Tuesday, 29 December 2020

યાચકની નહીં સ્વમાનીની પ્રાર્થના ઉપર પરમાત્માને પ્રેમ હોય

 



શ્વાસે શ્વાસે મરતો માણસ,

જીવવા માટે મરતો માણસ.

ઇશ્વરને છેતરવા કાયમ,
બે હાથે કરગરતો માણસ


                                                                             -     ડૉ. મુકેશ જોષી  

   

આજે ટેકનોલોજીનો યુગ છે. સેલફોન, ઈન્ટરનેટ, મોબાઈલ એપ દ્વારા વિશ્વના સિમાડા સંકોચાઈને આંગળીના ટેરવે નાચવા લાગ્યા છે. ટેકનોલોજીકલ ભૌતિક સુખ અને સવલતોની ભરમાળમાં બાળકોથી માંડીને યુવાનો અને વયસ્કોની આંતરિક શાંતિ ડહોળાતી ગઈ છે. આજે જગતનો પ્રત્યેક વ્યક્તિ કોઈક અગમ્ય ઉતાવળમાં હોય એમ લાગે છે. દરેક જણ સતત કામમાં પરોવાયેલો અને હંમેશા જલ્દીમાં લાગે છે. ફટાફટ અને સટાસટ ધસમસતી જિંદગીમાં ક્યારેય હૃદયમાં એવો ખ્યાલ આવે ખરો કે, ‘ખરેખર ચિત્તમાં આનંદ છે ખરો ? મનમાં પરમ શાંતિનો ઉજાશ દેખાય છે ખરો ?’


નિ:શબ્દ શાંતિ સુખની પરિભાષા છે. એની ભાળ મળી જાય પછી બધી ભૌતિક દોડાદોડ હાસ્યાસ્પદ લાગે. પણ આવી અનુપમ શાંતિ છે ક્યાં ? એનું સરળ સરનામુ છે પ્રાર્થના. પ્રાર્થના એટલે પ્ર + અર્થ + અન + . સંસ્કૃતમાં  પ્ર એટલે ઉત્તમ અને શ્રેષ્ઠ,અર્થ એટલે પ્રાપ્ત કરવાની અભિપ્સા,અનએટલે લેનાર-મેળવનાર. અને નારીજાતિનો પ્રત્યય છે, એટલા માટે જ પ્રાર્થનાને કેવીકહેવાય છે. પ્રાર્થનામાં અદભુત તાકાત છે. જ્યારે તકલીફોના મસમોટા પહાડ ઉપરથી પરમાત્મા ધક્કો મારે ત્યારે પ્રાર્થના આત્મવિશ્વાસનો શ્વાસ ભરી દેતી હોય છે. પ્રાર્થનામાં એવી શક્તિ હોય છે કે, આવા સમયે પરમાત્મા મને અવશ્ય ઝીલી લેશે અથવા તો મને પાંખો આપી ઉડતા શીખવી દેશે એવો વિશ્વાસ આપે છે.



પ્રાર્થના થતી નથી એ તો હોય છે. કવિ સુરેશભાઈ દલાલે એકવાર પ્રાર્થના વિષે સરસ વાત કરી હતી કે, ‘પુષ્પમાં રહેલી સોડમ એની પ્રાર્થના છે.’ જેમ કોઈ માછલીને જળમાં પુછવામાં આવે કે પાણી શું છે તો એ હસીને કહેશે કે, મારી આસપાસ જે દેખાય એ બધુ જ પાણી તો છે. પણ જ્યારે એને પકડીને કિનારાની રેતીમાં મુકવામાં આવે ત્યારે એનુ શરીર છટપટાવાઅ લાગશે. પાણી વગર એ વલખા મારવા લાગશે. ત્યારે એને ખ્યાલ આવશે કે, મારુ સમગ્ર અસ્તીત્વ જ જળ છે. પાણી છે તો એ છે. પાણી વગર એનું જીવન સમાપ્ત છે. પ્રાર્થનાનું પણ આવું જ છે. પ્રાર્થના વગરનું જીવન અર્થહીન-રસહિન છે. પ્રાર્થનાના સાચા અર્થની સાચી સમજ નહીં પડે ત્યાં સુધી દરેક પ્રાર્થના પોપટીયા સ્પીચથી વધુ કશું નહીં કહેવાય.

