Saturday, 19 May 2018

પાણી પીતા આવડે તો અમૃત અને ન પીતા આવડે તો ઝેર


પાણી પીતા આવડે તો અમૃત અને 
ન પીતા આવડે તો ઝેર

પાણીનું એક ટીપું ગરમ ધગધગતા તવા ઉપર પડે તો એક સેકન્ડમાં ઉકળીને વરાળ બની જાય. એનું અસ્તિત્વ જ સમેટાઈ જાય. એ જ ટીપું જો કમળની પાંખડી ઉપર પડે અને સૂરજના કિરણોના સંપર્કમાં આવે તો મોતીની જેમ ચમકવા લાગે. જો છીપમાં એ ટીપું આવી જાય તો મોતી બની જાય. પાણીનું ટીપું તો એ જ છે એનો યોગ્ય ઉપયોગ એનું મૂલ્ય વધારી દે છે. પ્રમાણસરની પાત્રતા એની તાકાતને બેશુમાર વધારી દે છે.
વર્ષોથી નાના-મોટા, અબાલ-વૃદ્ધ રટ્ટો મારીને કહેતા હોય છે, ' જળ એ જ જીવન છે. પણ જળનો વ્યવસ્થિત ઉપયોગ કરીને જીવન વધુ બહેતર કેવી રીતે બનાવી શકાય એની ઉપર ધ્યાન કેન્દ્રિત બહુ ઓછા લોકો કરતાં હોય છે. જો પાણી પીતા આવડે તો તે અમૃત છે અને જો પાણી પીતા ન આવડે તો એ ઝેરથી પણ બદતર છે. મનુષ્યના શરીરના પાંચ તત્વોમાં એક અગત્યનું તત્વ જળ છે. ચેહરાની ચમકથી માંડીને સુદ્રઢ પાચનતંત્ર સુધી પાણીની શરીરમાં રોકેટીંગ ઇફેક્ટ હોય છે. ટૂંકમાં બાહ્ય દેખાવથી માંડીને શરીરના તમામ પૂર્જાઓ માટે પાણી ઈશ્વરે આપેલી અણમોલ ભેટ છે.



