Tuesday, 25 June 2019

ઋગ્વેદના પ્રભાવશાળી શ્લોક ગાયત્રી મંત્રથી બૌધિક ક્ષમતા વધે છે


ઋગ્વેદના પ્રભાવશાળી શ્લોક ગાયત્રી મંત્રથી બૌધિક ક્ષમતા વધે છે

નામ એમનું મંગલદાસ કડીયા. ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસામાં એ રહે. મે મહિનાની કાળઝાળ ગરમીમાં ચિત્તમાં શાતા આપે એવા સમાચાર આ મંગળદાસભાઈએ આખા ગુજરાતને આપ્યા. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ તાજેતરમાં સાત લાખ બોત્તેર હજાર આઠસો ગાયત્રી મંત્ર લેખન માટે પ્રશસ્તિપત્ર અને મેડલ આપી એમને સન્માનિત કર્યાં. મંગળદાસભાઈએ ૨૦૧૩થી ૨૦૧૯ છ વર્ષમાં લગાતાર ગાયત્રી મંત્ર લખીને આ રેકોર્ડ બનાવ્યો છે. ગાયત્રી પરિવારના પ્રણવ પંડ્યાજી કહે છે કે, ગાયત્રી મહામંત્ર લેખન સૂર્યની ઉપાસનાની સાથે સાથે મન: શક્તિની ઊર્જાનું ઉજ્જવળ દ્યોતક છે.