પ્રાર્થના તો અંતરમનની અદભુત તાકાત અને સ્વના સન્માનનું પારસમણી છે. લોકોએ પ્રાર્થનાનો અર્થ ખૂબ આછકલો કરી નાખ્યો છે. પ્રાર્થના એટલે માગણી, વિનવણી, ફરિયાદ, મુશ્કેલીના નિવારણ માટે યાચના આવો સ્વાર્થી અર્થ કરવામાં આવે છે. પરમાત્માને નિડર અને સ્વમાની વ્યક્તિઓ જ પ્યારા હોય છે. જે વ્યક્તિ ‘સ્વ’નું સન્માન જાણતો હોય એ ક્યારેય ભીખારીની જેમ યાચના કરવા બે હાથ ક્યારેય નહી જોડે. જો ઈશ્વર પણ સ્વયં પણ પ્રગટ થઈને કહે કે, ‘માંગ માંગ, માગે તે આપુંત્યારે ખુદ્દારીથી એમ કહેવાય કે,પ્રભુ આપવાની જ ઇચ્છા હોય તો એવું કાળજુ આપ કે, ક્યારેય કશું માગવા માટે યાચક ન બનુ.’


પ્રાર્થના તો હૃદયમાંથી નીકળતો પવિત્ર રણકાર છે. એને ભાષા, શબ્દો કે સ્થળ સાથે ક્યારેય સંબંધ નથી. પ્રાર્થના નિઃશબ્દ શુદ્ધ ભાવનો અંબાર છે. કવિ મિત્ર કિશોર જીકાદરાએ થોડા સમય પહેલાં વોટ્સએપ ઉપર સ્વામી વિવેકાનંદજીનો એમના શિષ્ય સાથેનો સરસ સંવાદ શેર કર્યો હતો એ યાદ આવે છે. એકવાર કોઈ શિષ્યએ સ્વામી વિવેકાનંદને પૂછ્યું હતું કે, ‘તમને પ્રાર્થનામાંથી શું મળે છે ?’ ત્યારે સ્વામીજીએ કહ્યું હતું કે, ‘મને પ્રાર્થનામાંથી કશું જ મળતું નથી, પરંતુ હું પ્રાર્થનાથી ઘણું બધું ગુમાવું છું.’ સ્વામીનો જવાબ સાંભળી પેલા ભાઈ તો દિગ્મુઢ થઈ ગયા. એમણે ફરી પૂછ્યું, ‘તમે પ્રાર્થનાથી કશું જ મેળવતા નથી અને ગુમાવો છો ! તો એવું શું છે કે, તમે પ્રાર્થનાથી ગુમાવી રહ્યાં છો ?’ વિવેકાનંદે હસતા હસતા જવાબ આપ્યો. ‘પ્રાર્થનાથી હું ગુસ્સો, ઈર્ષા, આવેગો, અસલામતી, વ્યગ્રતા ગુમાવું છું.’ પ્રાર્થનાની આ જ સાચી સમજ છે. મોટા ભાગના લોકોની એવી પ્રબળ ગેરમાન્યતા હોય છે કે, ઉંમરલાયક થઇશુ પછી પરમાત્માના નામનું સ્મરણ કરીશું. પ્રાર્થના, પુજા, અર્ચના કરીશું. આ એક પલાયનવાદ અને નાદાનીયતથી ભરેલી વિચારધારા છે. મને તો એ જ સમજ નથી પડતી કે, પરમ સુખના સાચા ટ્રેકની સમજ છે તો પછી જીવનના છ-છ દાયકા સુધી રાહ શેની જોવાની ? શા માટે સમજ આવે ત્યારથી યુવાનીમાં જ પ્રાર્થનાની શરૂઆત ન થાય ? 

