Friday, 8 March 2019


ભીડથી અલગ હટી નવો રાહ બનાવનારા જીવન જીવી જાય છે અને બીજાએ બનાવેલા માર્ગે ચાલનારા માત્ર સમય પસાર કરતા હોય છે
દિન રાત દોડતી દુનિયા મેં,
જિંદગી કે લિયે હી વક્ત નહિ;
પેસો કી દોડ મે એસે દોડે,
કી થકને કા ભી વક્ત નહીં;
પરાયે અહેસાનો કી ક્યા કદ્ર કરે,
જબ અપને સપનો કે લિયે હી વક્ત નહિ;
તુ હી બતા એ જિંદગી,
ઇસ જિંદગી કા ક્યા હોગા;
કી હર પલ મરનેવાલો કો,
જીને કે લીયે ભી વક્ત નહીં;...
હદયના તારને રણઝણાવી નાખતા આ હિન્દી કાવ્યાંશમાં જીવનનો ખુબસુરત નજરીયો અદભુત રીતે પેશ કરાયો છે. દરેક વ્યક્તિને જીવનનો ભરપૂર આનંદ લેવો છે. દરેકને કંઈક એવું કરવું છે જે સૌથી નોખું હોય. બધાને જીવનમાં એવી કોઈ મોટી ઉપલબ્ધિ મેળવી ચમકવું હોય છે કે જે બીજા લોકોના માનસપટ ઉપર છવાઈ જવુ હોય છે. દુનિયામાં જે લોકો આગળ વધ્યા છે, એમના ચીતરેલા ચીલા ઉપર બધા દોડવા આતુર હોય છે. કોઈના બનાવેલા માર્ગ ઉપર દોડવા મથતી ભીડમાં આજુબાજુવાળા ક્યાં છે અને એ મારા માટે શું વિચારી રહ્યા છે એવા ખયાલોમાં જ મોટાભાગે જિંદગીની દોડ પૂરી થઈ જતી હોય છે. આખી દુનિયામાં એક ટકા લોકો જ એવા છે જેમની પાસે સામાજિક, આર્થિક સામર્થ્ય અને સુખ-સવલતના અંબાર છે. ૯૯ ટકા લોકો તો આ સફળ થયેલા એક ટકા લોકો પાછળ ગાડરિયા પ્રવાહમાં જીવન ખપાવી દેતા હોય છે. આ એક ટકા લોકો ભીડમાંથી અલગ હટી ગયેલા લોકો છે. ખાડા-ટેકરા, કંટકોની વચ્ચેથી માર્ગ કાઢીને આગળ આવ્યા એટલે આ એક ટકા લોકોની અલગ ઓળખ બની છે.
બીજાએ બનાવેલા માર્ગ ઉપર ચાલવાથી થોડો સમય આરામ અને સંતોષ જરૂર મળે પણ આ સફળતા અડધી પડધી અને ટૂંકા ગાળાની હોય છે. જો મુસીબતો અને મુશ્કેલી ભરેલી તમારી અલગ રાહ નથી તો જીવનની સફર જરૂર ખેડાય તો પણ જિંદગી એના પૂર્ણ આફતાબમાં ખીલી ન શકે. સમગ્ર વિશ્વમાં ખૂબ જોવાતો 'મેન વર્સીસ વાઇલ્ડ' શોના બેયર ગ્રીલ્સનું નામ દુનિયાભરમાં ઘરે-ઘરે જાણીતું છે. બેયર જીવનની મુશ્કેલીઓને એપલ જ્યૂસની જેમ પી જઈને હંમેશા તાજો-માજો રહ્યો છે. એક નહીં અનેક ઝંઝાવાતો સામે બેયર અડીખમ યોદ્ધાની જેમ લડ્યો છે. એણે જીવનને ભરપૂર માણ્યું છે. હર કદમ ઉપર હાકાલા પડકારા દેતા નવો માર્ગ એણે કંડાર્યો છે. આયર્લેન્ડમાં જન્મેલા બેયરનું ખરુ નામ એડવર્ડ માઈકલ બેયર ગ્રીલ્સ. એડવર્ડ નાનો હતો ત્યારે એની બહેન લાડથી એને 'બેયર' કહેતી. બહેને લાડથી આપેલા નામને જ એડવર્ડે પોતાની પહેચાન બનાવી નાખી. એને બાળપણથી એડવેન્ચર કરવાનો જબરો શોખ હતો.
એડવેન્ચરની દુનિયામાં આગળ વધવા માટે એણે બ્રિટિશ આર્મીમાં જોડાવવાનું નક્કી કર્યું. આ માટે લેવાતી અત્યંત કપરી પરીક્ષામાં ૧૯૯૪માં પાસ થનારો બેયર એકમાત્ર કેન્ડિડેટ હતો. બ્રિટિશ આર્મીની 21 SAS રેજીમેન્ટમાં એ જોબ પર લાગ્યો. પણ કહેવાય છે ને કે, નસીબ આડે પાંદડું હોય ત્યારે શું થઇ શકે ? નસીબ આડેના પાંદડાને પણ બેયર જેવા લોકો પોતાની અલગ વિચારધારા દ્વારા દૂર હડસેલી નાખતા હોય છે. આર્મીની નોકરીમા જોડાયાના માત્ર બે જ વર્ષમાં બ્રિટિશ આર્મીના ઝામ્બિયાના એક મિશન વખતે બેયરને જબરજસ્ત એક્સિડન્ટ થયો. એ ૪૯૦૦ મીટરની ઊંચાઈએથી પેરા જમ્પિંગ કરતો હતો ત્યારે એનુ પેરાશૂટ ન ખુલવાને કારણે ખડક ઉપર પટકાયો. એની કરોડરજ્જુ ચકનાચૂર થઈ ગઈ. એની કરોડરજ્જુમાં ત્રણ મેજર ફ્રેકચર થયા. ડોકટરોએ હાથ ધોઈ નાખ્યા. બધા એક્સપર્ટ ડોક્ટરોએ કહી દીધું કે, હવે બેયર જીવનભર ઉભો નહીં થઈ શકે.