એક સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે મંત્ર એટલે શું ? મંત્ર એટલે એવા ધ્વનિ, ઉચ્ચારણ કે શબ્દ સૂત્ર કે જેમાં રૂપાંતર અને નિર્માણની અદભુત ક્ષમતા હોય છે. મંત્રોના ઉપયોગ અને પ્રકાર તેની સાથે સંકળાયેલા વિચારોની શ્રૃંખલા અને તત્વ મિમાંસા અનુસાર અલગ અલગ હોય છે. તિબેટમાં ઘણા બૌદ્ધ સમાધિની શિલાઓ ઉપર મંત્રો જોવા મળતા હોય છે. એને ઉત્કિર્ણ કહે છે. ના ઉચ્ચારણને વેદાંત આધ્યાત્મિકવિદ્યામાં એક સંપૂર્ણ મંત્ર ગણવામાં આવ્યો છે. માં ત્રણ અક્ષર છે. ‘’, ‘’, અને ’. ‘અ’ એટલે આરંભ, ‘ઉ’ એટલે વિકાસ અને ‘મ’ એટલે નવા આરંભ માટેનો અંત.
મંત્રની મૂળ પરિકલ્પના વેદોમાંથી જન્મી છે. મોટા ભાગના મંત્રો બે ચરણમાં શ્લોકની લેખિત પદ્ધતિને અનુસરે છે. જૈન ધર્મમાં નવકારમંત્રને પરમ આધ્યાત્મિક શક્તિ ધરાવતો મંત્ર માનવામાં આવે છે. વિષ્ણુ મંત્રો, શાંતિ મંત્રો વગેરે અનેક મંત્રો છે. ચાઈનીઝ બૌધવાદમાં સમ્રાટ શુનઝીના ગુરુ સાધુ યુલિને દસ લઘુ મંત્રો આપ્યા છે. કેકેઈ નામના બૌદ્ધ ચિંતકે બૌદ્ધ મંત્રોના આધારે આધ્યાત્મિક ચેતનાનો અદભુત સંચાર કર્યો છે.
ગાયત્રી મંત્રનો અર્થ થાય છે, પદાર્થ, ઊર્જા, અંતરિક્ષ અને આત્મામાં વિચરણ કરનારા તે પ્રેરક પૂજ્ય શુદ્ધ સ્વરૂપ દેવતાનું અમે ધ્યાન કરીએ અને અમારી બુદ્ધિને સારા કાર્યોમાં પ્રવૃત્ત કરવામાં એ મદદ કરે. એમ કહેવાય છે કે, ગાયત્રી મંત્ર આંતરિક ઊર્જા પેદા કરનારો અનોખો મંત્ર હોવા ઉપરાંત બૌદ્ધિક ક્ષમતામાં પણ વધારો કરનારો છે. એઈમ્સના તબીબોની ટીમ અને આઈઆઈટીના વૈજ્ઞાનિકે કરેલા સંશોધન અનુસાર પ્રતિદિન કેટલોક સમય ગાયત્રી મંત્રનો લગાતાર જાપ કરવાથી બૌધિક ક્ષમતાનો અનંત વિસ્તાર શક્ય છે. એમઆરઆઈ દ્વારા મગજની સક્રિયતા તપાસી એ વાતને સમર્થન આપવામાં આવ્યું છે કે, ગાયત્રી મંત્ર બોલવાથી મનની શક્તિઓ વધે છે. એઈમ્સના શોધકર્તાઓએ ૨૫થી ૩૦ વર્ષના પુરુષો ઉપર આ પ્રયોગ કર્યો હતો. નવ મહિના સુધી સંશોધન કરવામાં આવ્યું. પછી પાંચ વર્ષ સુધી ઉપલબ્ધ ડેટાના આધારે સઘન અભ્યાસ કરવામાં આવ્યો.
ઋગ્વેદના ત્રીજા મંડળના ૬૨મા સુક્તમાં ૧૦મો શ્લોક ગાયત્રી મંત્ર તરીકે ઓળખાય છે. એટલે એમ પણ કહેવાય કે, હજારો વર્ષો પૂર્વે ત્રેતાયુગમાં વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી મંત્રની રચના કરી છે. સાદી ભાષામાં સમજીએ તો ગાયત્રી મંત્રનું હાર્દ પ્રકાશ બતાવવા અને સત્વ તરફ લઈ જવાની ઈશ્વરને પ્રાર્થના છે. ભારત જ નહીં બલ્કે સમસ્ત વિશ્વના શોધકર્તાઓ અનુસાર ગાયત્રી મંત્ર ઋગ્વેદનો સૌથી પ્રભાવશાળી શ્લોક છે.
માણસના મગજના આગળના ભાગને પ્રિફન્ટલ કોર્ટેક્સ કહેવાય છે. શોધકર્તાઓ કહે છે કે, મગજના આ ભાગમાં વ્યક્તિની કાર્ય યોજના બનતી હોય છે, સમસ્યાનું સમાધાન થતું હોય છે. જાગૃત નિર્ણયો લેવાનું કામ મગજના આ ભાગમાં થતું હોય છે. તેમના સંશોધન કાર્ય માટે શોધકર્તાઓએ કેટલાક લોકોને પસંદ કર્યા. એમને બે ગ્રુપમાં વિભાજીત કરી નાખ્યા. બે ગ્રુપ પૈકી એક ગ્રુપને ત્રણ મહિના સુધી પ્રતિદિન ૧૦૮ વાર ગાયત્રી મંત્રનો મનમાં જાપ કરવા જણાવાયું. બીજા ગ્રુપને જાપ વગર રાખ્યું. જે ગ્રુપ ગાયત્રી મંત્ર મનમાં બોલતું હતું તે સભ્યોના શરીરમાં ખુશીના સમયે પેદા થતું કેમિકલ ઝડપથી વધતું જતું હોવાનું જણાયું. માણસના શરીરમાં બનતું ગાબાનામનું એક તત્વ એવું છે કે, એ જો શરીરમાં ન બને તો માણસને ઉંઘની તકલીફ પડે અને લાંબા ગાળે ડિપ્રેસનના પ્રશ્નો સર્જાય. શોધકર્તાઓ નોંધે છે કે, જે જૂથ પ્રતિદિન ગાયત્રી મંત્ર કરતું હતું એના મગજમાં બીજા જ સપ્તાહથી ગાબાતત્વનો અદભુત વિકાસ જોવા મળ્યો.
પાંચ સપ્તાહ સુધી કરવામાં આવેલા આ પ્રયોગમાં મેગ્નેટિક રીઝોનન્સ ઈમેજીન(MRI)ની મદદથી તારણ કાઢવામાં આવ્યું કે, જે ગ્રુપ ગાયત્રી મંત્ર કરતું હતું તેના મગજમાં શાંતિ વધુ જોવા મળી. આ ઉપરાંત એમના મગજમા વધુ જાગૃતિ જણાઇ. સાયંટિફિક રીતે પણ તારણ નિકળે છે કે, ગાયત્રી મંત્ર બૌધિક ક્ષમતા વધારનારું પરિબળ છે. જો કે આ વિષય ઉપર AIMSનું સંશોધન કાર્ય હજુ પણ ચાલુ છે. એનો રીપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે આગામી સમયમાં પ્રકાશિત થનાર છે.
જર્મનીના હેમ્બર્ગ યુનિવર્સિટીના તજજ્ઞ વૈજ્ઞાનિકો ગાયત્રી મંત્ર ઉપર રિસર્ચ કરી ચૂક્યા છે. અમેરિકાના વૈજ્ઞાનિક ડો. હાર્વર્ડે દુનિયાભરના મંત્રો એકત્રિત કરી ફિઝીઓલોજી લાઈબ્રેરીમાં સંશોધન કર્યું. એમના કહેવા અનુસાર ગાયત્રી મંત્રમાંથી દર સેકંડે એક લાખ દસ હજાર સાઉન્ડ વેવ જનરેટ થતા જોવા મળ્યા છે. એટલે જ ડો. હાર્વર્ડ કહે છે કે, ગાયત્રી મંત્ર સૌથી શક્તિશાળી મંત્ર છે. જેમ H20 પાણીની સાયંટિફિક ફોર્મ્યુલા છે, એમ ગાયત્રી મંત્ર વેવલેન્થ, સાઉન્ડ વાઈબ્રેશન, બોડી, માઈન્ડ અને સોઉલ ઉપર અસર કરતું અને થોટ પ્રોસેસ વેગવાન કરતું સાયંટિફિક પરિબળ માનવામાં આવે છે.