પ્રાર્થના મન અને હૃદયનું સંગીત છે. આત્માના ગીતનો આલાપ છે. પ્રાર્થના માટે સૌથી પહેલા આંતરિક આનંદની શરત છે. જેમાં સૌથી ઓછામાં ઓછા શબ્દો હોય અને માંગણીઓ શુન્ય હોય એ શ્રેષ્ઠ પ્રાર્થના છે. મહાત્મા ગાંધી પ્રાર્થનાના ડાયહાર્ડ પ્રેમી હતા. એ કહેતા કે, ‘પ્રાર્થના પશ્ચાતાપની ઉત્તમ નિશાની છે. એ આપણા વધુ શુદ્ધ અને વધુ સારા બનવાની ઇચ્છાને પ્રતિબિંબિત કરે છે.’ વ્યક્તિના આંતરિક શુદ્ધિના ઉભરાને પ્રાર્થના સ્વરૂપે બહાર આવવાનો અવસર સાંપડે છે. મારા ઉપર કોઈ તકલીફો જ ન આવે, મુશ્કેલીઓ મારાથી જોજનો દૂર રહે એવી પ્રાર્થના યાચકોની હોય. સ્વમાની અને ખુદ્દાર માણસની પ્રાર્થનામાં તો તકલીફો અને મુશ્કેલીઓને આવવું હોય તો આવે એના મક્કમ મુકાબલાની તાકાત મળે એવી વાત હોય.



પ્રાર્થના નિ:સહાય અને નિર્બળ વ્યક્તિની પોકાર બિલકુલ નથી. પ્રાર્થના શક્તિશાળી અને સ્વાભિમાની વ્યક્તિનું ઘરેણું છે. ગ્રીકના એક જાણીતા ફિઝીશીયન હેપોકટે જગતના એવા પ્રથમ તબીબ હતા કે, જેણે પુરવાર કરી બતાવ્યું કે, માનવ શરીરમાં ખરાબી વિષમ દ્રવ્યોથી થાય છે. આ માટે કોઈ સ્પેસીફિક અંગ માત્ર નહીં આખે આખા શરીરનો ઉપચાર કરવો જોઇએ. પ્રાર્થના એક એવી અકસીર દવા છે જે શરીર અને મન બન્નેને સ્વાસ્થ્ય આપે છે. કેલીફોર્નિયાના હૃદય રોગના સર્જન ડૉ. રાન્ડોલ્ફ બિર્ડે પ્રાર્થનાના હિલીંગ પાવર ઉપર સરસ પ્રયોગો કર્યા અને એના પ્રભાવક તારણો સામે આવ્યા. ડૉ. રેન્ડોલ્ફના મતે જે દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી એમના માટે અન્ય દર્દીઓ કરતા એન્ટીબોડીની પાંચ ગણી ઓછી આવશ્યકતા જણાઈ હતી. આવા દર્દીઓને ન્યુમોનિયા અને હાર્ટ ફેઈલ્યોરની સંભાવના ત્રણ ગણી ઓછી જણાઈ હતી. ડૉ. રેન્ડોલ્ફ કહે છે કે, જે દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી એમને વેન્ટીલેટરના સહારાની જરૂરત જ નહોતી પડી. પ્રાર્થનાનો સંબંધ ડાયરેક્ટ હૃદય સાથે છે. જીભ સાથે નથી. પ્રાર્થના એ વ્યક્તિની ભગવાન સાથેની એપોઈન્ટમેન્ટ છે. પ્રાર્થના સમય, ભાષા, ધર્મ કે સંપ્રદાયના બંધનોથી મુક્ત હોવી જોઈએ.

