Wednesday, 16 November 2016

વાચક, વિચારક અને મેઘાવી વકતા ચંદ્રમોહનથી ઑશોની સફર વાયા આચાર્ય રજનીશ

વાચક, વિચારક અને મેઘાવી વકતા ચંદ્રમોહનથી ઑશોની સફર વાયા આચાર્ય રજનીશ
                                                પુલક ત્રિવેદી

ભારતમાં સંશોધનાત્મક અને મનનનીય લેખન માટે જેનું નામ અગ્રહરોળમાં લેવાય છે અને હિન્દુસ્તાન ટાઈમ્સદૈનિકના પૂર્વ તંત્રી એવા ખુશવંતસિંહે એકવાર કહ્યું હતું કે, ભારતે ઓશોના સ્વરૂપમાં એક એવો જબરજસ્ત મૌલિક વિચારક વિશ્વને આપ્યો છે કે જે, અન્ય કોઈના પ્રભાવમાં આવ્યા વગર પોતાના સ્પષ્ટ વિચારો નાવિન્યપૂર્ણ રીતે પ્રસ્તુત કરનાર મહાજ્ઞાની તરીકે ઉભરી આવ્યો છે. ઓશો એક એવા મુક્ત વિચારક છે કે, જેની પાસે સરળ ભાષા અને સચોટ ઉદાહરણો છે. બુધ્ધિગમ્ય અને ચતુરાઈપૂર્વક વાત મૂકવાની આગવી કળા એમની પાસે છે. ઈશ્વરના નામે ચાલતી ધારણાઓ, કહેવાતા ધાર્મિક વડાઓ, સંપ્રદાયો વગેરે ઉપર એમણે બેબાકપણે સ્પષ્ટ અભિપ્રાય આપી ધર્મની પરિભાષાને એક નવું જ પરિમાણ બતાવ્યું છે.જર્મન ફિલોસોફર પીટર સ્લોટેરડીજેકે ઓશોને ૨૦મી સદીનો મહાન આત્મા તરીકે નવાજ્યા છે. ઓસ્ટ્રેલિયન ક્રિટીક ક્લાઈવ જેમ્સ, અમેરિકન લેખક ટોમ રોબીન્સ વગેરે કેટલાય વિચારકો અને ચિંતકોએ ઓશોને મેઘાવી વકતા અને નૂતન વિચારધારાના જનક તરીકે મૂલવ્યા છે.
૧૯૮૦ના દશકમાં વિશ્વભરમાં ગણમાન્ય ચિંતકોએ ઓશોની પ્રતિભાના અલગ અલગ પાસાને તેમના લખાણમાં પ્રસ્તુત કર્યા છે. ફિલોસોફીમાં ૧૯૫૭માં અનુસ્નાતકની પદવી ડિસ્ટીંકશન સાથે પ્રાપ્ત કર્યા બાદ રાયપુરની સંસ્કૃત કોલેજમાં રજનિશજી જોડાયા. ૧૯૬૦ના દાયકામાં ભારતભરના શહેરોમાં તેમની અદભુત વક્તૃત્વકલાના ઓજસ પથરાવાનું શરૂ થઇ ગયું હતું. એ સમયગાળામાં ઓશો આચાર્યતરીકે ઓળખાતા. મુળતઃ આચાર્ય શબ્દ શિક્ષણપ્રથા સાથે જોડાયેલો છે. ચાણક્યના સમયમાં તક્ષશીલા અને નાલંદા વિદ્યાપીઠના શિક્ષકો આચાર્યતરીકે જ ઓળખાતા.
૧૯૬૦ના દશકમાં આચાર્ય રજનીશને કોઈક પત્રકારે પૂછ્યું કે, જીવનને બહેતર અને સફળ બનાવવા માટે તમારા દસ સિદ્ધાંતો ટેન કમાન્ડમેન્ટસ ક્યા છે. ત્યારે ઓશોએ સાહજિકતાથી કહ્યું કે, હું કોઈપણ સિદ્ધાંતો અને આદેશોમાં માનતો નથી. પણ જસ્ટ ફોર ફનકેટલીક વાત સહજ રીતે હોઈ શકે.
