Tuesday, 23 March 2021

‘મારી સાથે ચકલીઓ પણ ઘર વસાવશે...’

 


બે દિવસ પહેલા ૨૦મી માર્ચ ૨૦૨૧ હતી. એમાં નવું શું એ તો દર વર્ષે આવે જ છે ને ? હા, આ દિવસ નોખો છે. આ દિવસવર્લ્ડ સ્પેરૉ ડેતરીકે ઉજવાય છે. અને એટલે જ પ્રતિવર્ષ માર્ચ તારીખ ૨૦નું અલગ મહત્વ રહે છે. વર્ષો પહેલા ૧૯૫૮માં ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન માઓ ઝીડોંગ હતા. એમણે ચાઈનાની બેહાલ આર્થિક સ્થિતિના સુધાર માટે લોકોની જીવન શૈલીમાં બદલાવ લાવવા ચાર મહત્વના કેમ્પેઈન લોન્ચ કર્યા હતા. આ કેમ્પેઈનમાં એક મુદ્દો ચીનમાંથી ચકલીઓને નેસ્તનાબૂદ કરવાનો હતો. ઝીડોંગ માનતા હતા કે ચકલીઓ દેશના કૃષિ ઉત્પાદનને બહુ મોટું નુકસાન કરે છે.

ઝીડોંગની અપીલના કારણે છ સાડા છ દાયકા પહેલા ચીનાઓએ સાગમટે લાખો ચકલીઓની કતલ કરી નાખી. આના દુષ્પપરિણામો એવા આવ્યા કે, બીજા જ વર્ષથી ચીનના ખેડૂતોના ખેતરોમાં જીવજંતુઓનો ઉપદ્રવ ખૂબ વધી ગયો. ઊભો પાક નષ્ટ થઈ જવા લાગ્યો. ખેત ઉત્પાદનો અત્યંત ઘટવા લાગ્યા. આર્થિક અરાજકતા અને દુષ્કાળના કારણે ૪૫ લાખ ઉપરાંત ચીનાઓ મોતને ભેટ્યા. લોકો ભોજન માટે વલખા મારવા લાગ્યા. માણસ માણસને મારીને ખાવા લાગ્યા હતા. અંતે ચીનના સત્તાવાળાઓને સમજ પડી કે આના મૂળમાં ચકલીઓનો વિનાશ છે. માઓએ ચકલીઓને મારવાનો આદેશ પાછો ખેંચ્યો પછી ચકલીઓને ચીનમાં પાછી લાવવાની ઝૂંબેશ આરંભાઈ.


યુરોપ અને એશિયા ખંડમાં દરેક જગ્યાએ જોવા મળતું સરેરાશ ૧૬ સેન્ટીમીટર લંબાઈ ધરાવતું અને ૨૪થી ૪૦ ગ્રામ વજનવાળું આ ટચુકડું પક્ષી ખેતરોમાંથી જીવજંતુ ખાતું હોઈ ખેડૂતોના પાક્કા મિત્રની ભૂમિકા ભજવે છે. જીવ વૈજ્ઞાનિકોના મંતવ્ય અનુસાર વિશ્વમાં ૪૩ જેટલી ચકલીની પ્રજાતિઓ જોવા મળે છે. વધુ પડતી ગરમી, શહેરીકરણની આંધળી દોટ, બેફામ વૃક્ષ છેદન, અતિશય પ્રદૂષણ, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના હદથી વધારે ઉપયોગથી ચકલીઓની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જાય છે. આ ઉપરાંત મોબાઈલ ટાવરના વેવ્સના કારણે ચકલીઓનું મોટા પ્રમાણમાં નિકંદન નીકળી રહ્યું હોવાનું માનવામાં આવે છે. ચકલી એક એવું પંખી છે કે, જે સદાય પ્રસન્નચિત્તે ચીંચીં કરી આસપાસનું વાતાવરણ પ્રફુલ્લીત રાખે છે. પરંતુ ચકલીઓની વસતી ચિંતાજનક રીતે ઘટતા વર્ષ ૨૦૧૦માં માર્ચ તારીખ ૨૦ને વિશ્વ ચકલી દિવસતરીકે સૌ પ્રથમ વખત ઉજવીને જગત આખામાં ચકલીઓના સંવર્ધન માટે સંનિષ્ઠ પ્રયાસો આરંભાયા.