પ્રાર્થના વ્યક્તિની શ્રદ્ધાનું બળ છે. અવિશ્વાસ અને માંગણીઓની યાદી પ્રાર્થનાનું પોત પાતળું પાડી દે છે. જો સુખના સમયમાં પ્રાર્થના નથી થતી તો દુ:ખના સમયમાં પણ પ્રાર્થના ના જ કરો. આપણા બધાની સમસ્યા જ એ છે કે, આપણે પ્રાર્થનાને છેલ્લા ઉપાય તરીકે જોઈએ છીએ. વાસ્તવમાં પ્રાર્થના સૌથી પહેલું ચરણ છે. ઈબાદત, બંદગી, નામ સ્મરણ, મંત્રોચ્ચાર, હવન વગેરે પ્રાર્થના માટેના નામ અલગ અલગ હોઈ શકે પણ મૂળ વાત તો આંતરિક આનંદ સાથે પરમાત્મા સાથે બેસવાની જ હોય છે. ‘પ્રાર્થના હૃદયનું સ્નાન છે.’ કાકા કાલેલકરના આ ચાર શબ્દોમાં પ્રાર્થનાનો નિચોડ છે.

 

ધબકાર : મોટા ભાગના લોકો પ્રાર્થનાના આચળામાં ભીખ માગતા હોય છે.




https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/dec2020/29122020-4.pdf

Monday, 21 December 2020

‘બડી, મૈં સિગરેટ પીતા હું યે મેમ સાહબ કો મત બતા દેના યાર...’

         

આજે વાત કરવી છે, દોઢ-બે દાયકા પહેલાની ગાંધીનગરના સિમાડે બનેલી એક રક્તરંજીત દર્દનાક સાંજની. હદય હચમચાવી મુકે એવી એ ઘટના યાદ આવતા આજે પણ રૂવાડા ખડા થઇ જાય છે. એનએસજી બ્લેક કેટ કમાન્ડોના સ્કવોર્ડન કમાન્ડર તુષાર જોષી અને એમના જવામર્દ કમાન્ડોએ આ ખોફનાક ઘડીઓમાં કરેલા અદભુત કારનામાની વાત છે. બ્લેક કેટ કમાંડો તુષાર જોષીએ જ્યારે આ ઘટના સ્વયં કહી ત્યારે એ સાંભળતા વેંત ભારતીય સેનાના જવાનો માટે સેલ્યુટ મારવા હાથ આપોઆપ મસ્તક ઉપર પહોંચી ગયો. વર્ષ ૨૦૦૨ના સપ્ટેમ્બર મહિનાની ૨૪મી તારીખે કમાન્ડર તુષાર એમની રૂટીન ડ્રીલ કરીને સાંજે ઘરે જઈને કપડા બદલીને ડ્રોઈંગ રૂમમાં હજી બેઠા જ હતા અને પાંચેક વાગ્યાના સુમારે એમના વાયરલેસ રેડિયો સેટ ઉપર સંદેશો મળ્યો કે, ‘સ્કવોર્ડન કમાન્ડર ગુજરાત કે અક્ષરધામ મંદિર પર ટેરેરીસ્ટ એટેક હુઆ હૈ. આપકો અભી ઇસી વક્ત ગુજરાત જાના હોગા. આપ જલ્દ પાલમ એરપોર્ટ પહુંચ જાઇએ.’

હરીયાણામાં પોસ્ટેડ સ્વોર્ડન કમાન્ડર તુષાર જોષી એક પળનો પણ વિલંબ કર્યા વગર પહેરેલા કપડે દિલ્હીના પાલમ હવાઈ મથકે જવા માટે રવાના થઈ ગયા. પાલમ એરપોર્ટ ઉપર જ્યારે તુષાર પહોંચ્યા ત્યારે હાયર-૭૬ લશ્કરી વિમાન અને એમના ૩૫ જવામર્દ એનએસજી કમાન્ડો તૈયાર હતા. ફટાફટ વેપન્સ અને સાથીઓને લઈને કમાન્ડર તુષાર વિમાનમાં ગોઠવાઈ ગયા. પ્લેનમાં તેમના સાથીઓને બ્રીફીંગમાં એમણે માત્ર એટલું જ કહ્યું કે, ‘ગુજરાતના ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર ઉપર આતંકવાદી હુમલો થયો છે. મને અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે, કેવું છે એની કશી ખબર નથી. આપણે આ મંદિરને આતંકવાદીઓના પંજામાંથી મુક્ત કરાવવાનું છે.’





૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૨ની રાત્રે અમદાવાદના એરપોર્ટ ઉપર કમાન્ડર તુષાર એમના જાંબાઝ જવાનો સાથે લેન્ડ થયા અને બરાબર દસને દસે એનએસજી કમાંડો અને એમના હથિયારો સાથેની ત્રણ બસ ગાંધીનગર અક્ષરધામ પહોંચી. આઈજી ચક્રવર્તીજીએ એનએસજી કમાન્ડર તુષારને સ્પોટ બ્રીફીંગ કરી સમગ્ર ઓપરેશન એમને હવાલે કર્યું. તુષાર પાસે અક્ષરધામના મોડેલના આધારે જ વિગતો હતી. એમની પાસે અક્ષરધામ કુલ કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે ? ત્યાં કયા કયા વિભાગોના એકઝેક્ટ લોકેશન ક્યાં આવેલા છે ? એ બધું સમજવાનો બિલકુલ સમય જ ન હતો.





એમણે સૌથી પહેલા એમના બ્લેક કેટ કમાન્ડોને નાની નાની ટુકડીઓમાં વિભાજીત કરી એમના લોકેશન ફીક્સ કર્યા. તુષારે લાંબા અંતરેથી પણ સચોટ નિશાન તાકી શકે એવા ‘સ્નાઇપર્સ’ કેટલાક વિશેષ સ્થાનો ઉપર ડિપ્લોય કર્યા. આ સ્નાઈપર્સના બે મુખ્ય કામ હોય છે. એક તો દુશ્મન ક્લીયર કટ દેખાય એટલે એને ત્યાં જ ઠાર મારવો અને બીજું બાજ નજર રાખી દુશ્મનની હિલચાલની રજે રજની માહિતી રાખવી. અક્ષરધામના દરેક ઓરડામાં જઈને સર્ચ કરવાનો કમાંડો પાસે સમય ન હતો એટલે ધારણાઓના આધારે બ્લાઈન્ડ ફાયરીંગ કરવાની સ્ટ્રેટેજીથી ઓપરેશનની શરૂઆત કરવામાં આવી. આમ કરવાથી જ્યાંથી પ્રતિક્રિયા આવે એ લોકેશન ઉપર દુશ્મન હોવાનો ક્યાસ મળે અને એને ટારગેટ બનાવી શકાય.





આ તરકીબ સફળ રહી. ઓડીટોરીયમ બાજુમાં આવેલા વોશરૂમમાંથી આતંકવાદીની વળતા ફાયરીંગની પ્રતિક્રિયા આવતા કમાન્ડર તુષારને એક આતંકવાદીના સગડ મળી શક્યા. અક્ષરધામના આ વોશરૂમના બે દરવાજા હતા. બીજા દરવાજે થઈને આતંકવાદી બહારની ઝાડીઓમાં સંતાઈને એકે-૪૭થી અંધાધુંધ ફાયરીંગ કરતો હતો. આ ફયરીંગમાં એક જેસીઓને ગોળી વાગતા એમને હોસ્પિટલ ખસેડાયા અને એમની પોઝીશન સ્કવોર્ડન કમાન્ડર તુષારે સંભાળી લીધી. એમની સાથે એમનો બડી કમાન્ડો સુરજનસિંહ ભંડારી હતો. બન્ને જણા ત્રણ-ચાર ફૂટની દિવાલની પાછળથી આતંકવાદી અને એનએસજી કમાન્ડો વચ્ચે થતા ગોળીબારનો બરાબર તાગ મેળવતા હતા. એકે-૪૭ના ફાયર સ્પાર્કના કારણે કમાન્ડર તુષારને આતંકવાદીના લોકેશનનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હતો.





