Friday, 15 January 2021

માત્ર દિવાલ ઉપર નહીં હદયમાં રાખવા જેવુ IIT ખડગપુરનુ કેલેન્ડર-૨૦૨૧

 

સ્કીલફુલ ભારતીય યુવાનોમાં આઈઆઈટીયન્સ અને આઈઆઈએમ પાસ આઉટનો દબદબો રહ્યો છે. ગત વર્ષના કેલેન્ડરના પાના ફરફર કરતા ઊડી ગયા અને નવા વર્ષના રંગબેરંગી કેલેન્ડરોએ ડ્રોઈંગરૂમ અને ઓફિસ રૂમોમાં સ્થાન લઈ લીધું છે. કેલેન્ડરોની થીમમાં એના ક્ષેત્ર અને મેકર્સની બૌધિક છાંટ જોવા મળતી હોય છે. હમણાં હમણાં સોશિયલ મીડિયા ઉપર આઈઆઈટી, ખડગપુરના નહેરુ મ્યુઝિયમ ઓફ સાયંસ એન્ડ ટેકનોલોજીનું વર્ષ-૨૦૨૧ કેલેન્ડર જબરુ વાયરલ થયું છે. ભારતીય જ્ઞાનધારાના ભૂત, વર્તમાન અને ભવિષ્યના થીમ ઉપરનું આ કેલેન્ડર અદભુત વૈચારિક સમૃદ્ધિથી ઠસોઠસ ભરેલું છે.


 

કેલેન્ડરની વાત માંડીને કરીએ એ પહેલા આઈઆઈટી, ખડગપુરની થોડી વાત ફ્લેશ બેકમાં કરવા જેવી છે. ભારતના યુવાનોમાં ઈજનેરી ટેકનોલોજીનું કૌશલ્ય નિર્માણ કરતી આઈઆઈટી ખડગપુર દેશની સૌથી પહેલી આઈઆઈટી સંસ્થા છે. ૧૯૫૦માં કોલકતામાં આઈઆઈટીની સ્થાપના પાછળનો ઇતિહાસ પણ રોચક છે. બીજા વિશ્વયુદ્ધમાં જગતના મોટાભાગના રાષ્ટ્રોમાં ઈજનેરી મશીનરી અને માળખાગત સુવિધાઓ તબાહ થઈ જતાં વિશ્વના દરેક દેશોમાં વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી ક્ષેત્રના પુનઃનિર્માણ અને એના વિસ્તાર માટે કુશળ માનબળની આવશ્યકતાની સખત માંગ ઊભી થઈ.


ચાલીસના દશકમાં નલિની રંજન સરકારની આગેવાની હેઠળ ર૨ સભ્યોની એક સમિતિએ દેશભરમાં પરિભ્રમણ કરીને મૈસાચુસેટ્સ પ્રૌદ્યોગિકી સંસ્થાન(એમઆઈટી)ની તર્જ ઉપર ટેકનિકલ શિક્ષણ આપતા ઉચ્ચત્તમ સંસ્થાનોના નિર્માણ કરવાની જરૂરીયાતનો અહેવાલ આપ્યો. નલિની રંજન સરકાર કમિટિએ આપેલા રીપોર્ટમાં દેશની ચારેય દિશામાં એક-એક ઉચ્ચ ટેકનિકલ સંસ્થા સ્થાપવાનો સ્પષ્ટ મત હતો. ખાસ કરીને દેશના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવી સંસ્થા વહેલામાં વહેલી શરૂ કરવા કમિટિએ ખાસ ભલામણ કરી હતી.



કોલકતા શહેરમાં આઇઆઇટીની પ્રારંભિક શરૂઆત બાદ શહેરથી ૧૨૦  કિલોમીટર દૂર હિજલી, ખડગપુરમાં એનું કાયમી સરનામું સુનિશ્ચિત થયું. સ્થાપના સમયે આઈઆઈટી, ખડગપુરનું નામ ઈસ્ટર્ન હાયર ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટહતું. પ્રારંભિક કાળમાં આઈઆઈટી, ખડગપુરમાં ૪૨ ફેકલ્ટી ૧૦ ક્ષેત્રોમાં ૨૨૪ વિદ્યાર્થીઓને ઈજનેરી ટેકનિકલ કૌશલ્યનિર્માણના પાઠ ભણાવતા હતા. આ હિજલીનો કારાવાસ શિબિર કહેવાતો. અહીં બ્રિટીશરો ભારતીય સ્વાતંત્ર્ય વીરોને બંદીવાન બનાવી રાખતા હતા. આજે આ બિલ્ડીંગને શહીદ ભવનતરીકે ઓળખવામાં આવે છે.



