Tuesday, 1 August 2017

દોડવા માટે મૂઠી વાળીને ડગલું માંડીએ તો ખરા...

દોડવા માટે મૂઠી વાળીને ડગલું માંડીએ તો ખરા...
                                                                   - પુલક ત્રિવેદી

 અમેરિકાના ઓહિયો સ્ટેટના મિલાન શહેરની વાત છે. વર્ષ ૧૮૪૭ના ફેબ્રુઆરી મહિનાની ૧૧મી તારીખે નેનસી મેથ્યુસ અને
સેમ્યુલ ઑગ્ડેનના ઘરે પારણું બંધાતું. માતા-પિતા ફુલ જેવા બાળકને પામી ઇશ્વરનો પાડ માનવા લાગ્યા. ધીરે ધીરે બાળક મોટું થવા લાગ્યું. શાળાએ જવા લાગ્યું. શાળામાં નેનસી-સેમ્યુલનો લાડકવાયો એની મસ્તીમાં જ રહેતો. શિક્ષકની કોઈ વાત પર ધ્યાન ન આપતો. એ સતત વિચારોમાં ખોવાયેલો રહેતો. ઉટપટાંગ કામ કરતો રહેતો. એક વાર એણે પક્ષીઓને કીડા ખાતા જોયાં. એણે અનુમાન લગાવ્યું કે કીડા ખાઈએ તો ઊડી શકાય. એટલે એણે થોડા કીડા વાટી પાણીમાં નાખી હલાવીને એના ભાઈબંધને એ પાણી પીવડાવી દીધુ. એને અખતરો કરવો હતો કે આ કીડાં ખાવાથી પક્ષીઓ ઊડી શકે છે તો મારો ભાઈબંધ ઊડી શકે છે કે કેમ ? એનો મિત્ર ઊડી તો ના શક્યો પણ બિમાર ચોક્કસ પડ્યો. પછી લોકોને એના કારનામાની ખબર પડી. પરિવારના લોકોએ એને ખૂબ ધીબ્યો. દિવસે દિવસે એના કારનામા ખૂબ વધવા લાગ્યા. એક દિવસ સ્કૂલમાંથી શિક્ષકે એક ચિઠ્ઠી આપીને એને કહ્યું કે, ‘ આ ચિઠ્ઠિ માત્ર તારી માતાને આપજે બીજા કોઈને આપતો નહીં. ‘શાળાએથી ઘેર પહોંચીને શિક્ષકે આપેલી ચિઠ્ઠી બાળકે માના હાથમાં મૂકી અને કહ્યું. ‘મમ્મી ટીચરે આ ચિઠ્ઠી તારા માટે આપી છે.’ માતાએ પરબિડીયામાંથી કાગળ કાઢીને વાંચ્યો. વાંચતાં વાંચતાં માની આંખોમાંથી દડદડ આસું વહેવા લાગ્યા. બાળકે કુતુહલવશ માને પૂછ્યું, ‘ મા, શું લખ્યું છે તેમાં ?’
આંસુ લૂછતાં માએ કહ્યું ‘ આમાં લખ્યું છે કે, તમારો દીકરો બહુ જ જિનીયસ છે. અમારી શાળામાં એને શિક્ષણ આપી શકે તેવા
શિક્ષકો નથી.



