Monday, 9 November 2020

પપ્પાને ક્યારેય પ્રેમથી ગળે નથી મળ્યા તેનો વસવસો એ ભાઇને જીવનભર રહ્યો



 

મેરા સાહસ, મેરી ઇજ્જત, મેરા સંમાન હૈ પિતા,

મેરી તાકત, મેરી પુંજી, મેરી પહેચાન હૈ પિતા,

ઘર કી ઇક ઇક ઇંટ મે શામિલ ઉન કા ખૂન પસીના,

સારે ઘર કી રોનક ઉન સે, સારે ઘર કી શાન હૈ પિતા,

મેરી શોહરત, મેરા ઇમાન, મેરા રૂતબા હૈ પિતા,

મુજ કો હિંમત દેનેવાલે, મેરા અભિમાન હૈ પિતા,

સારે રિશ્તે ઉન કે દમ સે, સારે નાતે ઉન સે હી હૈ,

સારે ઘર કે દિલ કી ધડકન, સારે ઘર કી જાન હૈ પિતા,

શાયદ રબ ને દેખ કર ભેજા ફલ યે અચ્છે કર્મો કા,

ઊસ કી રહમત, ઊસ કી નેમત, ઊસ કા વરદાન હૈ પિતા...


 

ઇન્ટરનેટ ઉપર સર્ફિંગ કરતાં અચાનક સર્જકના ઉલ્લેખ વગરની આ હિન્દી કવિતા ઉપર નજર પડી. હદયના તાર રણઝણી ઉઠ્યા અને થોડા સમય પહેલાં બનેલી સત્ય ઘટનાના સંવાદ માનસપટ ઉપર તરવરવા લાગ્યાં. વાત કંઇક આમ હતી. એ દિવસે પચાસની આસપાસ પહોંચેલા એક ભાઈ ખૂબ વ્યગ્ર હતા. એમના મિત્રએ પૂછ્યું, ‘આજે કેમ આટલા દુઃખી જણાવ છો.’ એ ભાઈ બોલ્યા, ‘મારા પિતાજીના દેહાવસાનને ૨૦ વર્ષો વીતિ ગયા. આજે એમની પુણ્યતીથિ છે. સવારે એમની તસવીર આગળ અગરબત્તી કરીને નમન કર્યા.’ મિત્ર બોલ્યો, ‘પિતાજી તો તમને સુખી સંપન્ન જોઈને અને સરસ મજાની લીલી વાડી મૂકીને ગયા છે. તમારા ઉપર એમને અપાર સ્નેહ હતો. મને એની ખબર પણ છે, પછી કેમ આટલા વ્યથીત થાવ છો ?’ એમણે કહ્યું, ‘બાપની પુણ્યતીથિએ એમનું સ્મરણ થાય અને એમની યાદ આવે એ સ્વભાવિક છે પણ એથી પણ વધારે હૃદયના એક ખૂણામાં ખૂબ ઊંડો વસવસો છે કે, એ હયાત હતા ત્યારે મારા પિતાને હું હેતથી ભેટીને, હું તમને ખૂબ પ્રેમ કરું છું, મારા હૃદયમાં તમારો બહુ આદર છે. એમ ક્યારેય બોલી શક્યો ન હતો.’




જીવનના મધ્યાહને પહોંચેલા આ ભાઈની દમદાર વાત છે. જિંદગીમાં આ નાની લાગતી વાત આગળ જતા મોટો વસવસો ઊભો કરી દેતી હોય છે. જીવન આગળ વધતું જતું હોય ત્યારે ક્યારેક પાછા વળીને જોતા આવી નાની વાતો ખુશીઓનું કે તકલિફોનુ મોટું કારણ બની જતી હોય છે. સાચું પૂછો તો જીવન જીવવાનું બળ આવી ઘટનાઓ બની જતી હોય છે. એ વાત પણ એટલી જ સાચી છે કે, બે ત્રણ દાયકા પહેલાનો જમાનો જરા જુદો હતો. વડીલોનો આદર, માન અને મરતબો એવો હતો કે, યુવાન બાળકો એમને ભેટવાનું તો દૂર, વડીલ બેઠા હોય એ પલંગ ઉપર બેસવાની પણ હિંમત નહોતા કરી શકતા. આજે કૌટુંબિક પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. યુવાન બાળકો વધારે વાચાળ અને અભિવ્યક્ત થઇ રહ્યાં છે.