દેશમાં ૨૩ આઈઆઈટીમાં રાષ્ટ્રના હોનહાર યુવાનો ઇજનેરી ટેકનોલોજી આત્મસાત કરી રહ્યા છે. એબીપીના એક આકલન મુજબ દેશના આઈઆઈટીયન્સના કારણે લગભગ બે કરોડ જેટલી નોકરીઓના અવસર ઊભા થયા છે. દેશ અને દુનિયાની અર્થવ્યવસ્થામાં આઈઆઈટીયન્સનો ફાળો રૂપિયા ૨૦ લાખ કરોડ જેટલો છે. બીલીયન ડોલર્સ સ્ટાર્ટ-અપ્સના સ્ત્રોતમાં જગતમાં આઈઆઈટી ચોથા સ્થાને છે. ગુગલનાં ચીફ એક્ઝિક્યુટીવ સુંદર પીચાઈથી માંડીને જાણીતા અર્થશાસ્ત્રી ધુવરી સુબ્બારાવ, ઉપરાંત ઈસરોના પૂર્વ ચેરમેન કે રાધાક્રિષ્નન, યુ-ટ્યુબ વાયરલ ચેનલના કોફાઉન્ડર અરૂણકુમાર આઈઆઈટી, ખડગપુરના ફરજન છે.


નાઉ બેક ટુ આઈઆઈટી, ખડગપુર કેલેન્ડર-૨૦૨૧ થીમ. ભારતીય જ્ઞાનગંગાને સુપેરે વણી લેતા આ કેલેન્ડરના જાન્યુઆરી-૨૦૨૧ના પાના ઉપર જ્યોતિર્મયા મહાજાગતિક વિદ્યા, બીજગણિત, આયુર્વેદના જ્ઞાનને પ્રકાશિત કરતા સપ્તર્ષીની વિચારધારાને મૂકવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં જગતના નામાંકિત ઇતિહાસવિદ વિલ ડ્યુરન્ટના સંસ્કૃત ભાષા માટેના સુંદર ક્વોટ સાથે વિશ્વની તમામ ભાષાઓમાં સૌથી ચોક્કસ અને સંસ્કારી ભાષા તરીકે સંસ્કૃતને ઉજાગર કરવામાં આવી છે.



માર્ચ મહિનામાં નોબલ લોરીયટ આલબર્ટ આઈનસ્ટાઈનના ભારતીય ગણિતશાસ્ત્રના વિચારો સાથે આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કર, વરાહમિહિરની ગાણિતીક જ્ઞાનની પરિભાષા અંકિત કરાઈ છે. એપ્રિલ મહિનો કૌટિલ્યના અર્થશાસ્ત્ર ઉપર અને મે મહિનો રસાયણશાસ્ત્રમાં ભારતની દેનને ઉજાગર કરે છે. જૂનમાં આયુર્વેદ વિજ્ઞાન અને ચરક સંહિતાના બાયોલોજિકલ સાયંસની વાત છે. જુલાઈ મહિનામાં આધુનિક સ્પેસ ટેકનોલોજીના પાયામાં ભારતીય શાસ્ત્રો અને ઉપન્યાસોમાં બ્રહ્માન્ડનું જ્ઞાન હોવાની વાતને ઉજાગર કરવામાં આવી છે. ઓગષ્ટમાં ઈકોલોજિકલ અને એનવાયર્નમેન્ટલ સાયંસના પાયામાં ભારતીય ઉપમહાદ્વિપની પ્રકૃતિ વિદ્યાને પ્રતિપાદિત કરાઈ છે. મોડર્ન આર્કિટેકચરલનું ઉદભવ સ્થાન ભારતીય વાસ્તુશાસ્ત્ર, સપ્ટેમ્બર મહિનામાં દર્શાવાયું છે. ઓકટોબરમાં આધુનિક સોશિયલ ઈકોલોજીકલ એથિક્સ, લોજિક અને લો સાથે ભારતીય કર્મ અને ધર્મના સિદ્ધાંતો સાંકળીને રજૂ કરવામાં આવ્યા છે. નવેમ્બરમાં ક્લાસિકલ આર્ટ સાથે ભારતીય નાટ્યશાસ્ત્રને રજુ કરવામાં આવ્યું છે. ડિસેમ્બરમાં જગદીશચંદ્ર બોઝ, શ્રીનિવાસ રામાનુજ, આચાર્ય ઈરાવતી ક્વે, જાનકી અમ્મલ, અસ્તમા ચેટર્જી, નાથ બોઝ અને પ્રફુલ્લચંદ્ર રોય આધુનિક વિજ્ઞાનના સાત ઋષિઓને સ્થાન આપવામાં આવ્યું છે.