મહેસાણાના વિસનગર તાલુકાના થલોટા ગામના એક યુવાન રાહુલે ચકલીઓના સંવર્ધનની દિશામાં સરસ પ્રયોગ કર્યો. અનુસ્નાતકનો અભ્યાસ કરીને એક નેશનલ કંપનીમાં જોબ કરતા રાહુલના વર્ષ ૨૦૧૯માં જ્યારે લગ્નની વાત પાકી થઈ ત્યારે એણે પરિવારમાં એક પ્રસ્તાવ મૂક્યો કે, ‘મારું ઘર હું વસાવવા જઈ રહ્યો છું ત્યારે ચકલીઓના ઘર પણ વસે એવું કંઇક મારે કરવું છે.’ જ્યારે રાહુલે એનો આ વિચાર મૂક્યો ત્યારે એના માતા પિતાએ કહ્યું શું કરવું છે તારે ?’ રાહુલે કહ્યું, ‘નિમંત્રણ અને કંકોત્રીમાં હજારો રૂપિયા વેડફાઈ જાય છે. કોઈને એનું મહત્વ નથી હોતું ત્યારે હું મારી કંકોત્રીમાંથી ચકલી ઘર બને એવી પુંઠાની કંકોત્રી બનાવીશ.’ વડીલોને રાહુલની આ વાત ન ગમી. એમણે કહ્યું, ‘બેટા આ તારું ગાંડપણ છે. આવું આપણા સમાજમાં કોઈએ નથી કર્યું. તું આમ ન કર.’ પરંતુ રાહુલ એની વાત ઉપર અડગ રહ્યો. અંતે માતાપિતા સંમત થયા. રાહુલે પુંઠાનુ ચકલી ઘર બનાવી એની ઉપર લગ્નની નિમંત્રણ પત્રિકા બનાવી. મિત્રો, સગા અને સ્નેહીઓને એ મોકલતા સૌ કોઈને સાનંદાશ્ચર્ય થયું.

લગભગ બધા જ મહેમાનોએ રાહુલે મોકલેલા પુંઠાની કંકોત્રી ફોલ્ડ કરી ચકલી ઘર બનાવી તેમના ઘરમાં રાખી ચકલીઓને આવકારવાનું કામ કર્યું. સેંકડો ચકલીઓ આનંદથી ચીં ચીં કરતી એ લોકોના ઘરમાં ઉડા ઉડ કરવા લાગી. ઘણા મિત્રો અને સગાવહાલાઓએ રાહુલને એમના આંગણામાં લાગેલા ચકલી ઘરમાં મોજ કરતી ચકલીઓના ફોટા પાડી શેર પણ કર્યા. રાહુલ અને એની તબીબ પત્ની આનાથી ખૂબ પ્રફુલ્લિત થયા. રાહુલના ઘણા મિત્રો પણ એના આ વિચારને આગળ ધપાવવા એમના પ્રસંગમાં પણ આવો પ્રયોગ કરવાનુ વિચારી રહ્યાં છે. એક સારા વિચારને કેવો અદભુત પ્રતિસાદ સાંપડે એનુ આ ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ રાહુલના આ વિચારની પત્ર પાઠવી સરાહના કરીને રાહુલને શુભેચ્છાઓ આપી છે.


