Tuesday, 23 March 2021

‘મારી સાથે ચકલીઓ પણ ઘર વસાવશે...’

 


બે દિવસ પહેલા ૨૦મી માર્ચ ૨૦૨૧ હતી. એમાં નવું શું એ તો દર વર્ષે આવે જ છે ને ? હા, આ દિવસ નોખો છે. આ દિવસવર્લ્ડ સ્પેરૉ ડેતરીકે ઉજવાય છે. અને એટલે જ પ્રતિવર્ષ માર્ચ તારીખ ૨૦નું અલગ મહત્વ રહે છે. વર્ષો પહેલા ૧૯૫૮માં ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન માઓ ઝીડોંગ હતા. એમણે ચાઈનાની બેહાલ આર્થિક સ્થિતિના સુધાર માટે લોકોની જીવન શૈલીમાં બદલાવ લાવવા ચાર મહત્વના કેમ્પેઈન લોન્ચ કર્યા હતા. આ કેમ્પેઈનમાં એક મુદ્દો ચીનમાંથી ચકલીઓને નેસ્તનાબૂદ કરવાનો હતો. ઝીડોંગ માનતા હતા કે ચકલીઓ દેશના કૃષિ ઉત્પાદનને બહુ મોટું નુકસાન કરે છે.

ઝીડોંગની અપીલના કારણે છ સાડા છ દાયકા પહેલા ચીનાઓએ સાગમટે લાખો ચકલીઓની કતલ કરી નાખી. આના દુષ્પપરિણામો એવા આવ્યા કે, બીજા જ વર્ષથી ચીનના ખેડૂતોના ખેતરોમાં જીવજંતુઓનો ઉપદ્રવ ખૂબ વધી ગયો. ઊભો પાક નષ્ટ થઈ જવા લાગ્યો. ખેત ઉત્પાદનો અત્યંત ઘટવા લાગ્યા. આર્થિક અરાજકતા અને દુષ્કાળના કારણે ૪૫ લાખ ઉપરાંત ચીનાઓ મોતને ભેટ્યા. લોકો ભોજન માટે વલખા મારવા લાગ્યા. માણસ માણસને મારીને ખાવા લાગ્યા હતા. અંતે ચીનના સત્તાવાળાઓને સમજ પડી કે આના મૂળમાં ચકલીઓનો વિનાશ છે. માઓએ ચકલીઓને મારવાનો આદેશ પાછો ખેંચ્યો પછી ચકલીઓને ચીનમાં પાછી લાવવાની ઝૂંબેશ આરંભાઈ.


યુરોપ અને એશિયા ખંડમાં દરેક જગ્યાએ જોવા મળતું સરેરાશ ૧૬ સેન્ટીમીટર લંબાઈ ધરાવતું અને ૨૪થી ૪૦ ગ્રામ વજનવાળું આ ટચુકડું પક્ષી ખેતરોમાંથી જીવજંતુ ખાતું હોઈ ખેડૂતોના પાક્કા મિત્રની ભૂમિકા ભજવે છે. જીવ વૈજ્ઞાનિકોના મંતવ્ય અનુસાર વિશ્વમાં ૪૩ જેટલી ચકલીની પ્રજાતિઓ જોવા મળે છે. વધુ પડતી ગરમી, શહેરીકરણની આંધળી દોટ, બેફામ વૃક્ષ છેદન, અતિશય પ્રદૂષણ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના હદથી વધારે ઉપયોગથી ચકલીઓની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જાય છે. આ ઉપરાંત મોબાઈલ ટાવરના વેવ્સના કારણે ચકલીઓનું મોટા પ્રમાણમાં નિકંદન નીકળી રહ્યું હોવાનું માનવામાં આવે છે. ચકલી એક એવું પંખી છે કે, જે સદાય પ્રસન્નચિત્તે ચીંચીં કરી આસપાસનું વાતાવરણ પ્રફુલ્લીત રાખે છે. પરંતુ ચકલીઓની વસતી ચિંતાજનક રીતે ઘટતા વર્ષ ૨૦૧૦માં માર્ચ તારીખ ૨૦ને વિશ્વ ચકલી દિવસતરીકે સૌ પ્રથમ વખત ઉજવીને જગત આખામાં ચકલીઓના સંવર્ધન માટે સંનિષ્ઠ પ્રયાસો આરંભાયા.


