Tuesday, 17 January 2017

જીવન ઘડાય છે સંઘર્ષના હથોડાના મારથી...

જીવન ઘડાય છે સંઘર્ષના હથોડાના મારથી...
                            -    પુલક ત્રિવેદી


જીવનમાં સંઘર્ષ હોવો જોઈએ. ઘર્ષણ થવું જોઈએ. મુશ્કેલીઓ આવવી જોઈએ અને આપત્તિઓ દેખાવી જોઈએ. દરેકના જીવનમાં સંઘર્ષ હોય જ છે. સંઘર્ષ વગરના જીવનમાં કોઈ રસ કસ નથી. સંઘર્ષ વિના જિવન શુષ્ક અને બિહામણું લાગે છે. રશિયાના એક મશહુર સર્કસની વાત યાદ આવે છે. આ સર્કસના ચાર સિંહનો ખેલ ખુબ વખણાતો. સર્કસના આ સિંહો દર્શકોનાઆકર્ષણનું મૂખ્ય કેન્દ્ર રહેતા. સિંહોના ખેલના માલિકને ખૂબ નફો રળી આપતાં. સમય બદલાતો ગયો અને લોકો મનોરંજન માટે સર્કસના બદલે ફિલ્મો, નાટકો અને અન્ય બાબતોમાંથી મનોરંજન મેળવવા લાગ્યાં. પરિણામે આ રશિયન સર્કસમાં દિનપ્રતિદિન દર્શકો-લોકો ઘટવા લાગ્યા. સર્કસના કલાકારો અને જાનવરોની નિભાવણી માટે સર્કસના માલિકને પૈસાની તકલીફ પડવા લાગી. સર્કસના માલિક પાસે સિંહોને ભોજન આપવાના પૈસા નહોતાં. આર્થિક મુશ્કેલીને પરિણામે સર્કસના માલિકે નિર્ણય લીધો કે, મારે હવે આ ચાર સિંહને જંગલમાં છોડી દેવા જોઈએ. એક દિવસ સર્કસના માલિકે આ ચાર સિંહને વાનમાં બેસાડી જંગલમાં લઇ ગયો. ખૂબ ભારે હૃદયે આ ચારેય સિંહને એણે જંગલમાં છોડી મૂક્યા.


એકાદ સપ્તાહ પછી સર્કસના આ ચારેય સિંહોને જંગલમાં રખડતાં કૂતરાઓએ ફાડી ખાધાના સમાચાર આવ્યા. સર્કસના આ ચારેય સિંહો મહેનત-પરિશ્રમ વગર ખાવા ટેવાયેલા હતા. શિકારના સંઘર્ષ વગર મળી જતાં ભોજનને પરિણામે આ સિંહો સંઘર્ષ કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા હતાં. અને બીજી બાજુ જીવનમાં ખોરાક માટે સતત સંઘર્ષ કરતાં કૂતરાઓ શિકાર કરવાનું હુનર શીખી ગયાં હતાં. સિંહ કે જે શિકાર કરવા ટેવાયેલો છે, એ સંઘર્ષના અભાવે કૂતરાઓનો શિકાર બની ગયો.  આખી વાતના મૂળમાં સંઘર્ષની શક્તિ છે. આમ જોઈએ તો જીવન જ એક મજાનો સંઘર્ષ છે. નેપોલિયન બોનાપાટ સમરાંગણમાં હંમેશા એના સૈનિકોને સંઘર્ષની શક્તિનો પદાર્થપાઠ સમજાવતો. એ કહેતો કે, ખરી તાકાત અને સાચો વિકાસ સંઘર્ષ અને અવિરત પ્રયત્નોમાંથી જ પેદા થાય છે.
        જ્યાં સંઘર્ષ નથી ત્યાં આનંદ નથી. સંઘર્ષથી થયેલા વિકાસનું પરિણામ એ પ્રાપ્તિ છે. સફળતા અને પ્રાપ્તિમાં ભેદ છે. પ્રાપ્તિનો થયેલો સ્વીકાર એ સફળતા છે. જ્યાં સંઘર્ષ હોય ત્યાં વિકાસના પરિણામ હોય. ત્યાં જ પ્રાપ્તિ હોય. અને જ્યાં પ્રાપ્તિ છે ત્યાં જ સાચી ખુશી છે. અંગ્રેજી આલ્ફાબેટમાં ‘ડી’ પછી ‘ઈ’ આવે છે. ત્રણ ‘ડી’ના પાયા ઉપર એક ‘ઈ’ની શાનદાર સવારી હોય છે. સ્વપ્નો સાકાર કરવા માટે ડીટરમિનેશન, ડેડિકેશન, ડિસીપ્લીનના ત્રણ ‘ડી’ ઉપર એફર્ટ(સંઘર્ષ)નો શાનદાર અને જાનદાર ‘ઈ’ આવે. ખૂબ સ્વપ્ન જોવા. ખુલ્લી આંખે સ્વપ્ન જોવા. પણ યાદ રહે સ્વપ્ન સાકાર કરવા માટે શક્તિ સંઘર્ષમાંથી જ જન્મ લેતી હોય છે. ખુશીના એક પ્રદેશમાંથી આનંદના વધુ મોટા બીજા પ્રદેશમાં પ્રવેશ કરવો હોય તો, પીડાદાયક સંઘર્ષના માર્ગે જ ચાલવાનું હોય છે. દુનિયાભરના સફળ થયેલા લોકોનો વિકાસ તેમના કાર્યો ઉપર આધારિત હોય છે. શારીરિક કે બૌદ્ધિક વિકાસ સંઘર્ષમાંથી જ પ્રગટે છે. સંઘર્ષ એટલે કાર્ય.
માણસની સૌથી મોટી વિડંબણા એ છે કે, તે હંમેશા સુખ અને સવલત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંઘર્ષની સુવાસને ક્યારેય સમજતો નથી. વ્યક્તિ જ્યારે સંઘર્ષ ઉપર ‘ફોકસ’ કરે ત્યારે સંભાવનાઓ અને શક્યતાઓના સમંદરની લહેરો દેખાય છે. પ્રત્યેક વ્યક્તિનો સાચો સાથી એેણે કરેલો સંઘર્ષ છે. એક ભાઇ ફરિયાદ કરતાં હંમેશા કહેતાં કે, ભગવાન મારી મુશ્કેલીઓ જોતો જ નથી. રોજ એક નવી સમસ્યા સવારના સુરજના પ્રથમ કિરણની સાથે મારા જીવનમાં પ્રવેશતી હોય છે. આ ભાઇને સંઘર્ષની શક્તિની સાચી સમજ નથી. ખરેખર તો ઈશ્વર આપણા સંઘર્ષને ખૂબ બારીકાઈથી જોતો હોય છે. સંઘર્ષ દરમિયાન આપણી ક્ષમતાવર્ધનની પ્રક્રિયાને એ ખૂબ નજીકથી પામતો હોય છે. ઈશ્વર સાથે સંવાદ કરતાં રહેવું જોઈએ. જેથી સંઘર્ષમાં એનું માર્ગદર્શન દેખાય, સંભળાય અને અનુભવાય. એક વાત સમજી લેવી જોઈએ કે, ભયાનક અને કદરૂપા દિવસને સૌંદર્યવાન અને આહલાદક બનાવવાની શક્તિ આપણા સંઘર્ષમાં સમાયેલી છે. સંઘર્ષમાંથી તપીને બહાર આવેલું સોનું વિકાસ માર્ગે જીવનની ગાડીને પૂરપાડ દોડાવે છે.