તમારા પુત્રના જેવા ઉત્તમ પ્રકારના દિમાગ માટે અમારી શાળા ખૂબ નાની અને વામણી છે. એટલે હવેથી એને સ્કૂલે
મોકલીને આ જિનીયસનો સમય ન બગડે તેનું ધ્યાન રાખશો. એને તમે ઘરે જ અભ્યાસ કરાવશો. ‘ નેનસી મૃત્યુ પામી ત્યાં સુધી એને ઘરેજ ભણાવ્યો. તેણે ૧૫ વર્ષની ઉંમરે ઘરમાં જ એક નાની પ્રયોગશાળા પણ બનાવી અને એમાં નાના મોટા પ્રયોગો એ કરતો રહેતો. રેલવેના ડબ્બામાં છાપા વેચતો અને એક બોગીમાં નાના-મોટા પ્રયોગો કરતો. એકવાર ડબ્બામાં એનાથી ફોસ્ફરસ પડી જતાં આગ લાગી. આગ તો બુઝાઈ ગઈ પણ ગાડીના ગાર્ડે ખેંચીને એના ડાબા ગાલ ઉપર તમાચો ઠોક્યો. પરિણામે એને કાનમાં ઓછું સંભળાવા લાગ્યું. આ બાળક તો ખુશ થઈ ગયો. ભલું થયું ભાગી ઝંઝાળ. બેકારની નિર્થરક વાતો હવે નહીં સંભળાય.
સમય જતાં આ બાળક દુનિયાનો મોટો વૈજ્ઞાનિક બન્યો. જેણે બાળપણમાં અનેક લોકોની થપ્પડો અને મહેણાં ટોણાંના અંધકારનો
સામનો કર્યો તે બાળકે આખી દુનિયાને રોશનીથી ચકાચોંધ કરતાં બલ્બની શોધ કરી દુનિયાભરમાં મહાન વૈજ્ઞાનિક સંશોધક થોમસ આલ્વા એડિસન તરીકે મશહૂર બન્યો. વિશ્વના પ્રસિદ્ધ મેગેઝીન ‘ લાઈફ ‘ દ્વારા છેલ્લા ૧૦૦૦ વર્ષના સૌથી મહત્ત્વના અને જિનીયસ ૧૦૦ લોકોની ૧૯૯૭માં પ્રસિધ્ધ કરાયેલી યાદીમાં સૌથી પહેલું સ્થાન એડિસનને આપવામાં આવ્યું. ૨૦૦૮માં એડિસનને ન્યુજર્સી હોલ ઓફ ફેઈમમાં સામેલ કરવામાં આવ્યા. ૨૦૧૦માં ટેકનિકલ ગ્રેમી એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા. ૧૯૬૯માં એડિસનને ઓટોમોટિવ હોલ ઓફ ફેમમાં મૂકવામાં આવ્યા. આવા તો કેટલાય સન્માનોથી એડિસનને નવાજવામાં આવ્યા. વિશ્વને ૧૦૦૦ જેટલી વિવિધ માનવજીવનમાં ઉપયોગી એવી શોધખોળોની ભેટ એડિસને આપી. એડિસન કહેતાં કે, જે સંશોધન જીવનમાં ઉપયોગી નથી અને ‘સેલેબલ નથી’ એ સંશોધનનો અર્થ નથી. વિજળીના બલ્બ ઉપરાંત એડિસને ટેલિગ્રામ, માઈક્રોફોન, મુંગા ચલચિત્રને અવાજનો પ્રાણ આપવા જેવી અનેક ઉપયોગી શોધ એડિસનના ફાળે જાય છે. દુનિયા આખીને રોશનીથી જગમગાવનાર થોમસ આલ્વા એડિસન ૧૮ ઓકટોબર, ૧૯૩૧ના રોજ ૮૪ વર્ષની વયે મૃત્યુ પામ્યા. આ દિવસે આખા અમેરિકામાં લાઈટ્સ ઓફ રાખીને એડિસનને અંજલિ આપવામાં આવે છે. બાળપણમાં સંકી, પાગલ, એકનું એક કામ અનેકવાર કરવાવાળો માનસિક રીતે બિમાર તરીકે ઓળખાતો બાળક દુનિયા આખીમાં સૌથી બ્રિલીયન્ટ અને જિનીયસ વૈજ્ઞાનિક તરીકે ઓળખાયો. બાળપણથી જ રોજ રોજ હજારો વાર શીશીઓ ઊંધી છતી ગોઠવતાં એડિસને દુનિયા આખીને બલ્બની શોધ કરીને રોશન કરી. અનેક પ્રયાસોમાં જ સફળતાનો પ્રાણ છૂપાયેલો છે. મહાન વૈજ્ઞાનિકની કક્ષાનું સન્માન મળ્યા પછી એક દિવસ થોમસે અચાનક એની મમ્મીના કબાટમાં પડેલી એની યાદગીરી માટે સાચવેલી બેગ ખોલી તો એના કપડાં અને સામાનની સાથે એડિસનને એની ટીચરે આપેલી પેલી ચિઠ્ઠી જર્જરીત હાલતમાં દેખાઈ. એડિસને ફટાફટ એ ચિઠ્ઠી ખોલીને વાંચવાનું શરૂ કર્યં. એનું હૈયું ભરાઈ આવ્યું. આંખોમાંથી સડસડાટ આંસુની ધાર વહેવા લાગી. ચિઠ્ઠીમાં લખ્યું હતું ‘તમારા દીકરાની દિમાગની હાલત બિલકુલ બેકાર છે. એ દિમાગી રીતે બિમાર છે. એ શંકી પ્રકાનો વ્યક્તિ છે. અમે એને શાળામાં ભણાવી શકીએ એમ નથી. એને શાળામાંથી કાઢી મૂકવામાં આવે છે. બહેતર એ જ રહેશે કે તમે એને ઘરે જ રાખો. આ બાળકનું કોઈ ભવિષ્ય નથી.’ આ નોટ વાંચીને એણે એની ડાયરીમાં લખ્યું કે, ‘‘થોમસ આલ્વા એડિસન માનસિકરૂપે બિમાર અને સંકી વ્યક્તિ હતો, જેને એની માતાએ ‘જિનીયસ’ બનાવી દીધો....’’



