Monday, 9 March 2020

નજર સામે ખુશીના અવસરોનો ઢગલો છે મોજથી એમાં ધુબકો મારો


નજર સામે ખુશીના અવસરોનો ઢગલો છે મોજથી એમાં ધુબકો મારો

હોળીનો રંગોત્સવ એટલે મળવાનો, હસવાનો, નાચવાનો, ગાવાનો અવસર. એકધારી જિંદગીમાં આવતા આ કલરફુલ આનંદોત્સવને દિલથી માણવો પડે. રોજ સાંજે ઢળતો સૂરજ જીવનનો એક અણમોલ દિવસ ઓછો થવાનો સંદેશ આપતો જાય છે. સાથે સાથે એ પણ કહેતો જાય છે કે, ‘આજના દિવસમાં કેટલો આનંદ કર્યો અને કેટલુ હસ્યા, કેટલા ખુશ રહ્યા એ જાણો છો ?’ જીવનની ઘટમાળમાં ખુશ રહેવા માટે પ્રયાસ કરવો પડે એ વાતમાં દમ નથી. ખુશીના અવસરોનો ઢગલો નજર સામે જ હોય છે. જરૂર છે આ ઢગલામાં મુઠ્ઠીઓ વાળીને મોજથી ધુબકો મારવાની. જો તમે એ જ કર્યા કરો છો જે રોજ કરતા આવ્યા છો તો એ જ મળશે જે રોજ મળે છે. પરંતુ જો કંઈક અલગ વિચારીને જુદુ જ કરો તો એનો આનંદ જુદો હશે. તહેવારો કંઇક જુદુ કરવાનો મોકો આપે છે. આપણી સંસ્કૃતિ અને સંસ્કારો સાથે તહેવારો વણાઈ ગયા છે. એકધારી રૂટીન જિંદગીમાં તહેવાર નોખી ભાત પાડે છે. તહેવારો ખુશી અને આનંદના કમાડ ખોલી આપે છે.



એક ભાઈ એમની સાથે નોકરી કરતાં મિત્રને કહે કે, ‘સવારે ઊઠો, નિત્યક્રમ પતાવો, ઓફિસ જાવ, રૂટીન કામ કરો, સાંજે ઘરે આવો અને સુઈ જાવ. કોઈ મોજ નથી. જબરો કંટાળો આવે છે જીવનમાં.’ જ્યારે એનો મિત્ર કહે, ‘દોસ્ત, હું તો મસ્તીથી જીવું છું. રોજ નવી વાત સાથે નવો આનંદ લઉ છું. આજે હોળી છે તને તો ખબર જ છે કે, ઓફિસમાં સાથીઓ સાથે હું રંગે રમ્યો અને બધા સાથે મળીને બધા ખૂબ હસ્યા, નાચ્યા. દરેક તહેવારોને હું મસ્તીથી ઉજવું છું. ભારે મોજ કરું છું.’ સાથે નોકરી કરતા બે મિત્રોનો જીવન જીવવાનો નજરીયો જુદો છે. બન્નેની માનસિકતા અલગ છે, એક આનંદ કરે છે બીજો સમજના અભાવે સોરવય છે.
તહેવારોમાં મુક્ત મને મળવાનો અને નાના બની હસવાનો આનંદ અનેરો હોય છે. બાળકની જેમ થનગનવાનો, નાચવાનો, ગાવાનો અવસર એટલે ફેસ્ટીવલ. તમામ દુઃખોનો અકસીર ઈલાજ બિન્દાસ્ત હસવામાં છે. કોના જીવનમાં ટેન્શન નથી ? સારું અને ખોટું, ઊંચું અને નીચું વગેરે પેરામીટર્સ તો વ્યક્તિ જાતે જ નક્કી કરીને દુઃખને સામે ચાલીને ઇન્વિટેશન આપતો હોય છે. મોટપણ, સત્તા, પૈસાનો બોજો લઈને ફરનારા હંમેશા એ ભારમાં જ ડૂબી જતા હોય છે. હસતા, ખેલતા, નાચતા, કુદતા હળવાફુલ લોકો સદાય મોજથી તરવાનો આનંદ કરતાં હોય છે. કંઈ નહીં તો એકવાર ખુશખુશાલ હોવાનું નાટક તો કરો. ધીમે ધીમે એની આદત બનશે અને પછી એ ચરિત્ર બની જશે. ફૂલોને ખબર છે કે એમનું આયુષ્ય બે-ત્રણ દિવસથી વધુ નથી છતાં ફુલને ક્યારેય ગમગીન જોયું છે ખરું ?
મહા અને ફાગણ મહિનામાં શુકલ પક્ષની પાંચમથી ઋતુઓના રાજા વસંતની દમામભેર એન્ટ્રી થાય છે. ફાગણ મહિનાની શરૂઆતથી પ્રકૃતિનું સૌંદર્ય નિખરી ઊઠે છે. વૃક્ષો સુકાયેલા પાનને અલવિદા કરીને નવા મનમોહક રંગબેરંગી ફૂલો અને પાંદડાથી નૃત્ય કરે છે. ઘઉં અને જઉમાં પોહ ફાટે છે. ભમરાઓના ગુંજન અને કોયલના ટહુકાઓથી વાતાવરણમાં સુમધુર સંગીત રેલાય છે. વસંતપંચમીના દિવસે પહેલ વહેલા હવામાં ગુલાલ ઉડાડી આનંદની છડી પોકારવામાં આવતી હોય છે. ભારત અને નેપાળમાં હોળ-ધુળેટીનો તહેવાર રંગેચંગે ઉજવવામાં આવે છે. અબીલ-ગુલાલ એકબીજા ઉપર ઉડાડી શત્રુને પણ મિત્ર બનાવવાના થનગનાટથી છલકાતો આ તહેવાર બે દિવસ ઉજવાય છે. હોળીનો તહેવાર રાગ અને રંગ સાથે વસંતના આગમનનો અણસાર આપે છે. રાગ એટલે સંગીત અને રંગ એટલે આનંદનો ઇઝહાર. અબાલ વૃધ્ધ સૌ કોઇ ઢોલક, મંજીરા, પોપ-ઝાંઝ વગેરે મ્યુઝિક સાથે નૃત્ય અને સંગીતના સથવારે મોજ મનાવે છે.