હમણા એક ભાઇએ બહુ સરસ વાત કરી કે, મે ઘણા પૈસા કમાઇ લીધા છે. હવે મારે મારા સીનિયર અધિકારીઓના હુકમો અને કડકાઇ સહન કરીને કે એમની સાથે સંઘર્ષમાં ઉતરવાની અને નોકરી કરવાની બિલકુલ જરૂર જ નથી. પણ મારે સતત ઘડાતા રહેવું છે. અપમાનોના રસ્તે સન્માન મેળવવું છે. મારે સંઘર્ષ કરતા રહીને સુવાસ મેળવવી છે એટલે નોકરી છોડવી નથી. જીવન ઘડાય છે સંઘર્ષના હથોડાના મારથી. વ્યક્તિએ સંઘર્ષ વખતે સતર્કતાથી સામી છાતીએ મુકાબલો કરવાનું શીખવાનું છે. સંઘર્ષ વખતે પીઠ બતાવીને પલાયનવાદ કરનારનું જીવન વરવું અને દયાજનક હોય છે. સાચી મઝા તો ત્યારે આવે કે જ્યારે સંઘર્ષ આપણા જીવનની પહેચાન બને. છોડ ઉપર ખીલતા પ્રત્યેક ફૂલના મૂળ ધુળમાં છે. ખૂબ જ મહેનત અને સંઘર્ષથી પ્રત્યેક કળી ખીલીને હસીન અને રંગીન ફૂલ બને છે. સુવાસ પ્રસરાવતા પહેલાં એણે જબરજસ્ત સંઘર્ષ ખેલીને ફૂલ બનવાનુ હોય છે. સંઘર્ષનું સન્માન થવું જોઈએ કારણ કે, તેમાંથી જ વિકાસની તાકાત સ્ફૂરવાની છે. સંઘર્ષ વગર મળેલી સવલતો સુખ નથી આપતી. સુખ તો સંઘર્ષના સાથીયામાંથી જ ટપકતુ ઐશ્વરીય અમૃત હોય છે.

ધબકાર :
“ સંઘર્ષ વિનાના હુંફાળા અને પ્રકાશિત માર્ગો ઉપર હંમેશા ચાલતા રહીશું તો ક્યારેય લક્ષ્ય સુધી પહોંચી નહીં શકાય. “ – પોલો કોહેલો


000000000000000000000



No comments:

Post a Comment