ધબકાર :
भूर्भुवः स्वः तत् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥





Wednesday, 19 June 2019

‘પોઝિટિવ મેન’ની પોઝિટિવિટીની દિલચશ્પ કહાની...


પોઝિટિવ મેનની પોઝિટિવિટીની દિલચશ્પ કહાની...

યાદ છે ? તારે શું થવાનું છે ? ભીંત તોડીને ઊગવાનું છે
ફક્ત આંખો સુધી જવાનું છે ? કે પછી એમાં ડૂબવાનું છે ?
-     જિગર જોષી પ્રેમ
વ્યક્તિ જ્યારે કશું પણ નવી બાબત અમલમાં મૂકવા માટે વિચારે છે ત્યારે એનો આરંભ વ્યક્તિએ પોતાની રીતે જ કરવો પડતો હોય છે. નવું શોધીને મૂકવાની આ યાત્રાની પ્રાથમિક શરત જ પોતાના મનને બિલકુલ ખાલી કરી બીજાની વાત ગ્રહણ કરવા સજ્જ થવાનું હોય છે. માન્યતાઓના આવરણો અને અનુમાનોથી ભરેલા કોથળા આઘા કરવા એટલા આસાન નથી. પણ એ કરવા પડે તો જ નવુ વિચાર અજવાળું પ્રવેશ પામી શકે. કોઈપણ વાતના તળીયે જવું અને સારું સંશોધિત કરી એને ઉજાગર કરવાની વાત સહેલી નથી. અમદાવાદમાં કલમનો એક ઓલિયો છે. એણે મનોમન નક્કી કર્યું કે, સમાજ પાસેથી ખૂબ મેળવ્યું હવે સમાજને એ સૂત સમેત પાછું આપવું છે. નામ એનું રમેશ તન્ના. પહેલા તો એણે સોશિયલ મીડિયા નેટવર્કને બરાબર સમજવામાં સમય લીધો. પછી એણે ફેસબુક, ટ્વીટર હેન્ડલ, ઈન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ મિડિયા ઉપર યુવાનોના લગાવને ધ્યાનપૂર્વક જોયો અને સમજ્યો. રમેશે મનમાં ગાંઠ વાળી કે એ ફેસબુકને એના હકારાત્મક વિચારોનું સબળ માધ્યમ બનાવશે.