મહેસાણાના વિસનગર તાલુકાના થલોટા ગામના એક યુવાન રાહુલે ચકલીઓના સંવર્ધનની દિશામાં સરસ પ્રયોગ કર્યો. અનુસ્નાતકનો અભ્યાસ કરીને એક નેશનલ કંપનીમાં જોબ કરતા રાહુલના વર્ષ ૨૦૧૯માં જ્યારે લગ્નની વાત પાકી થઈ ત્યારે એણે પરિવારમાં એક પ્રસ્તાવ મૂક્યો કે, ‘મારું ઘર હું વસાવવા જઈ રહ્યો છું ત્યારે ચકલીઓના ઘર પણ વસે એવું કંઇક મારે કરવું છે.’ જ્યારે રાહુલે એનો આ વિચાર મૂક્યો ત્યારે એના માતા પિતાએ કહ્યું શું કરવું છે તારે ?’ રાહુલે કહ્યું, ‘નિમંત્રણ અને કંકોત્રીમાં હજારો રૂપિયા વેડફાઈ જાય છે. કોઈને એનું મહત્વ નથી હોતું ત્યારે હું મારી કંકોત્રીમાંથી ચકલી ઘર બને એવી પુંઠાની કંકોત્રી બનાવીશ.’ વડીલોને રાહુલની આ વાત ન ગમી. એમણે કહ્યું, ‘બેટા આ તારું ગાંડપણ છે. આવું આપણા સમાજમાં કોઈએ નથી કર્યું. તું આમ ન કર.’ પરંતુ રાહુલ એની વાત ઉપર અડગ રહ્યો. અંતે માતાપિતા સંમત થયા. રાહુલે પુંઠાનુ ચકલી ઘર બનાવી એની ઉપર લગ્નની નિમંત્રણ પત્રિકા બનાવી. મિત્રો, સગા અને સ્નેહીઓને એ મોકલતા સૌ કોઈને સાનંદાશ્ચર્ય થયું.

લગભગ બધા જ મહેમાનોએ રાહુલે મોકલેલા પુંઠાની કંકોત્રી ફોલ્ડ કરી ચકલી ઘર બનાવી તેમના ઘરમાં રાખી ચકલીઓને આવકારવાનું કામ કર્યું. સેંકડો ચકલીઓ આનંદથી ચીં ચીં કરતી એ લોકોના ઘરમાં ઉડા ઉડ કરવા લાગી. ઘણા મિત્રો અને સગાવહાલાઓએ રાહુલને એમના આંગણામાં લાગેલા ચકલી ઘરમાં મોજ કરતી ચકલીઓના ફોટા પાડી શેર પણ કર્યા. રાહુલ અને એની તબીબ પત્ની આનાથી ખૂબ પ્રફુલ્લિત થયા. રાહુલના ઘણા મિત્રો પણ એના આ વિચારને આગળ ધપાવવા એમના પ્રસંગમાં પણ આવો પ્રયોગ કરવાનુ વિચારી રહ્યાં છે. એક સારા વિચારને કેવો અદભુત પ્રતિસાદ સાંપડે એનુ આ ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ રાહુલના આ વિચારની પત્ર પાઠવી સરાહના કરીને રાહુલને શુભેચ્છાઓ આપી છે.


એક યુવાનની આ વાત અત્યંત પ્રેરણાદાયી છે. સાહિત્ય સર્જકો અને કવિઓએ પણ ચકલી માટે શબ્દોથી ફુલડા ચડાવ્યા છે. થોડા સમય પહેલા કવિ જિતેન્દ્ર જોશીએ સ્કૂટરના સાઈડ મીરરમાં ચાંચ મારતા ચકલાને જોઈને એક સુંદર કવિતા લખી હતી એ યાદ આવી ગઈ. કવિ જિતેન્દ્ર લખે છે કે, ‘અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ, આવ તને સમજાવું, ચકલી આ દર્પણનું સાચ...’ આમ તો જ્યારે જ્યારે ચકલીની વાત નીકળે એટલે ર.પા.ની તકીયા કલામ જેવી રચના, ‘તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડુ, મારે ફળીએ ચકલી બેસે તો મારું રજવાડું...’ ફર ફર ઉડતી જેવી પ્રફુલ્લિત ચકલી  જેવી લાગણી હૃદયમાં ભરી દેતી હોય છે.

