Sunday, 22 April 2018

પરીક્ષાઓના માહોલમાં યાદ આવી જાય આઇનસ્ટાઇનની રોચક અનટોલ્ડ સ્ટોરીઝ


પરીક્ષાઓના માહોલમાં યાદ આવી જાય આઇનસ્ટાઇનની રોચક અનટોલ્ડ સ્ટોરીઝ


આખા વર્ષમાં માર્ચ અને એપ્રિલ આ બે મહિના એટલે પરીક્ષાના મહિના. વર્ષ દરમિયાન જેટલું પણ વાંચ્યું, લખ્યુ અને વિચાર્યું હોય એને પ્રૉપર્લી પ્રેઝન્ટ કરવાની પુરબહારમાં ખીલવવાની મોસમ. માર્ચ મહિનાની ૧૪મીને ‘જીનિયસ ડે’ તરીકે દુનિયા ઉજવે છે. માર્ચ મહિનો પરીક્ષાનો મહિનો છે અને એના મધ્યમાં આવતો ચૌદમો દિવસ એટલે એને ‘જીનિયસ ડે’ તરીકે ઉજવવામાં આવે છે અવું નથી. દુનિયાના મહાન વૈજ્ઞાનિકોમા જેની ગણના થાય છે એવા આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જન્મદિવસને આખું વિશ્વ ‘જીનિયસ ડે’ તરીકે ઉજવે છે.
પરીક્ષાઓના માહોલમાં જો એવું લાગે કે, મારું મગજ બરાબર કામ નથી કરતું. મને ચોપડીની વાત યાદ નથી રહેતી. બીજા લોકો જેટલી ઝડપથી યાદ રાખી શકે છે એટલું ઝડપથી મને યાદ રહેતું નથી. મારે યાદ રાખવા માટે વારંવાર વાંચવું પડે છે વગેરે વગેરે... આવા વિચારો આવે તો બિલકુલ નાસીપાસ થયા વગર વટથી વિચારવું કે, તમારું મગજ બીજાઓથી અલગ પ્રકારનું જ છે. તમે દુનિયાને કંઈક અલગ આપવા સર્જાયા છો. આવા સમયે યાદ કરવા પડે અસાધારણ પ્રતિભા ધરાવતાં આલ્બર્ટ આઇન્સ્ટાઇનને.
હર્મન આઈન્સ્ટાઈન નામનો એક સેલ્સમેન જર્મનીના યુમ શહેરમાં રહે. મૂળ ઇજનેર એવા હર્મન આઈન્સ્ટાઈનને ત્યાં ૧૪ માર્ચ, ૧૮૭૯મા પુત્ર અવતર્યો. એનું નામ આલ્બર્ટ. જન્મ વખતે આલ્બર્ટનું માથું શરીરના પ્રમાણમાં ઘણું મોટું હતું. ચાર વર્ષે માંડ એ બોલતા શીખ્યો અને નવ વર્ષ સુધી તો આલ્બર્ટ બરાબર બોલી પણ શકતો ન હતો. બાળપણમાં આલ્બર્ટ બીજા બાળકોની માફક ધમાલ-મસ્તી કરતો ન હતો. એક ખૂણામાં શાંત બેસી રહી હમેશા એ કંઈકને કાંઇક વિચારતો રહેતો. એની શારીરિક તકલીફોના કારણે એને શાળામાં પણ સામાન્ય બાળકો કરતા મોડો દાખલ કરવામાં આવ્યો. પિતા હર્મન અને એની પત્નીને આલ્બર્ટની ચિંતા થતી હતી.
માર્ચ-એપ્રિલમાં ગરમીના ઉકળાટ કરતાં પરીક્ષાઓના કકળાટમાં અજંપો અને ડર રાખતા વિદ્યાર્થીઓ માટે આઈન્સ્ટાઈનની લાઇફ આઇકોનિક છે. મેઘાવી બુદ્ધિના માલિક જીનિયસ આલ્બર્ટ આઇન્સ્ટાઇનની શાળાજીવનની કેટલીક રોચક વાતો જ્યાં નિરાશા હશે ત્યાં આશાનું કિરણ બનશે અને જયાં અજંપો હશે ત્યાં રાજીપો રેલાવશે. વિદ્યાર્થી આલ્બર્ટને પહેલેથી જ શાળા જેલ જેવી લાગતી. એ હંમેશા રવિવારના દિવસનો ઈન્તજાર કરતો. રવિવારે પિતા હર્મન આલ્બર્ટને શહેરની શાંત જગ્યાએ ફરવા લઈ જતા. એ ત્યાં બેસી ઝાડ-પાન અને કુદરતી વાતાવરણ કલાકો સુધી જોઈ રહેતો. બ્રહ્માંડની ઉત્પત્તિના વિચારો કરતા રહેતા એના બાળમાનસમાં સતત ગડમથલ ચાલતી કે આ વિશ્વ કેવી રીતે ચાલે છે ?
વિદ્યાર્થી કાળમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનને સતત એવું લાગતું કે એ શિક્ષકો પાસેથી જે અભ્યાસ કરી રહ્યો છે તેમાં કંઈક ખૂટે છે. એ હંમેશા ટીચરને અલગ અલગ એન્ગલથી પ્રશ્નો પૂછતો રહેતો. શિક્ષકોને આના પરિણામે ખૂબ કંટાળો આવતો. શાળાના શિક્ષકોએ એને મંદબુદ્ધિનો બાળક તરીકે સંબોધતા. વારંવાર મંદબુદ્ધિનો બાળક કહેવાના કારણે બાળ આલ્બર્ટ પણ સમજવા લાગ્યો કે એની બુદ્ધિ ક્ષમતા કમજોર છે. એકવાર એણે શિક્ષકને પૂછ્યુ કે, ‘મારી બુદ્ધિનો વિકાસ કેવી રીતે હું કરી શકું ? ‘ શિક્ષકે એક લીટીમાં જવાબ આપ્યો કે, ‘ કોઈપણ બાબતમાં સફળતા મેળવવા માટે સતત નિષ્ઠાપૂર્વક અભ્યાસ જ મૂળ મંત્ર છે. ‘ ટીચરની આ વાત આલ્બર્ટના મનમાં ચોંટી ગઈ. અભ્યાસની તાકાતથી સૌથી આગળ આવવાનું એણે મનોમન નક્કી કરી દીધું.



