Thursday, 19 March 2020

ગુજરાત એટલે સંસ્કાર, સંસ્કૃતિ અને સમૃધ્ધિની બળુકી પહેચાન


ગુજરાત એટલે સંસ્કાર, સંસ્કૃતિ અને સમૃધ્ધિની બળુકી પહેચાન

જગતભરમાં જેનો જોટો ન જડે એવી લોકસંસ્કૃતિ અને ભાતિગળ લોકજીવનથી મહેકતો અને ચહેકતો ગુજરાત પ્રદેશ, દેશ અને દુનિયામાં એક નોખો-અનોખો પ્રદેશ છે. ગુજરાતની ધરતી ઉપર હજારો વર્ષોથી કલા, સંસ્કાર અને સંસ્કૃતિની સરવાણી વહે છે. ગુજરાતની લોકજાતિઓ, વસ્ત્રાલંકારો, લોકોત્સવો, પર્વો, મેળા, લોકસંગીત, લોકનૃત્ય, લોકવાદ્ય, ખાનપાન, પશુ શણગારો, રમકડાં, લોકમનોરંજન, હસ્તલિખિત પોથીઓ, હવેલી સ્થાપત્ય, ભીંતચિત્રો વગેરે વિવિધ પાસા દેશ અને દુનિયા માટે જબરુ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.



ગુજરાતનું કલાજગત, ગુજરાતના સર્જકો, લોકસંગીત, લોકકથાકારો, સંતવાણી, માણભટ્ટો, નટબજાણીયા, વગેરે ઉડીને આંખે વળગે એવા છે. ખેતરે ખેતરે જ્યાં હરિયાળી હરખાય છે. ઉત્તરે મા અંબા બિરાજમાન છે, દ્વરિકામાં જ્યાં શામળીયાના પગ સાગર પખાળે છે એવી ગુજરાતની ધરતીનો અદભુત શણગાર દેશ-વિદેશના પ્રવાસીઓના મન મોહી લે છે. એક તરફનું વડનગરનું કીર્તિ તોરણ બીજી તરફ સિદ્ધપુરનો રૂદ્રમહાલ, વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ, મોઢેરાનું સૂર્યમંદિર અને વનરાજોની ત્રાડ ગુજરાતની શાન છે. ભાલમાં શોભતું નળસરોવર, ઝૂલતાં મિનારા અને સિદી સૈયદની જાળીથી સોહામણું લાગે છે અમદાવાદ. આખા રાજ્યને પાણી પૂરું પાડવા માટે મા નર્મદા ઉપર અડિખમ ઊભો થયેલો સરદાર સરોવર ડેમ અને સાબરમતીના તીરે અડેખમ ઉભેલો ગાંધીઆશ્રમ દેશ આખાને શાંતી અને સમૃધ્ધિ માટે નોતરતુ પાટનગરનું મહાત્મા મંદિર ગુજરાતનાં ઘરેણાં છે.



મે મહિનાના પહેલા દિવસ સાથે વિશ્વભરની અનેક ઘટનાઓની યાદો જોડાયેલી છે. ૧લી મે, ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદજીએ કલકત્તા નજીક બારાનગરમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. ૧લી મે, ૧૯૦૮માં પ્રફુલ્લચંદ ચાકીએ મુઝ્ઝફરપુર બોમ્બ કાંડને અંજામ આપી પોતાની જાત ઉપર ગોળી મારી હતી. જેણે એના જીવન કાળ દરમિયાન ૩૫૦૦થી વધુ ગીતો ગાયા છે એવા પાશ્વગાયક મન્નાડેનો જન્મ ૧લી મે, ૧૯૨૦ના રોજ થયો હતો. ૧લી મે, ૨૦૧૧ના રોજ વિશ્વ સમસ્તને આતંકવાદના ભરડામાં લેનારા ઓસામા બિન લાદેન અમેરિકન સી ઇગલના જવાનોના હાથે માર્યો ગયો હોવાના સમાચાર અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ વિશ્વને આપ્યા. ૧લી મે, ૧૯૯૯ના રોજ નેપાળ દેશે મૃત્યુદંડની સજા સમાપ્ત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ૧લી મે, ૧૮૪૦માં બ્રિટનમાં પહેલ વહેલી ડાક ટિકિટ રીલીઝ થઇ હતી. પણ ગુજરાતી બાંધવો માટે ૧લી મે સાથે જોડાયેલી અનેક જાણી અજાણી ઘટનાઓમા શીરમોર ઘટના એટલે ગરવા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ.