કોઈ કામમાં પહેલીવારમાં સફળ થઈ જવાય અથવા ન પણ થવાય. એક જ પ્રયાસ કરીને નિષ્ફળ જઇએ તો કામ છોડી
દેવામાં આવે એ બરાબર નથી. લક્ષ સુધી પહોંચવા માટે વારંવાર હજારવાર પ્રયત્નો કરતા રહેવું પડે. પ્રયાસ અને રીયાઝ કરતાં રહેવું પડે. ગાયકને અવાજનો રોજ રોજ રીયાઝ કરતાં રહેવું પડે તો જ માયકલ ઝેકસન, જસ્ટીન બીબર, કિશોરકુમાર, લતા મંગેશકર જેવા જીનિયસ ગાયક બની શકાય. સંગીતકારને વાદ્ય ઉપર રોજ પ્રેકટીસ કરતાં રહેવું પડે તો જ ઝુબીન મહેતા, એ. આર. રહેમાન, આર.ડી. બર્મન, પંડિત જશરાજ, હરિપ્રસાદ ચોરસીયા, જેવા સંગીતજ્ઞ બની શકાય. ચિત્રકારને રોજ પેન્સિલના લીટા અને કલરના લસરકાની ધુન લાગેલી હોવી જોઇએ તો એ પાબ્લો પીકાસો, એમ.એફ હુસેન જેવી કક્ષાએ લઈ જઈ શકે.
પ્રત્યેક નિષ્ફળતા એક નવો માર્ગ આપે છે. પ્રત્યેક અસફળતા એક નવા પ્રયાસને આહવાન આપે છે. થોમસ આલ્વા અડિસન
૯૯૯ વાર નિષ્ફળ ગયા એમ કહેવા કરતાં થોમસ આલ્વા એડિસને ૯૯૯ નવા માર્ગો શોધ્યા. દુનિયાને ઉપયોગી ભાથું આપ્યું. જીવનના દરેક મહત્વના મૂલ્યો ચોપડીમાંથી ગોખીને નથી આવતાં. જીવનના અમૂલ્ય પરિમાણો અનુભવથી ખુલતા હોય છે. અનુભવનું અમૃત પ્રયાસોના પાતાળમાંથે પ્રગટે છે. આપણી સૌથી મોટી કમજોરી હાર માની લેવાની છે. આપણે નાસીપાસ થઇને મેદાન છોડી દેવાની વૃત્તીની બહાર આવવુ પડે. એક વધુ પ્રયાસ કરવામા ખોટું શું છે ? કદાચ ફરી એક વારના પ્રયત્નમાં જોરદાર સફળતાની ચાવી મળી જાય તો...! બસ, એકવાર વધુ કોશિષ કરવા જ્યાં બેઠા છીએ ત્યાંથી ઊભા તો થઈએ... દોડવા માટે મૂઠી વાળીને ડગલું માંડીએ તો ખરા... જ્યાંથી લોકો થાકી-હારીને કામ છોડી દે, ત્યાંથી જ પકડી લેતાં શીખવું પડે. કોઈકે થાકી-હારીને છોડેલી વાત પ્રયાસોના પ્રાણ પૂરીને આગળ વધારવી પડે. સફળતાનો આધાર કરવામાં આવેલા પ્રયાસો અને એની તત્પરતા ઉપર જ હોય છે.

