Saturday, 20 April 2019

લાગણીને ઉમરનો બાધ અને સરહદના સિમાડા નથી હોતા


લાગણીને ઉમરનો બાધ અને સરહદના સિમાડા નથી હોતા

સમસ્યા છે તો એનું સમાધાન છે. જે દિવસથી જીવનમાં સમસ્યાઓ સમાપ્ત થઈ જાય એ દિવસે જીવન સમાપ્ત થઈ જાય. સમસ્યા છે તો જીવન છે. જ્યારે જ્યારે સમસ્યા સામે આવે ત્યારે જીવન પણ દ્રઢતાપૂર્વક માર્ગ કાઢવા આપોઆપ સજ્જ બની જતું હોય છે.
સમસ્યાને લાગણી અને હકીકત એમ બે એંગલથી મુલવવામા આવે છે. સમસ્યા જ્યારે લાગણીના ત્રાજવે તોળાય ત્યારે તે વધુ નકશીકામ સાથે જીવનને નિખારવાનું કામ કરતી હોય છે. ફિલિંગ્સ વર્સીસ ફેક્ટ્ના ઈક્વેશનમાં ફિલિંગ્સ હંમેશા વિજેતા બનતી હોય છે. લાગણીની કોઈ ઉંમર નથી હોતી. ૧૫ વર્ષે લાગણીની માત્રા ઓછી હોય અને ૩૫ વર્ષે વધુ હોય એવું ન બને. લાગણીઓને સરહદના સીમાડાઓ નથી હોતા. લાગણી ક્યારેય મરતી નથી. લાગણી હંમેશા હૃદયના આકાશમાં વિસ્તરતી રહે છે. લાગણી જીવનને ભીનું ભીનું અને હરિયાળું રાખે છે.
કોઈની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવે એ મધદરિયે સ્ટીમરમાંથી પથ્થર ફેંકવા જેવી વાત છે. કોઇની લાગણીને વાગેલી ઠેસ હૃદયના સમુદ્રમાં કેટલે ઊંડે પહોંચી જશે એનો અંદાજ લગાવવો અઘરો હોય છે. લાગણીઓના તુટેલા ટુકડાઓ ઉપર આંસુઓના પ્લેટફોર્મ બની જતા હોય છે. આંસુ દુનિયાનું સૌથી મૂલ્યવાન દ્રાવણ એટલે કહેવાય છે કે એમાં માત્ર એક ટકો પાણી અને નવ્વાણું ટકા લાગણી હોય છે.
દુનિયાના સૌથી મોટા સાંસ્કૃતિક મસિહા રવિન્દ્રનાથ ટાગોરની અંતિમ ક્ષણોની એક લાગણીપ્રધાન વાત છે. રવિન્દ્રનાથ બંગાળના સૌથી ધનાઢ્ય જમીનદાર દેવેન્દ્રનાથ ટાગોરના પૌત્ર હતા. નોબલ પ્રાઈઝ વિજેતા હતા. જેમને ગાંધીજી ગુરુદેવ કહેતા એવા રવિન્દ્રનાથ ટાગોરે ૬૪ વર્ષની ઉંમરે માટીથી મકાન બનાવવાનું એટલા માટે શીખ્યું કે સામાન્ય માણસોની લાગણીઓને સમજી શકાય. એમણે નદી કિનારે કાળી માટીથી ઝુંપડી બનાવી અને એનું નામ શ્યામલીરાખ્યું. એમાં ગુરુદેવ રહ્યાં પણ ખરાં.
જીવનભર લાગણીઓના મહાસાગરમાં મહાલતા ટાગોરે સતત વાંચન, લેખન અને નવું શીખવાનો ઉપક્રમ જારી રાખ્યો. રવિન્દ્રનાથે દેહ છોડ્યો એના આગલા દિવસે ક્ષિપેન્દ્ર મોહન સેન એમને મળવા ગયા. ક્ષિપેન્દ્ર મોહને ટાગોરની આંખમાં દડદડતા આંસુ જોઈને કહ્યું, ‘દાદા તમને મૃત્યુનો ભય લાગે છે ?’ ત્યારે ટાગોરે ક્ષિપેન્દ્ર મોહનને જવાબ આપ્યો કે, ‘ઈશ્વરનો લાગણીસભર ઉપહારનો સાગર એટલો વિશાળ છે કે એમાંથી હું ખૂબ ઓછું લઈ શક્યો, કારણ કે મારી ડોલ ખૂબ નાની હતી અને ઈશ્વર તો મને મહાસાગર આપવા માંગતો હતો.’
દુનિયાના મહાન ચિંતકોમાં જેની ગણના થાય છે. જેમણે ગીતાંજલી જેવું મહાકાવ્ય વિશ્વને આપ્યું છે, ચિત્રકાર, શિલ્પકાર, લેખક, વાંચક, શિક્ષક એવી બહુમુખી પ્રતિભાના માલિક રવિન્દ્રનાથ ટાગોર જીવનના અંતિમ તબક્કે લાગણીવશ બની એમ કહે છે કે, ઈશ્વર તો દરિયો ભરીને મને આપવા ઊભો છે અને એક નાની ચમચી જેટલું જ એ મેળવી શક્યા. જ્યારે બીજી બાજુ કોઈ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી બિઝનેસ મેનેજમેન્ટના સ્નાતક થયેલા કે પ્રસિધ્ધ ડોકટર, સફળ ઈજનેર કે જાણિતા બિઝનેસમેન બન્યા એટલે દુનિયાના ખલિફા બની ગયા હોય એવા ગર્વિષ્ઠ લોકોને જોઇએ ત્યારે એમ લાગે કે આવા લોકો માટે લાગણી નામનો પ્રદેશ એમની સમજને પેલે પારનો વિષય છે.
દુનિયામાં માણવા જેવું, શીખવા જેવું એટલું બધું છે કે જીવનભર પ્રયાસ કરીએ તો પણ એક અંશ માત્ર પ્રાપ્ત થઈ શકે. એક વિશ્વ પ્રસિદ્ધ હાર્ટ સર્જને હજારો ઓપરેશનો કરીને અનેકની જિંદગીને મોતના મુખમાંથી ઉગારી હતી. આ હાર્ટ સર્જન રોજ સવારે ઈશ્વર આગળ બે હાથ જોડી નતમસ્તકે લાગણીસભર પ્રાર્થના કરે છે કે, ‘હે પ્રભુ એવી કેટલીય સરળ અને સહજ લાગતી હાર્ટ સર્જરીમાં હું દર્દીનું જીવન બચાવી ન શક્યો. જ્યારે અશક્ય લાગતી એવી કેટલીય સર્જરી હતી કે જેમાં જીવ બચવો શક્ય જ ન હતો તેમ છતાં દરદીનુ જીવન મારા હાથે પુનઃ અંકુરીત થયું છે ત્યારે મારી આવડત કરતાં પણ વધુ એક અનોખી અને અલૌકિક ઐશ્વરિય શક્તિનો અનુભવ મને સતત થયા કરે છે. હે પ્રભુ તારા અસ્ખલિત વહેતા લાગણીના પ્રવાહમાંથી હું શક્ય એટલો ભિંજાતો રહુ એવી મોજ આપતો રહેજેસમસ્યાઓના સમાધાનમાં વાસ્તવિક પરિસ્થિતિ કરતાં લાગણીનું માધ્યમ હંમેશા કારગત રહ્યું છે.

ધબકાર :
જેને બીજાની લાગણીની સમજણ નથી એને બીજાનું વર્તન નૌટંકીથી વિશેષ કશું નથી લાગતું.







No comments:

Post a Comment