Sunday, 22 April 2018

હું ગુજરાતી એ વાતથી જ ગજ ગજ ફૂલે છાતી...


હું ગુજરાતી એ વાતથી જ 
ગજ ગજ ફૂલે છાતી...
  
ઠાઠ માઠ હકડેઠઠ, જોતાં વેંત લાગે છે, કડેધડે આજ ગુજરાત છે, આથમણી ખડકીનો નોખો અસબાબ, મુઠ્ઠી ઊંચેરું રાજ ગુજરાત છે, વિકાસની વાતું નહીં, વિકાસ વાતુંમાં નહીં, ઘુઘવાતો સાચો વિકાસ છે, મુઠ્ઠી ઉંચેરું રાજ ગુજરાત છે… તાજેતરમાં ક્રેસીલ દ્વારા સ્ટેટ ઓફ ગ્રોથનો રિપોર્ટ જોયો ત્યારે વર્ષો પહેલા જામનગરના સર્જક ભાનુકુમાર જોષી ‘સનાતને’ લખેલી આ રચના માનસપટ ઉપર ઉભરી આવી. ‘સનાતન’ની ભાષામાં કહીએ તો, ‘વિકાસની વાતુ નહીં વિકાસ વાતુમાં નહીં ઘુઘવાતો સાચો વિકાસ’ ક્રેસીલે દુનિયા સામે મૂક્યો. ક્રેસીલ એટલે ક્રેડિટ રેટિંગ ઈન્ફર્મેશન સર્વિસિસ ઓફ ઇન્ડિયા લિમિટેડ. વૈશ્વિક વિશ્લેષણો કરીને દેશ અને દુનિયાના પ્રબુદ્ધો સમક્ષ ક્રેસીલ મુકે છે. સચોટ વિષ્લેશણ કરતી વિશ્વસનીય સંસ્થા તરીકે ક્રેસીલની દુનિયાભરમાં નામના છે. વૃદ્ધિ, ફૂગાવો અને નાણાંકીય સદ્ધરતાના ત્રણ મુખ્ય માપદંડોના આધારે ક્રેસીલે વર્ષ ૨૦૧૩થી ૧૭ના પાંચ વર્ષના સમયગાળામાં સૌથી વધુ ઝડપી વૃદ્ધિનું પૃથક્કરણ કરીને એક અહેવાલ પ્રસ્તુત કર્યો. આ અહેવાલમાં ક્રેસીલે ગુજરાત રાજ્યને સૌથી વધુ ઝડપી વૃદ્ધિ પામતાં રાજ્ય તરીકે દર્શાવ્યું છે. ક્રેસીલના મંતવ્ય અનુસાર ગુજરાતે બાંધકામ અને ઉત્પાદન ક્ષેત્રે સૌથી વધુ વિકાસ કરીને બહેતરીન પ્રદર્શન કર્યું છે. ગુજરાતમાં ઉત્પાદન ક્ષેત્રના કુલ મૂલ્ય વૃદ્ધિ ૨૮.૪ ટકાથી વધીને ૩૪.૪ ટકા સુધી પહોંચી છે. પ્રત્યેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલે એવી વાત એ છે કે, આ ઉત્પાદન મૂલ્યવૃદ્ધિ ચીનમાં જોવા મળતાં ઉત્પાદન મૂલ્યવૃદ્ધિની લગોલગ છે. ક્રેસીલે એવું પણ નોંધ્યું છે કે, ૨૦૧૩થી ૨૦૧૬ વચ્ચે રોજગારીનું મહત્તમ સર્જન કરતાં ક્ષેત્રોના મૂલ્યવર્ધનમાં અને એકંદરે ઘરગથ્થું આવકની વૃદ્ધિ ધરાવતાં દેશના અગ્રણી ત્રણ રાજ્યોમાં ગુજરાત દબદબાપૂર્વકનું સ્થાન ધરાવે છે.