આવી પરિસ્થિતિમાં કોઇ પણ વ્યક્તિ ભાંગી પડે. આવી પરિસ્થિતિમાં પણ બેયરે જીવનનો અલગ રાહ બનાવવાનું નક્કી કરી લીધું હતું. એણે એના હોસ્પિટલના રૂમમાં માઉન્ટ એવરેસ્ટનું મોટું પોસ્ટર લગાવ્યુ. બાળપણથી એની ઈચ્છા એવરેસ્ટ સર કરવાની હતી. ૧૮ મહિના હોસ્પિટલમાં રહ્યા બાદ એ ફરી બેઠો થયો. બેયરે ૧૬, મે ૧૯૯૮માં એવરેસ્ટ ઉપર પગ મુક્યો અને બ્રિટનના એવરેસ્ટ આરોહણના ઈતિહાસમાં ત્રેવીસ વર્ષની સૌથી નાની વયે એવરેસ્ટ સર કરવાનો વિક્રમ એના નામે નોંધાયો.
આ પછીની એક ઘટના એવી પણ છે કે, બેયરે એના મિત્રની આર્થિક સહાયતા માટે બાથરૂમ ટબમાં થેમ્સ નદી પાર કરવાની અત્યંત કપરી ચેલેન્જ ઉપાડી લીધી. જીવનના મુશ્કેલ સમય દરમિયાન એણે નક્કી કર્યું હતું કે, વિકટ પરિસ્થિતિમાં એણે જે ભૂલો કરી અને જે સહન કરવું પડ્યું એવું બીજા કોઈને સહન ન કરવું પડે એના માટે એ લોકોને કપરી પરિસ્થિતિમાં માર્ગ શોધવા માટે ઉપયોગી જાણકારી આપશે. એણે 'મેન વર્સીસ વાઇલ્ડ' ટીવી શો શરુ કર્યો. જોતજોતામાં આ ટીવી શો લોકોના હૃદયમાં ઊતરી ગયો. જે વ્યક્તિની કરોડરજ્જુ ચકનાચૂર થઈ ગઈ હતી, માઉન્ટેનિયેરીંગ તો શું બેસી પણ ન શકે એવી સ્થિતિમાં મુકાઇ ગયેલા વ્યક્તિએ ભીડથી અલગ પોતાના વિચારો મુજબ ચાલીને ઇતિહાસમાં રચ્યો.
કવિ ભાવેશ ભટ્ટની આ ચોટદાર પંક્તિ યાદ આવે છે, 'રોજ ખાના આપણા બદલાય છે, તે છતાં પણ ક્યાં રમત સમજાય છે, તું સમય છે તો સમયની જેમ ચાલ, આમ ક્યાં સામે અથડાય છે...' બાળપણથી લઈને વૃદ્ધાવસ્થાની સફરમાં જવાબદારીઓ પૂરી કરવાના ચક્કરમાં અને બીજાએ બનાવેલી સડક ઉપર આસાનીથી ચાલવામાં પોતાના માટે જીવવાનું સાવ જ ભુલાઈ જતુ હોય છે. નોકરી કે વ્યવસાય કરતા હોઇએ ત્યારે સત્તા અને પૈસાની કશ્મકશમાં જ્યારે નિવૃત્તિના આરે આવીએ ત્યારે ખબર પડતી હોય છે કે, જિંદગી તો જીવાઇ જ નથી માત્ર સમય પસાર થયો છે. જ્યારે આ વાસ્તવિકતાની ખબર પડે અને પોતાની રીતે જીવન જીવવાનું નક્કી કરવામાં આવે ત્યારે શરીરની સાથ આપવાની મર્યાદા હોય છે.
પ્રતિદિન એક નવુ લક્ષ્ય નક્કી કરી નવો રાહ બનાવવા સજ્જ થવું જોઇએ. ચેતના મનમાં જાગવી જોઈએ. નક્કી કરી લેવું પડે કે, આ એ જ પળ છે કે, જેના માટે જીવનમાં રાહ જોઈ હતી. નાના નાના લક્ષ્યો પાર પાડી મોટી સફળતા સુધી પહોંચી શકાય છે. જ્યારે વ્યક્તિ અન્યના ચીલાથી દૂર જઈ પોતાના વિચારોનો નવો માર્ગ બનાવે છે ત્યારે એ સાબિત કરી દેતો હોય છે કે, દુનિયા ખોટી હતી અને એ સાચો છે. અને ત્યારે જીવનની પ્રત્યેક ક્ષણે ઘાયલ સાહેબનો પેલો જાણીતો શેર અંગડાઈ લઈને બેઠો થતો હોય એમ લાગે છે. 'ખૂબ અંદર બહાર જીવ્યો છું, ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું, હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં, હું ય બહુ ધોધમાર જીવ્યો છું...'

ધબકાર :
જિંદગીમાં તોફાનો સામે ટકી રહેવાની અને માર્ગ કાઢવાની ખુમારીનું નામ જિંદગી.




No comments:

Post a Comment