સ્પર્શની આખી પરિભાષા અનોખી હોય છે. ઉંમર લાયક પિતાને પ્રેમ અને લાગણીથી ગળે મળવાથી એક હજાર પ્રેમના શબ્દો બોલાયા હોય એવું લાગે. એકવાર આઠ દસ વર્ષના બાળકે દાદાને સહજ સવાલ કર્યો કે, ‘દાદા તમે નાના હતા ત્યારે મોબાઈલ, ટીવી, ઈન્ટરનેટ, કોમ્પ્યુટર તો નહોતા તો તમે આ બધા વગર કેવી રીતે કામ કરતા હતા ? કેવી રીતે જીવતા હતા ?’ નાનકડા પૌત્રના પ્રશ્નનો દાદાએ સ્માઈલ સાથે જવાબ આપ્યો કે, ‘બેટા આજે જેમ લોકો લાગણી, વિશ્વાસ, સમર્પણ વિના જીવી રહ્યાં છે એમ.’ દાદાના જવાબમાં બાળકને બહુ સમજ ન પડી અને ટેબ ઉપર ટેરવા ફેરવતો એના રૂમમાં દોડી ગયો.




ઉંમરલાયક થવાની સાથે કુટુંબના બધા સભ્યો જોડે તાદાત્મ્ય વધે ત્યારે આયુષ્ય આપોઆપ વધી જતું હોય એવું લાગે. વૃદ્ધ અને ઘરડા શબ્દ વચ્ચેનો ફરક છે. નવી વાત, નવા વિચારો, નવી દિશાની વૃદ્ધિ સાથે તાલમેલ સાચવી આગળ વધે એ વૃધ્ધ. ઘરેડ જીવે, ભૂતકાળને વાગોળ્યા કરે એ ઘરડો. વૃદ્ધ પાસે અનુભવ, ડહાપણ, વ્યવહાર કુશળતા અને સમજશક્તિની સાચી સમૃદ્ધિનો ભંડાર હોય છે. નિવૃત્તિ પછી મળેલા સમયને ભરપુર આનંદ કરે, પરિવાર સાથે પ્રતિપળને ઉત્સવની જેમ ઉજવે એ વૃદ્ધ કહેવાય. પરંપરાઓમાં પરોવાઅયેલો રહે એ ઘરડો કહેવાય. બદલાયેલી કોઈપણ પરિસ્થિતિમાં સેટ થઈ જવાની માનસિકતા વૃદ્ધને વધુ સન્માનિય, આદરણીય અને મિત્રનો દરજ્જો આપે છે. બાળકોને વડીલને મળવાની મોજ આવે એ વૃદ્ધત્વનો અસલી આનંદ છે.




સામાન્ય રીતે આપણા સંબંધો બે ભાગમાં વહેંચાયેલા હોય છે. એક તો કુદરતી રીતે મળેલા અને બીજા સમજ સાથે બાંધેલા સંબંધો. મળેલા સંબંધોમાં મા, બાપ, બહેન, ભાઈ, કાકા, મામા, માસી વગેરે આવે. આ સંબંધો સચવાય કે ન સચવાય જીવનપર્યંત સાથે જ રહેવાના. મળેલા સંબંધો કોઇપણ અપેક્ષા વગર પ્રેમ અને લાગણીની ધરી ઉપર વિકસતા હોય છે. ઘણીવાર એવું પણ જોવા મળતું હોય કે, મળેલા સંબંધો છાના ખૂણે પનપતા જતા હોય. સંબંધોની લંબાઈ અને પહોળાઈ ન જોવાય. સંબંધની તો ઊંડાઈ જોવાય.