પ્રતિદિન આઠથી દસ ગ્લાસ પાણી શરીરને તંદુરસ્ત રાખે છે. એમાં પણ દિવસમાં ત્રણથી ચાર વાર હૂંફાળું ગરમ પાણી પીવું આશીર્વાદરૂપ છે. ઠંડું પાણી અત્યંત નુકસાનકારક છે. ફ્રીઝનું અને ઠંડું બરફનું પાણી ઝેર છે. સંશોધનકારોએ પાણી પીવાની વૈજ્ઞાનિક મેથડોલોજી આપી છે.
પાણીને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક તો સાફ અને સુથરૂ્ ગાળીને વરસાદનું સીધું પાણી ઝીલવામાં આવે એને ‘ગાંગજળ’ કહેવામાં આવે છે. આ પાણી પીવા માટે ઉત્તમ છે. બીજું વરસાદનું ગાળ્યા વગરનું ગમે ત્યાં ભરાયેલું પાણી સામુદ્રિક જળ તરીકે ઓળખાય છે. સરોવરના પાણીને ‘સારસ જળ’ કહે છે. નાના ખડકોમાંથી વહેતુ પાણી ‘ઔદ્રત્વિક જળ’ તરીકે ઓળખાય છે. વાયવ્ય દિશામાંથી વહેતા પાણીને દિશાના નામ અનુંસાર ‘વાયવ્ય પાણી’ કહેવાય છે. આ પાણી ગરમ તથા ક્ષારયુક્ત હોય છે. ઝરણાનું પાણી કફનાશક અને શરીર માટે ખૂબ ઉપયોગી હોય છે.
જેમ હવા વગર જીવી શકાય નહિં એમ પાણી વગર પણ શરીર લાંબો સમય ટકી શકતુ ન હોવાથી જળને જીવનનો પર્યાય કહે છે. ભાદરવા અને આસો મહિનામાં વરસાદનું સંગ્રહ કરેલું પાણી અમૃત સમાન ગુણકારી હોય છે. આ પાણી ત્રિદોષ નિવારક, રસાયન, બળવર્ધક, જીવન આપનારું, પાચનશક્તિ વધારનારું અને બુદ્ધિવર્ધક હોય છે. વેગથી વહેતું અને હિમાલયમાંથી નીકળતી નદીઓનું પાણી પીવા માટે ઉત્તમ છે.
પાશ્ચાત્ય દેશોના દ્રવ્યશાસ્ત્રવિદો પણ વર્તમાન વૈજ્ઞાનિક યુગના આરંભ પહેલા હજારો વર્ષો સુધી પાણીને ચાર મૂળ તત્વો એટલે કે અગ્નિ, વાયુ, પાણી અને માટી પૈકીનું એક માનતા રહ્યા છે. પુખ્ત ઉમરના વ્યક્તિએ આખા દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઇએ. એક પ્યાલો એટલે છ ઔસ અથવા ૧૫ તોલા થાય. જમતી વખતે પાણી ક્યારેય ન પીવું જોઈએ. ભોજન વેળા પાણી પીવાથી પાચનશક્તિ મંદ થઈ જાય છે અને અનેક રોગોને શરીરમાં પેસવાનું બારૂં મળે છે. સામાન્ય રીતે શિયાળા કરતાં ઉનાળામાં સ્વભાવિક રીતે જ પાણી પીવાની માત્રા વધારી દેવી જોઈએ.
પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોના સંશોધન અનુસાર પાણીની બે જાત છે. એક તો ભારે અને અશુદ્ધ પાણી. બીજું શુદ્ધ અને વરાળનું હલકું પાણી. ભારતીય શાસ્ત્રાર્થમાં પણ પાણીના આવા જ બે પ્રકાર દર્શાવાયા છે. એક આકાશમાંથી વરસતું વરસાદનું પાણી. જેને ‘આંતરિક્ષ જળ’ કહેવાયું છે. આ પાણીને વરાળથી બનેલું ડિસ્ટીલ્ડ પાણી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજુ ‘ઔદ્રત્વિક’ એટલે ખડકો અને પહાડોમાં સંગ્રહાયેલું પાણી. જેને આપણે ‘હાર્ડ વૉટર’ તરીકે ઓળખીએ છીએ.



