં એક પગલું આગળ વધી દેશપ્રેમના કટોરા ભરી ભરીને પીવડાવે ત્યારે રાષ્ટ્રમાં નવસર્જનની પ્રક્રિયા આકાર લેતી હોય છે.

ધબકાર :
‘જ્યારે આત્મવિશ્વાસ બુલંદ હોય ત્યારે મોટો પહાડ પણ માટીનો ઢગલો લાગે.’ - શિવાજી મહારાજ