બાળક યુવાનીના ઉંબરે પગ મૂકે. ભણી ગણીને પોતાના પગ ઉપર ઊભો રહે. એ પછી હું શ્રેષ્ઠ છુંએવો આત્મવિશ્વાસ પેદા થાય એ જરૂરી છે. પરંતુ હું જ શ્રેષ્ઠ છુંએવો અહંકાર સંબંધોની સુવાળપને મિટાવી દે છે. આવા તબક્કે મનની આંખો ખોલીને વ્યક્તિએ જાગવું પડે. સમજવું પડે કે, હું જે છું એ તો બરાબર છે પણ હું શું હતો ? અને આજે જે છું એ બનવાની આખી ઘટમાળ શું હતી ? આ હંમેશા મનમાં રહે તો વડીલના ગયા પછી હૃદયમાં વલોપાત કરવાનો વખત જ નહીં આવે.

એક મુરબ્બી હંમેશા કહેતાં કે, જીવતા હોય ત્યારે પ્રેમ, લાગણી, ઉમળકો ન બતાવી શકનારા મર્યા પછી તસવીર ઉપર ફુલોના હાર બદલે કે ઘીના દિવા અને સેન્ટેડ અગરબત્તીઓના ધુમાડાઓ કરે એનો કોઇ અર્થ નથી. રૂપિયા-પૈસા, સત્તા, હોંશીયારીનો અહંકાર બતાવીને મોટા દેખાવા કરતાં વડીલોની સાથે બાળક બની માયાળુ વર્તન જીવનને વધુ જીવવા જેવું બનાવે છે. શબ્દોનો વૈભવ હંમેશા ઉપરછલ્લો હોય છે. વ્યક્તિનું મૂળ જીવન તો એની વૈચારિક ચેતનામાં રહેલું છે. શબ્દો નહીં, વિચારો વ્યક્તિનું સાચું ઘડતર કરતા હોય છે. જો જીવનમાં ક્યારેય ખાલીપો ન અનુભવવો હોય તો પ્રેમ, લાગણી અને ત્યાગ નામના ત્રણ સાથીઓ સાથે ઘનિષ્ટતા કેળવી લેવાય. પોતાના જીવનમાં અને વડીલોના જીવનમાં એકલતાનો અહેસાસ ન લાવવા માટેની આ શ્રેષ્ઠ પદ્ધતિ શીખી લેવી પડે.





એક યુવાન દીકરાએ સરસ વાત કરી કે, ‘મારા પિતાએ મને જગતની સૌથી કિમતી અને નાયાબ ભેટ એ આપી કે, એમણે મારા ઉપર વિશ્વાસ રાખ્યો. કદાચ આજે હું જે પણ છું એ મારા પિતાના વિશ્વાસનું જ પરિણામ છું.’ જેના ગુસ્સામાં પોતાનાપણું અને ફટકારમાં પણ પ્યાર દેખાય એ પિતા. દરેકના મનમાં એક વાત કોતરાયેલી હશે કે, મોજ તો પિતા પાસે માંગીને લીધેલા સિક્કાઓથી ખરીદેલી વસ્તુઓમાં આવતી હતી, પોતાની આમદાનીથી જીવનની જરૂરીયાતો માંડ પુરી થતી હોય છે. એક વાર યુવાનને કોઇએ પુછ્યું કે, ‘બેટા, વિશ્વમાં એવી કઇ અદાલત છે કે જ્યાં બધી ભુલો અને ગુના માફ થઇ જતાં હોય છે ?’ યુવાને મજાનો જવાબ આપ્યો, ‘અંકલ, મારા પપ્પાનું દિલ...’

 

ધબકાર :

ખાલી ખીસુ હોવા છતાં કોઇ પણ વસ્તુ લેવા માટે ના નહીં પાડતા પપ્પાથી અમીર વ્યક્તિ કોઇ બાળકે નહીં જોયો હોય.



https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/nov2020/10112020-4.pdf