રૂપેરી
પરદાના રોમાંસ કિંગ ઋષિ કપૂર એમની
બિન્દાસ્ત
વાતો માટે પણ જાણીતા હતા.
‘હેઇઇઇઇ, તુમને કભી કિસી સે પ્યાર કિયા... કભી
કિસી કો દિલ દિયા... મેને ભી દિયા...’ સિત્તેરના દાયકામાં બોલિવૂડની સિલ્વર
સ્ક્રીન ઉપર ઋષિ કપૂર નામના ઝુમતા, નાચતા, ગાતા, રોમાંસ કરતા ચોકલેટી ચહેરાના
ગીતની ગુંજ આજે પણ કાનમાં પડઘાય છે ત્યારે રોમાંચીત થઇ જવાય છે. યુવા દિલોની હાર્ટ
બીટ વધારી મુકતા આ કલાકારે એ જમાનામાં યુવાનોના રોમાંસની પરિભાષા બદલી નાખી હતી.
અઢાર વર્ષની ઉંમરે રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકરમા રાજના બાળપણનો રોલ કરીને
રૂપેરી પરદે ઋષિ કપૂરે એન્ટ્રી મારી હતી. એવું કહેવાય છે કે, કપૂર ખાનદાનની રગોમાં
લોહીની જગાએ એક્ટિંગ દોડતી હોય છે. મેરા નામ જોકરમા ઋષિની એન્ટ્રીની કહાની રોચક છે.
એક દિવસ સવારે ચા-નાસ્તા માટે રાજ કપૂર, પત્ની ક્રિષ્ના અને દીકરા ઋષિ સાથે
ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા ત્યારે રાજે પત્ની ક્રિષ્નાને પૂછ્યું, ‘જોકરમાં મારા
બાળપણના રોલ માટે ઋષિને લેવાની ઈચ્છા છે. તારો શું અભિપ્રાય છે ?’ પિતાના આ શબ્દો
સાંભળતાં બટર ટોસ્ટ મોંમાં મૂકતા ઋષિની આંખો પહોળી થઈ ગઈ. પણ દેખાવ એવો કર્યો કે, જાણે આ વાતની
એને બહુ ગંભીરતા નથી. પત્ની ક્રિષ્નાએ રાજને કહ્યું, ચિંટુનો અભ્યાસ ન બગડે તો મને
કોઈ વાંધો નથી.’ ચા નાસ્તો પૂરો કરીને એક શ્વાસે રુષિ દોડતો એના બેડરૂમમાં ગયો અને
ટેબલનુ ડ્રોઅર ખુલીને પેન-પેડ કાઢીને પેડના પાનાઓ ફટાફટ ફેરવતો જાય અને પાને-પાને
ઓટોગ્રાફ આપવાની પ્રેક્ટિસ કરતો જાય. ફેન્સને ઓટોગ્રાફ આપવાની નાદાનિયત ભરેલી
પ્રેક્ટિસ સાચે સાચ ચિંટુને ભવિષ્યમાં કામ લાગી.
કપૂર ખાનદાનની ત્રીજી પ્રભાવક પેઢીનું મજબૂત
કિરદાર એટલે ઋષિ કપૂર. પૃથ્વીરાજ કપૂરના પુત્ર રાજ કપૂર. રાજ કપૂરના પુત્ર રીશી
કપૂર. મુંબઈના ચેમ્બુરમાં ૧૯૫૨માં ઋષિ કપૂરનો જન્મ થયો. કૈંપિયન સ્કૂલ અને મેયો
કોલેજ અજમેરમાં ચિંટુએ શાળાકીય અભ્યાસ કર્યો. ઋષિના પરિવારમાં ભાઇ રણધીર અને રાજીવ,
મામા પ્રેમનાથ અને રાજેન્દ્રનાથ, કાકા શશી અને શમ્મી બધા જ આલા દરજ્જાના અભિનેતા.
રિશીની આસપાસ-ચોપાસ એક્ટરો અને એક્ટિંગનો જ માહોલ. ભાઇ રણધીર સ્કૂલમાં ‘છેટે સે ચિંટુ
મીયા, લંબી સી પૂંછ...’વાળુ ઉખાણુ સાંભળીને આવ્યા, એ સાંજથી નાના ભાઇને ચિંટુ
કહેવા માંડ્યા. પછી તો આખુ પરિવાર ઋષિને લાડથી ચિંટુ જ કહેવા લાગ્યો.
