દિવાળીના તહેવારો રંગેચંગે પૂરા થયાંને આજે એકાદ અઠવાડીયા
જેટલો સમય થઇ ગયો. સૌ કોઇ રજાઓ માણીને તરોતાજા થઈને ફરી પાછા કામ ઉપર લાગી ગયા છે.
પૂર્વ ગોળાર્ધનું સૌથી મોટું અને લાડકું પર્વ એટલે દીવાળી. લંકા વિજય બાદ રાજા
રામનો અયોધ્યામાં રાજ્યાભિષેક, સમુદ્ર મંથન વેળા લક્ષ્મીજીનું પ્રાગટ્ય, કૃષ્ણલીલા
જેવી ચાર-પાંચ ધાર્મિક કહાનીઓ ભારતવર્ષમાં દિવાળીના તહેવાર સાથે જોડાયેલી છે.
દિવાળીનું ન માત્ર ધાર્મિક બલ્કે સાઅમાજિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ છે. હિન્દુસ્તાનના
વિવિધ રાજ્યોમાં આ તહેવાર અલગ અલગ નામથી ઓળખાય છે. આસામમાં ‘દીપાવોલી’, બંગાળમાં ‘દીપાબોલી’,
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ‘દિવાળી’, ઓરિસ્સામાં ‘દીપાબલી’, સિંધમાં ‘દિયારી’,
તામિલનાડુમાં ‘તિપાવલી’ જેવા નામથી દિવાળીનો ઉત્સવ ઉજવાય છે પરંતુ એનો મહિમાઅ એક
રહે છે.
એક મધ્યમ વર્ગીય પરિવારના દસ બાર વર્ષના દીકરાની વાત યાદ
આવે છે. એક આધેડ વયના ધોબી આ પરિવારના કપડાં ઈસ્ત્રી કરીને દર બે દિવસે આપી જાય.
કપડાં આપવા આવે ત્યારે મોટાભાગે આ પરિવારનો આઠ દસ વર્ષનો દીકરો કપડાં લેવા અને
બીજા કપડાં આપવા આવે. આ નિત્ય ક્રમ રહેતો. આ દીકરો જ્યારે કપડાં લેવા-આપવા આવતો
ત્યારે મોટા ભાગે આધેડ વયના ધોબી કાકાને સફેદ ખમીસમાં જ જોતો. આધેડના સફેદ ખમીસ
ઉપર એકાદ થીગડું હંમેશા હોય. છોકરો હંમેશા આધેડના ખમીસ ઉપરના થીગડાંને
વિસ્મયપૂર્વક તાકી રહેતો.
ધનતેરસના દિવસે ઈસ્ત્રી કરેલા કપડાં લઈને આધેડ પરસાળમાં આવીને
બેઠો. દીકરાએ કપડાં લીધા અને બીજા કપડાં આપીને બોલ્યો, ‘ધોબી અંકલ, બે મિનિટ બેસજો
હોં... હું હમણાં આવું છું.’ એમ કહીને એ ઘરમાં ગયો. આધેડ વિચારતો હતો કે, કદાચ
બીજા કપડાં ઇસ્ત્રીમાં આપવા માટે એ લેવા ગયો હશે. બે-પાંચ મિનિટમાં આ છોકરો હાથમાં
સરસ મજાનું ગીફ્ટ પેપરમાં રેપ કરેલું એક બોક્સ લઈને ધોબી કાકાના હાથમાં મૂકીને
બોલ્યો, ‘હેપ્પી દિવાલી, અંકલ...’ આધેડે કહ્યું, ‘બેટા તું તો મારાથી નાનો છે. મારે
તારી પાસેથી બક્ષીસ ન લેવાય, આ પાછી લઈ જા.’ બાળકે કહ્યું, ‘દિવાળીમાં મમ્મી પપ્પા સાથે મારી નવી
ચીજ-વસ્તુઓ ખરીદવા ગયો ત્યારે જ મેં તમારી માટે આ લઈ લીધું હતું. તમે ના ન પાડશો.
ઘરે જઈને આ ગીફ્ટ પેપર ખોલજો.’
આમ કહીને એ છોકરો ઘરમાં દોડી ગયો. આધેડ તો ઈસ્ત્રીના કપડાં
સાઈકલ પર મૂકીને વિચાર કરતો ઘરે પહોંચ્યો. ઘરે જઈને રેપર ખોલીને જોયું તો એમાંથી
બે નવા નક્કોર સફેદ શર્ટ નીકળ્યાં. બે નવા ખમીસ જોઈને ધોબી કાકા, પોતે પહેરેલા
થીગડાવાળું ખમીસ જોઈ રહ્યો. એની આંખોમાંથી હર્ષના આંસુ દડદડ વહેવા લાગ્યાં. દિવાળી
એટલે ફટાકડા ફોડવા, સ્વાદિષ્ટ મીઠાઈઓ, મઠીયા, મોહનથાળની મોજની સાથે એકબીજાની
સંવેદનાઓના સુંવાળા સ્પર્શનો સુહાનો અવસર. મરીઝ સાહેબનો એક અમર શેર આ ઘટના સાથે
યાદ આવી જાય. ‘બસ એટલી સમજ મને પરવરદીગાર દે, સુખ જ્યારે મળે, બધાનો વિચાર દે.’
