Tuesday, 24 March 2020

કાષ્ઠકલામાં અભિવ્યક્તિનું અનોખુ પાસુ ઉજાગર થતું હોય છે



કાષ્ઠકલામાં અભિવ્યક્તિનું અનોખુ પાસુ ઉજાગર થતું હોય છે

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ન બતાવો
પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે

કળા જીવવાનું બળ છે. લેખન, વાંચન હોય કે શ્રવણ, શિલ્પ હોય કે કાષ્ઠ, તસવીર હોય કે ચિત્ર જેની પાછળ કલા શબ્દ લાગે એનુ સ્વરૂપ અનોખુ બની જતું હોય છે. આજે દુનિયામાં પર્યાવરણીય સુરક્ષા અને પ્રદુષણ નિયંત્રણ ક્ષેત્રે જબરજસ્ત જાગૃતિ આવી છે. કવિ અનિલ જોષીની આ બે પંક્તિઓમાં પ્રત્યેક લાકડાની એક અલગ ભાષા અને અલગ ઇતિહાસ હોવાનો સાદ છે. ‘મુડ ઓફ વુડ’નો ભાવ આ બે પંક્તિમાં સુંદર રીતે વ્યક્ત થતો દેખાય છે. આમ તો લાકડું વૃક્ષનું કુળ. કેમ્બ્રિજ ઈંગ્લીશ ડિક્ષનેરીના શબ્દાર્થ મુજબ મકાન અને ફર્નિચર બનાવવામાં તથા બળતણ માટે ઉપયોગ થતો હોય એવો વૃક્ષની ડાળીઓ અને થડનો મજબુત અને સખત પદાર્થ. કેનેડાના ન્યુ બ્રુન્સવીકમાં તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા એક સંશોધન અનુસાર ૩૯૫થી ૪૦૦ મિલિયન વર્ષો પૂર્વે વૃક્ષના થડ અને ડાળીઓના લાકડાની વિવિધ બનાવટો તરીકે ઉપયોગમાં લેવાની શરૂઆત થઈ હતી. ત્યારપછી શસ્ત્રોથી માંડીને વિવિધ સાધનો સુધી, કાગળથી માંડીને ફર્નિચર સુધીની બનાવટોમાં મનુષ્ય જાતે લાકડાનો ભરપુર ઉપયોગ કર્યો છે. દસ હજાર વર્ષ પુરાણા કેટલાક એવાં સ્થાપત્યો પણ છે કે, જેમાં લાકડાનો ઉપયોગ થયો છે.



જાણીતા લેખક અને સંશોધક કનુભાઈ નાયક લખે છે કે, પૌરાણિક શાસ્ત્ર કામસુત્રમાં પુરુષોની ૭૨ કળાઓના વર્ણન પૈકી ૩૬મી કળા ‘તક્ષણમ્’નો ઉલ્લેખ છે. તક્ષણમ્ નો અર્થ થાય કોતરવાની કળા. મંદિરોમાં લાકડાની મૂર્તિઓ કંડારવાની કળાને સૌથી વિલક્ષણ કળા માનવામાં આવે છે. કલાકારો માટે ગીતા ગણાતા ‘શુક્રનીતિસાર’ ગ્રંથમાં કાષ્ઠ કોતરણી વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. બૃહદસંહિતામાં લાકડાના સિંહાસનોનો ઉલ્લેખ જોવા મળે છે. બૌદ્ધ ચૈત્યો અને વિહારોમાં પ્રાચીન કાષ્ઠ સ્થાપત્યો અને મૂર્તિઓનું સ્થાન છે. જેમ્સ બર્જેસે એમના પુસ્તકમાં ગુજરાતના પાટણના એક શેઠના લાકડાના કલાત્મક ઘરનો ઉલ્લેખ કર્યો છે. અમદાવાદના જૈન મંદિરોમાં કાષ્ઠકલાના શ્રેષ્ઠ ઉદાહરણો જોવા મળે છે.



ગરવા ગુજરાતની જીવનશૈલીના ઉંડાણમાં કાષ્ઠકલાનું અમીટ સ્થાન છે. લાકડા ઉપર બારીક નકશીકામ કરવાની કળા ગુજરાત-ભારતમાં ખૂબ જૂના સમયથી પ્રચલિત છે. વેદ, પુરાણ, રામાયણ, મહાભારત કૌટિલ્ય અર્થશાસ્ત્ર, બૃહદસંહિતા, બૌદ્ધ સાહિત્ય અને વિદેશી પ્રવાસીઓની નોંધપોથીમાં આના વિસ્તૃત આધારો જોવા મળે છે. પાટલીપુત્ર એક જમાનામા મૌર્ય રાજની રાજધાની કહેવાતું. તેના કેટલાક અવશેષો પટણા નજીકથી મળી આવ્યા છે. તેમાં મકાનો અને મહેલોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થયો હોવાનું જણાયું છે. અજન્ટા ઈલોરાની બૌદ્ધ ગુફાઓ તેમજ સ્તુપોમાં જે તે સમયની કાષ્ઠકલા સુપેરે વ્યક્ત થઈ છે.



