મિલો કભી ચાય પર ફિર કિસ્સે બુનેંગે
તુમ ખામોશી સે કહના, હમ ચુપ કે સે સુનેંગે
અસલ જિંદગી તો વહી જીતે હૈ
જો ચાય બડે ચાવ સે પીતે હૈ...
ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટ હોય
કે ગલીના નુક્કડ પાસેની ચાની લારી હોય,
મિત્રો સાથે બેસી ચાના કપમાંથી ઘુંટડે ઘુંટડે થતી અલક મલકની વાતોમાંથી એક નવુ જ આકાશ
ખુલતું હોય છે. આ કોરોના કાળમાં ઘરે બેઠેલાઓને પુછી જોજો ચાની લારી ઉપર દોસ્તોની
કંપની કેટલી મીસ કરી ? તો એક જ
જવાબ મળશે કે કોરોના વાયરસે મિત્રો સાથે બેસી ચા પીવાની મોજ છીનવવાનુ મહાપાપ
કર્યું છે. ઇશ્વર આ ઘાતકી ગુના માટે એને ભયંકર સજા આપશે અને પૃથ્વી ઉપરથી એને નેસ્ત
નાબુદ કરી નાખશે. ક્યાંક ‘કટીંગ’ તો ક્યાંક
‘કપ ઓફ ટી’ કહેવાય પણ ચાનો મિજાજ હંમેશાં સપ્તરંગી જ રહે. દોસ્તોની નિકટતાનુ મજબુત
કારણ બનતી હોય છે ચાની એક પ્યાલી.
ચાના કેટ કેટલા સ્વાદ અને વિવિધ
રૂપ રંગ. એપલ, ચોકલેટ, લેમન, મસાલા, અદરક, ઈલાયચી વગેરે સ્વાદ અનેક પણ મુળતત્વ એક.
બ્લેક, એલ્વો અને ગ્રીન ટીની પણ અલગ માંગ રહે. એમાય દૂધ, પાણી, ખાંડ, ચા પત્તી અને આદુને મસ્ત ઉકાળીને બનાવાતી રગડા જેવી ગુજરાતી
ચા એટલે સેધે સીધુ સ્વર્ગનુ સરનામુ. ખાલી ખાલી ભેગા થઈને વાત
કરવામાં કોઈ દમ નથી. ચાની પ્યાલી વગર દમદાર વાત પણ ખોખલી લાગે અને ચાની ચુસકી સાથે
ફાલતુ વાત પણ દમદાર અને જાનદાર બની જાય. જગતમાં ચાના ઘૂંટડા સાથે ગળા નીચે કેટલાય
રાઝ પણ પેટમાં ઉતારી દેવતા હશે. તો વળી એક સીપ ચાની સાથે કેટ કેટલી યાદોનો વરસાદ
પણ તૂટી પડતો હશે. ચા પીતા હંમેશાં ઉચા ઉચા ખ્યાલ જ આવે એવું પણ નથી એમનેએમ કશા જ
કારણ વગર પણ ચા એટલે બસ ચા. કોઇ પણ સમયે એની મોજ અલગ, એનો અંદાજ અલગ.
અમિતાભ બચ્ચન બોલીવુડ
કલાકારથી પણ વધુ લેખક, ચિંતક, વકતા અને વિચારક છે. સર્જક પિતા હરિવંશરાય બચ્ચન
પાસેથી એમને સર્જનાત્મકતા વારસામાં મળી છે. એમણે થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ ઉપર
ચા પ્રત્યે એમના અપ્રતિમ સ્નેહને કવિતામાં કંઇક આવી રીતે પ્રસ્તુત કરતાં લખ્યું કે,
થોડા પાની રંજ કા ઉબાલીયે
ખૂબ સારા દૂધ ખુશિયોં કા
થોડી પત્તીયાં ખ્યાલો કી
થોડે ગમ કો કૂટકર બારીક
હસી કી ચીની મિલા દીજીયે
ઉબલને દીજીયે ખ્વાબો કો
કુછ દેર તક...