એક યુવાનની આ વાત અત્યંત પ્રેરણાદાયી છે. સાહિત્ય સર્જકો અને કવિઓએ પણ ચકલી માટે શબ્દોથી ફુલડા ચડાવ્યા છે. થોડા સમય પહેલા કવિ જિતેન્દ્ર જોશીએ સ્કૂટરના સાઈડ મીરરમાં ચાંચ મારતા ચકલાને જોઈને એક સુંદર કવિતા લખી હતી એ યાદ આવી ગઈ. કવિ જિતેન્દ્ર લખે છે કે, ‘અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ, આવ તને સમજાવું, ચકલી આ દર્પણનું સાચ...’ આમ તો જ્યારે જ્યારે ચકલીની વાત નીકળે એટલે ર.પા.ની તકીયા કલામ જેવી રચના, ‘તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડુ, મારે ફળીએ ચકલી બેસે તો મારું રજવાડું...’ ફર ફર ઉડતી જેવી પ્રફુલ્લિત ચકલી  જેવી લાગણી હૃદયમાં ભરી દેતી હોય છે.

ચકલી આમ તો માંસાહારી પંખી કહેવાય. જીવ-જંતુ અને પતંગીયા એનો પ્રિય ખોરાક છે. પરંતુ માનવ વસાહતમાં હળીમળીને રહેવાનો સ્વભાવ ધરાવતી ચકલીએ એની ફુડ હેબીટમાં પણ ધરમૂળથી બદલાવ કર્યો છે. દાણા, શાકભાજી, બાફેલા ચોખા વગેરે ચકલી ખાય છે. ભારત, અમેરિકા, આફ્રિકા, ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં માનવ વસાહતો સાથે ચકલીઓએ રહેવાનું ચાલુ કરી દીધું છે. સામાન્ય રીતે શહેરી વિસ્તારોમાં છ પ્રજાતિની ચકલીઓ વધુ જોવા મળતી હોય છે. ચકલીને અંગ્રેજીમાં હાઉસ સ્પૈરો, સ્પેનિશ સ્પૈરો, સિંડ સ્પૈરો, રસેટ સ્પૈરો, ડેડ સી સ્પૈરો અને ટ્રી સ્પૈરોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. ભારતમાં અલગ અલગ પ્રદેશમાં ચકીબેનના નામ પણ જુદા જુદા છે. હિન્દીમાં ગૌરૈયા, તામિલમાં કુરુવી, તેલુગુમાં પીચુકા, કન્નડમાં ગુબ્બાએહી, મહારાષ્ટ્રમાં ચિમની, જમ્મુ કાશ્મીરમાં ચેર, પંજાબીમાં ચૈરઈન કહે છે. ચકા રાણા એટલે કે નર ચકલી જગા શોધી માળો બનાવવાની જવાબદારી નીભાવી ચકી બહેનને આકર્ષિત કરવાનુ કાર્ય કરે છે. ચકલીઓનું સરેરાશ આયુષ્ય ૧૨થી ૧૪ વર્ષનું હોય છે. ચકલીઓની એક વિશેષતા એ પણ છે કે, એના જન્મથી સમગ્ર જીવનકાળ દરમિયાન બે કિલોમીટરની પેરીફેરીમાં જ રહે છે.

માનવમિત્ર એવું આ મઝાનું પંખી લુપ્ત થવાની કગાર ઉપર છે. રાહુલની જેમ સૌ કોઈએ યથાશક્તિ ચકલીઓના સંવર્ધનની દિશામાં સ્વયંભુ આગળ આવવાનો સમય પાકી ગયો છે. ડાળે-ડાળે ઘેલી-ઘેલી થઈને ઘૂમતી, ચીંચીં કરી વાતાવરણને આહલાદક બનાવી દેતી ચકલીઓ આપણી સાથે રહેવા થનગનતી હોય છે. આપણે એને પ્રેમથી સત્કાર આપવાનો છે. એની ચંચળતા અને મોજીલાપણાને હૃદયમાં સ્થાન આપવાનું છે. આગામી સમયમાં ચકલીઓની વસતી ઓછી થવાની ચિંતા ન થાય એ માટે આવનારી પેઢીને વધુ પ્રાણવાન બનાવવાની દિશામાં સૌએ જાગૃત પ્રયાસો કરવાના રહે.


ધબકાર : ‘ચકલીની ચીંચીં પર ઓવારી જાય મારી ઓસરીનો થાક, શૈશવ જો ઓચિંતુ આવી ભટકાય તો મારો શોં વાંક ?’ – અજ્ઞાત




 

No comments:

Post a Comment