Tuesday, 30 July 2019

એણે ખુમારીથી કહ્યું, ‘આ ગામ નહીં, ધામ છે...’


એણે ખુમારીથી કહ્યું, ‘આ ગામ નહીં, ધામ છે...’

એપ્ટિટ્યૂડમાં ખુમારીનું સૌંદર્ય હોવુ જોઇએ. જીવનમાં સ્વભાવગત ખુમારીની સુંદરતા સમજાય તો સુખ અને એ ન સમજાય તો દુઃખ છે. સમજણથી ભરેલું જીવન સૌંદર્યથી લબાલબ હોય છે. મકાનો મોડર્ન ડિઝાઈનવાળા સુંદર અને સવલતભર્યા હોઇ શકે, પરંતુ એમાં રહેવાવાળું ચરિત્ર કદરુપું હોય તો એ કેમ ચાલે ? સડકો વિશાળ હોય અને વિચારો સાંકડા હોય તો એ ન ચલાવી લેવાય. એક ભાઈ એમના કચેરીના કામે સૌરાષ્ટ્રમાં ગયા. ઓફિસ કામ પતાવીને ગીરના પ્રગાઢ જંગલ પ્રદેશમાં ગયા. અનેકના આસ્થાનું કેન્દ્ર એવું તુલસી શ્યામ અહીં પ્રગાઢ જંગલમાં છે. આ ભાઈ રાત્રે તુલસી શ્યામ મંદિરમાં રોકાયા. અહીં આસપાસ નાની મોટી ટેકરીઓ, ઊંચા ઊંચા ઝાડ, પંખીઓનો મધુર કલરવ વગેરે મનલુભાવન હોય છે. એમાંય એકાદ વરસાદ પછી તો તુલસી શ્યામનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠતુ હોય છે. મળસ્કે ઉઠીને આ ભાઈ જંગલમાં લટાર મારવા નીકળ્યા.




મંદિર પરિસરની બહાર નૈસર્ગિક ગરમ પાણીના કુંડની પાસે નાની એવી બે-ચાર ચા-નાસ્તાની હોટલ છે. એમણે ત્યાં એક હોટલ ઉપર બેસી  ચા-ગાંઠીયા મગાવ્યા. ચા પીતા એમણે હોટલ ઉપર ગાંઠીયા બનાવતા અઢારેક વર્ષના ફુટડા યુવાનને પૂછ્યું આ ગામની વસતી કેટલી ?’ પેલા યુવાને ફટ દઈને કહ્યું આ ગામ કયાં છે આ તો ધામ છે.’
એ ભાઈ તો યુવાનનો આ જવાબ સાંભળીને રોમાંચિત થઈ ગયા. મનોમન વિચારવા લાગ્યા કે, જંગલમાં નાના એવા ગામડા ગામમાં રહેતા યુવાનની શું અદભુત ખુમારી છે ! એની સંસ્કારિતા અને સૌજન્યને સલામ છે. ગાંઠીયા બનાવતા વિશાલ નામના છોકરાનો એપ્ટિટ્યુડ ઉપર આફરીન થઈ ગયેલા પેલા ભાઈએ વળી વાતનો દોર આગળ ચલાવતા પૂછ્યું કે, ‘તું કેટલું ભણ્યો છે દોસ્ત?’ વિશાલે જવાબ આપ્યો ખાસ કંઈ ભણ્યો નથી પણ અહીં આવતા લોકોની સેવા કરવા મળે છે. એમાં જ મને આનંદ આવે છે.
તુલસી શ્યામ મંદીર પ્રગાઢ જંગલ અને કુદરતી સૌંદર્યના અદભુત નઝારા ઉપરાંત એક અનોખી પર્યાવરણીય ઘટનાનું સાક્ષી પણ છે. વિશાલની ચાની હોટલથી માંડ સો-એક મીટર દૂર ધારી બાજુ જવાના માર્ગે ૨૦૦ મીટરનો એન્ટી ગ્રેવીટીપેચ છે. બહુ ઓછા લોકો એ જાણતા હશે કે, આ જગાએ ગુરૂત્વાકર્ષણની વિરુધ્ધની અસર વર્તાય છે. આ વાત જ્યારે વિશાલે કરી ત્યારે પેલા ભાઈ વધુ ચકીત થઈ ગયા. તેમણે સ્વાનુભવ કરવાનુ નક્કી કર્યું. ત્યાં જઈને એમણે જોયું તો ભાવનગરથી તુલસી શ્યામ ફરવા આવેલા યોગેશ ત્રિવેદી નામના એક સજ્જન આ અખતરો કરતા હતા. એમણે તેમની વેગનઆર કારનું મશીન બંધ કરી દીધું તો પણ એમની કાર લગભગ ૨૦૦ મીટર પાછળ ફોર્સથી રગડવા લાગી. ઢાળ અવળી દિશામાં હતો તો પણ કાર પાછળ રગડતી હતી. આ અજબની ઘટનાનો સાક્ષી બનતા પેલા ભાઇ તો ભાવવિભોર બની ગયાં.