બાળપણમાં મંદબુદ્ધિનો કહેવાતો બાળક મહેનત, લગન અને હિંમતથી મેથ્સ અને ફિઝીક્સના વિષયોનો મહારથી બન્યો. એકવાર ગણિતના શિક્ષકે જે છોકરાને ‘ આળસુનો પીર ‘ કહ્યો હતો એ આલ્બર્ટ આઇન્સ્ટાઇન e=mc2  પુંજ અને તુલ્ય ઉપર શોધ નિબંધ રજૂ કર્યો ત્યારે આખી દુનિયા મોંમાં આંગળા નાખી ગઈ હતી. જાપાન ઉપર અમેરિકા દ્વારા ઝીંકાયેલા અણુબોમ્બની બેઝિક ફોર્મ્યુલા આઈન્સ્ટાઈનની આજ શોધ નિબંધ ઉપર આધારીત હતી. જોકે જાપાન ઉપર નાખવામાં આવેલા અણુ બોમ્બના કારણે આઇનસ્ટાઇન જીવ્યા ત્યાં સુધી વ્યથિત રહ્યા હતા.
બેક ટુ હીઝ અનટોલ્ડ સ્ટોરીઝ. એકવાર આલ્બર્ટ આઇન્સ્ટાઇન પાસે એના સાથીએ ટેલીફોન નંબર માંગ્યો. આઇન્સ્ટાઇને બાજુમાં પડેલી ટેલિફોન ડિરેક્ટરી ઉપાડી તેમાંથી નંબર જોઈને મિત્રને આપ્યો. પેલો મિત્ર આશ્ચર્યચકિત થઈને પૂછવા લાગ્યો, ‘ તમને તમારો ટેલીફોન નંબર પણ ખબર નથી. ‘ ત્યારે આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું, ‘ દોસ્ત મને જે વાત બે મિનિટમાં શોધવાથી મળી જાય એને યાદ રાખવા માટે મહેનત નથી કરતો. ‘ આલ્બર્ટ આઇન્સ્ટાઇનની ભૂલી જવાની વાતો પણ અજીબ છે. એકવાર કૉલેજથી ઘરે જતી વખતે એ ઘરનો રસ્તો જ ભૂલી ગયા. એમણે રિક્ષા ડ્રાઈવરને કહ્યું હું આલ્બર્ટ આઇન્સ્ટાઇન છું તમને મારા ઘરનો રસ્તો ખબર હોય તો મારા ઘરે લઇ જાવ. રિક્ષા-ડ્રાઇવરને આલ્બર્ટ આઇન્સ્ટાઇનનુ ઘર ખબર હતુ પણ તેણે આઇન્સ્ટાઇનને ક્યારેય જોયા નહતા. આઇન્સ્ટાઇનને મળીને એ રિક્ષા ડ્રાઈવર રાજી થઇ ગયો. રિક્ષા-ડ્રાઇવરે તેમને ઘરે પહોંચાડી દીધા. એવી જ એક બીજી વાત છે. આઇન્સ્ટાઇન પ્રિસ્ટલથી રેલવેમાં ક્યાંક જતા હતા. રેઇલ-વે કંડેકટરે એમની પાસે ટિકિટ માંગી એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઇ કોટ-પેન્ટના ખિસા ફંફોસવા માંડ્યા. પણ ટિકિટ ન મળી ત્યારે ટીસીએ કહ્યું, ‘ કંઈ વાંધો નહીં. હું તમને ઓળખું છું. તમે ટિકિટ લીધી જ હશે. ‘ છતાં આઇન્સ્ટાઇન ટિકિટ શોધતા રહ્યા ટીસીએ આશ્ચર્ય સાથે કહ્યું, ‘તમે ચિંતા ન કરો, તમારી પાસે કોઈ ટીકીટ નહીં માંગે. ‘ ત્યારે એમણે કહ્યું કે, ‘ મારે ટિકિટ શોધવી તો પડશે જ કારણ કે એ વગર મને ખબર કેવી રીતે પડશે મારે ક્યાં જવાનું છે ? ‘
