Friday, 9 July 2021

જરા યાદ તો કરી જુઓ જીવનમાં સાંભળવાની કલા વિષે કોઇએ, ક્યારેય કશુ શીખવ્યુ છે ખરૂ ?

 


સામાન્ય રીતે બધાને હંમેશા કંઈક કહેવું હોય છે. એક સર્વેક્ષણ મુજબ વિશ્વમાં ૭૧૦૦ ભાષા બોલાય છે. તેમાંથી ૩૦૦ જેટલી ભાષા ઇંટરનેટ ઉપર ઉપલબ્ધ છે. દુનિયામાં સૌથી વધુ ૧.૨૦ અબજ લોકો ચાઇનીઝ ભાષામાં પોતાની વાત કહેતા હોય છે. લોકો બીજા એમની વાત સાંભળે એવું ઇચ્છતા હોય છે કારણ કે, મોટાભાગે આપણે બધા આપણાં વિચારોમાં જ ગુલતાન હોઈએ છીએ. સામાન્ય રીતે આપણાં બધાના વિચારો ભવિષ્ય માટે કે પછી ભૂતકાળની ઘટના સંદર્ભે હોય, દુઃખ કે દર્દ સંદર્ભે હોય કે પછી આનંદની ક્ષણો અંગેના હોય, ડરના હોય કે પછી પક્ષપાતના હોય પણ વિચારોથી આપણાં બધાનું માઈન્ડ પેકહોય છે.


દિમાગમાં હજારો-લાખો વિચારો અને માન્યતાઓ પહેલેથી એટલી છલોછલ ભરેલી હોય છે કે, પછી સાંભળવાની કોઈ જગા જ બચતી નથી. પરિણામે કહેનાર વ્યક્તિની વાત સાચી છે કે ખોટી એ તો દૂરની વાત છે. ચર્ચા અને બહેસ શરૂ થઈ જાય છે. એટલે જ સેવન હેબીટ્‌સ ઓફ હાઈલી સકસેસફુલ પીપલના લેખક અને ચિંતક સ્ટીફન કોવે કહે છે કે, મોટા ભાગના લોકો સમજવા માટે સાંભળતા નથી, પરંતુ ત્વરીત જવાબ આપવાના હેતુથી સાંભળે છે. મહદંશે માણસનું દિમાગ ઓનલાઈનકંઈક કહેવાના મુડમાં જ હોય છે. જ્યારે કોઈ આપણી વાત સાંભળે ત્યારે બહુ ગમે છે. જ્યારે કોઈ આપણી વાત સાંભળે ત્યારે આપણને એ જાણી શકે અને જાણી શકે તો જ સમજી શકે. પણ આ જ ફિલોસોફી જ્યારે કોઈ આપણને કંઈ કહે ત્યારે આપણે એને જાણવા અને સમજવાની જેન્યુઈનકોશિષ કરીએ છીએ ખરા ?

પ્રાચીન ગ્રીકનું શહેર સીનિક. આજે આ શહેર તુર્કીના નામે ઓળખાય છે. સીનિકમાં ડાયોજીનીસ નામનો એક ખૂબ મેઘાવી તત્વચિંતક થઈ ગયો. એણે સેંકડો વર્ષ પૂર્વે એક સરસ વાત કહી હતી કે, ઈશ્વરે માણસને બે કાન અને એક જીભ આપી છે કારણ કે, તે સાંભળે વધારે અને બોલે ઓછું. અમેરિકાના ઉદ્યોગપતિ અને જાણીતા મેગેઝીન ફોર્બ્સના પ્રકાશક માલ્કમ સ્ટીવનસન ફોર્બ્સે ડાયોજીનીસની આ વાતને બીઝનેસની રીતે સમર્થન આપતા ટાંક્યું છે કે, વાતચીતની કલાના મૂળમાં સાંભળવાની શક્તિ જ મુખ્ય ભાગ ભજવે છે.


એક મિત્રની કાબિલે તારીફ શ્રવણશક્તિ યાદ આવે છે. એમને મળીએ ત્યારે જે વાત થાય એ છુટા પડ્‌યા પછી ફરી જ્યારે પણ મળીએ ત્યારે અગાઉની મુલાકાતમાં થયેલી બધી વાતો અને સંદર્ભ વગર છૂટી ગયેલી તમારી વાતનો સંપૂર્ણ રેફરંશ અને અર્થનું યોગ્ય સંકલન એ સાધે. હંમેશા એ મિત્ર દિલ દઈને જ સાંભળે. વકતા સાથે સતત જોડાયેલા રહે. સગા, સંબંધી, મિત્રો કોઈને પણ ધ્યાનપૂર્વક દિલથી સાંભળો અને પછી જુઓ ચમત્કારિક પરિણામ. મુળતઃ વાત તો ઈન્ટરેસ્ટિંગઅને ઈન્ટરેસ્ટેડએમ બે આઇની છે. પોતાને ઈન્ટરેસ્ટિંગબનાવવા કરતા બીજાની વાતમાં ઈન્ટરેસ્ટેડબનવાની નિષ્ઠાપૂર્વકની કોશિષ કરવામાં આવે તો વધુ મિત્રો બનશે. લોકો નજીક આવશે. પોતીકાપણું લાગશે. સંબંધો સુવાસથી સુગંધીદાર બનશે.