ચકલી આમ તો માંસાહારી પંખી કહેવાય. જીવ-જંતુ અને પતંગીયા એનો પ્રિય ખોરાક છે. પરંતુ માનવ વસાહતમાં હળીમળીને રહેવાનો સ્વભાવ ધરાવતી ચકલીએ એની ફુડ હેબીટમાં પણ ધરમૂળથી બદલાવ કર્યો છે. દાણા, શાકભાજી, બાફેલા ચોખા વગેરે ચકલી ખાય છે. ભારત, અમેરિકા, આફ્રિકા, ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં માનવ વસાહતો સાથે ચકલીઓએ રહેવાનું ચાલુ કરી દીધું છે. સામાન્ય રીતે શહેરી વિસ્તારોમાં છ પ્રજાતિની ચકલીઓ વધુ જોવા મળતી હોય છે. ચકલીને અંગ્રેજીમાં હાઉસ સ્પૈરો, સ્પેનિશ સ્પૈરો, સિંડ સ્પૈરો, રસેટ સ્પૈરો, ડેડ સી સ્પૈરો અને ટ્રી સ્પૈરોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. ભારતમાં અલગ અલગ પ્રદેશમાં ચકીબેનના નામ પણ જુદા જુદા છે. હિન્દીમાં ગૌરૈયા, તામિલમાં કુરુવી, તેલુગુમાં પીચુકા, કન્નડમાં ગુબ્બાએહી, મહારાષ્ટ્રમાં ચિમની, જમ્મુ કાશ્મીરમાં ચેર, પંજાબીમાં ચૈરઈન કહે છે. ચકા રાણા એટલે કે નર ચકલી જગા શોધી માળો બનાવવાની જવાબદારી નીભાવી ચકી બહેનને આકર્ષિત કરવાનુ કાર્ય કરે છે. ચકલીઓનું સરેરાશ આયુષ્ય ૧૨થી ૧૪ વર્ષનું હોય છે. ચકલીઓની એક વિશેષતા એ પણ છે કે, એના જન્મથી સમગ્ર જીવનકાળ દરમિયાન બે કિલોમીટરની પેરીફેરીમાં જ રહે છે.

માનવમિત્ર એવું આ મઝાનું પંખી લુપ્ત થવાની કગાર ઉપર છે. રાહુલની જેમ સૌ કોઈએ યથાશક્તિ ચકલીઓના સંવર્ધનની દિશામાં સ્વયંભુ આગળ આવવાનો સમય પાકી ગયો છે. ડાળે-ડાળે ઘેલી-ઘેલી થઈને ઘૂમતી, ચીંચીં કરી વાતાવરણને આહલાદક બનાવી દેતી ચકલીઓ આપણી સાથે રહેવા થનગનતી હોય છે. આપણે એને પ્રેમથી સત્કાર આપવાનો છે. એની ચંચળતા અને મોજીલાપણાને હૃદયમાં સ્થાન આપવાનું છે. આગામી સમયમાં ચકલીઓની વસતી ઓછી થવાની ચિંતા ન થાય એ માટે આવનારી પેઢીને વધુ પ્રાણવાન બનાવવાની દિશામાં સૌએ જાગૃત પ્રયાસો કરવાના રહે.


ધબકાર : ‘ચકલીની ચીંચીં પર ઓવારી જાય મારી ઓસરીનો થાક, શૈશવ જો ઓચિંતુ આવી ભટકાય તો મારો શોં વાંક ?’ – અજ્ઞાત




 

નાસમજ હોવાની સમજ બુદ્ધિશાળી હોવાની ખાતરી છે


    


જગપ્રસિદ્ધ કાવ્ય સર્જક અને વિદ્વાન નાટ્યકાર વિલિયમ સેક્સપિયરે એક વિચાર આપ્યો હતો કે, ‘નામમાં શું છે ? ગુલાબનું નામ ગમે તે હોત પરંતુ તેની સુગંધ તો એ જ રહેત.’ મજાની વાત એ છે કે, આ મજબૂત વિચાર લખ્યા બાદ વિલિયમ સેક્સપિયરે નીચે પોતાનું નામ તો આપ્યું જ હતું. જો કે, એ અલગ ચર્ચાનો મુદ્દો હોઈ શકે. ભારતમાં મધ્ય પ્રદેશ રાજ્યના રાયસણના નાના એવા કુરવાડા ગામમાં બાબુલાલ અને સરસ્વતીના તારણપંથી દિગંબર જૈન પરિવારમાં જન્મેલા ચંદ્રમોહન જૈન નામના મેઘાવી બાળકે એના સમગ્ર જીવન દરમિયાન ત્રણ ચાર અલગ અલગ નામો રાખ્યા. પરંતુ એના વિચારો અને તર્કે સમગ્ર જગતમાં નવી ચેતના જગાવવામાં મોટો ભાગ ભજવ્યો. કદાચ એટલે જ લોકોએ એમના તમામ નામને હદયપૂર્વક સત્કાર્યા.