માણસના શરીરમા ૭૮થી ૮૦ ટકા હિસ્સો પાણીનો બનેલો છે. પાણીની કમીથી શરીરમાં પ્રાણવાયુનું વહન ઓછી માત્રામાં થતું હોવાથી થાક અનુભવાય છે. સ્ફૂર્તિ અને તાજગી અનુભવવા શરીરમાં પર્યાપ્ત માત્રામાં પાણી રહે એ ખૂબ જરૂરી છે. સાયન્ટિફિક રિસર્ચના તારણો કહે છે કે, શરીરમાં વધુ નહિ માત્ર એકથી બે ટકા પણ પાણીની કમી હોય તો મૂડ ઠેકાણે રહેતો નથી. પાણી પીવાનું પ્રમાણ જાળવીને મૂડમાં રહી શકાય છે. માઈગ્રેન અને માથાના દુખાવા પાછળના ઘણા કારણો પૈકી એક પ્રબળ કારણ પાણીની ઉણપ પણ હોઈ શકે છે. થોડાંક વર્ષો પહેલા યુરોપમાં થયેલા એક સંશોધનના તારણોમાં જણાવાયું હતું કે, પાણી ઓછું પીવાથી ‘સીવીયર હેડેક’ની ફરિયાદો ઊભી થતી હોય છે.
ભોજન દરમિયાન પાણી પીવુ યોગ્ય નથી, પણ જમ્યા પછી એકાદ કલાક બાદ હૂંફાળું પાણી પીવાથી પાચનક્રિયા ખૂબ મજબૂત બને છે. આયુર્વેદ તો ત્યાં સુધી કહે છે કે, ભોજનના એકાદ કલાક પછી પીવામાં આવેલું ગરમ હુંફાળું પાણી અમૃત સમાન છે. શરીરનું ‘મેટાબોલિઝમ’ જબરજસ્ત રીતે આનાથી વધે છે. ભોજનના એકાદ કલાક પહેલા એક ગ્લાસ પાણી વજન ઉતારવા માટે આશીર્વાદરૂપ છે. શરીરના હાનિકારક કેમિકલ્સ અને ટોક્સિનને મૂત્રવિસર્જન અને પ્રસ્વેદ દ્વારા બહાર કાઢી ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા માટે પાણી ધારદાર શસ્ત્ર છે.
ગરમીમાં પસીનો અને ઠંડીમાં ગરમ પાણીના ઘૂંટડા શરીરનું તાપમાન નિયંત્રિત રાખવાનો રામબાણ ઇલાજ છે. પાણી લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રાખવામાં મદદ કરતું હોઇ ત્વચાનો ‘ગ્લો’ અને ‘ચમક’ વધે છે. શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં પાણી અકસીર છે. યોગ્ય માત્રામાં સમજપૂર્વક પાણી પીનારાને સાંધાનો દુખાવો ક્યારેય થતો નથી. એન્ડ એબોવ ઓલ, પાણીનો સમજદારીપૂર્વકનો ઉપયોગ દિમાગને તેજ બનાવે છે. ચરકસંહિતા અને આયુર્વેદમાં સમજદારીપૂર્વકના પાણીના ઉપયોગના અનેક ફાયદા વર્ણવ્યા છે. સવારે ખાલી પેટ બે ગ્લાસ ગરમ પાણી પેટમા ફ્લેશનું કામ કરે છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી ‘હિટ’ને ‘બીટ’ કરવાનું હાથવગુ મજબૂત શસ્ત્ર છે. ‘ડિહાઇડ્રેશન’, ત્વચાની બીમારી, વિટામિન અને મિનરલ્સની ઊણપ જેવી અનેક બાબતોથી બચવા ભરપૂર પાણી પીવું પડે. ગાંધીજી તો ત્યાં સુધી કહેતા કે, 'ભોજન પીઓ અને પાણીને જમો.' પાણી કંઈ ઝટઝટ અને ફટાફટ પીવા ખાતર પીવાની વસ્તુ નથી. પાણીના ટીપેટીપામાંથી રસ લેતા હોય એમ એને પીવું જોઈએ. પાણી સાથે પ્રેમ કરવો પડે. એને સહેલાવવું પડે. બહેલાવું પડે. લાડ લડાવીને મસ્તીથી પીવું પડે. પાણીમાં હજારો સદગુણ છે. જો એને પિતા આવડે તો એ શરીરને હમેશા ભરપૂર મોજમાં રાખે છે.
છેલ્લે પાણી શબ્દની જરા હટકે વાત કરીએ... ગુજરાતી ભાષા કેટલી ગૌરવપૂર્ણ છે. એનુ એક નાનુ ઉદાહરણ ‘પાણી’ શબ્દ સાથે જોઇએ. ‘પાણી’ શબ્દ એકવાર બોલીએ તો એનો અર્થ ‘જળ’ થાય અને ‘પાણીપાણી’ એમ બે વાર બોલીએ તો એનો સંદર્ભ ‘મનથી પીગળી ગયેલો’ થાય. ‘પાણી’ શબ્દને બીજા શબ્દની આગળ કે પાછળ જોડવામાં આવે તો ગુજરાતી ભાષામાં કેટકેટલા અર્થપૂર્ણ શબ્દોસમૂહ બને છે એ પણ રસપ્રદ બાબત છે. અંજળપાણી, કસુંબાપાણી, ચાપાણી, જલસાપાણી, તાતાપાણી ખાણાંપાણી, આટોપાણી, કાળાપાણી, દવાપાણી, ખર્ચીપાણી, ધંધોપાણી, દાણાપાણી, દાતણપાણી, દહાડોપાણી, પાણીઢોળ, પાણીપંથો, પાણીદાર, પાણીપત, પાણીફેર, પાણીજન્ય, હવાપાણી, વાળુપાણી, પાણીપોચું, પાણીપાણી, એન્ડ સો ઓન..

ધબકાર :
એક કાતરા હી સહી, મુઝે એસી નિયત દે મૌલા,
કિસી કો પ્યાસા જો દેખું, તો ખુદ પાની હો જાઉ...





No comments:

Post a Comment