ધબકાર –
પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રયાસ આ ત્રણ શબ્દો માણસનું જીવન બદલી નાખે અથવા બનાવી નાખે.



ભુલ થવાનો ડર શા માટે રાખવો ? ભુલ થાય છે જ સુધરવા માટે...

ભુલ થવાનો ડર શા માટે રાખવો ? ભુલ થાય છે જ સુધરવા માટે...
                                                                                                                         - પુલક ત્રિવેદી

માણસ જુઓને કેટલો ભયભીત જણાય છે !
એના જ વિશે એ જ અનિશ્ચિત જણાય છે.
અંદરની અંધાધૂંધી ક્યાંથી ખબર પડે ?
બાકી બહારથી તો વ્યવસ્થિત જણાય છે.
આ કાન પણ થાક્યા હવે પડઘાને સાંભળી,
સાચુકલા અવાજથી વંચિત જણાય છે.
માટીપગો માણસ સ્વયં દરવાજો ખોલશે.
એ વાતથી કિલ્લો ઘણો લજ્જિત જણાય છે.
ડૂબી ગયા પછી જ ગહનતા મળી શકે,
સંકેત કેટલો અહીં ગર્ભિત જણાય છે !



જીવનમાં ડર માણસનો સૌથી મોટો દુશ્મન છે. કવિ અશોકપુરી ગોસ્વામીની આ ગઝલમાં માણસના મન અને હૃદયના ડરની
અદભુત તાસીર અભિવ્યક્ત કરી છે. ડર એટલે અનિષ્ટ સંભાવનાઓનું આગોતરું અનુમાન. આવા અનુમાનના આધારે વિહવળ બની
ફફડવાની માનસિકતા એટલે ડર. ભય, બીક, ધાસ્તી કે ભીતી જે કાંઈ પણ કહો એ મનના રાજમાર્ગ ઉપર થઈને હૃદયના મહેલમાં ઘુસી જઈને
થડકારા સર્જતી હોય છે.
સામાન્ય રીતે સૌથી મોટો ભય માણસને સતાવતો હોય છે કે, મારા માટે લોકો શું વિચારશે? સિનિયરને જુનિયર પાસે કંઇ પુચતા
ભય સતાવે કે મને નથી આવડતુ એ વાતની જુનિયરને ખબર પડી જશે તો મારા માટે એ ખરાબ વિચારશે તો ? એક મલ્ટિનેશનલ કંપનીના
વરિષ્ઠ મેનેજર એના હથ નીચેના સિનિયર અધિકારીઓને કંપનીના ફ્રાન્સમાં શરૂ થવા જઇ રહેલા નવા પ્રોજેક્ટ માટે ચર્ચા કરી રહ્યા હતા
ત્યારે, તેમણે તેમના અધિકારીઓ પૈકી બે અધિકારી ફ્રાન્સમાં લાંબો સમય કામ કરીને આવ્યાં હતાં તેમની પાસેથી ફ્રાન્સ સરકારની પોલિસી
અને ફ્રાન્સના લેબર એન્વાયરમેન્ટ અને સંલગ્ન જાણકારી મીટીંગમાં પુછી. એમના જુનિયર અધિકારીઓએ આ વરિષ્ઠ મેનેજરને ફ્રાન્સના
કામદારોની મેન્ટાલિટી અને સરકારી નિયમોની સુંદર જાણકારી પુરી પાડી. પછી ભાવિ પ્રોજેક્ટનું સરસ મઝાનુ પ્લાનીંગ કર્યું. આ મેનેજર
મિત્રને એવો ડર ના લાગ્યો કે, મારા જુનિયર અધિકારીઓ મારી ફ્રાન્સ દેશની ઓછી જાણકારી માટે મારા વિશે શું વિચારશે ? પરિણામ એ
