Tuesday, 22 September 2020

‘તા... થૈયા, થૈયા તા... થૈ...’ આ લયબધ્ધ શબ્દોનો રોચક ઇતિહાસ છે

 


 તા... થૈયા, થૈયા તા... થૈ...’ લયબધ્ધ આ શબ્દો કાનમાં અથડાય એટલે ગુજરાતની નાટ્યકલાનો ભવ્ય વારસાનો ચિતાર માનસપટ ઉપર ખડો થઈ જાય. આ શબ્દોનો એક રોચક ઇતિહાસ છે. વિદેશી આક્રાંતાઓ અને શાશકો ભારતની જાહોજલાલીથી આકર્ષાઈને હિન્દુસ્તાનને લુંટવા અને તેને તાબે કરવા હુમલાઓ કરતા તે સમયની વાત છે. અલ્લાઉદ્દીન ખિલજીના એક સરદારે તે વખતના સમૃદ્ધ ગુજરાત ઉપર હુમલો કરી સિદ્ધપુર કબ્જે કર્યું. સિદ્ધપુરમાં હેમાળા પટેલ એમની સ્વરૂપવાન દીકરી ગંગા સાથે રહેતા હતા. પટેલની દીકરી ગંગાના રૂપ ઉપર ખિલજીનો આ સરદાર મોહી પડ્યો. પટેલ તો આ વાત જાણીને ફફડી ગયા. પટેલે એમના મિત્ર અસાઈત ઠાકર પાસે જઈને આપવીતી કહી.





મિત્રના દુઃખની ઘડીઓમાં અસાઈત એમની પડખે ઊભા રહ્યા. સરદારને કહે, ગંગા મારી દીકરી છે. સરદારે હુકમ જારી કર્યો જો ગંગા અસાઈતની દીકરી હોય તો બન્ને એક ભાણે જમે. અસાઈતે તો ગંગા સાથે એક થાળીમાં ભોજન લીધું. પણ એ સમય કટ્ટર જ્ઞાતિવાદનો હતો. બ્રાહ્મણ પટેલની દીકરી ભેગા એક થાળીમાં જમે તો હાહાકાર થઈ જાય. બન્યું પણ એવુ કે, નાતે અસાઈતનો બહિષ્કાર કરાયો. એમને નાત બહાર મૂકવામાં આવ્યા. અસાઈતે મિત્ર પટેલની દીકરીનું શિયળ લુંટાતુ બચાવ્યું અને પોતે સિદ્ધપુર છોડી ઉંઝા જતા રહ્યા. ઉંઝામાં જીવન વ્યતીત કરવા માટે આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા અસાઈતે એક દિવસ માતાજીના મંદિરનો દ્વાર ખોલતા સામે ચૂંદડી, ચોખા, કંકુ અને ઘુઘરા જોયા. એમના મુખમાંથી સરી પડ્યું, ‘તા... થૈયા, થૈયા તા.. થૈ...’ બસ પછી આરંભાઈ ભવાઈ કલા. અસાઈત ઠાકરે ૩૩૦ જેટલી ભવાઈ કથા લખી હોવાનું કહેવાય છે. એમ કહેવાય કે, ગુજરાતની ભવાઈ કલાના ભિષ્મ પિતામહ અસાઈત ઠાકર છે. આજે સોશિયલ મીડિયા અને સિનેમા-નાટકોનો ટ્રેન્ડ વધતાં .. ૧૪મી સદીથી ચાલી આવતી ભવાઈ લુપ્ત થતી જાય છે. આમ છતાં પણ ગામડાઓમાં અને દેશ-વિદેશમાં ગુજરાતની ભવાઈ રસપૂર્વક માણવામાં આવતી હોવાના પ્રસંગો જોવા મળે છે. જો કે એ પણ એટલું સાચુ છે કે, એનું પ્રમાણ ઘણું ઓછું છે.





રાજકોટના માળીયા તાલુકાના નાના ભેલા ગામનુ શ્રી હીરજી કેશવજી ભવાઈ મંડળ એક સેંકડા પુરાણું છે. આ ભવાઈ મંડળના નાયક હીરજીભાઈની ચોથી પેઢી ભવાઇ કલાની ઉપાસનામાં છે. ૧૧૫ વર્ષોથી ભવાઈના કલાકારો દ્વારા લોકરંજનનો ભેખ લઈને આ મંડળ અવિરત આગળ ધપી રહ્યું છે. હીરજી દાદાએ ભવાઈના ક્ષેત્રે પદાર્પણ કર્યું એની કહાની કંઈક એવી છે કે, લીલીયાના પુરુષોત્તમભાઈ વ્યાસ તેમના પાંચ દીકરાઓ સાથે સૈકા પહેલા ભવાઈ મંડળી ચલાવતા. આ મંડળીમાં બાળ હીરજીભાઈ અને કેશવજીભાઈ જોડાયા. એ જમાનામાં લોકોને હીરજી અને કેશવજીનો અભિનય ખૂબ ગમતો. બન્ને ભાઈઓએ ગામે ગામ જબરૂ આકર્ષણ જમાવ્યું હતું. હીરજીભાઈ રામદેશના ઠકરાણા સુધી તમામ ભવાઇના મુખ્ય સ્ત્રી પાત્રો ભજવતા. કેશવજીભાઈ ગણેશથી માંડીને રામદેશ સુધીના પુરુષ પાત્રો ભજવતા. હીરજીભાઈનો રાધાનો વેશ અને કેશવજીભાઈનું કૃષ્ણનું પાત્ર સૌરાષ્ટ્રના વડીલોને આજે પણ યાદ છે.