છેક ચૌલુક્ય વંશથી ગુજરાતનો ઇતિહાસની કડીઓ મળે છે. ચક્રવર્તી ગુર્જરો પુસ્તકમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી લખે છે કે, ‘‘જે પ્રદેશની સીમા ઉત્તરે આબુ આગળ હતી અને દક્ષિણે પહેલાં મહિને કાંઠે, પછી નર્મદાના તીરે ને ત્યાર બાદ દમણ ગંગાના તટ પર આવીને અટકી એ પ્રદેશ ગુજરાતનામે ઓળખાવા લાગ્યો.’’ ૧૯૪૭માં હિન્દુસ્તાન આઝાદ થયું. આ સમયે પશ્ચિમ વિસ્તારમાં આવતાં રજવાડાઓ એકત્રિત કરી સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ ત્રણ રાજ્યો બનાવાયા. ૧૯૫૬માં મુંબઈ રાજ્યનો વિસ્તાર વધારી કચ્છ, સૌરાષ્ટ્ર, હૈદરાબાદ અને મધ્ય પ્રદેશનો કેટલોક ભુભાગ તેમાં જોડવામાં આવ્યો. આ નવા મુંબઈ રાજ્યના ઉત્તરનાં વિસ્તારમાં ગુજરાતી બોલતા અને દક્ષિણમાં મરાઠી બોલતા લોકો રહેતા હતા. ઈન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, વિદ્યાગૌરી નીલકંઠ જેવા આગેવાનોએ ઓગસ્ટ તા. , ૧૯૫૬થી મહાગુજરાત આંદોલન છેડીને ચાર-ચાર વર્ષ સંઘર્ષમય અહિંસક લડત આપ્યા બાદ ૧લી મે, ૧૯૬૦ના રોજ સ્વતંત્ર ગુજરાત રાજ્યનો પરચમ લહેરાયો.
   ગુજરાત એટલે ગરબા. ગુજરાત એટલે વેપાર. ગુજરાત એટલે સ્વાદ. ગુજરાત એટલે સાહસ. ગુજરાત એટલે સંસ્કાર. ગુજરાત એટલે સૌજન્ય. સંતો, શૂરવીરો અને સાહિત્યકારોની ભોમકા એટલે ગરવું ગુજરાત. છપ્પનીયો દુકાળ હોય કે, મોરબી, સુરત, બનાસકાંઠા જેવી જળ હોનારતો હોય, ધરતીકંપનો માર હોય કે વાવાઝોડાનો ત્રાસ હોય ગુજરાતી બાંધવોએ આફતોનો મક્કમ મુકાબલો કરીને વિકાસને રતિભર પણ મોળો પડવા નથી દીધો. દેશની કુલ વસતિના પાંચ ટકા ગુજરાતી બાંધવો છે અને વિસ્તારની રીતે જોતા દેશની કુલ જમીનના છ ટકા હિસ્સો ગુજરાત પ્રદેશનો છે. ભારતના સ્ટોક એક્ષચેન્જનો ૩૦થી ૩૨ ટકા હિસ્સો ગુજરાતીઓ પાસે છે. વિશ્વનું સૌથી પહેલું પ્યોર વેજ સબ-વેઅને ડોમીનોઝગુજરાતમાં ખુલ્યું હતું.
વિશ્વના ૮૦ ટકા  હિરા ગુજરાતના સુરતમાં પોલીશ થાય છે. દુનિયાનું સૌથી પહેલુ વેજ પીઝાહટઅમદાવાદમાં ખૂલ્યું હતું. ગુજરાતના પ્રત્યેક ગામમાં વીજળી છે. ભારતના કુલ મીઠાના ઉત્પાદનમાં ૭૮ ટકા જેટલુ મીઠું ગુજરાત પકવે છે. હિન્દુસ્તાનમાં સૌથી વધુ રૂ ગુજરાતમાં ઉત્પાદન થાય છે. દેશમાં ૨૦ ટકા ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટ ગુજરાતનું છે. રાષ્ટ્રમાં થતાં મીનરલ પ્રોડક્શનના ૯ ટકા પ્રોડક્શન ગુજરાતમાં થાય છે. દેશમાં ૨૨ ટકા એક્ષપોર્ટ ગુજરાત કરે છે. દેશના કુલ ટેક્ષટાઈલ પ્રોડકશનમાં ૨૪ ટકા જેટલુ ઉત્પાદન ગુજરાત કરે છે. ૩૫ ટકા ફાર્મા પ્રોડક્ટ, ૫૧ ટકા પેટ્રોકેમિકલનુ પ્રોડકશન ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં ૧૭ નાના મોટા એરપોર્ટ છે. ભારતના કોઈપણ રાજ્યની તુલનામાં સૌથી વધુ શાકાહારી લોકો ગુજરાતમાં છે. ગાંધીનગરના કવિ કનૈયાલાલ ભટ્ટની એક રચના યાદ આવે છે, ‘હું ગુજરાતી, તું ગુજરાતી, આપણ સૌનુ તળ ગુજરાતી, રગ રગમા વહેતા રક્તકણોમાં ધમકે છે, તે બળ ગુજરાતી, સાચ્ચે સાચુ કહી દે સામે, કડવો પણ મીઠો ગુજરાતી, પ્રેમ કરે તો જીવતર દઇ દે, જીદે ચડે તીખો ગુજરાતી...’ ગુજરાત એટલે એક જમીનનો ટૂકડો નહીં ગુજરાત એટલે સંસ્કાર અને સંસ્કૃતિની બળુકી પહેચાન.
