Tuesday, 15 November 2016

આપણી સંમતિ વગર કોઇ વ્યક્તિ આપણને દુખી કરી શકે જ નહીં...

આપણી સંમતિ વગર કોઇ વ્યક્તિ આપણને દુખી કરી શકે જ નહીં...

-     પુલક ત્રિવેદી
‘વોટસેપ’ ગુરુઓ અને ‘ફેસબુક’ સંતો દ્વારા રોજે રોજ જન સુધારણા કાર્યક્રમ અંતર્ગત એકથી એક ચઠિયાતા અને પ્રેરણાત્મક સુત્રો કોમ્પ્યુટર અને મોબાઇલની સ્ક્રીન પર ઠલવાતા રહે છે. જોક એપાર્ટ... વોટસેપ ટેકનોલોજીના પ્રતિદિન નવા આવિષ્કારોને હૃદયપૂર્વકના આનંદસહ નમન છે. વાંચક બિરાદરોને સ્વભાવિક આશ્ચર્ય થશે કે આજે અચાનક આસ્મિક રીતે ‘વોટસેપ’ને નમન કરી એના ગુણગાનથી વાતની શરૂઆત... ! જી હા, બિલકુલ. વાત પણ એવી જ છે.
તાજેતરમાં મારા પરમ મિત્ર નવલભાઇએ મને ‘વોટસેપ’ ઉપર પ્રમાણમાં લાંબી પણ મોજ આવી જાય એવી વાત મોકલી.
Are you hurt? અર્થાત શું તમને માઠું લાગ્યું? ” મથાળા સાથેની અબ્રાહમ લીંકનના જીવનમાં બનેલી સત્ય ઘટનાની વાત છે. સૌથી તાકાતવર અને જગત જમાદાર રાષ્ટ્ર, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા બાદ પહેલીવાર તેમની ઓફિસમાં લીંકન સાહેબ આવ્યા અને તેઓ પ્રથમ પ્રવચન આપવા માટે ઉભા થયા તે વેળાની આ વાત છે. અબ્રાહમ લીંકનની બિલકુલ સામે પ્રથમ હરોળમાં બેઠેલા એક સજ્જન દેખાવમાં સોફેસ્ટિકેટેડ અને વસ્ત્ર પરિધાન ઉપરથી ધનાઢ્ય જણાતા હતા. એમણે ઉભા થઇને કહ્યું, મી. લીકન, તમને યાદ છે. તમારા પિતાજી મારા સમગ્ર પરિવાર માટે બુટ બનાવતા હતા. અને આ વાત સાંભળીની આખી સભામાં ખડખડાટ હાંસ્યનું મોજુ ફરી વળ્યું. સભામાં બેઠેલા બધા વિચારવા લાગ્યા લીંકનને મુર્ખ સાબિત કરીને એને જબરો ભોંઇ ભેગો પછાડ્યો. પણ કેટલાક લોકોને કુદરતે નોખી માટીના ઘડ્યા હોય છે... ખરેખર કેટલાક લોકો અલગ સાચામાં સ્વયં પીસાઇને ઘડાતા હોય છે.
અબ્રાહમ લીંકને એ સજ્જનની આંખોમાં આંખો પરોવીને દ્રઢતાપૂર્વક વિનમ્રતાથી કહ્યું, જી હા સર. મને ખબર છેને, મારા પિતાજી આપના પરિવાર માટે બુટ બનાવતા હતા. અને કદાચ અહીં બેઠેલા પૈકી ઘણા લોકોના માટે પણ મારા પિતાજીએ બુટ બનાવ્યા હશે. કારણ કે મારા પિતાજી જેવા અદભૂત બુટ કોઇ બનાવી શકતું નથી. એ તો મહાન સર્જક છે. એ માત્ર બુટ જ નથી બનાવતા એ પ્રત્યેક બુટ બનાવતી વેળા એમાં એમનો આત્મા રેડી દે છે. પણ મારે આપને પુછવું છે કે, તમને એમના બનાવેલા બુટથી કોઇ ફરિયાદ છે? હું તમને આ પુછું છું કારણ કે હું પણ બુટ બનાવવાની કારીગીરી જાણું છું, અને જો તમને ફરિયાદ હોય તો હું તમને બીજી જોડી બનાવી આપુ. જો કે મારા માનવા મુજબ પીતાજીએ બનાવેલા કોઇપણ બુટ માટે કોઇનેય ક્યારેય કોઇપણ કમ્પલેઇન હોતી નથી. એ એક મહાન સર્જક હતા. મને એમના માટે ગર્વ છે.