રમેશના મનમાં સ્વસ્થ સમાજની એવી પરિકલ્પના હતી કે, જ્યાં આવકની અસમાનતા ન હોય, બધાને રોટી, કપડાં અને મકાન મળે, ગરીબી ક્યાંય હોય જ નહીં, શોષણ કે અત્યાચાર ન હોય, ભ્રષ્ટાચાર અને તણાવનું નામોનિશાન ન હોય, ઉંઘની ગોળી વગર બધા નિરાંતે ઉંઘી જાય વગેરે વગેરે. આવો સમાજ કંઈ રાતોરાત તો ન જ બનેને ! કોઇકે, ક્યારેક કોઇ પણ રીતે એક ડગલુ તો માંડવુ પડેને ! એણે આવા સમાજના નિર્માણ માટે પોતાનાથી જ શરૂઆત કરવાનું વિચાર્યું. નાનું પણ એક ડગલું માંડવુ એમ એણે દ્રઢ નિર્ધાર કર્યો.
૨૦૧૪માં ગુજરાતના ડાંગ જિલ્લાના પ્રવાસ દરમિયાન સુબિર ગામે શબરી માતાના મંદિરમાં દસ રૂપિયા મૂકીને બોરના પ્રસાદ લેવાની સૂચના એણે જોઈ. મંદિરમાં આજુબાજુ કોઈ પુજારી કે ચોકીદાર દેખાય નહીં. એને ખૂબ નવાઈ લાગી. આમ પણ મંદિરોમાં પ્રમાણિકતા સહજ અપેક્ષિત હોય જ. પણ આ આખી વાત રમેશને અસર કરી ગઈ. એણે ફેસબુક ઉપર આ પહેલી પોઝિટિવ સ્ટોરીલખી. એનું મથાળું આપ્યું. ‘આજની પોઝિટિવ સ્ટોરીએની આ ફેસબુક પોસ્ટને જબ્બર પ્રતિસાદ સાંપડ્યો. પછી તો રમેશના મનમાં ચાલતુ હકારાતક્મકતાનું તોફાન ધમાસાણ મચાવતું ઉભરાવવા લાગ્યું. ત્યાર બાદ એણે જાણીતા ગુજરાતી અદાકાર અર્ચન ત્રિવેદીના કેન્સર સાથેના જંગને ફેસબુક ઉપર મૂક્યો. સેંકડો હજારો લોકોએ આ પોસ્ટ વાંચી. માનવામાં ન આવે એવું બન્યું કે, ૨૮ જેટલા કેન્સરના દર્દીઓએ રમેશની આ સ્ટોરી વાંચીને ભાઈ અર્ચન પાસેથી જીવન જીવવાનું બળ મેળવ્યું. અજિત પટેલ, અનિલ રેલિયા, ભગવાનદાસ પટેલ, જે.બી. વોરા, રાજુ જોષી, નિપેશ પંડ્યા, હરીશ ઠક્કર, પ્રદીપ ત્રિવેદી, પુંજીબહેન જેવા કેટ કેટલાય લોકોની વાત એણે શબ્દે કંડારી ફેસબુક ઉપર મઢી. મજાની વાત એ પણ બની કે, એક યુવાનને કન્યા નહોતી મળતી અને ભાઇ રમેશે એની વિષે એક વાત ફેસબુક ઉપર લખી. રમેશની પોસ્ટના આધારે એક સુશીલ કન્યાના વડિલોએ આ યુવાનનો સંપર્ક કર્યો અને મેળ પડી ગયો. પેલો યુવાન તો રમેશભાઇની જાદુગરીથી રાજીનો રેડ થઇ ગયો.
સમાજના છેવાડે વસતા નાના મનાતા લોકોની મોટી વાત ભાઈ રમેશે ઉજાગર કરવાનો રીતસરનો ભેખ લીધો છે. આમ પણ રમેશને અદના વ્યક્તિઓ વિશે લખવું પહેલેથી જ ગમે. પરિશ્રમના પ્રસવેદના બિંદુઓમાંથી મોતી શોધવાનું એને ખૂબ ભાવે. માણસપણું ઉજાગર કરવાનો રમેશને અદમ્ય ઉત્સાહ. સમાજની સાચી સુગંધ લોકોના નાકમાં ભરવા એ સતત મથામણ કરતો જણ છે.