ચંદ્રમોહન પોતાના સમગ્ર જીવન દરમિયાન નામ બદલતા રહ્યા. છેલ્લે એ ઓશો નામે ઓળખાતા હતા. આ ઓશો શબ્દ પ્રસિદ્ધ કવિ વિલિયમ જેમ્સના સર્જન ‘ઓશોનિક એક્સપીરિયંસ’ના ‘ઓશોનિક’ શબ્દ ઉપરથી લીધુ હોવાનું ઓશો કહે છે. ઓશો શબ્દ ‘ઓશન’ એટલે કે સાગર ઉપરથી જરૂર છે પણ ‘ઓશો’નો અર્થ સાગર નહીં, ‘સાગરમાં વિલીન થઈ જવું’ એમ થાય છે. ચંદ્રમોહન ૧૯૬૦ના દશકમાં આચાર્ય રજનીશના નામથી ઓળખાતા. ત્યારબાદ ૧૯૭૦ના દાયકામાં ભગવાન રજનીશ અને છેલ્લે ૧૯૯૧થી ઓશો તરીકે લોકો એમને ઓળખતા. નામ ભલે અલગ રહ્યાં પણ એમના શબ્દો અને વિચારોમાં જબરજસ્ત સ્પાર્ક હંમેશા રહ્યો છે. મુંબઈના મંચ ઉપરથી ૭૦ના દાયકામાં એમના પ્રખર વિચારોના મંડાણ થયા. પછી તો પુના, ગુજરાત, મધ્યપ્રદેશ, દક્ષિણ ભારતથી માંડીને પશ્ચિમના દેશો સહિત અનેક શહેરોમાં તેમની વાણીને લોકોએ ભરપુર પ્રેમ અને આદર આપ્યો. જો કે સ્ત્રી-પુરુષના શારીરિક સંબંધો વિશેના એમના પ્રવચન અને ઓરોગન આશ્રમમાં ફુડ પોઈઝનિંગની ઘટનાના કારણે ઓશો થોડો સમય વિવાદોના વમળમાં પણ રહ્યા.


ઓશોના વક્તવ્યમાં સટિક ઉદાહરણો અને માર્મિક કાવ્ય રચનાઓનો મહાસાગર હોય છે. એમના પ્રવચનોમાં આપેલા સચોટ ઉદાહરણો જીવન પથદર્શક બની જાય છે. સાંભળનારને એમ લાગે કે, આ ઘટનાનો મારી સાથે જ અતુટ નાતો છે. એમની અસ્ખલીત વાણીમાં વહેલી કવિતાઓના સંદર્ભમાં જીવન જીવવાનું બળ મળી જતુ હોય છે. એમની કેટલીક કવિતા અને ઉદાહરણો તો એવા હોય છે કે, એકાદ બે મિનિટમાં કોઈ મહાગ્રંથ જેટલું સત્ય સમજાવી જાય છે. એમના વક્તવ્યમાં અપાયેલા ઉદાહરણો અને કાવ્ય સંદર્ભોમાં સદાય અદભુત મેગ્નેટિક ટચ જોવા મળ્યો છે.

માનવીની સુખની અભિલાષાને એમણે અનેકવાર અલગ અલગ દ્રષ્ટિકોણથી રજૂ કરી છે. દરેક આસક્તિનો અંત ઉદાસી હોય છે. ઓશો કહે છે કે, તમે જીવનમાં ઘણી બધી વાર અનેક બાબતના પ્રેમમાં પડ્યા છો. પણ આખરે તો તમારા હાથ ખાલી જ રહી જતા હોય છે. જીવનમાં બહાર જ્યાં જૂઓ ત્યાં દુઃખ જ દેખાય છે. આપણે રોજેરોજ એકની એક પ્રવૃત્તિ વારંવાર કરતા રહીએ છીએ. ક્રોધ, અહંકાર, ઈર્ષા હજારો વાર કરતા રહીએ છીએ. પછી દુઃખી થતા રહીએ છીએ. એ કહેતા કે, ફક્ત એકાદ મહિનો ડાયરી લખીને ચકાસી જૂઓ કેટલી બધી વાતનું વારંવાર રીપીટેશન આપણે કરતા રહીએ છીએ.


