Tuesday, 1 August 2017

ભુલ થવાનો ડર શા માટે રાખવો ? ભુલ થાય છે જ સુધરવા માટે...

ભુલ થવાનો ડર શા માટે રાખવો ? ભુલ થાય છે જ સુધરવા માટે...
                                                                                                                         - પુલક ત્રિવેદી

માણસ જુઓને કેટલો ભયભીત જણાય છે !
એના જ વિશે એ જ અનિશ્ચિત જણાય છે.
અંદરની અંધાધૂંધી ક્યાંથી ખબર પડે ?
બાકી બહારથી તો વ્યવસ્થિત જણાય છે.
આ કાન પણ થાક્યા હવે પડઘાને સાંભળી,
સાચુકલા અવાજથી વંચિત જણાય છે.
માટીપગો માણસ સ્વયં દરવાજો ખોલશે.
એ વાતથી કિલ્લો ઘણો લજ્જિત જણાય છે.
ડૂબી ગયા પછી જ ગહનતા મળી શકે,
સંકેત કેટલો અહીં ગર્ભિત જણાય છે !



જીવનમાં ડર માણસનો સૌથી મોટો દુશ્મન છે. કવિ અશોકપુરી ગોસ્વામીની આ ગઝલમાં માણસના મન અને હૃદયના ડરની
અદભુત તાસીર અભિવ્યક્ત કરી છે. ડર એટલે અનિષ્ટ સંભાવનાઓનું આગોતરું અનુમાન. આવા અનુમાનના આધારે વિહવળ બની
ફફડવાની માનસિકતા એટલે ડર. ભય, બીક, ધાસ્તી કે ભીતી જે કાંઈ પણ કહો એ મનના રાજમાર્ગ ઉપર થઈને હૃદયના મહેલમાં ઘુસી જઈને
થડકારા સર્જતી હોય છે.
સામાન્ય રીતે સૌથી મોટો ભય માણસને સતાવતો હોય છે કે, મારા માટે લોકો શું વિચારશે? સિનિયરને જુનિયર પાસે કંઇ પુચતા
ભય સતાવે કે મને નથી આવડતુ એ વાતની જુનિયરને ખબર પડી જશે તો મારા માટે એ ખરાબ વિચારશે તો ? એક મલ્ટિનેશનલ કંપનીના
વરિષ્ઠ મેનેજર એના હથ નીચેના સિનિયર અધિકારીઓને કંપનીના ફ્રાન્સમાં શરૂ થવા જઇ રહેલા નવા પ્રોજેક્ટ માટે ચર્ચા કરી રહ્યા હતા
ત્યારે, તેમણે તેમના અધિકારીઓ પૈકી બે અધિકારી ફ્રાન્સમાં લાંબો સમય કામ કરીને આવ્યાં હતાં તેમની પાસેથી ફ્રાન્સ સરકારની પોલિસી
અને ફ્રાન્સના લેબર એન્વાયરમેન્ટ અને સંલગ્ન જાણકારી મીટીંગમાં પુછી. એમના જુનિયર અધિકારીઓએ આ વરિષ્ઠ મેનેજરને ફ્રાન્સના
કામદારોની મેન્ટાલિટી અને સરકારી નિયમોની સુંદર જાણકારી પુરી પાડી. પછી ભાવિ પ્રોજેક્ટનું સરસ મઝાનુ પ્લાનીંગ કર્યું. આ મેનેજર
મિત્રને એવો ડર ના લાગ્યો કે, મારા જુનિયર અધિકારીઓ મારી ફ્રાન્સ દેશની ઓછી જાણકારી માટે મારા વિશે શું વિચારશે ? પરિણામ એ
આવ્યું કે, મેનેજરનું પ્લાનીંગ કંપનીને ખૂબ ગમ્યું અને એમની આખી ટીમને કંપનીએ શિરપાવ આપ્યો.
જો મેનેજર સાહેબે એમ વિચાર્યું હોત કે, મારાથી જુનીયરને આવી વાત ન પૂછાય તો કદાચ સારું પ્લાનીંગ ના થઈ શક્યું હોત.
બીજાં શું કહેશે એવા ડરની પેલે પાર જીત હસતી ઉભી જ હોય છે.
જ્યારે કોઈપણ કામ કરીએ ત્યારે સહુથી પહેલા વ્યક્તિના મનમાં એવો પ્રશ્ન થાય કે, આ કામમાં હું સફળ થઈશ કે નહીં. મને આ
કાર્ય બરાબર ફાવશે કે નહીં ? આવા નકારાત્મક ખ્યાલો કાર્યની સાથે સાથે ચાલતા હોય છે. પરિણામે જિંદગીમાં પછડાટ અનુભવાય. કામ
કરવાની સાથે સાથે વિરુદ્ધ દિશામાં નરાકારાત્મક વિચારો કામને અવશ્ય પ્રભાવિત કરે જ કરે. અને કદાચ કામ થોડું ઓછું પ્રભાવિત થાય તો
પણ કામનો જે સંપૂર્ણ આનંદ મળવો જોઈએ એ તો ન જ મળે. કામ કરતાં કરતાં ભૂલ થાય તો શું થાય ? આ પ્રકારનો ડર મનમાંથી સમૂળગો
ઉખાડીને ફેંકી દેવો જોઈએ. એક મિનિટ વિચારી જૂઓ કે કોઈપણ કાર્યની ભૂલ થઈ તો શું કાર્ય ફરી નહીં કરી શકાય. સંભવતઃ ફરી જ્યારે એ
કાર્ય કરવામાં આવે ત્યારે વધુ સારી સમજ અને અનુભવના પરિપાકથી ૧૦૦ ટકા સારું પરિણામ પ્રાપ્ત થશે. ભૂલ ન જ થાય એવો મિસ્ટર
પર્ફેક્સનિસ્ટ બનવાની ચાહત ડરનું જન્મસ્થળ છે.