હીરજીભાઈના સ્વર્ગવાસ બાદ એમના પુત્ર મણીલાલ વ્યાસે આ પ્રાચિન નાટ્યકલાને આગળ ધપાવી. મૈયારી, પૃથ્વીરાજ ચૌહાણ, જય ચિત્તોડ, રામ વનવાસ, સવા રૂપિયો, વનરાજ જેવા વિવિધ ભવાઈના એમણે વેશ ભજવ્યા છે. ત્યારબાદ મણીલાલભાઇના ચાર પુત્રો પૈકી ભરતભાઈએ ભવાઈ કલાને આત્મસાત કરી. જેમ જેમ યુગ બદલાતો ગયો એમ એમ ભરતભાઈએ ભવાઈને વધુ નવા સ્વરૂપોમાં પ્રસ્તુત કરવાનો અભિગમ રાખ્યો છે. ભારતના લગભગ તમામ રાજ્યોમાં ભરતભાઈ ગુજરાતની ભવાઈના ઝંડા ગાડી આવ્યા છે. આજે પણ વર્ષમાં ૧૦૦થી વધુ ભવાઈ કાર્યક્રમો ભરતભાઈ કરી રહ્યા છે. એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે, દાયકાઓ પહેલા ભવાઈના વેશ ભજવવા રૂ. ૪૦થી ૫૦નો ખર્ચ થતો આજે એ હજારોમાં થાય છે. આ ભવાઈ મંડળની નાટ્ય સ્ક્રીપ્ટ અને સંવાદો હીરજીભાઈથી માંડીને ત્રીજી પેઢીના ભરતભાઈ સ્વયં લખે છે. ભરતભાઈ ઈરાન, બહેરીન, લંડન, વેસ્ટ ઇન્ડિઝ, અમેરિકા જેવા દેશોમાં પરફોર્મન્સ આપી ચૂક્યા છે. ભરતભાઇના ૨૨ વર્ષના યુવાન પુત્ર ભાર્ગવ પણ ભવાઇ કલામાં ઓજસ પાથરી રહ્યાં છે.





ભવાઈશબ્દનો અર્થ બે રીતે જોવાય છે. એક તો ભવએટલે જગત અને આઈએટલે મા.’ જગત માતા જગદંબા મા અંબાની ભક્તિના કેન્દ્રબિંદુ સાથે ભજવાતી વેશભુષાને ભવાઈ કહેવાય. બીજુ ભવએટલે જિંદગી અને વહીએટલે વાત. આમ ભવાઇનો સાદો અર્થ થાય જિંદગીની વાત’. સમાજ જીવનની, સંસારની, ઇતિહાસની, અનુભવની કથાની વાત રજૂ કરે તે ભવાઈ. એક વાયકા એવી પણ છે કે જગદંબાએ એવું વચન આપ્યું હતું કે, જે કલાકાર આ કલાને સાચા હૃદયથી સમર્પિત હશે એને માતાજી ક્યારેય જીવનમાં કોઈ કચાશ નહિ આવવા દે.

સામાન્ય રીતે, માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, માયુ, આશવરી, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર જેવા રાગમાં ભવાઈ રજૂ થતી હોય છે. તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, કેરવો હીંચ એવા તાલ હોય છે. ભૂંગળ, નરઘાં અને કાંચીજોડા મુખ્ય વાજિંત્ર સાથે ભવાઈ ખૂબ ઓછા ખર્ચે મોટુ મનોરંજન પુરું પાડે છે. સંસ્કારી સમાજ ઘડતર અને આગામી પેઢીને સન્માર્ગે વાળવા માટે સદીઓથી ભવાઈ કલાકારોની જહેમત દાદ માગી લે એવી છે. એક સદી પુરાણા હીરજી કેશવજીના ભવાઈ મંડળની ચોથી પેઢી આજે પણ અડીખમ પરફોર્મ કરતા જોઈને ગર્વ થાય એ સ્વાભાવિક છે. ગુજરાતની જૂની રંગભૂમિના પાયામાં ભવાઈ નાટ્ય કલાનો મજબૂત પાયો આજે પણ બરકરાર છે. ભવાઈનો ગુજરાતની લોક નાટ્યકલાના સ્થાને એક જમાનામાં ભારે વટ હતો. ગુજરાતની નાટ્યકલાના દરવાજા ભવાઈએ ખોલ્યા છે. ભવાઈને રંગમંચ ઉપર પુનઃ સજીવન કરવાના અને દેશ વિદેશમાં લોકરંજન કરવાના હીરજી કેશવજી ભવાઇ મંડળીના ૧૧૫ વર્ષથી ચાલી રહેલા યજ્ઞને સલામ મારવી પડે.

 

ધબકાર :

જ્યારે કલાકારને દાદ આપવામાં આવે ત્યારે દાદ આપનારાનો અહંકાર તુટે છે અને કલાકારનુ દિલ જીતાય છે.

---------------------

 

https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/sep2020/22092020-4.pdf