ગુજરાતમાં અને ભારતમાં પૌરાણિક સમયમાં મંદિરોના નિર્માણમાં લાકડાનો ખૂબ ઉપયોગ થતો. એવું કહેવાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણએ બનાવેલા પ્રભાસ પાટણના ત્રીજા મંદિરના બેઇઝમાં લાકડું હતું. એમ પણ માનવામાં આવે છે કે, સોમનાથનું મંદિર પણ લાકડાથી બન્યું હતું. જો કે કેટલાક લોકોનું મંતવ્ય એવું પણ છે કે સોમનાથન મંદિરમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ થયો છે. પરંતુ એ ચોક્કસ છે કે, ૫૬ રત્ન જડિત થાંભલાઓ લાકડાથી બન્યા હતા. લાકડાના બનેલા દક્ષિણના ગોપુર મંદિરો નવથી બાર માળના છે.
જૈન દેરાસરોમાં લાકડાનો કલાત્મક રીતે ઘણો ઉપયોગ થયો છે. ૧૪થી ૧૯મી સદી વચ્ચે ગુજરાતમા બંધાયેલા જૈન દેરાસરો સંપુર્ણ રીતે કાષ્ટકલાથી શોભે છે. પાટણના કેટલાક મંદિરોના અંશો ન્યુયોર્કના મ્યૂઝીયમમાં અને પાટણમાં આજે પણ જોવા મળે છે. જેમ્સ બર્જેસે ‘આર્કીટેકચરલ એન્ટીક્વીટીઝ ઓફ નોર્ધન ગુજરાત’માં સારાભાઈ નવાબે ૧૯૬૩માં બનાવેલા જૈન ચિત્ર કલદ્રુપનું અદભુત વર્ણન કર્યું છે. સુરતના ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર, પાટણના કુંભારીયા પાડામાં આવેલા વૃષભદેવના દેરાં, કપુર મહેતાના પાડામાં આવેલા દેરાસરના થાંભલા, અમદાવાદમાં હાજા પટેલની પોળમાં આવેલી શાંતિનાથની પોળના શાંતિનાથ દેરાસરનો રંગમંડપ, ઘુમ્મટ, દેલવાડાના જૈન મંદિરો વગેરે ગુજરાતના જૈન દેરાસરોની અદભુત કાષ્ટકલાના જાગતા ઉદાહરણો છે. ગુજરાતના અમદાવાદ, ખંભાત, સુરત, ભરૂચ, સિદ્ધપુર, ઈડર, મહુવા, સંખેડા, હળવદ, ધોળકા, નડિયાદ, છોટાઉદેપુર, જૂનાગઢ, જેવા નગરોમાં કાષ્ઠકલાનો વૈભવ ગુજરાતની શાન છે.
સામાન્ય રીતે કાષ્ઠ સ્થાપત્યના વિકાસના લગભગ ૨૫૦થી ૩૫૦ વર્ષ પુરાણા સૌથી પ્રાચીન તબક્કામાં નમૂનેદાર કાષ્ઠકલા જોવા મળે છે. તેમાં  ઝીણું, ઊંડું, સ્વચ્છ અને રેખાની બારીકાઈ ઊડીને આખે વળગે એવી છે. એ પછી સૌરાષ્ટ્રમાં ,મુગલાઇ, મારવાડી અને મરાઠી રંગે રંગાયેલી કાષ્ઠકલાનું મિશ્રણ દેખાય છે. ક્રમશઃ અલંકારે મઢ્યું કાષ્ઠશિલ્પ લોકોના ઘરમાં સ્થાન લેવા લાગ્યું. મંદિરો, રહેઠાણો અને આવાસોમાં વપરાશની ચિજવસ્તુઓમાં કાષ્ઠ શિલ્પનો ઉપયોગ થવા લાગ્યો. મકાનમાં બારી, બારણા, ઝરૂખા, ગોખલા, થાંભલાઓ, છત વગેરે કાષ્ઠ કોતરણીથી સુશોભિત કરવામાં આવતી. અમદાવાદની દોશીવાડાની પોળ, વાઘણ પોળ, પાદશાહની પોળમાં આવેલા સદીઓ પુરાણા મકાનો કાષ્ઠકલાથી આજે પણ અદભુત સૌદર્ય ધરાવે છે.