યહ જિંદગી કી ચાય હૈ જનાબ
ઈસે તસલ્લી કે કપ મેં છાનકર
ઘૂંટ ઘૂંટકર મજા લીજીયે...
અમિતાભની જીંદગીની ચા ઉપરની
આ મજેદાર કવિતાને પાંચ લાખથી વધુ લોકોએ પસંદ કરી છે અને એની ઉપર રિએકશન આપ્યા છે.
સવાલ એ છે કે, તબિયત ખૂશ કરી દેતી, તાજગી ભરી દેતી ચાની ચુસકી આવી ક્યાંથી
? ઈતિહાસના પાને ચાનુ સ્થાન ક્યા અને કેવી રીતે છે ? ચાની શોધ કંઈ વૈજ્ઞાનિકોએ કરી
નથી. ઇતિહાસ કહે છે કે, ચા પાંચ હજાર વર્ષો પહેલાં ચીનમાંથી આવી છે. ચીનમાં એક
સમ્રાટ શેન નુગ્નનું રાજ્ય હતું. રાજા શેન તેના આરોગ્ય માટે ખૂબ જાગૃત હતો. હંમેશા સવારે
મોર્નિંગ વોક બાદ તેના શાહી બગીચામાં બેસી ગરમ પાણી પીવાનો રાજાનો દૈનિક ક્રમ.
એક દિવસની વાત છે. રાજા શેન
સવારે લટાર મારી તેમના નિત્યક્રમ મુજબ બગીચામાં ગરમ પાણી પીવા બેઠા. ત્યારે સેવકે
ટેબલ ઉપર મુકેલા ગરમ પાણીના ગ્લાસમાં આસપાસના પ્લાન્ટમાંથી પત્તા ઉડીને પડ્યા. આ
પત્તાથી રાજાના પીવાના ગરમ પાણીનો રંગ બદલાયો અને તેમાંથી અલગ સોડમ પણ આવવા લાગી. રાજા
શેન આ પાણી પીવા આકર્ષાયા. દિવાને રાજાને આ પાણી પીતા રોક્યા કારણ કે, ઉડીની આવેલા પાંદડા ઝેરી પણ હોઈ શકે. પરંતુ રાજા ન માન્યા અને પાણી
પીધું. આ પાણી પીવાથી રાજાએ તાજગી અનુભવી. એમણે તેમના રસોઈયાઓને બોલાવી આ પાંદડાની
ચકાસણી કરાવી. ઉડીને અવેલા ચાના પંદડા ગુણકારી અને ઉપયોગી હોવનુ મલુમ પડ્યુ. રાજાએ
સુચના આપી કે, હવે રોજ આ જ પાંદડાવાળું ગરમ પાણી આપવામાં આવે. પછી તો દરબારીઓને
પણ આવું પાણી પીવાનું પસંદ પડવા લાગ્યું.
ધીમે ધીમે આખા ચીનમાં આ
પીણું પ્રચલિત બની ગયું. ચીનમાં મહેમાનોનું સ્વાગત આ ચાની પત્તીના પીણાથી થવા
લાગ્યું. ટ્રેડ સિક્રેટ ફોર્મ્યુલા પ્રમાણે રાજાએ લોકોને ફરમાન કર્યું કે પીણાની
રેસીપી બીજા કોઇને ન આપવી. બસ આ જ કારણે ચાની શોધ પછી હજારો વર્ષો ચીનની લાંબી અને
મજબુત દિવાલ પાછળ તે છુપાયેલી રહી. બૌદ્ધ
ભિક્ષુકોએ જ્યાં જ્યાં વિચરણ કર્યું ત્યાં ત્યાં ચા બનાવીને સ્વયં પીધી અને લોકોને
પણ પીવડાવી. કહેવાય છે કે, ભગવાન મહાવીરે આસામના જંગલોમાં ચાની પત્તીઓને શોધી કાઢી.