તુષારે સુરજનસિંહને કહ્યું, ‘બડી, હું સ્ટેન્ડ બાય... સ્ટેન્ડ બાય... ગો. કહું એટલે ગ્રેનેડ નાખીને આપણે આ દિવાલ કુદી ફાયર કરીશું. એમણે એવુ જ કર્યું પરંતુ જેવો ગ્રેનેડ ફેંકવામાં આવ્યો કે, આતંકવાદીએ એમની દિશામાં બેફામ ગોળીબાર કરવાનો શરૂ કર્યો. તુષારે દિવાલ ઠેકીને ફાયર કરી આતંકવાદીને ઢાળી દીધો પણ મરતા મરતા આતંકવાદીએ કરેલા ફાયરીંગમાં સુરજનસિંહને માથાના પાછળના ભાગે ગોળી વાગતા સુરજનસિંહ જમીન ઉપર ફસડાઇ પડ્યા. તુષારે એમને મ્હોંથી ઓક્સિજન આપવાના પ્રયત્નો કર્યા પરંતુ કોઈ ફેર ન પડતા સુરજનસિંહને હોસ્પિટલ મોકલવામાં આવ્યા.





આ આખી ઘટનાક્રમમાં એક ગોળી કમાંડર તુષારના ગળાને સ્પર્શીને નીકળી ગઈ. એમને ગળામાંથી લોહીની ધાર નીકળતી હતી. લોહી ટપકતા ગળા ઉપર કપડું બાંધી કમાંડર તુષાર બીજા આતંકવાદીને ગીરફ્તમાં લેવા આગળ વધ્યા. એવામાં સ્નાઈપર્સનો મેસેજ મળ્યો બીજો ટેરરીસ્ટ સહજાનંદ ઓડિટોરિયમમાં છે અને ત્યાંથી બાળકો અને મહિલાઓની ચીસાચીસ સાથે રડવાના અવાજો આવે છે. તુષારે એમની કમાન્ડો ટીમને ઓડિટોરીયમને ઘેરી લેવાનો આદેશ આપ્યો. સ્નાઈપર્સને તુષારે સૂચના આપી કે, ઓડિટોરિયમના દરવાજા ઉપર નજર રાખી પ્રત્યેક મુવમેન્ટની જાણકારી એમને આપે.

સામાન્ય રીતે આવા સંજોગોમાં દુશ્મન સંતાયો હોય એ સ્થળે ગ્રેનેડ નાખી કમાન્ડો સીધા રૂમમાં પ્રવેશી ફાયર કરી સીધી લડાઈ કરવાની સ્ટ્રેટેજી અપનાવે પરંતુ અહીં તો ઘણાબધા સિવિલીયન બંધક હતા. એટલે કમાન્ડર તુષારે બીજો એક સેફ પ્લાન વિચાર્યો. એમણે ફાયરીંગ બિલકુલ બંધ કરાવી દીધું. અચાનક બધુ ફાયરીંગ બંધ અને નિરવ શાંતિ લાગતા સહજાનંદ ઓડિટોરિયમમાં સંતાયેલા આતંકવાદીને આશ્ચર્ય થયું. એ પરિસ્થિતિનો ક્યાસ કાઢવા એક મહિલાને ગન પોઇન્ટ ઉપર રાખી તેની આડ લઈને બહાર આવ્યો. સ્નાઇપર્સે આ મેસેજ તુષારને પહોંચાડ્યો.





