Thursday, 20 January 2022

બે ઘટનાઓ પ્લેટોના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ બની ગઇ હતી

 

એશિયન્ટ ફિલોસોફર પ્લેટોને જેટલા વાંચીએ એટલા ઉંડા ઉતરી જવાય અને જેટલા ઉંડા ઉતરીએ એટલી વધુ જાણવાની જીજ્ઞાસા પેદા થાય આવુ વ્યક્તિત્ત્વ છે પ્લેટોનુ. પ્લેટોએ વિચાર આપ્યો કે, સો ટકા પરફેકશનહોય એવી દુનિયા પણ છે, પરંતુ આવી દુનિયાને આપણે શોધી નથી કે પછી એને શોધવાનો પ્રયત્ન નથી કર્યો. પ્લેટોનું શમણું હતું કે, આખું જગત આદર્શ વિશ્વબને અને દુનિયાના તમામ લોકો અદભુત, અદમ્ય અને અલૌકિક આનંદ મેળવતા રહે. ચાણક્ય, સુશ્રુત ઋષિ, આર્યભટ્ટ જેવા દાર્શનિકો પણ પ્લેટો જેવી આદર્શ વિચારશરણીથી લોકોને પ્રશિક્ષિત કરવાનું ઉમદા કાર્ય કરી ચૂક્યા છે.

ગ્રીકના મહાન ફિલોસોફર, દાર્શનિક, ચિંતક અને વિચારક પ્લેટોની વાત નિરાળી છે. પ્લેટો ગર્ભશ્રીમંત પરિવારમાં ઉચરેલા. એમના પિતા અરીસ્ટન અને માતા પેરિટિયોનિ. કેટલાક લોકો કહે છે કે, પ્લેટોનું નામ એમના દાદાએ અરિસ્ટોક્લેસ પાડ્યું હતું. એવું કહેવાય છે કે, પ્રાચિન ગ્રીક સમાજ વ્યવસ્થામાં ગ્રીકવાસીઓ એમના સૌથી મોટા દીકરાનું નામ હંમેશા દાદાનું નામ જ રાખે એવી પરંપરા હતી. જ્યારે બીજા કેટલાકનો મત એવો પણ છે કે, ‘પ્લેટોએમનું ઉપનામ હતું. આ નામ એમને એટલે આપવામાં આવ્યું હતું કે, એ તંદુરસ્ત હતા. ગ્રીક ભાષામાં શારીરિક તંદુરસ્ત અને મજબૂત યુવાન માટેપ્લેટોશબ્દ પ્રયોગ થાય છે. બાળપણમાં જ એમના પિતાજીનું અવસાન થતાં થોડા સમય બાદ ગ્રીક રાજા ફારસના રાજદૂત અને પ્લેટોના કાકા સાથે પ્લેટોની માતાએ બીજા લગ્ન કરી લીધાં. સ્વાભાવિક રીતે જ પ્લેટોને કાકાના હોદ્દાના કારણે સમાજમાં ઉચુ સન્માન મળવા લાગ્યું. એ વખતના પ્રબુદ્ધ અને વિદ્વાનો પાસેથી પ્લેટોને ઉત્તમોત્તમ શિક્ષણ પ્રાપ્ત થયું. એમનું જીવન શાહી અમીરો જેવું હતું.

ધનાઢ્ય પરિવારમાં ઉછરેલા પ્લેટોના જીવનમાં બે મોટા ટર્નિંગ પોઈન્ટ આવ્યા અને વિશ્વને એક અદભુત દાર્શનિક સાંપડ્યો. આમ તો પ્લેટોએ દર્શનશાસ્ત્ર, સાહિત્ય, જીમનાસ્ટિક્સ, સમાજ જીવન, વિજ્ઞાન, ખગોળ વગેરે જેવા વિવિધ વિષયોના તજજ્ઞો પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. સોક્રેટિસ જેવા મહાન દાર્શનિકનાં પરિચયની ઘટનાએ પ્લેટોના જીવનને નવો વળાંક આપ્યો. સોક્રેટિસના વિચારો, સંવાદો, ચર્ચાઓ અને જીવન જીવવાની ફિલોસોફીનો પ્લેટો ઉપર બહુ ઊંડો પ્રભાવ પડ્યો અને એ સોક્રેટિસના શિષ્ય બની ગયા.