આઈઆઈટી, ખડગપુરની વાત નીકળી છે ત્યારે ત્યાંથી પાસઆઉટ થયેલી એક હોનહાર વિદ્યાર્થીની પૂજાની એક આડ વાત યાદ આવે છે. પૂજા બિહારના નાલંદા જિલ્લાના કંચનપુર ગામમાં રહે છે. એણે આઈઆઈટી ખડગપુરમાંથી કેમિકલ એન્જિનિયરીંગની ડિગ્રી મેળવીને અમેરિકાની એક પ્રતિષ્ઠિત ફર્મમાં ઈટર્નશીપ કર્યા પછી જીએઆઈએલમાં ઊંચા પદ ઉપર લાખોની સેલેરી સાથે લગભગ છ વર્ષ કામ કર્યું. પૂજાએ પોતાના ગામ માટે કંઈક કરવાનું વિચાર્યું. એની લાખો રૂપિયાના પગારની નોકરીને લાત મારીને એ પહોંચી ગઇ કંચનપુર ગામમાં. પોતાના ગામડામાં આવીને એણે ખેતી કરવાની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. આસામના દિબ્રુગઢમાં જઈને પણ એણે જૈવિક ખેતીની જાણકારી મેળવી ઓર્ગેનિક ફાર્મિંગી તાલીમ લીધા પછી વર્ષ ૨૦૧૬માં પૂજાએ બેક ટુ વિલેજનામે સ્ટાર્ટ-અપ લોન્ચ કર્યું. સ્વાભાવિક રીતે જ રાસાયણિક ફાર્મિંગની જગ્યાએ જૈવિક ખેતી માટે ખેડૂતોને વાળવાની કપરી બાબતને પૂજાએ બખૂબી અતિક્રમી. પૂજાએ સ્થાનિક ખેડૂતો સાથે મળીને જૈવિક ખેતી ઉપર અદભુત કામ આરંભ્યું. શરૂઆતમાં ખેડૂતો એના આ પ્રયોગોથી આઘા રહેતા. પછી ધીમે ધીમે લગભગ ૫૦૦૦ જેટલાં ખેડૂતો પૂજાના સ્ટાર્ટ અપ સાથે જોડાયા. પૂજાની આ વાત ખડગપુરના આઈઆઈટીયન્સના ખમીર અને વૈચારિક તાકાતને ઉજાગર કરે છે.



ખડગપુર ઉદ્યોગો, પાર્ક્સ અને ગાર્ડન, રેલ-વે વગેરે માટે લોકોના દિલો દિમાગ ઉપર છવાયેલું રહે છે. પરંતુ આ બધાની સાથોસાથ કેલેન્ડરોના ઇતિહાસમાં આઈઆઈટી ખડગપુરના માઈલ સ્ટોન જેવા આ કેલેન્ડરને પણ લોકો હંમેશા યાદ રાખશે. ભારતીય તત્ત્વજ્ઞાનને આધુનિક વૈજ્ઞાનિક તકનિકો સાથે સાંકળીને અદભુત રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જ્યારે જ્યારે ભરતીય જ્ઞાન અને વિજ્ઞાનની વાત નીકળે ત્યારે આપણા પૌરાણિક શાસ્ત્રો, વેદ, ઉપનિષદમાં વર્ણવાયેલા તત્વજ્ઞાનને સમસ્ત વિશ્વ નતમસ્તકે સ્વીકારે છે.



ધબકાર : ‘ભારત ભૂમિ માનવ જાતિનું એક પારણું છે. જે માનવીય ભાષાનું જન્મ સ્થળ, જગતના ભવ્ય ઇતિહાસની માતા, દંતકથાઓની દાદી અને મહાન પરંપરાઓ પરદાદી છે. માણસના ઇતિહાસમાં આપણી સૌથી કિંમતી અને રચનાત્મક બાબતોનો સંગ્રહ ફક્ત ભારતમાં જોવા મળે છે.’ – માર્ક ટ્વેન



https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/jan2021/12012021-4.pdf

No comments:

Post a Comment