નારાજી, દુઃખી, પીડીત, અપમાનીત, મોહિત, રાગ, દ્વેષ, બધી જ લાગણીઓમાંથી પસાર થઈ ગયા. એના પછી શું ? એકની એક વાત ઉપર ક્યાં સુધી દુઃખી થવાનું ? આ વાત ઉપર સરસ કાવ્ય દ્રષ્ટાંત રજૂ કરતા ઓશો કહે છે કે,

કુછ ઈસ કદર હૈ ગમે જિંદગી સે દિલ માયુસ

ફીઝા ગઈ તો બહારો મેં ભી જી નહિં લગતા

એક ઉદાહરણમાં ઓશો કહે છે કે, ફુલોને સાચવી રાખો તો એકા’દ દિવસ પછી એ સડી જશે એમાંથી સુવાસને બદલે દુર્ગંધ મારશે, પણ હજારો ફૂલોને નીચોવી એનો અર્ક કાઢી અત્તર બનાવી લેવાય તો એની મહેંકને અમરત્વ મળી જશે. જીવનના અનુભવોનો અર્ક અત્તર જેવું કામ કરે છે. અનુભવથી વ્યક્તિ બુદ્ધિમાન બને છે. શાસ્ત્રો કે પાંડિત્યથી ભરેલા પુસ્તકોથી બુદ્ધિમાન ન બની શકાય. એ પોપટથી વિશેષ કશું જ ન બનાવી શકે. નાસમજ હોવાની સમજ બુદ્ધિમાન હોવાની ખાતરી છે.


સામાન્ય રીતે વ્યક્તિ દુઃખના ખ્યાલોના વર્તુળમાં જાતે જ ઉત્સાહથી પ્રવેશી જાય છે. પછી દુઃખી થઈ જાય છે. દુઃખ તો જ્યારે આવશે ત્યારે દેખા જાયેગા, તકલીફ તો એ છે કે, આપણે દુઃખ આવે ત્યારે ખુમારીથી એનો મુકાબલો કરવાને બદલે ઢીલાઢફ થઈને બરડો ધરી દઈએ છીએ. તકલીફને ફટકા મારવા નોતરું આપી દઈએ છીએ. ઓશો કહે છે કે, કોઈપણ કારણ વગર પણ અંતરમાં ઉત્સાહનો ફુવારો ઊડતો હોય છે એને માણતા શીખવુ પડે. દુઃખ તો એ થવું જોઈએ કે, આ ફુવારામાં આપણે ભીંજાતા જ નથી. શૈશવ નાચે-કુદે, ઝરણું ખળખળ વહે, વસંતમાં વૃક્ષો નવી કુંપળ સાથે નૃત્ય કરે, ફુલોની મહેંક પવન ઉપર સવાર થઈને મોજથી માઈલોનો પ્રવાસ કરે છે. જગતમાં ઇશ્વર નિર્મિત દરેકની પાસે પોતાની અલગ શક્તિ અને અલગ ઓળખ છે. આમાં કોઈ પણ અર્થ વગરનો ઉમંગ છે. આ જ તો અદભુત ઐશ્વરીય અનુબંધ છે.


ધબકાર :

‘વો કહતે હૈ કી, કૂદને સે પહલે દો બાર સોચો. મૈં કહતા હું, પહેલે કૂદો ઔર ફીર જીતના ચાહો ઉતના સોચો.’  – ઓશો 




Tuesday, 9 March 2021

નૃત્ય-સંગીતને આંતરિક ઉર્જાની અભિવ્યક્તિનો કોસ્મિક પાવર કેમ કહેવાય છે ?

 



ક્યારેય વિચાર્યું છે કે, ફિલ્મોમાં વાર્તા સાથે ગીત, સંગીત અને ડાન્સના સેગમેન્ટ કેમ હોય છે ? ટીવી ઉપર વુગી વુગી, નચબલીયે, સારેગમ જેવા ડાન્સ શો કેમ પોપ્યુલર બન્યા છે ? માનવીના જીવન સાથે નૃત્યકળા અને ગીત સંગીતનો અતુટ નાતો રહ્યો છે. આ નાતો ઔપચારિક કે ઉપરછલ્લો હોત તો બહુ લાંબો ટક્યો જ ન હોત. નૃત્ય અને સંગીત એક કોસ્મિક પાવર છે. આધ્યાત્મિક ચેતના તેની સાથે સાંગોપાંગ જોડાયેલી હોય છે. આનંદની અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ નૃત્ય છે. માનવીના જન્મથી માંડીને સહજીવનની શરૂઆત, ધાર્મિક ઉત્સવ કે સામાજિક પ્રસંગોનો ઉલ્લાસ નૃત્યના માધ્યમથી મહેંકતો હોય છે. વાસ્તુ, શિલ્પ, સંગીત, ચિત્ર અને કાવ્ય પાંચ લલીતકલાઓનો આપણા જીવન સાથે પ્રગાઢ સંબંધ છે. આ પાંચેય કલામાં પોતાની મધુરતા, સાહજિકતા અને પ્રભાવશાળીતાના કારણે નૃત્ય-સંગીત કલાનો વિશેષ મરતબો છે.