ગુજરાત સૌથી સલામત રાજ્ય છે. ગુજરાતનો ક્રાઈમરેટ માત્ર ૮.૨ ટકાની આસપાસ રહે છે. ધ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક્સ રિસર્ચના અહેવાલ અનુસાર બેંગલોર અને મદ્રાસ પછી સુરત ભારતનું સૌથી અમીર શહેર છે. ગુજરાતની જીડીપી છેલ્લા દોઢ-પોણા બે દાયકાથી લગાતાર ૧૨ ટકાથી વધુ છે. ગૌરવ સાથે કહેવું પડે કે, ગુજરાતની જીડીપી ભારત અને ચીનની જીડીપી કરતાં પણ વધારે છે. એવરેજ ગ્રોથ રેટમાં ગુજરાત અવ્વલ છે. વર્કરદીઠ ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત અગ્ર હરોળમાં છે. મગફળી અને કપાસના ઉત્પાદનમાં ગુજરાત નંબર વન છે. જીરૂ અને મસાલામાં ગુજરાત સર્વપ્રથમ છે. રોજગાર કેન્દ્રોમાં પ્લેસમેન્ટમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે.  
આગામી સમયમાં ગુજરાતનો સિનારીયો કંઇક આવો હશે, તમામ ગામો વાઇફાઇથી સજ્જ હશે. રાજ્યના તમામ જળાશયો નર્મદાના નીરથી છલકાતા હશે. દરેક ગુજરાતી ઘરની પાકી છત ઉપર રૂફટોપ સોલાર પેનલ લાગેલી હશે. મજબુત રોડ નેટવર્કથી આખે આખુ રાજ્ય કનેક્ટેડ હશે. એર, રેલ અને રોડ કનેકટિવિટિથી રાજ્યના પ્રત્યેક વિસ્તાર વિકાસથી ધમધમતા હશે. દરેક શાળા, મહાશાળા, કોલેજોમાં અદ્યતન શૈક્ષણિક સવલતો દ્વારા કૌષલ્ય નિર્માણ થતું હશે. હર હાથ કો કામ ઔર હર ખેત કો પાનીનો મંત્ર સાકાર થયેલો જોવા મળશે. આવતી કાલની આ નક્કર વાસ્તવિકતા હશે.
ગુજરાત હૃદયના ધબકારની ભૂમિ છે. સૌ ગુજરાતી બાંધવોના હદયમાં ગુજરાતના સંસ્કાર, પડકાર અને ધબકાર આદરપૂર્વક ઝીલાતો હોય છે. છાતી ફુલાવીને ગર્વથી કહો, ‘હા હું ગુજરાતી છું મને ગર્વ છે કે, આ ગરવા ગુજરાતનો હું નાગરિક છું. મને પ્યારું મારું ગુજરાત, સૌથી ન્યારુ મારુ ગુજરાત...
---------------------------------



1 comment:

  1. તમારો આજનો લેખ સાંપ્રત સમયમાં પ્રેરણાદાયી રહ્યો સાચુ સત્ય એ છે કે જેતે સમયે માનવી પાસે જે ઉપલબ્ધ સંસાધનો છે તેનાથી જીવન ચલાવવું જોઇએ. અને તેના માટે આપણે પ્રકુતીની સમીપ રહેવું જોઇએ. અને તેના માટે ભુતાનદેશ એક સાચુ ઉદાહરણ છે ત્યાં કોરાનાનો પ્રવેશ થયો હોવા છતાં તેને કુદરતી સંસધનોથી આગળ વધવા નહિ દેવામાં જબરદસ્ત સફળતા મળી છે. આજ ના કોરાનાના સમયમાં એકજ વાત યાદ આવે છે કે

    મને જીંદગી અને મોતની ખબર છે... ફુલ ઉપર કબર અને કબર ઉપર ફુલ છે.
    Vishwatravels2019@gmail.com

    ReplyDelete