·     ક્યારેય કોઈનેય અનુસરવું નહીં. માત્ર જે આદેશ તમારા હૃદયના ઊંડાણમાંથી આવે એને જ અનુસરવાનું હોય.
·     આપણા જીવન સિવાય અન્ય કોઈ ભગવાન છે જ નહીં.
·     સત્ય આપણામાં જ છે બહાર એને શોધવા ભટકો નહીં.
·     પ્રેમ એ જ પવિત્ર પ્રાર્થના છે.
·     ન હોવા પણું(નથિંગનેસ) જ સત્યનો દરવાજો છે. ‘ન હોવા પણુંજ સ્વયં એક લક્ષ્ય હોય છે.
·     જીવન અત્યારે જ અને અહીં જ છે.
·     ક્યારેય તરવાની કોષીશ કરવી નહી વહેતા જ રહેવુ જોઇએ.
·     પ્રત્યેક ક્ષણ મરો. જેથી પ્રત્યેક ક્ષણ તમે નવો જન્મ ધારણ કરી શકો. વિકાસ માટે આ જ એક સર્વોત્તમ ઉપાય છે.
·     બહાર ફાંફાં મારી સુખ શોધવાનું બંધ કરો. આંખો બંધ કરી અંદર જોવાની આદત પાડો.
જીવનની શરૂઆતના માત્ર ત્રણ જ દાયકામાં સમગ્ર અસ્તિત્વ અને જીવનની ફિલોસોફીને સ્પષ્ટતાપૂર્વક રજૂ કરનાર ઓશો મધ્યપ્રદેશના રાઈસેન જિલ્લાના નાનકડા ગામ કુસવાડામાં જનમ્યા. બાબુલાલજી અને સરસ્વતી દેવીના જૈન પરિવારના ૧૧ સંતાનો પૈકી ચંદ્રમોહન મોટો પુત્ર. ચંદ્રમોહન જૈન ઑશોનું બાળપણનું નામ. ચંદ્રમોહન સાત વર્ષના થયા ત્યાં સુધી એમના નાનાને ત્યાં રહ્યા. ઓશો કહે છે કે, નાનાજીને ત્યાં વિતાવેલા બાળપણના સાત વર્ષનો પ્રભાવ એમના ઉપર ખૂબ રહ્યો. નાનાએ બાળક ચંદ્રમોહનને વાંચવાની, હરવા-ફરવા તમામ પ્રકારની છૂટ આપી હતી એમ કહેવા કરતા ફ્રીડમઆપી હતી એમ કહેવુ વધારે ઉચીત રહેશે. ચંદ્રમોહન સાત વર્ષના હતા ત્યારે નાનાજીનો દેહાંત થયો અને ૧૫ વર્ષના હતા ત્યારે એમના મિત્ર(ગર્લફ્રેન્ડ)નું ટાઈફોઈડના કારણે અવસાન થયું. આ બે મૃત્યુની ઘટનાઓ બાળ ચંદ્રમોહનના માનસપટ પર લાંબા સમય સુધી રહી.
ઓશોએ આપેલી ધ્યાનની પદ્ધતિની પણ એક અદભુત અને રોચક વાત છે. ૧૧મી ડિસેમ્બર ૧૯૭૨ના રોજ મુંબઈની સભામાં ઓશોનો જન્મદિવસ ઉજવવામાં આવતો હતો. તેમણે આ પ્રસંગે સૌ પ્રથમવાર એમની ડાયનેમિક મેડિટેશનપદ્ધતિનો તેમના અનુયાયીઓને પરિચય કરાવ્યો. જબલપુર છોડીને ઓશો મુંબઈમાં આવ્યા અને સપ્ટેમ્બર ૧૯૭૦માં નીઓ સન્યાસીના પ્રથમ જુથની રચના કરી. ધ્યાન માર્ગે ઐશ્વરીય આવિર્ભાવની ઓશોની નવતર ધ્યાન પદ્ધતિ દેશ-વિદેશમાં અત્યંત ઝડપથી આવકાર પામવા લાગી. સંગીત, નૃત્ય અને નથીંગનેસ’ (ન હોવાપણા)ના સંગમથી માનવ જીવનને અદભુત અનુભવ મળવા લાગ્યા.