જાણીતા લેખક અને સાહિત્યકાર જોરાવરસિહ જાદવે એમના લોકકલા વારસો પુસ્તકમાં જણાવ્યું છે કે, જેમ જેમ સમય વિતતો ગયો એમ એમ સુશોભનોમાં કાષ્ઠકલા વધુને વધુ ઉભરી આવતી ગઈ. કાષ્ઠકલાના કારીગરો વેદપત્રો, ફૂલ કે વિવિધ ભૌમિતિક આકારોની ભાત લાકડાના શણગારોમાં કંડારવા લાગ્યા. ત્યાર બાદ દેવી-દેવતાઓ, અપ્સરાઓ, માનવ આકૃતિના શિલ્પો આવવા લાગ્યાં. પક્ષીઓ, પ્રાણીઓના ચિત્રો પણ સ્થાન પામ્યા છે. પ્રાચીન શિલ્પગ્રંથોમાં લાકડામાંથી મૂર્તિઓ કંડારવાનો ઉલ્લેખ જોવા મળે છે. સામાન્ય રીતે કાષ્ઠમાંથી બનાવેલી પ્રતિમાઓનું આયુષ્ય લાંબુ નથી હોતું. લાકડું જલદી નાશ પામતું હોય છે. એટલા માટે પથ્થર અને ધાતુમાંથી મૂર્તિઓ બનાવવાની પરંપરાએ સ્થાન એનું લીધું.
પ્રાચીન કાળમા વાસ્તુવિદ્યાના જોવા મળતા ગ્રંથોમાં કાષ્ઠ સ્થાપત્યની ઊંડાણપૂર્વકની વિગતો છે. સમરાંગણ સૂત્રધારમાં ગૃહનિર્માણના અધ્યાયોમાં કાષ્ઠ સ્થાપત્યનું વિવરણ છે. ‘જયપૃચ્છા’ અને ‘પ્રમાણમંજરી’માં પણ કાષ્ઠશિલ્પની વિસ્તૃત છણાવટ છે. કાષ્ઠશિલ્પને અમર બનાવવા માટે જે કસબીઓએ તેમનો કસબ ઉપયોગમાં લીધો છે એ સદાસર્વદા લોકહૃદયમાં અંકિત રહેશે. વિશ્વકર્માના પાંચ પુત્રો પૈકી મનુએ લોહકર્મ એટલે લુહારી કામ, મયે કાષ્ઠકર્મ એટલે કે સુથારી કામ, ત્વષ્ટાએ તામ્રકર્મ એટલે કે કંસારા કામ, તક્ષક-દેવક્ષે સુવર્ણ કામ એટલે કે સોની કામ અને શિલ્પીએ પાષાણકર્મ સ્વીકાર્યું. આ પાંચેય પૈકી સુથારી કામ કરવાવાળાની કહાની મય પુરાણોમાં પ્રસિદ્ધ છે. એવી લોકવાયકા છે કે, મહાભારતમાં જેનો ઉલ્લેખ છે એ લાક્ષાગૃહ મયે બનાવ્યો હતો.  ગુજરાતમાં મેવાડા, ગુર્જર અને પંચોળી જાતિઓ વંશપરંપરાથી કાષ્ઠકલાનું કામ કરતી આવી છે. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરની અદભુત કાષ્ઠકોતરણીનું કામ કરઢ ગામના સુથારભાઈઓએ કર્યું છે. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસનું સુંદર કોતરણીકામ ડભોઈના કાષ્ઠકલા નિષ્ણાતોએ કર્યું છે. ગુજરાતની કાષ્ઠકલા દેશ અને દુનિયામાં જાણીતી છે. દેશ વિદેશના લોકો ગુજરાતના કાષ્ઠકલા વૈભવને જોઇને આંખો પહોળી થઇ જાય છે.
એક જમાનો હતો પૃથ્વી ઉપર મંદિરો, મહેલો, ઘરોમાં લાકડાનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો. પ્રત્યેક લાકડું અને એની કોતરણી વૃક્ષની આગવી ઓળખ બનીને શોભતું હોય છે. એ વાત એટલી જ સાચી છે કે, પર્યાવરણ અને જંગલ સંરક્ષણ અને સંવર્ધનનું કાર્ય જેટલું મોટા પાયે હશે એટલા વધુ પ્રમાણમાં લાકડા ઉપલબ્ધ થશે અને કાષ્ઠકલાનો વૈભવ દિન-પ્રતિદિન વિસ્તરતો રહેશે. માણસના જીવનનો અંત નિશ્ચિત છે પણ કલાનું અસ્તિત્વ દીર્ધ કાલીન છે. સદીઓથી ચાલી આવતી કાષ્ઠકલા એનું પ્રમાણ છે. ગુજરાત અને ભારતના મંદિરો, આવાસો, અલંકારો, નગરોની કાષ્ઠકલા ઐતિહાસિક વિરાસત સાથે અડીખમ ઉભી છે. કાષ્ઠકલા માનવીના હૃદયની અનુભૂતીની અભિવ્યક્તિનું અનોખુ પાસુ છે.

ધબકાર :
કાષ્ઠ સ્થાપત્ય એવી કવિતા છે જેને શબ્દ નથી હોતા.