આજે સોશિયલ મિડિયાને વક્ર દ્રષ્ટિએ જોતા લોકો સામે રમેશે ફેસબુકનો હકારાત્મક ઉપયોગ કરીને નવતર દાખલો પ્રસ્થાપિત કર્યો છે. ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ફ્રીલાન્સ કોલમ દ્વારા રમેશની કલમની પહેચાન આખા ગુજરાતને અને ગુજરાત બહાર વસતા ગુજરાતી બાંધવોને સુપેરે છે. પણ બહુ ઓછાને ખબર હશે કે, ઉત્તર ગુજરાતના નાનકડા ગામ અમરાપુરમાં પેદા થયેલા આ સાવ ગામઠી બાળકના મનમાં સમાજને બદલવાના કેવા કેવા અદભુત વિચારો આકાર લઈ રહ્યા હતા. ચાર-પાંચ ચોપડી ભણેલા પ્રભુરામ અને પ્રભાબહેનનું આ ફરજન તેની કલમને હકારાત્મકતાની તાકાત બનાવી સમાજને સુગંધીદાર બનાવવા મુઠ્ઠીઓ વાળીને રીતસર દોડી રહ્યો છે. ગામડા ગામમાં રહેતા એના માતા-પિતાને સાહિત્યનો જબરો શોખ. એતલે એમ કહેવાય કે, કદાચ શબ્દ અને સાહિત્ય એને વારસામાં મળ્યા છે. ગુજરાતી ભાષામાં પ્રાપ્ત મોટા ભાગની શ્રેષ્ઠ નવલકથાઓ રમેશે માતાને મોટેથી વાંચી સંભળાવી છે. યુવાનીમાં અમદાવાદ આવીને એણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વની અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. વૈચારિક રીતે ગાંધી રંગે રંગાયેલા રમેશની કલમમાં ગાંધીજીના વિચારોની મહેક સ્વાભાવિક રીતે જોવા મળે છે. અમરાપુરથી અમદાવાદની ભીડમાં આવ્યો ત્યારે એની આંખોમાં સમાજ માટે કંઈક કરવાનીચમક હતી.
રમેશની ફેસબુક પોસ્ટની પોઝિટિવ સ્ટોરીઝનું પુસ્તક પણ એક પ્રતિષ્ઠિત પબ્લિશરે પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકને વાચકો દ્વારા સરસ પ્રતિસાદ સાંપડ્યો છે. આ પુસ્તકના કવરનુ લોકાર્પણ એણે લખેલી પોઝિટિવ સ્ટોરીઝ પૈકીના એક પુંજીબહેનના હાથે કરાવી નવો ચીલો ચાતરવામાં આવ્યો. એની ફેસબુક પોસ્ટને લાઈક કરનારા, કોમેન્ટ કરનારા અને શેર કરનારા હજારો મિત્રો છે. જો કે મિત્રો જ એની સાચી મુડી છે. લાગણીભીના સંવેદનશીલ સ્વભાવના કારણે નાનાથી માંડી મોટા સેંકડો હજારો એના મિત્રો દેશ વિદેશમાં છે. ટેકનોલોજીના સમન્વય દ્વારા સમાજનું સાચુ અજવાળું પેશ કરનારા આ ભેખધારી ભાથીની પત્રકારત્વની શરૂઆત પણ ન્યારી છે. એ અને એના ધર્મપત્નીએ અઢી ત્રણ દાયકા પૂર્વે એક સાપ્તાહિક શરૂ કર્યું. સંપૂર્ણ હકારાત્મકતા સાથે સંપાદીત કરેલા આ સાપ્તાહિકને વેચવા માટે આ યુગલ દર બુધવારે કાંકરિયાની પાળે એમના સાપ્તાહિક અખબારનો ઢગલો લઇને પહોંચી જતું.
અમદાવાદમાં રહેતા અને લોકોની હકારાત્મકતા ઉજાગર કરતા આપોઝિટિવ મેનની પોઝિટિવિટીની કહાની દિલચશ્પ છે. એના લખાણમાં ક્યાંય કોઈ અતિશયોક્તિ કે ચાંપલુશી જોવા ન મળે. માત્ર ને માત્ર સત્ય હકીકતોના અજવાળાના જ દર્શન એના શબ્દે શબ્દમાં થાય. એક પ્રશ્ન સહેજે થાય કે સુખ એટલે શું ? આવો પ્રશ્ન પૂછવાનું મન કેમ થાય ? શું આપણે સુખી નથી ? આપણી સભ્યતા અને સંસ્કૃતિ, આપણી નથી ? આપણે દુઃખને જોવાવાળા જ છીએ ? કોઈના સંઘર્ષની સુવાસ કે કોઈના પરિશ્રમની શાનદાર વાત બીજાને પ્રોત્સાહિત કરે છે એ વાતને કેમ વિસરી જવાય ? ભાઈ રમેશની કલમ દ્વારા ઝીલાતા પોઝિટિવિટીના પોકારને જોઇને સહજ પુલકીત થઈ જવાય છે.

ધબકાર :
સર્જનાત્મકતાને યાંત્રિક કૌશલ્ય સાથે સરખાવી ન શકાય.