ઓશો દ્રઢપણે માને છે કે પ્રત્યેક માનવ એક બુદ્ધછે, અને ઉર્ધ્વગામી પ્રકાશ ધરાવે છે. પ્રતિભાવની વિભાવવા (રીએક્શન ફિલોસોફી)ની જગાએ પ્રેમનો સદભાવ જીવનમાં પ્રસરાવે તેવી અસીમ સંભાવના એકે એક માનવી ધરાવે છે. ઓશો કહે છે, ધ્યાન માત્ર એક પ્રક્રિયા કે અભ્યાસ નથી પ્રતિપળ માનસિક જાગૃતિ અને મિકેનિકલ જીવનની ગાઢ નિંદ્રામાંથી જગાડવા માટેનું ટોટલ અવેરનેસનું સબળ પાસુ એટલે ધ્યાન.
ઓશોના અનેક અદભુત વિચારો પૈકી પ્રત્યેક મહિનાનો એક વિચાર બીજ મનની પુષ્ટભૂમિ ઉપર વાવીએ. મનન, ચિંતન અને અમલના ખાતર પાણીનું સિંચન કરીએ. આમ એક વર્ષમાં શીતળ છાયા આપતાં બાર વટવૃક્ષ બની શકે.
.સ્વયંને ભરપૂર પ્રેમ કરીએ તો જ બીજાને આપણે પ્રેમ કરી શકીશું.
.જો સત્ય પામવું હોય તો સહમતી રાખીએ અસહમતીમાં સત્ય નહી વિસંવાદ છે.
.ભોળા, ઓછા બુદ્ધિશાળી અને બાળક જેવા બનીને જ રહો અને જીવનને ભારેખમ ન બનાવી દો એને મજાના રૂપમાં લો.
.કોઈની પણ સાથે સ્પર્ધાની જરૂર જ નથી.
.પ્રેમથી ભરેલી એક નાની ક્ષણ પણ પૂર્ણ સમયના પ્રેમ બરાબર છે.
.કાલતો ક્યારેય આવે નહી આજજ આવે.કાલજ્યારે પણ આવશે ત્યારે તે આજબની જશે.
.સવાલ એ નથી કે કેટલું શીખવાનું છે, પરંતુ સવાલ એ છે કે કેટલું ભુલી શકાય છે.
.અહીં કોઈ તમારા સપના પૂરા કરવા માટે છે જ નહીં. બધા પોતાની તકદીર અને હકીકત સાકાર કરવામાં મસ્ત છે.
.આપણામાં અસિમ સંભાવનાઓ પડી છે એને ઓળખવાની છે.
૧૦.પહેલું પગલું અડધી સફળતા છે, ગમે તેટલી લાંબી સફર કેમ ન હોય.
૧૧.તમે હસો છો ત્યારે તમે ઈશ્વરની ઈબાદત કરો છો પણ જ્યારે તમે બીજાને હસાવો છો ત્યારે ઈશ્વર તમારી માટે ઈબાદત કરે છે. બીજાના જીવનમાં હસી-ખુશી લાવવા માટે નિમિત્ત બનીએ એ જ ઇશ્વરની દરબારમાં સ્વીકારાતી સૌથી સફળ અને સરળ પ્રાથના છે.
૧૨.દુઃખ ઉપર ધ્યાન આપશો તો દુઃખી જ થશો. સુખ ઉપર ધ્યાન આપવાનું શરૂ કરો. જે ચીજ ઉપર ધ્યાન આપવાનું શરૂ કરોને એ વાત બનવાની શરૂ થઈ જાય છે.

લગભગ છ દાયકા આ ઓજસ્વી અને તેજસ્વી આત્માએ પૃથ્વી ઉપર વિચરણ કર્યું
. ઓશોએ ૬૦૦ જેટલા પુસ્તકો લખ્યા અને એ વિવિધ ભાષાઓમાં અનુવાદીત થયા. ઓશો એક આખેઆખી અદભુત વિચારશ્રૃંખલા છે. ઓશો એક અનુભવ છે. સમજણનો સાગર છે અને પ્રેમનો પમરાટ છે...




No comments:

Post a Comment