લઘુતાગ્રંથિની ભાવના જ આગળ વધવામાં સૌથી મોટી આડખીલી હોય છે. મને અંગ્રેજી ભાષા નથી આવડતી એટલે હું અમેરિકામાં
કે બ્રિટનમાં કોઈ કામમાં સફળ નહીં થાઉં એવો ભય લડાઈ શરુ થતાં પહેલાં હારનો સ્વીકાર છે. અંગ્રેજી ભાષા ન આવડવાના પરિણામે
કોઈપણ જર્મની કે ફ્રેન્ચના નાગરિકની પ્રગતિ અટકી નથી. જિંદગીમાં આવતો બદલાવ અને ઉપલબ્ધ સંપત્તિમાં ઘટાડો આ બે માણસના
જીવનમાં સૌથી મોટા ડર રહેલા છે. જીવીએ ત્યાં સુધી એકધાર્યું સવલતપૂર્ણ જીવન રહે એવી માનસિકતા શા માટે રાખવી. મારી સંપત્તિ સતત
વધતી જ રહે એવું સેટ માઈન્ડ લઈને શા માટે જીવવું. ક્યારેક આર્થિક તંગી પણ પડે. કરેલા દેવાના પૈસા ભરપાઈ ન પણ કરી શકાય ? દીકરો
કે દીકરી તમારી ઇચ્છા વિરુદ્ધનું એમને મનગમતું કોઈ કાર્ય કરે પણ ખરા. તો શું આવી પરિસ્થિતિ મારાં જીવનમાં આવશે તો ? એવા ખયાલી
પુલાવથી ક્યાં સુધી ડરી ડરીને જીવવું ? કદાચ આવી ન વિચારેલી ઘટના બને તો ડર્યા કરતાં એનો હસતા મોએ મુકાબલો શરીર, મન અને
જીવનને સ્વસ્થ બનાવે છે.