સંગીત કલા સાથે નૃત્ય કલાની સાધના સંકળાયેલી છે. સંગીત અને નૃત્યકલા એક એવો સાહજિક આધ્યાત્મિક માર્ગ છે કે જેના દ્વારા વ્યક્તિ સાધક બની ઈશ્વરની સમીપ પહોંચી જતો હોય છે. ઓશોના મતે નૃત્યમાં એવી અદભુત તાકાત હોય છે કે, વ્યક્તિ સ્વનું અસ્તિત્વ ઓગાળી પરમાત્મામાં લીન થઈ જતો હોય છે. મહાપ્રભુ ચૈતન્ય અને પ્રેમદીવાની મીરા જેવા અનેક ઉદાહરણો નૃત્યકલા સાધનાની સહજ સમજ આપે છે.

કટકના એક સંગીતપ્રેમી પરિવારમાં જન્મેલી સંગીત વિશારદ શ્રીમતી સુપ્રભા મિશ્રા સંગીત કલાની ઉપાસના માટે ઓમ આર્ટસ ડાન્સ એકેડેમીની સ્થાપના કરીને બાળકોને તાર્કિક દ્રષ્ટિકોણથી વૈજ્ઞાનિક ઢબે પદ્ધતિસરનું નૃત્ય શિક્ષણ આપી રહ્યાં છે. એમણે નૃત્ય કલાને બરાબર પચાવી છે. સુપ્રભાજીએ ઓડિસી નૃત્યની વિસ્તૃત સમજ આપતું ભારતીય નૃત્યઉપર સુંદર જ્ઞાનસભર પુસ્તક લખ્યું છે. સુપ્રભા મિશ્રા ન કેવળ એક કુશળ નૃત્યાંગના છે બલ્કે ઊંચા ગજાના શબ્દ સર્જક પણ છે. એમણે માત્ર નૃત્ય સાધના ન કરી પણ એમના સંપર્કમાં આવનારા અનેકને નૃત્ય કલાનું જ્ઞાન પીરસ્યું છે. કટકમાં એમણે શ્રી રઘુનાથ દત્તાજી પાસેથી નૃત્ય કલાનો અભ્યાસ કર્યો. પદ્મભૂષણ કેલુચરણ મહાપાત્રજી અને શ્રી ગંગાધર પ્રધાનજી પાસેથી ઉચ્ચ નૃત્યકલાનુ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. સુપ્રભાજીની સંગીત સાધના  પ્રેમ અનન્ય છે.


આમ તો માનવ સાભ્યતામાં નૃત્ય કલાનો પ્રવેશ ક્યારે થયો તેનું ચોક્કસ આકલન કરવું મુશ્કેલ છે પરંતુ કેટલાક પૌરાણિક ગ્રંથોના સહારે નૃત્ય કલા સાધનાને સમજવાનું રસપ્રદ બની જાય છે. યુરોપમાં ઈસવીસન પૂર્વે ૨૫૦૦ વર્ષ પહેલાં નૃત્યના આવિષ્કારનું પ્રમાણ મળે છે. ભારતમાં નૃત્યના પ્રવેશનુ ચોક્કસ કોઈ પ્રમાણ નથી પરંતુ જુદા જુદા શાસ્ત્રીય પુરાવાઓના આધારે એવું અનુમાન કરવામાં આવે છે કે નૃત્ય એક અતિ પ્રાચિન કલાના રૂપમાં સેંકડો વર્ષોથી પ્રસિદ્ધ છે.