ગાંધીનગરના સંવેદનશીલ સર્જક કવિ કિશોર જીકાદરાના શબ્દો છે. ‘ નંબર વન ગુજરાત મારું, નંદનવન ગુજરાત, કરોડ સાડા છ સ્વજન છે, બહોળો છે પરિવાર, સમરસ થઈ એ ટીલ્લો લે છે, સુખમાં અપરંપાર, માંડે છે પ્રગતિના પંથે કદમ દિવસ રાત મારું નંબર વન ગુજરાત...’
પ્રદેશ અને દેશની આર્થિક સદ્ધરતા માટે વિદેશી મૂડીરોકાણની બહુ મોટી અહેમીયત હોય છે. ૨૦૧૬-૧૭માં ગુજરાતે ૩.૩૬ અબજ ડોલર એટલે કે, રૂ. ૨૨૬૧૦ કરોડની અધધધ રકમનું સીધું વિદેશી મૂડી રોકાણ આકર્ષિત કરી વિક્રમ સર્જ્યો. ૨૦૧૫-૧૬ના આંકડા મુજબ રૂ. ૧૪,૬૬૭ કરોડનું ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ થયું હતું. તેમાં ૫૪ ટકાનો મસમોટો ઉછાળો ગુજરાતની આર્થિક સદ્ધરતાની મજબૂત ગવાહી આપે છે. આખા દેશમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવામાં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો દેશમાં આવતા કુલ સીધા વિદેશી મૂડીરોકાણમાં વર્ષ ૨૦૧૫-૧૬માં ગુજરાતનો ૫.૬૦ ટકા હિસ્સો હતો અને વર્ષ ૨૦૧૬-૧૭માં તે વધીને ૭.૭૫ ટકા થયો છે ત્યારે કવિ કૃષ્ણ દવેની પેલી મઝાની પંક્તિ ગૌરવભેર ગાવાનુ મન થઇ જાય, ‘નવી સવારે નવું કિરણ લઈ આવ્યું નવલી વાત, અમારું નવું નવું ગુજરાત, નવા જ સંકલ્પોને લઈને પગટ્યું નવું પ્રભાત, અમારું નવું નવું ગુજરાત...’



નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક્સ રીસર્ચ (એનસીએઈઆર)ના વિચારકો દ્વારા દેશમાં સૌથી વધારે રોકાણ માટેની ક્ષમતા ધરાવતાં રાજ્યોના સંદર્ભે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં સૌથી વધારે રોકાણની ક્ષમતા ધરાવતા ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં ગુજરાત ટોચના સ્થાને બિરાજે છે. ઈન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ ઈન્ડેક્ષ –એસીઆઈપીઆઈ-૨૦૧૭ના એક અહેવાલ મુજબ દેશના વિવિધ રાજ્યોને તેમની ઔદ્યોગિક હરિફાઈ અને રોકાણની શક્યતા-પરિસ્થિતિનું આકલન કરીને રોકાણની ક્ષમતા અંગેનો ક્રમાંક નક્કી કરે છે. એનસીએઈઆર તેનો અહેવાલ તૈયાર કરવામાં શ્રમ, આંતરમાળખાકીય સવલત, ઈકોનોમિક એન્વાયરમેન્ટ, રાજકીય સ્થિરતા અને શાસન પ્રણાલી, દીર્ઘદ્રષ્ટી અને જમીન જેવા છ આધારસ્તંભો અને ૫૧ પેટાસૂચકાંકોને ધ્યાનમાં લેતું હોય છે.
ઔદ્યોગિક માલસામાનની હેરફેર અને પરિવહન કાર્યક્ષમતાને પ્રસ્તુત કરતાં સૂચકાંકમાં પણ આપણું ગુજરાત અવ્વલ સ્થાને મુસ્કુરાતુ ઉભું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની નવા લોજિસ્ટીક ઈઝ એક્રોઝ ડિફરન્ટ સ્ટેટસના ઈન્ડેક્ષ (એલઆઈએડીએસ)માં ગુજરાતને અગ્રહરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સૂચકાંક તૈયાર કરવામાં ઈન્ફ્રાસ્ટક્ચરલ ફેસિલીટીઝ, સર્વિસિસ, ગુડ્સ સિક્યોરિટી, ટાઈમ બાર, રોડ્સ વગેરે પ્રકારના મૂલ્ય આધારિત માપદંડો હોય છે. ‘હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ વાતથી જ ગજ ગજ ફૂલે છાતી...’ કવિ વિનોદ જોષીની આ રચના એલઆઈએડીએસની વાત વાંચતા રોમે રોમથી ગાતી, ગુનગુનાતી ખળખળ સાહજીક રીતે વહેવા લાગે છે.
એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા જેને લોકો એસોચેમના નામથી વધુ જાણે છે, એના અહેવાલ મુજબ ગુજરાતને ઉત્પાદન ક્ષેત્રમાં ઉભરતા રાજ્યમાં ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. આ અહેવાલ રાજ્યમાં ફેકટરીઓની સંખ્યા, કાર્યકારી મૂડી, ચોક્ખી સ્થાયી મૂડી ઊભી કરવી, તૈયાર થયેલું ઉત્પાદન, મૂડી રોકાણ  અને કુલ નિવેશ અંગે રાજ્યની થયેલી કામગીરીના માપદંડોના આધારે તૈયાર કરવામાં આવે છે.  એસોચેમમાં ઈકોનોમિક્સ રિસર્ચ બ્યુરોના મેન્યુફેકચરીંગ એક્ષલન્સ એન્ડ ઈમરજન્સ ઈન ઈન્ડિયા – ધ સ્ટેટ લેવલ એનાલિસિસનો અહેવાલ ખૂબ મહત્વ ધરાવતે હોય છે. એસોચેમના અહેવાલ અનુસાર ગુજરાતનો ઓપરેશનલ રેશિયો, મૂલ્યવર્ધન અને નિવેશ ખર્ચ જેવા પરિમાણોમાં ગુજરાતે ખૂબ સુંદર કામગીરી કરી છે.
દેશના સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનની નિકાસમાં ગુજરાત ૩૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૧૪-૧૫ અને ૧૫-૧૬માં ૨૦ ટકાના ઘટાડા પછી વર્ષ ૨૦૧૬-૧૭માં ચાર ટકાનો વધારો કરીને ગુજરાતે બાઉન્ડ્રી ફટકારી છે. ગીફ્ટસિટી ફાઈનાન્સ (એસિઝેન) અને ઝાયડસ ફાર્મા (એસિઝેન)ની નક્કર અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાત રાજ્યની નિકાસમાં બે અંકમાં વૃદ્ધિ થવાની પાકી શક્યતાઓ જોવાઈ રહી છે.