ઇતિહાસકારોના મંતવ્યો અનુસાર પૌરાણિક સમયમાં આર્યો હોળીનો તહેવાર ખુબ આનંદથી ઉજવતા. જૈમિનીના પૂર્વ મીમાંસા-સૂત્ર અને કથા ગાર્હ્ય-સૂત્રમાં આ અંગેનો આધાર જોવા મળે છે. નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ તથા હસ્ત લિખિત ગ્રંથોમાં હોળીના તહેવારના ઉલ્લેખો જોવા મળે છે. વિંધ્યાચળ ક્ષેત્રના રામગઢમાં ઈસવીસન પૂર્વે ૩૦૦ વર્ષ પુરાણા એક શિલાલેખ ઉપર વસંતોત્સવનું વર્ણન છે. સુપ્રસિદ્ધ મુસલિમ પર્યટક અલ બરૂનીએ એના ઐતિહાસિક યાત્રાવર્ણનમાં ‘હોલીકોત્સવ’ વિષે લખ્યું છે. મોગલકાળમાં હોળીનો ઉત્સવ ઉજવાતો હોવાના આધારભુત પ્રમાણો છે. અકબર અને જોધાબાઈ, જહાંગીર અને નુરજહાં હોળી રમતા હોવાના આધારો ઉપલબ્ધ છે. અલવરના એક સંગ્રહાલયમાં જહાંગીરને હોળી રમતા બતાવાયા છે. શાહજહાંના સમયમાં મુગલિયા હોળી રમવાના અંદાજમાં બદલાવ આવ્યો. એ વખતમાં હોળીનો તહેવાર ઈદ--ગુલાબી કે અબ--પાશિના નામથી ઓળખાતો. બહાદુર શાહ ઝફરને એના મંત્રીઓ રંગ લગાવી ઉત્સવ ઉજવતા હોવાના ઉલ્લેખો મળે છે. વૃંદાવનની કૃષ્ણ-રાધાની હોળી વિશે મધ્યકાલીન ભારતીય મંદિરોમાં ભિંતચિત્રો અને આકૃતિઓ બોલતા પુરાવા છે. વ્રજની હોળી, બરસાનેની લઠ્ઠમાર હોળી, મથુરા-વૃંદાવનની સૌથી લાંબી હોળી, હરીયાણાની ઘુલંડી, બંગાળની ઘેલ યાત્રા, મહરાષ્ટ્રની રંગપંચમી, તામિલનાડુની કમન પોડિગઈ, મણિપુરની યાઓસંગ પ્રચલિત છે.
સાહિત્ય જગતમાં પણ હોળીના રંગને સાહિત્યકારોએ બખુબી વર્ણવ્યો છે. સંસ્કૃત સાહિત્યમાં હોળીના વિવિધ રંગોનું વિસ્તૃત વર્ણન છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં સમૂહ રાસનું અદભુત આલેખન છે. હર્ષની પ્રિયદર્શિકા અને રત્નાવલી, કાલીદાસના કુમારસંભવમ્, માલવિકાગ્નિમિત્ર અને ઋતુસંહારમાં વસંતોત્સવ પુરબહાર ખિલ્યો છે. ભારવી, માઘ, ચંદ, વરદાઈ, બરદઈ, રહીમ, રસખાન, મીરાબાઈ, કબીર, બિહારી, કેશવ વગેરેની કલમે હોળીને શબ્દે કંડારી છે. મહાકવિ સુરદસે વસંતોત્સવ અને હોળી