નાની-નાની વાતોમાં ભુલક્કડ લાગતા આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાપેક્ષવાદ દ્રશ્યમાન ઊર્જાના અદભુત સમીકરણો આપીને આજના વિકસિત અને ડિજિટલ લાગતા યુગનો મજબૂત પાયો નાખ્યો. એમના ફિઝિક્સના સંશોધનોને વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિકથી નવાજાયા. આઇન્સ્ટાઇન સરસ વાયોલીન વગાડતા. એમને નાવિક બની હોડી હંકારવી ગમતી. જોકે એમને તરતા નહોતું આવડતું. બાળપણમાં તેમના મોટા માથાને કારણે એમની માતાને એમ લાગતું કે, મારું બાળક વિકૃત બનશે. પરંતુ આજ બાળક મોટો થઈને વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન બનતા એમના મગજને લેબોરેટરીમાં સાચવવામાં આવ્યુ. અજીબ વાત તો એ છે કે, એક નોર્મલ માણસના મગજ કરતાં આઈન્સ્ટાઈનના મગજનું વજન ઘણું ઓછું હતું. એક સામાન્ય માણસના મગજનું વજન ચારસો ગ્રામની આસપાસ હોય છે જ્યારે આઇન્સ્ટાઇનના મગજનું વજન ૧૨૩૦ ગ્રામ હતું. હિટલરને કારણે આલ્બર્ટ આઈન્સ્ટાઈને જર્મનીને અલવિદા કરી. આઇન્સ્ટાઇન અમેરિકા આવીને વસ્યા. આઈન્સ્ટાઈનની પ્રતિભાને કારણે અમેરિકાની જાસૂસી કંપની સી.આઇ.એ.ના એજન્ટો એમની ઉપર સતત નજર રાખતા.
આઇન્સ્ટાઇન કહેતાં કે, જ્યારે શીખવાનું અટકે ત્યારે સમજી લેવું કે મૃત્યુ આવી રહ્યું છે. એ જીવ્યા ત્યાં સુધી પ્રશ્નો પૂછ્યા કરતા. જાણકારી અને માહિતી કોઈ પણ મૂર્ખ માણસ મેળવી લે, પણ જરૂર હોય છે આલ્બર્ટ આઇન્સ્ટાઇનની જેમ સાચી સમજ વિકસાવવાની. એ કહેતા કે, ત્રીજું વિશ્વ યુદ્ધ શેનાથી લડાશે એ ખબર નથી પણ ચોથું વિશ્ર્વયુદ્ધ લાઠીઓ અને પથ્થરથી જ લડાશે. આઇન્સ્ટાઇનના આ વિચાર ઉપરથી વિશ્વની વરવી વાસ્તવિકતાનો આબેહૂબ ચિતાર સ્પષ્ટ થાય છે. એમનો આ વિચાર ઉપર અનેક પુસ્તકો લખાયાં અને પરિસંવાદોમાં કલાકો સુધી પ્રબુધ્ધોએ ચર્ચાઓ કરી છે. આ જિનિયસ સાયન્ટિસ્ટને ૧૯૫૨માં અમેરિકાએ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બનવાની ઓફર કરેલી. ‘ એ રાજકારણ માટે નથી સર્જાયા ‘ કહીને નમ્રતાપૂર્વક આ ઓફરને એમણે નકારી દીધી હતી. વિશ્વના દાદુ બ્રેઈન આઈન્સ્ટાઈનની આ રોચક વાતો પરીક્ષાની મોસમમાં મમળાવીને વિદ્યાર્થીઓ આઉટ ઓફ બોક્સ... જરા હટકે વિચારે તો ઘણું.

ધબકાર
‘ જેણે ક્યારેય કોઈ ભૂલ નથી કરી એણે ક્યારેય કશું નવું કરવાની કોશિશ જ નથી કરી. ‘ - અલબર્ટ આઈન્સ્ટાઈ



https://www.gandhinagarsamachar.com/wp-content/epaper/april2018/10042018-6.pdf

No comments:

Post a Comment