ધ હોલ ઓફ ફેમ કેટેગરી અંતર્ગત નેશનલ ટુરિઝમ એવોર્ડમાં ગુજરાતને પ્રવાસનના સર્વગ્રાહી વિકાસ માટે શ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર મળ્યો છે, ત્યારે સાઈરામ દવેની ડાલામથ્થો ગુજરાતીવાળી રચના સળવળીને બેઠી થઇ જાય...
‘હું ડાલા મથ્થો ગુજરાતી, હું દરિયા બેટો ગુજરાતી, આત્મ ગૌરવી કરુણા ગામી, સાગર પેટો ગુજાતી, પ્રેમ, ધર્મને કર્મ કથાનો મસ્ત મરદડો ગુજરાતી, નાચે ગાવે કરે હિલ્લોળા, મૂછ ફરકડો ગુજરાતી...
અમદાવાદ અને રાજકોટ ગુજરાતના બે શહેરોએ વૈશ્વિક નકશા ઉપર જબરૂ કાઠું કાઢી કાઢ્યું છે. ગુજરાતની શાનો શોકતમાં આ બે શહેરોએ વધારો કર્યો છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા અમદાવાદ શહેરને પ્રથમ ભારતીય હેરિટેઝ સિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. વર્લ્ડ બેન્ક દ્વારા ઈન્ટરનેટ ઓફ થિંગ્સ – ધ ન્યુ ગવર્નમેન્ટ ટુ પ્લેટફોર્મ અંતર્ગત સરકારી સેવાઓની ગુણવત્તા સુધારવા ટેકનોલોજીનો ઉપયોગ કરનાર સમગ્ર વિશ્વમાં ૯૦ શહેરોમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશના સૌથી સ્વચ્છ ૫૦ શહેરોની યાદીમાં ગુજરાતના ૧૨ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ આખા ગુજરાત માટે ગૌરવરૂપ ઘટના છે. નીતિ આયોગ દ્વારા રજૂ કરાયેલા હેલ્ધી સ્ટેટ, પ્રોગ્રેસિવ ઈન્ડિયાના અહેવાલમાં આરોગ્યલક્ષી કામગીરીના સંદર્ભમાં દેશના મોટા રાજ્યો પૈકી ગુજરાત રાજ્યનો ચોથો નંબર આવે છે.
એક સમય હતો કે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થઈ ત્યારે વિશાળ સાગરકાંઠો અને ખારાશવાળી ભૂમિ ધરાવતા આ પ્રદેશમાં શું ખાક વિકાસ થશે એવી દેશ આખામાં માન્યતા હતી. પણ આજે કવિ હર્ષ બ્રહ્મભટ્ટના શબ્દોમાં કહીએ તો , ‘ મે રાખમાંથી બેઠા થવાના, જલાવો તોય અમે જીવી જવાના, ભલે જળ ન સિંચો તમે તે છતાંય, અમે ભીંત ફાડીને ઊગી જવાના...’
ઘણાં એવા ક્ષેત્રો છે કે, જેમાં વટથી આપણે કહી શકીએ કે, આપણું ગુજરાત ‘નંબર વન’ છે. એવરેજ ગ્રોથરેટમાં ગુજરાત ‘નંબર વન’ છે. ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત ‘નંબર વન’ છે, એક્ષ્પોર્ટમાં ગુજરાત અગ્રેસર છે. મગફળી, જીરૃ, મસાલા, ઈસબગુર પ્રોસેસિંગ અને નિકાસ, બટાકા, આદુ, કપાસના ઉત્પાદનમાં ગુજરાત ‘નંબર વન’ છે. સૌર ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત ‘અગ્રેસર’ છે. દેશમાં થયેલા કુલ મૂડીરોકાણમાં સૌથી વધુ મૂડીરોકાણ ગુજરાતમાં થયું છે. એમ્પ્લોયટમેન્ટ એક્ષ્ચેન્જ દ્વારા રોજગારી આપવામાં ગુજરાત ‘નંબર વન’ છે. ગુજરાત અને ગુજરાતીઓના રોકેટ ગતિએ થઈ રહેલા વિકાસની વાસ્તવિકતા અને સાહિત્યકારોના સર્જનમાં શબ્દે શબ્દે ટપકતી ગરવા ગુજરાતની ગરવી વાતો શેર લોહી ચઢાવી દે છે. ખલિલ સાહેબના જાણિતા શેર, ‘ જેને ગુજરાતીમાં સમજ નથી પડતી એ બીજો કંઇ પણ હોય ગુજરાતી નથી...’ના મિજાજમાં કહેવાનુ મન થાય કે, ‘ જેને ગુજરાતના વિકાસમાં રસ નથી એ બીજો કોઇ પણ હોય ગુજરાતી નથી...’

ધબકાર –
‘હું ગુજરાતી તું ગુજરાતી, આપણ સહુનું તળ ગુજરાતી, શાંતિ અને સાહસથી જીવવું , જગ આખે ઝળહળતો ગુજરાતી...’ 
- કનૈયાલાલ ભટ્ટ




No comments:

Post a Comment