એક મિત્રને સતત એવો ખોફ રહ્યા કરે કે હું મારા મિત્રોથી અલગ પડી ગયો છું. હું એકલો અટુલો થઈ જઈશ ? આ પ્રકારનો ભય
એને હંમેશા સતાવતો રહે છે. આ પ્રકારના ભયની સામે એ મિત્રએ એમના મનને એવી રીતે કેળવ્યું કે પ્રતિદિન ઓછામાં ઓછા બે નવા મિત્રો
બનાવીશ જ. પરિણામે ઘણાં વર્ષોથી ઘર કરી ગયેલો એકલાં અટુલાં પડી જવાનો ડર નિર્મૂળ થઈ ગયો.
માણસ એણે બનાવેલી, એની પ્રતિભા ટકાવી રાખવાના ચક્કરમાં સતત ડરતો રહે છે. મને લોકો હોંશિયાર સમજે છે, મારી
હોંશિયારી દેખાવની છે એવી ખબર પડી જશે તો ? હું મુશ્કેલીના સમયમાં અડગ ઊભો રહું છું એવી મારી છાપ છે પરંતુ અંદર ખાને હું ખૂબ
ડરતો હોઉં છું એવું લોકો સમજી જશે તો ? આ પ્રકારનો માનસિક ડર વ્યક્તિને ખોખલો કરી નાખે છે. બીજાનાથી હું બહેતર છું એમ સાબિત
કરવામાં જીવન ખર્ચવા કરતાં હું મારા વિચારો સાથે સંપૂર્ણ નિષ્ઠાથી જોડાયેલો છું. હું જે કાંઈ પણ છું એ સુયોગ્ય છું અને યોગ્ય દિશામાં જ
આગળ વધી રહ્યો છું એવો પાક્કો નિર્ધાર મારી છાપ બગડશે એવા ખોટા ભયથી બચાવે છે.
સામાન્ય રીતે બે જ પ્રકારની ધારણાઓ કામ કરતી હોય છે. એક હકારાત્મક ધારણા કે જે મનને અને હૃદયને દ્રઢતાપૂર્વક કહે છે હા,
આ મારાથી થઈ શકે. હું આ કામ નિયત સમય કરતાં વહેલું પૂરું કરીશ. મને આ કામ કરતાં કોઈ અટકાવી શકે એમ નથી. અને બીજી
નકારાત્મક ધારણા. પોતાની જાત ઉપર જ વિશ્વાસ ન હોય. પોતાની જ ઊર્જા ઓછી હોવાનું મનોમન નક્કી કરી લે. આ મારાથી ન થઈ શકે
? કે પછી હું આ વાતને પહોંચી વળવા માટે સક્ષમ નથી એવી નકારાત્મક ભાવના નિષ્ફળતાને નિમંત્રણ આપે છે. અંગ્રેજી નથી આવડતું એ
નુકસાન નથી કરતું પરંતુ અંગ્રેજી આવડત નથીની લઘુતાગ્રંથી બહુ મોટું નુકસાન કરે છે.
ડરથી ડરવું નહીં ડરને કીક મારીને એની પર કાબુ મેળવવો જોઈએ. નથી બન્યું એ ઘટનાનો મનમસ્તિસ્કમાં ભય પોષીને મસ્તીથી
જીવાતા જીવન ઉપર હાથે કરીને પાણો નાખવાનું કામ ના ચલાવી લેવાય. ડરપોક વ્યક્તિઓ જ ઘેંટાની જેમ બીજાઓએ કે પછી પોતે
ચાતરેલા ચીલા પર ચાલવાનું પસંદ કરતાં હોય છે. આવા લોકો આગળ વધવાનો વિચાર કરી શકતા જ નથી.

ધબકાર –
જેનાથી નિષ્ફળતાનો સૌથી વધુ ડર લાગતો હોય એવુ કાર્ય કરતા રહીએ તો ઝડપથી નિડર બની શકાય.



No comments:

Post a Comment