આવ્યું કે, મેનેજરનું પ્લાનીંગ કંપનીને ખૂબ ગમ્યું અને એમની આખી ટીમને કંપનીએ શિરપાવ આપ્યો.
જો મેનેજર સાહેબે એમ વિચાર્યું હોત કે, મારાથી જુનીયરને આવી વાત ન પૂછાય તો કદાચ સારું પ્લાનીંગ ના થઈ શક્યું હોત.
બીજાં શું કહેશે એવા ડરની પેલે પાર જીત હસતી ઉભી જ હોય છે.
જ્યારે કોઈપણ કામ કરીએ ત્યારે સહુથી પહેલા વ્યક્તિના મનમાં એવો પ્રશ્ન થાય કે, આ કામમાં હું સફળ થઈશ કે નહીં. મને આ
કાર્ય બરાબર ફાવશે કે નહીં ? આવા નકારાત્મક ખ્યાલો કાર્યની સાથે સાથે ચાલતા હોય છે. પરિણામે જિંદગીમાં પછડાટ અનુભવાય. કામ
કરવાની સાથે સાથે વિરુદ્ધ દિશામાં નરાકારાત્મક વિચારો કામને અવશ્ય પ્રભાવિત કરે જ કરે. અને કદાચ કામ થોડું ઓછું પ્રભાવિત થાય તો
પણ કામનો જે સંપૂર્ણ આનંદ મળવો જોઈએ એ તો ન જ મળે. કામ કરતાં કરતાં ભૂલ થાય તો શું થાય ? આ પ્રકારનો ડર મનમાંથી સમૂળગો
ઉખાડીને ફેંકી દેવો જોઈએ. એક મિનિટ વિચારી જૂઓ કે કોઈપણ કાર્યની ભૂલ થઈ તો શું કાર્ય ફરી નહીં કરી શકાય. સંભવતઃ ફરી જ્યારે એ
કાર્ય કરવામાં આવે ત્યારે વધુ સારી સમજ અને અનુભવના પરિપાકથી ૧૦૦ ટકા સારું પરિણામ પ્રાપ્ત થશે. ભૂલ ન જ થાય એવો મિસ્ટર
પર્ફેક્સનિસ્ટ બનવાની ચાહત ડરનું જન્મસ્થળ છે.



લઘુતાગ્રંથિની ભાવના જ આગળ વધવામાં સૌથી મોટી આડખીલી હોય છે. મને અંગ્રેજી ભાષા નથી આવડતી એટલે હું અમેરિકામાં
કે બ્રિટનમાં કોઈ કામમાં સફળ નહીં થાઉં એવો ભય લડાઈ શરુ થતાં પહેલાં હારનો સ્વીકાર છે. અંગ્રેજી ભાષા ન આવડવાના પરિણામે
કોઈપણ જર્મની કે ફ્રેન્ચના નાગરિકની પ્રગતિ અટકી નથી. જિંદગીમાં આવતો બદલાવ અને ઉપલબ્ધ સંપત્તિમાં ઘટાડો આ બે માણસના
જીવનમાં સૌથી મોટા ડર રહેલા છે. જીવીએ ત્યાં સુધી એકધાર્યું સવલતપૂર્ણ જીવન રહે એવી માનસિકતા શા માટે રાખવી. મારી સંપત્તિ સતત
વધતી જ રહે એવું સેટ માઈન્ડ લઈને શા માટે જીવવું. ક્યારેક આર્થિક તંગી પણ પડે. કરેલા દેવાના પૈસા ભરપાઈ ન પણ કરી શકાય ? દીકરો
કે દીકરી તમારી ઇચ્છા વિરુદ્ધનું એમને મનગમતું કોઈ કાર્ય કરે પણ ખરા. તો શું આવી પરિસ્થિતિ મારાં જીવનમાં આવશે તો ? એવા ખયાલી
પુલાવથી ક્યાં સુધી ડરી ડરીને જીવવું ? કદાચ આવી ન વિચારેલી ઘટના બને તો ડર્યા કરતાં એનો હસતા મોએ મુકાબલો શરીર, મન અને
જીવનને સ્વસ્થ બનાવે છે.