આસામના જંગલોમાં સાત વર્ષ ધ્યાનના સમયે મહાવીર ચાના પાંદડાને ચાવીને જીવીત રહ્યા
હતા. ચાની પત્તીઓથી મહાવીરને ઉંઘ નહોતી આવતી અને ભોજન વગર સરસ ધ્યાન કરી શકતા હતા.
ઇંગ્લેન્ડના લોકો ચા માટે
જાપાન ઉપર અવલંબીત હતા. જાપાન ચીનથી ચા પત્તી ઇંગ્લેન્ડ પહોંચાડતું. એવામાં ઇસ્ટ
ઇન્ડિયા કંપનીને ભારતના આસામમાં ચાની ભાળ મળી. વર્ષ ૧૮૩૪માં ગવર્નર લોર્ડ વિલિયમ
બૈટિકે બ્રિટન સરકારને આ વિશે અહેવાલ આપ્યો અને પછી આસામ, દાર્જીલીંગ અને દક્ષિણ
ભારતમાં ચાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ થયું. ભારતની ચાનું માર્કેટિંગ અંગ્રેજી
ગોરાઓએ ખૂબ કર્યું. આજે જગતમાં સૌથી વધુ ચા ઉત્પાદન કરવામાં અને પીવામા ચીન પછી
ભારત બીજા ક્રમે છે.
વેદાંત અને ભારતીય
આધ્યાત્મિક સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ મૂકી ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિને
ઉજાગર કરનારા સ્વામી વિવેકાનંદજી ચા પીવાના બડા શોખીન હતા. બંગાળી ચિંતક અને લેખક
શંકરે વર્ષ ૨૦૦૩માં સ્વામી વિવેકાનંદજીના જીવનના વિવિધ પાસાને તેમના પુસ્તક ‘અચેના
અજાના વિવેકાનંદ’માં સ્વામીજીનો ચાનો શોખ વર્ણવ્યો છે. શંકરના આ પુસ્તકમાં
સ્વામીજી ચાના રસિક હોવાની વાતનો ઉલ્લેખ છે. શંકરે વિવેકાનંદજીના જીવનના વિવિધ
પ્રસંગોને ૨૦૦ જેટલા પુસ્તકોમાં વિગતવાર નિખાર આપ્યો છે.
બે મિત્રોની યારીને પ્રગાઢ
બનાવે ચા, પ્રેમીઓના પ્રેમને નિખાર આપે ચા, અધિકારીઓની બેઠકોમાં ચોંટદાર નિર્ણયોની
સાક્ષી બને ચા, થાકેલાને તાજગી આપે ચા, ઉંઘ ઉડાડી જાગતા-ભાગતા કરે ચા. એક એવું
નિર્દોષ અને નિખાલસ પીણું છે ચા કે જેના પ્રત્યેક ઘૂંટડે દોસ્તીનો દમ વધે છે.
દોડતા સમયની ઉપર લગામ કસીને બાજુમા પ્રેમથી બેસાડી દેવાની શક્તિ છે ચાની એક
પ્યાલીમાં. કોરોનાએ ખુબ નુકસાન કર્યું છે. એમાં પણ દોસ્તો સાથે મળી લારી ઉપર બેસી
ચાના કપમાંથી ઘૂંટડે ઘૂંટડે મળતો લાખો રૂપિયાનો સંતોષ ઝૂંટવી લેવાનું સૌથી મોટું દુષ્કૃત્ય
કોરોના વાયરસે કર્યું છે.
ધબકાર :
‘તારીફ બયાં કર રહે થે લોગ અપને અપને પસંદીદા જામ કી, ખામોશી બસર હો ગઈ મહેફિલ મેં જબ મિસાલ દી હમને ચાય કી...’ – અજ્ઞાત



No comments:
Post a Comment