એથેન્સ અને સ્પાર્ટા વચ્ચે થેલોપોનેસિયન યુદ્ધની એક બીજી ઘટના પ્લેટોના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ બની હતી. આ યુદ્ધમાં પ્લેટોએ ઈસવીસન પૂર્વે ૪૦૯ થી ૪૦૪ વચ્ચે સેવાઓ આપી પરંતુ દુર્ભાગ્યવશ આ યુદ્ધમાં એથેન્સનો પરાજ્ય થયો. સ્પાર્ટાએ એથેન્સમાં લોકતંત્ર વ્યવસ્થા ખતમ કરી નાખી. સ્પાર્ટાના શાશકોએ એથેન્સના લોકોનું જીવન બદતર બનાવી નાખ્યું. પ્લેટો હૃદયથી માનતા હતા કે, એથેન્સવાસીઓના જીવનધોરણમાં એ સુધારો લાવે પરંતુ એ સમયે પ્લેટો અત્યંત મજબૂર હતા. સ્પાર્ટાનું રાજ ખતમ થયું અને એથેન્સમાં ફરી લોકતંત્રની સ્થાપના થતા પ્લેટો રાજનીતિમાં જવા માંગતા હતા પરંતુ સોક્રેટિસે એમને રોક્યા હતા. ગુરૂ સોક્રેટિસની ઇચ્છાને માન આપી પ્લેટો રાજનીતિથી દૂર રહ્યાં.

આમ તો સોક્રેટિસ અને પ્લેટોના વિચારોમાં કોઈ ખાસ ભેદ ન હતો. જો કે પ્લેટો અને સોક્રેટિસ વચ્ચે સૌથી મોટો દેખીતો ફરક એ હતો કે, સોક્રેટિસ બોલતા અને એમના વિચારો લોકો લખતા હતા. જ્યારે પ્લેટોએ જે કાંઇ પણ વિચારો આપ્યા એ એમણે સ્વયં લખ્યા અને લેખિત સ્વરૂપે વિચારો વહેતા કર્યા. એમણે ૩૬ જેટલા અવિસ્મરણીય પુસ્તકો દ્વારા જીવન કેમ જીવવું, જીવનના દ્રષ્ટિકોણ, જગતને વધુ સારું કેમ અને કેવી રીતે જોવાય અને જીવાય જેવા મહત્વના વિષયો માનવજાતને સ્પષ્ટ કરી આપ્યા. પ્લેટોના દર્શનશાસ્ત્રમાં ધ રિપબ્લિકધ સ્ટેટમેન, ધ લાગ, ઈયોન, સિમ્પોઝિપમ જેવા ગ્રંથો મુખ્ય છે. કહેવાય છે કે, પ્લેટોએ લખેલી વાતો એટલી તો સચોટ છે કે, વાચકોના હૃદયમાં ઊંડે સુધી ઉતરી જાય છે. કદાચ આ જ કારણે જગતના મહાન દાર્શનિકોમાં પ્લેટોનું નામ આદરપૂર્વક લેવાય છે.

પ્લેટોનું વ્યક્તિત્વ ગહન વિચારો દ્વારા ઘડાયું છે. એમણે માનવીના મગજના દ્વાર ખોલી વિચાર કરતા કરી મૂક્યા. દુનિયાભરના લોકોને પ્લેટોએ અનુભૂતિ કરાવી કે, જે થઈ રહ્યું છે એ અર્થહિન છે. ખરેખર જે અર્થસભર છે એ તો કોઈ જોતું જ નથી ! એમણે અત્યંત પ્રેમપૂર્વક ખોટી ધારણાઓ ઉપર ચાબુક ફટકારી છે. પ્લેટોના પાયાના વિચારો ઉપર આખું જગત મંથન, મનન અને ચિંતન કરે છે. એ કહેતા કે, દરેકને એમ થાય કે, એનું જીવન આદર્શ બને અને એના માટે એ પ્રયાસ કરે. આઈડીયાલિસ્ટિક વર્લ્ડ આઈડિયાના સમૂહથી જ બનતું હોય છે. સૌથી મોટો માર્ગ એ જ છે કે, વ્યક્તિ હંમેશા ગહન વિચાર કરતો રહે. વિચારોથી પોતાના મનમાં જ આદર્શફિલોસોફીનો મહાસાગર સાંપડે છે.