‘દિવાળી’ દીપાવલી શબ્દનું લઘુ રૂપ છે. દીપાવલી શબ્દમાં બે શબ્દોની
સુગંધ છે. દીપ અને આવલી. ‘દીપ’ એટલે દિવો અને સંસ્કૃત તત્સમ શબ્દ ‘આવલી’ એટલે
હરોળ. દિવડાઓની હારમાળાને દિપાવલી કહેવાય. પ્રતિવર્ષ દિપાવલી જ્ઞાનના પ્રકાશનું
અને સંવેદનાની સુવાસનું સ્મરણ કરાવે છે. દીપાવલીમાં મનને માંજીને ચમકાવવાનું મહત્વ
છે. જીવન ભૌતિકતાનો મહાસાગર છે. એમાં ગળાડૂબ રહેવાથી સાચો આનંદ શું છે એનો લગીરે
ખ્યાલ ન આવે. દીપાવલીમાં મુકવામાં આવતાં હારબંધ દિવડાઓનો એક સુંદર મેસેજ છે.
કોડિયામાં રાખેલા ઘીમાં રૂ ની વાટ આખે આખી ડૂબાડી દેવામાં આવે તો શું એ પ્રજવલિત થઈને
પ્રકાશ પાથરી શકે ખરી ? પ્રકાશ માટે તો
વાટનો એક છેડો ઘીથી ભીનો કરી કોડિયાની બહાર રાખવામાં આવે તો જ જ્યોત પ્રકાશ પાથરી
શકે. આવી જ રીતે ભૌતિક સુખના મહાસાગરમાં ડૂબી રહેવા કરતાં સંવેદનાસભર ડોકુ એમાંથી
બહાર કાઢી જ્ઞાનની જ્યોત પ્રગટાવવા પ્રયાસ કરવાનુ સ્મરણ દિવાળી કરાવે છે.
દિવાળીમાં ફોડવામાં આવતા ફટાકડાં પાછળ પણ એક મજાનો
કોન્સેપ્ટ છે. જીવનમાં ધરબાઈને પડી રહેલી ભાવનાઓ, હતાશાઓ, ક્રોધ અને વૈમનશ્યના પીંડલાના
ફટાકડા ફોડીને માનસિક રીતે હળવા બનવાનો અદભુત સંદેશ એમાંથી મળે છે. આપણા પૂર્વજોએ કલુશીત
ભાવનાઓને બહાર વહેવડાવી દેવા માટે ફટકડા ફોડવાની પ્રવૃત્તિને મનોવૈજ્ઞાનિક
અભ્યાસના રૂપમાં રજૂ કર્યો હોય એમ લાગે છે. જ્યારે બહાર ફટાકડાઓનો વિસ્ફોટ થાય
ત્યારે અંતરમાં ધરબાઈને પડી રહેલી નકારાત્મક સંવેદનાઓ ફૂટીને ધુમાડો થઈ જતી હોય
છે. જ્યારે મનમાં રહેલી અનિષ્ઠ ભાવનાઓનો ધુમાડો થાય ત્યારે મન હળવું ફૂલ બની જાય
અને પછી જ જ્ઞાનના પ્રકાશનો સહજ ઉદય થાય.
જીવનમાં જ્યારે પણ જ્ઞાન પ્રગટે એ સમયે ઉત્સવ હોય છે.
ઉત્સવમાં ઉત્સાહ સાથે હોશ ન ખોવાય એટલે પ્રાચીન ઋષિ મુનિઓએ આપણાં શાસ્ત્રોમાં પર્વ
સાથે ધાર્મિકતા અને પવિત્રતાની પૂજાને સુપેરે સાંકળી લીધી છે. બ્રહ્માંડમાં અગણિત
અણુ-પરમાણુઓ, અસંખ્ય આકાશ ગંગાઓ છે. પૃથ્વી નામના આપણા ઉપગ્રહમાં પણ જીવનનો ન કોઈ
આરંભ છે કે ન કોઈ અંત. જીવન તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તહેવારોમાં અવિરત
ચાલતાં જીવનને એક નવતર મોડ આપીને વધુ સોહામણું બનાવવનો સોનેરી અવસર મળે છે.
દિવાળી એટલે આગળ વધવા માટેના સંકલ્પો લેવાનો તહેવાર. આ વખતે
દિવાળીમાં કયા સંકલ્પો લીધા એનું હવે સ્મરણ કરવાનો સમય છે. સંકલ્પો પરિપૂર્ણ
કરવાના માર્ગો અને પ્રયાસો સુનિશ્ચિત કરવા માટે આજે ઉગેલા સૂર્યોદયનું ઇજન છે. જે
દુનિયા જોઇ રહ્યાં છીએ એ બદલી નાખવાનો નિશ્ચય કરવો છે કે પછી ઘરમાં બેસી રહેવું છે
? નક્કી આપણે જાતે
કરવાનુ છે. બદલાવ લાવવા માટે એક નવો માર્ગ બનાવવો પડશે. માનવતાપૂર્ણ સંવેદના
આનંદનો સૌથી મોટો ખજાનો છે. આવો આનંદ અને સારું કામ તો સારા અને સાચા લોકોની
સોબતમાં જ શક્ય બને. એક નવી સીસ્ટમ ડેવલપ થાય એ માટે તત્પર રહેવાથી પરંપરાઓમાંથી
મુક્તિનો આનંદ મળવાનો છે.
ધબકાર :
પોતાની શરત ઉપર જીવવાવાળાના આનંદ કરતાં બીજાની ખુશી
માટે પોતાની શરતો બદલી નાખનારાઓના જીવનમાં આનંદની બહાર હોય છે.


