આ ભાઈ અને વિશાલની વાત ઉપરથી વર્ષો પહેલાં બનેલી એક ઘટના યાદ આવે છે. એક આઠ દસ વર્ષની દીકરી એના બે-ત્રણ વર્ષના નાના ભાઈને કાંખમાં લઈને ચાલતી હતી. એક સજ્જને આ દીકરીને કહ્યું બેટા, તને ભાર નથી લાગતો ?’ ત્યારે આ ટબુકલી દીકરીએ બહુ સુંદર જવાબ આપ્યો કાકા આ ભાર થોડો છે આ તો મારો ભાઈ છે.’ દીકરીના જવાબમાં ભારોભાર સંવેદનાની ખુમારી ટપકતી હતી. એની આંખો બોલતી હતી કે, ભાઇનો ભાર થોડો લાગે !
આ બે ઘટનાઓમાં માનવીય સંસ્કારીતા અને સભ્યતાની ખુમારીના દર્શન થાય છે. શિક્ષણવીદ અને ચિંતક સર્વપલ્લી રાધાકૃષ્ણનજી કહે છે કે, માનવી વૈજ્ઞાનિક સંશોધનો કરી ઝાઈડર્સના સહારે આસમાનમાં ઊડતો થઈ ગયો. મધદરીયે જળચરોની જેમ તરતા શીખી ગયો પણ શાણા-સજ્જનની જેમ પૃથ્વી ઉપર ચાલતા નથી શીખી શક્યો. દિવસે દિવસે અંતરની સંવેદનાસભર ખુમારી વધુ દેદિપ્યમાન થવી જોઈએ. પરંતુ વિટંબણા એ છે કે, ટેકનોલોજી વધી એની સાથે સાથે સંવેદનાની ખુમારી ઘટવા લાગી છે. એક ચિંતક તો ત્યાં સુધી કહે છે કે, ‘ધીસ ઈઝ ધ એજ ઓફ ગાઈડેડ મિસાઈલ્સ એન્ડ મિસગાઈડેડ મેન.’ અર્થાત આજનો યુગ લક્ષ્ય નિર્ધારિત મિસાઈલ અને લક્ષ્યવિહિન માણસોનો બનતો જાય છે.
હૃદયમાં સંસ્કારીતાની ખુમારી હોય ત્યાં દેખાવની આવશ્યકાત જ ન હોય. દેખાડા માટે ઘણી બધી રૂપકડી વાતો હોઇ શકે પણ ભાવનાત્મક ખુમારી ઘટતી જાય એ ન પાલવે. પગમાં કાંટો વાગે તો પણ જો એમ લાગે કે આસપાસ ક્યાંક ગુલાબ હશે તો એ હૃદયની શુદ્ધતાની ખુમારીની ગવાહી છે. કોઈપણ પ્રદેશના લોકોની સાંસ્કૃતિક ખુમારીનો વાસ્તવિક ચિતાર મેળવવો હોય તો એની સાથે બેસીને વાત કરીને અનુભવવી પડે. પુસ્તકો વાંચી, દાર્શનિકોને સાંભળીને કે કોઈને જોઈને ખુમારીને મહેસુસ ન કરી શકાય. સારા સંસ્કારોની શક્તિ મોલમાં નહીં પરિવારિક માહોલમાંથી જાણી-અનુભવી શકાય. શુન્ય પાલનપુરીએ ફુલોની ખુમારી ઉપર બે લીટીમાં સરસ વાત કરી છે. ‘ફુલ હોવાની ખુમારી બહુ મજાની છે મિત્રો, દિન ખુદા એવો ન લાવે કે હું પથ્થર લાગું...’
પરેશાની, તકલીફ અને મુશ્કેલીઓમાં જ સાચી ખુમારીના દર્શન થતાં હોય છે. દુઃખ એટલે ખુમારી બતાવવાનું ઉત્તમ ચોઘડીયું. સાદા શબ્દોમાં કહીએ તો ખુમારી એટલે નશો. ખુમારી એવી હોય કે જેમાં સજ્જનતાની ખુદ્દારીના ખોબલે ખોબલે ઘુંટડા ભરી શકાતા હોવા જોઇએ. ધન, વૈભવ, સત્તા વગેરે તો ખુમારી કરતા વૈચારિક ખુંવારીનાં પ્રકલ્પો બની જતા હોય છે. બક્ષી બાબુના શબ્દોમાં કહીએ તો, ‘કેટલાક લોકો એટલા બધા ગરીબ હોય છે કે એમની પાસે માત્ર પૈસા જ હોય છે.’ ખુમારીની દોલત તો ખજાનાના વૈભવનું સૌંદર્ય અલગ છે. એની માટે પ્રયાસની નથી કરવો પડતો. એ તો અનુભુતિનો અસબાબ હોય છે.

ધબકાર :
ખુમારી આંતરિક સૌંદર્યનો પડઘો છે એને બહારથી પ્રોત્સાહિત ન કરી શકાય.





No comments:

Post a Comment