કહેવાય છે કે, ભારતમાં આર્યો, કાસ્પિયન સાગરથી પ્રવેશ્યા. જો કે, ઈતિહાસકારો અને પુરાતત્વવિદોનો આ અંગે મત મતાંતર છે. ઈસવીસન પૂર્વે ૩૦૦૦ વર્ષો પહેલાં સિંધુ નદીના કિનારે વસેલી હરપ્પા અને મહોન-જો-દરો સંસ્કૃતિમાં નૃત્ય અને ગીતના સચોટ પુરાવા જોવા મળ્યા છે. મહોન-જો-દરોમાં ઉત્ખનન દરમિયાન મળેલા ક્ષતિગ્રસ્ત સ્તુપોમાંથી એક વાંસળી મળી હતી જેમાં સાત છિદ્ર હતા. આ ઉપરાંત ઉત્ખનન વેળા વીણા, ચામડાનું વાદ્ય, તાંબાની નૃત્ય કરતી મહિલા વગેરે પ્રાપ્ત થયા છે. ડૉ. લક્ષ્મણ સ્વરૂપ કહે છે કે, મહોન-જો-દરોમાંથી પ્રાપ્ત નૃત્યની મુદ્રા, ઢોલ વગાડતા નર, તથા હરપ્પાના ખોદકામ વેળા વાઘ સામે નગારું વગાડતા પુરુષની પ્રતિમા તત્કાલિન સમયમાં નૃત્યકલાની લોકપ્રિયતા પ્રતિપાદિત કરે છે.


હવે એથી પણ આગળ રોમાંચિત કરી દે એવા વેદકાલીન સમયમાં નૃત્ય કલા અંગેના ઉલ્લેખની વાત કરીએ. ઋગ્વેદ ભારતનો પ્રાચીન દસ્તાવેજ છે. વેદ શબ્દનો અર્થ જ જ્ઞાન થાય છે. હિન્દુ સમાજનો વિશ્વાસ છે કે, વેદનું નિર્માણ મનુષ્ય નહી સ્વયં પરમેશ્વરના મુખમાંથી નીકળેલી વાણીથી થયું છે. ઋકસંહિતાની રચનાનો કાળખંડ ઈસવીસન પૂર્વે ૨૦૦૦થી ૧૫૦૦ની વચ્ચેનો હોવાનું અનુમાન છે. વૈદિક યુગમાં નૃત્ય, ગીત, વાદ્યના વિકાસના પ્રમાણ મળે છે. ઋગ, યજુર્વ, સામ અને અથર્વ ચારેય વેદમાં ગીત-સંગીત અને નૃત્યનાં સુપેરે ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદની એક ઋચા છે, ‘હે નૃતવો નૃત્યંતઃ, હે રીકન બક્ષ્ય સઃ વોચમાનાક્ષરણં નૃતમાનો નૃત્વન્નમરતો મરણાધર્મા સત્વ બસમાનં’. જ્યારે સામવેદમાં ગાય ગીતિં કુરુ, તત્ર દૃષ્ટાંતઃ વંશમિવ યથા વંશાગ્ને નૃત્યંતઃ શિલ્પનઃ જેવા ઉલ્લેખો જોવા મળે છે. પ્રોફેસર શિલમાલેના મત અનુસાર વૈદિક યુગમાં સંગીતકલા પૂર્ણરૂપથી વિકસી હતી. ઋગ્વેદમાં યુવતીઓ અલંકારો પહેરીને નૃત્ય કરીને પ્રિયજનને આકર્ષિત કરતી હોવાનું પ્રમાણ જોવા મળે છે.


વૈદિક કાળખંડ બાદ આદિકવી વાલ્મિકી રચિત મહાકાવ્ય રામાયણમાં સંગીત-નૃત્યકલાના ઉલ્લેખો જોવા મળે છે. ૨૪૦૦૦ શ્લોક અને સાત ખંડમાં વિસ્તરેલા આ મહાકાવ્યમાં સિયાવર રામચંદ્રજીના રાજ્યાભિષેક વેળા કરેલા વર્ણનમાં નટ, નર્તક, ગાયકો અને ગીતો સાથે મનભાવન કાવ્ય સર્જનની વાત છે. ત્યારબાદ ૯૦,૦૦૦ શ્લોક અને ૧૮ સર્ગમાં પથરાયેલા મહાભારતમાં આચાર્ય વેદવ્યાસજીએ પણ નૃત્યકલાનું વર્ણન કરેલું છે. આ કથા યુગપુરુષ શ્રીકૃષ્ણની છે. એમનો શૈષવકાળ, કિશોરાવસ્થા, યુવાનીના વિવિધ પ્રસંગોમાં નૃત્ય, ગીત સંગીતના પાસા ઉઘડતા જોવા મળ્યા છે. આ ઉપરાંત અર્જુને અમરાવતીમાં વિતાવેલા પાંચ વર્ષો દરમિયાન ગાંધર્વો પાસેથી નૃત્ય ગીત-સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવાનું વર્ણન પણ જોવા મળે છે.