ઉપર ૭૮ પદ રચ્યા છે. પદ્માકરજીએ તેમની રચનાઓમાં હોળીનું અદભુત નિરૂપણ કર્યુ  છે. આધુનિક કવિઓ તેજેન્દ્ર શર્મા, પ્રેમાનંદ, ઓમ પ્રકાશ અવસ્થી વગેરેએ વસંતના રંગને અદભુત રીતે આલેખ્યો છે. બોલિવુડે ફિલ્મોમાં રંગોત્સવને કચકડે મઢીને પ્રસ્તુત કરવામાં કોઇ કસર છોડી નથી. નવરંગ, ઉત્સવ, સિલસિલા, જનક જનક પાયલ બાજે વગેરે ફિલ્મોમાં હોળી ઉત્સવનું અમર ચિત્રાંકન ચિરકાલીન યાદ રહે એવું છે. શાસ્ત્રીય સંગીતમાં ઘમાર, ધ્રુપદ, ઠુમરી, નાના-મોટા ખયાલ રાગમાં હોળીના સૌંદર્યનું માધુર્ય જોવા મળે છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ હોળીનું મહત્વ અનેરું છે. ઠંડીની મોસમનો બદલાવ અને બેવડી ઋતુઓના કારણે શરીરમાં આવેલી શિથિલતા અને ગીડીનેસને અબિલ, ગુલાલ અને સગીત દ્વારા શરીરનું આયર્ન મંડળ મજબૂત થાય છે. હોળીદહનના કારણે આસપાસના વાતાવરણના બેકટેરીયા નાશ પામે છે. કેટલાક વૈજ્ઞાનિકોના મત અનુસાર રંગોને કારણે સ્વાસ્થ્ય ઉપર સકારત્મક અસરો પેદા થતી હોય છે.
હોળીના તહેવારમાં મોજ કરવાના અમુલ્ય અવસરને કેટલાક લોકો અર્થ વગર ટાળતા જોવા મળતા હોય છે. વાતે વાતે રંગ બદલતા લોકો ધુળેટીમાં એમ કહે છે કે ‘મને રંગોની એલર્જી છે.’ વાસ્તવમાં આવા લોકોને ખુશીઓ અને આનંદની એલર્જી હોય છે. હોળીના રંગોની ‘એલર્જી’ ન હોય એની ‘એનર્જી’ હોય. વસંતોત્સવ ખુશીનો ખજાનો ખોલે છે. ખુબસુરતીમાં ખુશી નથી કે પછી કોઈ સુંદર લાગે એમાં ખુશી નથી. ખુશ રહેનારા લોકો ખુબસુરત હોય છે. ખુશ થઈને કામ કરનારા લોકોના કદમોમાં ખુશી અને સફળતા સામે ચાલીને આળોટતી હોય છે. ખુશી તો હૃદયમાં રહેલું ખળખળ વહેતુ ઝરણું છે. ખુશી બહારથી શોધવાની વસ્તુ છે જ નહીં. જે બહારનો અવાજ સાંભળીને જીવતો હોય એ ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. જે અંતરનો અવાજ સાંભળે એનો આહલાદ અલગ હોય છે.

ધબકાર :
અબિલ ગુલાલના રંગોથી ‘એલર્જી’ નહીં ‘એનર્જી’ મળે છે.

No comments:

Post a Comment