એક મિત્રને સતત એવો ખોફ રહ્યા કરે કે હું મારા મિત્રોથી અલગ પડી ગયો છું. હું એકલો અટુલો થઈ જઈશ ? આ પ્રકારનો ભય
એને હંમેશા સતાવતો રહે છે. આ પ્રકારના ભયની સામે એ મિત્રએ એમના મનને એવી રીતે કેળવ્યું કે પ્રતિદિન ઓછામાં ઓછા બે નવા મિત્રો
બનાવીશ જ. પરિણામે ઘણાં વર્ષોથી ઘર કરી ગયેલો એકલાં અટુલાં પડી જવાનો ડર નિર્મૂળ થઈ ગયો.
માણસ એણે બનાવેલી, એની પ્રતિભા ટકાવી રાખવાના ચક્કરમાં સતત ડરતો રહે છે. મને લોકો હોંશિયાર સમજે છે, મારી
હોંશિયારી દેખાવની છે એવી ખબર પડી જશે તો ? હું મુશ્કેલીના સમયમાં અડગ ઊભો રહું છું એવી મારી છાપ છે પરંતુ અંદર ખાને હું ખૂબ
ડરતો હોઉં છું એવું લોકો સમજી જશે તો ? આ પ્રકારનો માનસિક ડર વ્યક્તિને ખોખલો કરી નાખે છે. બીજાનાથી હું બહેતર છું એમ સાબિત
કરવામાં જીવન ખર્ચવા કરતાં હું મારા વિચારો સાથે સંપૂર્ણ નિષ્ઠાથી જોડાયેલો છું. હું જે કાંઈ પણ છું એ સુયોગ્ય છું અને યોગ્ય દિશામાં જ
આગળ વધી રહ્યો છું એવો પાક્કો નિર્ધાર મારી છાપ બગડશે એવા ખોટા ભયથી બચાવે છે.
સામાન્ય રીતે બે જ પ્રકારની ધારણાઓ કામ કરતી હોય છે. એક હકારાત્મક ધારણા કે જે મનને અને હૃદયને દ્રઢતાપૂર્વક કહે છે હા,
આ મારાથી થઈ શકે. હું આ કામ નિયત સમય કરતાં વહેલું પૂરું કરીશ. મને આ કામ કરતાં કોઈ અટકાવી શકે એમ નથી. અને બીજી
નકારાત્મક ધારણા. પોતાની જાત ઉપર જ વિશ્વાસ ન હોય. પોતાની જ ઊર્જા ઓછી હોવાનું મનોમન નક્કી કરી લે. આ મારાથી ન થઈ શકે
? કે પછી હું આ વાતને પહોંચી વળવા માટે સક્ષમ નથી એવી નકારાત્મક ભાવના નિષ્ફળતાને નિમંત્રણ આપે છે. અંગ્રેજી નથી આવડતું એ
નુકસાન નથી કરતું પરંતુ અંગ્રેજી આવડત નથીની લઘુતાગ્રંથી બહુ મોટું નુકસાન કરે છે.
ડરથી ડરવું નહીં ડરને કીક મારીને એની પર કાબુ મેળવવો જોઈએ. નથી બન્યું એ ઘટનાનો મનમસ્તિસ્કમાં ભય પોષીને મસ્તીથી
જીવાતા જીવન ઉપર હાથે કરીને પાણો નાખવાનું કામ ના ચલાવી લેવાય. ડરપોક વ્યક્તિઓ જ ઘેંટાની જેમ બીજાઓએ કે પછી પોતે
ચાતરેલા ચીલા પર ચાલવાનું પસંદ કરતાં હોય છે. આવા લોકો આગળ વધવાનો વિચાર કરી શકતા જ નથી.

ધબકાર –
જેનાથી નિષ્ફળતાનો સૌથી વધુ ડર લાગતો હોય એવુ કાર્ય કરતા રહીએ તો ઝડપથી નિડર બની શકાય.