આખી સભામાં સન્નાટો... પીન ડ્રોપ સાઇલન્સ.’ ટાકણી પડે તો પણ સંભળાય. સભામાં બેઠેલા લોકોને સમજ ન પડી કે લીંકન કેવી પ્રકૃતિના વ્યક્તિ છે. અને તેના પિતાજીના કાર્ય માટે હજુ સુધી કોઇપણ ફરિયાદ ન આવવાનો આ વ્યક્તિને કેટલો ગર્વ છે.
આ દુનિયામાં આપણને આપણી પોતાની સમતિ વગર કોઇ અન્ય વ્યક્તિ, ક્યારેય કોઇપણ રીતે દુખી કરી શકે જ નહીં. ખરેખર તો જે બને છે તે આપણને દુખી કરી શકે એવી બાબત છે જ ક્યાં? આપણે દુખી તો આપણા પ્રતિભાવોથી જ થઇએ છીએ.
કામ નાનું હોય કે મોટું આપણા કામમાં નિષ્ઠા રાખીને એવા નિપુણ બનીએ કે સહજતાથી લાગે કે, સુખ આપણી મુઠ્ઠીમાં જ છે. મોટા મહેલમાં, વાતાનુકુલિત ઑરડામા, કુશનવાળા ગાદલા ઉપર ઉંઘ માટે આળોટતો ધનાઢ્ય વ્યક્તિ સુખી કે પછી ફુટપાથ ઉપર વરસતા વરસાદમાં મીણ્યું બાંધી નીરાતે ઉંઘ લેતો માણસ સુખી? સાધન – સવલત સુખ કહેવાય? સુખ તો મન:સ્થિતીની વિભાવના છે. સવલતો એ સુખ નથી. આનંદની મન:સ્થિતીની વિભાવના જ સુખ છે.
કવિવર રવીન્દ્રનાથ ઠાકુર એક મજાની પ્રાર્થના કરતા કહે છે કે,
Give me the Strength
To rise my head
High above the daily trifles
અર્થાત હે પરમ ક્રુપાળુ તું મને એવી શક્તિ આપ કે જેથી હું મારું મસ્તક રોજિંદી તુચ્છતાઓથી પર રાખી શકું, ઉદ્વર્વ રાખી શકું કવિવરની આ પ્રાર્થના, જીવનમાં શાંતિ માટેની ગુરુ ચાવી છે.
આમ જોવા જઇએ તો દુનિયામાં મોટા ભાગના લોકો પોતાને દુખી માનતા હોય છે. જેના કારણોની એ પોતે જો જેન્યુઇન્લી તપાસ કરી જુએ તો તેને એક જ કારણ મળે. અને એ છે, અન્ય દ્વારા એની તુચ્છતા પ્રસ્થાપિત કરવાના પ્રયાસ સામે એનો પ્રતિભાવ. પોતાના કામ માટે પ્રાણ રેડીને કાર્ય કરવું એમાં જ સાચો નિજાનંદ છે. માણસના જીવનમાં આનંદ શરીર અને સાંસારિક સવલતોના મોટાપણા કરતા મનની મોટાઇમાં છે. અન્યને તોડીને – મરોડીને મળતો આનંદ એ ક્ષણજીવી આનંદ છે. અન્યને આનંદ આપતા મન, હૃદય અને આત્મા ત્રણેય પુલકિત થાય. અને ત્યારે જ સમજાય કે બીજાના આનંદમાં આપણી જાતને જોવાનો આનંદ કેટલો અલૌકિક અને અનેરો હોય છે. સાચુ પુછો તો આ જ તો આધ્યાત્મિકતા છે. એનો સીધો સંવાદ આત્મિક ચેતના સાથે થાય છે.
તુચ્છ ઉપલબ્ધિઓ અને આત્મસ્લાઘા સમા વખાણના મહોરા ઉપર મ્હોરા પહેરીને આપણે બિનજરૂરી બોજ વધારતા ફરીએ છીએ... સોરી, વેંઢારતા ફરીએ છીએ|... છોડીએ યાર, આ માન-સન્માનની સ્થુળ વાતો... હળવા ફુલ બની વિહરવાની મજા લઇએ. અપમાન અને સન્માનના ચક્કરો તો જીવનભર ચાલતા રહેશે. એના ચક્રવ્યુહમાંથી બહાર નીકળી જઈએ અને પછી જોઇએ કે જીવનમાં જે બચે છે એ બીજુ કશું નહીં પણ માત્ર ને માત્ર આનંદ જ આનંદ છે...

ધબકારઃ શારિરીક સ્વાસ્થ્ય કરતા વધારે અગત્યનું અને મહત્વનું છે, ચિત્તનું સ્વાસ્થ્ય.  જે. કૃશ્નમુર્તિ


http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/july2016/19072016-6.pdf

No comments:

Post a Comment