પ્લેટોએ માનવજાતને જાગૃત કરતા કહ્યું કે, વિશ્વમાં અખૂટ પ્રાકૃતિક સૌંદર્ય છે એ કુદરતી સંદેશને ડીકોડ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમાં વૃક્ષો, પંખીઓ, સાગર, જુંગલ, પહાડના કુદરતી નઝારા અવશ્ય સહાયરૂપ બને છે. કલા, કાવ્ય અને સાહિત્ય આનંદ અને સૌંદર્યની આવશ્યકતા જેટલી જ જરૂર છે. એ કહેતા કે સોનાની ચમકતી ઢાલ કરતા છાણ ભરવાનુ તગારું વધારે સુંદર છે કારણ કે એનો સકારાત્મક ઉપયોગ છે. બુદ્ધિમાન વ્યક્તિ જ્યારે કંઈ કહે છે ત્યારે એમ સમજવું જોઈએ કે, એની પાસે કહેવા લાયક કંઇક છે પણ મૂરખ વ્યક્તિ એટલા માટે બોલે છે કે, એને ગમે તે બોલવું છે. એક સારો નિર્ણય જ્ઞાનથી આવે છે નહીં કે નંબરો પ્રાપ્ત કરવાથી. થોડું કાર્ય પણ સારી રીતે કરવામાં આવે એ યોગ્ય છે. સમજ વગર અપૂર્ણતાથી કરેલુ ઘણું બધુ કાર્ય નિરર્થક નીવડે છે.

પ્લેટોએ શિક્ષણ ક્ષેત્રે અદભુત કામ કર્યું છે. એમના જીવનના ચાર દાયકા પછી ઈ.સ. ૩૮૭ની આસપાસ એક શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી. એવું માનવામાં આવે છે કે, એ સમયગાળામાં પશ્ચિમના દેશોમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્લેટોની આ શૈક્ષણિક સંસ્થા એકમાત્ર સ્થાન હતું. અહીં એક ઓપનએર વિદ્યાલય હતું. અહીં દુનિયાભરના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવતા હતા. એવું કહેવાય છે કે, પ્લેટોની આ એકેડેમીમાં જે વિદ્યાર્થી એકવાર અભ્યાસ કરી લેતો તેનું નામ વિદ્વાનોમાં લેવાતું થઈ જતું. એથેન્સ નગરમાં સ્થિત પ્લેટોનું આ વિદ્યાલય શિક્ષણ, વ્યાયામ, રમતગમત, અને તબીબી ચિકિત્સાનું પ્રમુખ કેન્દ્ર બની ગયું હતું. શરૂઆતના તબક્કે આ વિદ્યાલયને ‘અકાદેમસ’ કહેવાતું. પણ પાછળથી આ વિદ્યાપીઠ ‘અકાદમી’ તરીકે ઓળખાવા લાગ્યું. એથેન્સની આ અકાદમી એવી સંસ્થા હતી કે જ્યાં એથેન્સના નાગરિકો ઉપરાંત બીજા દેશના લોકો પણ અભ્યાસ કરી શકતાં. જીવનના મહત્વના વિષયો ઉપર વિચારવિમર્શ, દર્શનશાસ્ત્ર, નીતિ શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને શિક્ષણની મૂળભૂત ધારણાઓના વિષ્લેષણ અહીં થતાં. ઈ.સ. ૫૨૯માં સમ્રાટ જુસ્તુનિયને અકાદમીને બંધ કરી દીધી અને એકેડેમીની તમામ સંપતિને જપ્ત કરી લીધી. ત્યાર બાદ થોડા સમય પછી યુરોપમાં પ્લેટોની અકાદમીના નકશેકદમ પર બીજી અકાદમીઓ બનવા લાગી.

કેટલાક વીરલાઓ પૃથ્વી ઉપર આવે છે અને સદીઓ સુધી અમીટ છાપ છોડી જાય છે. એમના વિચારો, વાત અને કહાની સદાય જીવીત રહેતી હોય છે. આવનારી પેઢીઓ એમના વિચારોને સમજવા અને શીખવા પ્રયાસ કરતી રહે છે. આવી જ વિભૂતી એટલે ગ્રીકના મહાન દાર્શનિક પ્લેટો. એમણે વિશ્વને સાચી સમજ અને જ્ઞાનનો મહાસાગર આપ્યો. એમનુ તત્ત્વદર્શન એમના જીવનની લાંબી તપસ્યાનો નિચોડ  છે.


ધબકાર : ‘આપણે શીખી નથી રહ્યાં. આપણે જેને શીખવાનું કહીએ છીએ એ તો યાદ રાખવાની એ પ્રક્રિયા માત્ર છે’’ પ્લેટો.


   

No comments:

Post a Comment