સારું બોલતા પહેલા સારું સાંભળવાની જરૂર છે. શ્રવણશક્તિ સંબંધો વધુ મજબૂત બનાવે છે. વિશ્વાસ સંપાદિત થાય છે. હાઉ ટુ મેક પીપલ લાઈક યુ ઈન નાઈન્ટી સેકંડ્‌સપુસ્તકમાં નિકોલસ બુથમેને શ્રવણ કલાને સરસ રીતે ઊજાગર કરી છે. બુથમેનનો અભ્યાસ કહે છે કે, વિઝ્યુઅલ, વોકલ અને વર્ડસ એમ કોમ્યુનિકેશનના મુખ્ય ત્રણ વીફેકટર્સ છે. સામાન્ય રીતે વિઝ્યુઅલકોમ્યુનિકેશન ૫૫ ટકા અસર પેદા કરે છે. વોકલકોમ્યુનિકેશન ૩૮ ટકા અસર ઊભી કરે છે જ્યારે વર્ડસકોમ્યુનિકેશન માત્ર ૭ ટકા અસર જન્માવે છે. બુથમેનના મતે કોમ્યુનિકેશનમાં શ્રવણકલા સૌથી પાયાની ભૂમિકામાં હોય છે.

કોઈનું ન સાંભળવું અને પોતાનું હાંકે રાખવામાં સદ્દામ, ઓસામા, દૂર્યોધન જેવા લોકોની શું સ્થિતિ થઈ તે દુનિયા જાણે છે. શ્રવણ કલાના સદ્‌ઉપયોગથી અર્જૂને પેશન્સથી હૃદયપૂર્વક સાંભળેલી વાત કલ્યાણકારી રીતે ઊગી નીકળી. પરિણામે સદીઓ સુધી અર્જૂનની શ્રવણકલાના ઉદાહરણો અપાયા અને અપાતા રહેશે. ઈશ્વરે આપણને દ્રશ્ય ન જોવું હોય તો આંખના શટર રૂપે પાંપણની જોગવાઈ આપી છે. જો ના સાંભળવું હોય તો કાનને બંધ કરવાની કોઈ જોગવાઈ ભગવાને આપી નથી. માણસ સુતો હોય તો આંખ બંધ હોય પણ કાન તો સતત ખુલ્લા જ રહે. ઉંઘતા માણસ પાસે કોઈ ઊભું રહે તો એને ખબર ન પડે પણ એનું નામ બોલે તો તરત એને ઉંઘમાં પણ ખબર પડે. આંખો એક દિશા તરફ જોઈ શકે જ્યારે કાન આગળ પાછળ ચારેય દિશાઓમાંથી સાંભળી શકે. ભગવાન મહાવીર કહે છે કે, દર્શનશાસ્ત્ર એકાંગીછે જ્યારે શ્રવણશાસ્ત્ર બહુઅંગીછે. મહાવીર સ્વામીએ શ્રવણ શક્તિના આધારે જ અનેકાંતવાદની વિચારધારાને સમજાવી છે. ઓશો માને છે કે, ધ્યાનસ્થ થવાના માર્ગે દ્રષ્યકરતાં શ્રવણદ્વારા વધુ ઝડપથી આગળ ધપી શકાય.


જો આપણને સાંભળતા નથી આવડતું તો એમા આપણો બિલકુલ વાંક નથી. મજાની વાત એ છે કે, આપણને ક્યારેય કોઇએ સાંભળતા શીખવાડ્‌યું જ નથી. યાદ કરો બાળપણમાં બાળકને બોલતા બધા શીખવે છે. મમ્મી, પાપા, કાકા, દાદા, નાના... વગેરે બાળક નવું નવું બોલતા શીખે એટલે સૌનો આનંદ ફૂલ્યો ન સમાય. પછી શાળામાં જાય ત્યારે શિક્ષક એને વાંચતા અને લખતા શીખવે. બાળકને જીવનપર્યંત ક્યારેય સાંભળવાની કલા શીખવવામાં જ નથી આવતી. જ્યારે એક સર્વેક્ષણ અનુંસાર વાસ્તવિકતા એ છે કે, આપણાં દૈનિક જીવનના સમયમાં સરેરાશ ૧૦% જેટલો સમય લખવામાં, ૧૫% જેટલો સમય વાંચવામાં, ૨૦% જેટલો સમય બોલવામાં અને ૫૫% જેટલો સમય સાંભળવામાં જાય છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો વિટંબણા એ છે કે, લખવા, બોલવા અને વાંચવા કરતાં સાંભળવા પાછળ આપણે ઘણો વધુ સમય ગાળતા હોવા છતાં શ્રવણશક્તિ ખિલવવાની દિશામાં ક્યારેય સભાનતાપૂર્વકના પ્રયાસ થતાં જ નથી. જીવનની સાચી સુવાસ તો સંબંધોમાં હોય છે. સંબંધો સંવાદથી સજતા હોય છે અને સંવાદ શ્રવણ વિના સંભવ જ નથી. સાંભળવું એ બુધ્ધિ કરતાં હૃદયથી વધારે થતું કાર્ય છે. બાળપણમાં બાળકને બોલતા શીખવાડવામાં આવે છે પણ જીવનપર્યંત ક્યારેય સાંભળવાની કળા કોઈ શીખવતું નથી.


ધબકાર : તમે જ્યારે કોઇની સાથે એમની વિષે વાત કરો તો એ કલાકો સુધી તમને રસપૂર્વક સાંભળતા રહેશે.



https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/21june/08062021-4.pdf

 

No comments:

Post a Comment