દરમિયાનમાં કમાન્ડર તુષાર અને એમના એક કમાંડો દુર્ગા ઓડિટોરિયમના ધાબા ઉપરથી એપ્સેલિંગ ઈક્વિપમેન્ટના સહારે આતંકવાદી ફરી બહાર આવવાની દોરડા ઉપર રાહ જોતા હવામાં લટકતા હતા. એ દરમિયાન દોરડા ઉપર લટકતા સ્કવોર્ડન કમાન્ડર તુષારે એમના કમાંડો દુર્ગાને પૂછ્યું, ‘બેટે તુમ્હે ડર લગતા હૈ ?’ ત્યારે દુર્ગાએ કહ્યું, ‘સર આપ સાથમે હૈ ફીર કાહે કા ડર.’ જો કે એ વખતે તુષારના માનસપટ ઉપર તેમની પ્રેગ્નેન્ટ પત્ની અને દોઢ વર્ષની બેટી રમતા હતા. એ જમાનામાં તુષાર સ્મોકીંગ કરતા હતા. એણે આ વિચારો હડસેલી દુર્ગાને કહ્યું, ‘દેખો દુર્ગા, અગર મુઝે કુછ હો ગયા તો મેમ સાહબ કો યે મત બતાના કી મેં સીગારેટ પીતા હું યાર. દુર્ગા બોલ્યો, ‘સર, એસા ક્યું કહ રહે હો આપ કો કુછ નહીં હોને વાલા...’ અને આગલી મિનિટે સ્નાઇપરનો મેસેજ આવ્યો કે ટેરરીસ્ટ એક પુરુષ બંધકને  આડમાં લઈને ઓડિટોરિયમના દરવાજા બહાર આવ્યો છે. બસ, એક સેકંડમાં કમાન્ડર તુષાર દોરડા ઉપરથી નીચે લસરીને આવ્યા અને ઘડીના છઠ્ઠા ભાગમાં આતંકવાદીના કપાળમાં વચોવચ ગોળી ધરબી દીધી. આ એવી ક્ષણ હોય છે કે, જે પહેલું ટ્રીગર દબાવે એ જ જીવી જાય. અહીં તુષારની ચપળતા અને આત્મવિશ્વાસ જીત્યો અને આતંકવાદી ઠાર થયો. ૮૦ જેટલા બંધકો આતંકવાદીઓની ચુંગાલમાંથી મુક્ત થયા.

બન્ને આતંકવાદીઓ ઠાર મરાયાં પણ એમણે કેટલાય બેગુનાહ નાગરિકો અને પાંચેક જેટલા સુરક્ષાકર્મીઓનો પણ ભોગ લીધો. થોડા સમય પહેલા આવેલી અક્ષયકુમારની હોલીડે ફિલ્મમાં જોયેલા ફિલ્મી સીન કરતા પણ વધુ દિલધડક ઓપરેશનની આ કહાની સ્વોર્ડન કમાંડર તુષાર જોષીએ જ્યારે કહી ત્યારે દેશ આખાને ભારતીય સેનાના વીરો માટે ગૌરવની લાગણી વધુ બળવત્તર બની ગઈ. તુષાર જોષી અને સુરજનસિંહ ભંડારી જેવા હજારો, લાખો વીર જવાનો હિન્દુસ્તાની ફોજના અણમોલ નગીના છે. આ સફળ ઓપરેશન માટે કમાન્ડર તુષારને સેના મેડલ અને કમાંડો સુરજનસિંહને કીર્તિચક્ર અર્પણ કરવામાં આવ્યા છે. ભારતમાતાની રક્ષા કરતા કેટલાય જવામર્દ જવાનોએ શહાદત વહોરી છે. દેશના આ જાબાજ જવાનોની વીરતાની વાસ્તવિક કહાની દેશવાસીઓના હૃદયમાં સદાય ધબકતી રહે છે. પોતાના રક્તથી રાષ્ટ્રના તિરંગાની આન, બાન અને શાન વધારી રહ્યાં છે એવા વીર જવાનો વતનના ફરિશ્તા છે એમનો હંમેશા નતમસ્તક ઇસ્તકબાલ છે.

 

ધબકાર : ‘ઇસ કદર વાકિફ હૈ મેરી કલમ મેરે જજ્બાતો સે, અગર મૈ ‘ઇશ્ક’ લિખના ચાહું તો ભી ‘ઇન્કલાબ’ લીખ જાતા હું’ - શહિદ વીર ભગતસિંહ