ઈસવીસન પૂર્વે ૬૦ થી ૩૦૦ સુધીનો કાળખંડ બૌદ્ધ સંસ્કૃતિનો યુગ તરીકે ઓળખાય છે. એ સમયગાળામાં થયેલા આચાર્ય વિષ્ણુ ગુપ્ત ચાણક્યએ આપેલા કૌટિલ્ય નામના વિરાટ ગ્રંથ અર્થશાસ્ત્રમાં નૃત્ય, ગીત-સંગીતના પ્રસ્તુતકર્તાને આપવાના પુરસ્કાર અંગેનો ઉલ્લેખ મળે છે. આ ઉપરાંત ગુપ્તવંશના રાજાઓની કવિસભામાં હરિસેન અને વીરસેનના નામથી સૌ કોઈ પરિચિત છે. વિક્રમાદિત્ય ચંદ્રગુપ્તના દરબારના નવરત્નોમાં કાલિદાસનુ નામ પ્રચલીત છે. ઋતુસંહાર અને મેઘદૂત મહાકાવ્ય અને પ્રાચિન રઘુવંશ અને કુમાર સંભવ કાલિદાસની અમર રચનાઓ છે. એમના આ સર્જનમાં નૃત્ય, ગીત, સંગીતના ઘણા ઉલ્લેખો છે. હરિવંશકાર ગંધર્વ અર્થમાં, સ્કંધ પુરાણમાં, બ્રહ્મપુરાણમાં નૃત્યકલાના સંદર્ભો સાંપડે છે.


આદિ-અનાદિકાળથી નૃત્ય, ગીત અને સંગીતનો માનવ સભ્યતા ઉપર પ્રભાવ જોવા મળે છે. ત્યાર બાદ જળમાર્ગે આવેલા વાસ્કો-ડી-ગામાના ભારતવર્ષમાં પ્રવેશ બાદ પાશ્ચાત્ય દેશો સાથે ભારતના વેપાર વણજ વિકસયા પરંતુ બીજી બાજુ અંગ્રેજોનું સામ્રાજ્ય સ્થપાયા બાદ એમણે ભારતીય નૃત્ય કલા અને સંગીતકલા ક્ષેત્રે ખૂબ ઉદાસીન વલણ દાખવ્યું. ભારતીય નૃત્ય કલાનો વર્ષ ૧૯૨૨માં પુન:ઉદય થયો. જાણીતા બેલે ડાન્સર અન્નાયાભલોભા ભારત આવ્યા. એ અજંટા-ઈલોરાની ગુફાઓના પ્રવાસે ગયા. ત્યાંના નૃત્ય આધારીત શીલ્પ સ્થાપત્યથી એ અત્યંત મંત્રમુગ્ધ બની ગયા. સુંદર કમનીય નૃત્ય અદાઓને નાટ્યરૂપ આપવા એ થનગની ઊઠ્યા. ઈંગ્લેન્ડ જઈને એમણે વિલિયમ રોઈનસ્ટાઈનને એક સહકલાકાર માટે અનુરોધ કર્યો. એ વખતે ઉદયશંકર રોયલ કૉલેજ ઑફ આર્ટસના વિદ્યાર્થી હતા. અન્નાયાભલોભાએ ઉદયશંકરને એમના ડાન્સ ગ્રુપમાં સામેલ થવા નિમંત્રણ આપ્યું. ઉદયશંકરે ભારતીય નૃત્ય શૈલીનો પ્રસાર કર્યો અને હિન્દુસ્તાની નૃત્યના પુનઃ ઉદયના શિલ્પી બન્યા. શાસ્ત્રો, ઇતિહાસ, પુરાણો અને સંસ્કૃતિ સાક્ષી છે કે સંગીત અને નૃત્ય એક કલા તો છે જ પરંતુ એથી પણ આગળ વધીને સંસ્કાર અને સાધનાનું પવિત્ર માધ્યમ છે.

 

 

ધબકાર : નૃત્ય હાથ પગના ઉલાળા માત્ર નહીં આત્માની આંતરિક ઊર્જાની અભિવ્યક્તિનુ માધ્યમ છે.




https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/march2021/09032021-4.pdf