આ વર્સેટાઇલ એક્ટરના વૈચારિક પ્રવાહના બદલાવને
સમજવા માટે બે પ્રસંગો ખોલવા પડે. વર્ષ ૧૯૭૦માં રાજ કપૂર અભિનીત અને નિર્દેશિત ‘મેરા
નામ જોકર’ જબરજસ્ત પિટાઈ ગઈ. રાજ કપૂર આર્થિક રીતે બિલકુલ બેહાલ થઈ ગયા હતા. રાજ
કપૂર રીતસરના રોડ ઉપર આવી ગયા હતા. તેમનો સુપ્રસિદ્ધ આર.કે. સ્ટુડિયો પણ ગીરવે
મુકવાની નોબત આવી ગઇ હતી. રાજ કપૂરને હાર સ્વીકાર ન હતી. એમણે જોકરની નિષ્ફળતા
પળવારમાં ખંખેરી નાખી. એક નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું એમણે શરૂ કરી દીધું. આ પ્રોજેક્ટ
એટલે બોબી. તેના નામ ઉપરથી જ સ્પષ્ટ થતું હતું બોબી હિરોઈન પ્રધાન ફિલ્મ હતી.
હિરોઈન તરીકે ડિમ્પલની પસંદગી થઇ ચૂકી હતી. હીરો માટે એક મૂછનો દોરો ન ફૂટયો હોય
એવા યુવાનની જરૂર હતી. આર્થિક તંગીના કારણે બીજે કશે ફાંફા માર્યા વગર રાજે ૧૯
વર્ષના યુવાન પુત્ર ઋષિને બોબી ફિલ્મના હીરો માટે કાસ્ટ કરી લીધો.
સ્ટાર પુત્રની ધમાકેદાર એન્ટ્રી જેવો કોઈ માહોલ
ન હતો. કોઈ તામજામ કે ગ્રાન્ડ પબ્લિસિટી વગર ઋષિ કપૂર ફિલ્મોમાં આવ્યાં. હકીકત તો એ
જ હતી કે, જોકરની ખોટ ભરપાઇ કરવા બનાવવામાં આવેલી ફિલ્મમા અનાયસે ઋષિ કપૂરની
એન્ટ્રી હતી. વર્ષ ૧૯૭૩માં આવેલી બોબી ફિલ્મ સુપર હિટ ગઈ. બોબીએ કપૂર ખાનદાનની આર્થિક સંકડામણ એક ઝાટકે દૂર કરી નાખી.
રાજને એ વખતે મિત્રોએ સમજાવ્યા કે, અત્યાર સુધી તો ચાલ્યું પણ હવે નહીં ચાલે.
બાળકો મોટા થઈ ગયા છે. એક ઘર લઈ લો. રાજ કપૂરે મિત્રોની સલાહ માની અને બોબી પછી
વર્ષ ૧૯૭૪માં પોતાનું ઘર લીધું. એ પણ હકીકત છે કે, વીસ વર્ષનો લબરમૂછિયો ચોકલેટી
ચહેરાવાળો ઋષિ કપૂર બોબીની સફળતાથી રાતોરાત સ્ટાર બની ગયો. ૨૦ વર્ષના ઋષિ કપૂરની
નાદાનિયતની વાત છે. બોબીની સફળતા બાદ એક દિવસ ઋષિના બંગલે એ જમાનાના એક સુપ્રસિદ્ધ
નિર્દેશક ફિલ્મમાં સાઇન કરવા માટે આવ્યા. ફિલ્મની વાર્તા સાંભળીને ઋષિએ નિર્દેશકને
કહ્યું, ‘હિરોઈનવાળો રોલ હું કરીશ.’ નિર્દેશક તો ચોંકી ગયા. હિરોઈનવાળો રોલ મેઇલ
કેરેક્ટર કેવી રીતે કરી શકે ? પણ નાદાન ઋષિ કપૂરના દિમાગમાં બોબીનો નશો છવાયેલો
હતો. સફળતા ઋષિ ઉપર સવાર થઇ ગઈ હતી. નાદાનિયતમા એણે નિર્દેશકને ભારે વિમાસણમાં
મૂકી દીધા હતા.
જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ એક પછી એક હિટ
ફિલ્મોએ ઋષિ કપૂરને મેગાસ્ટાર બનાવી દીધો. કર્ઝ, હમ કિસી સે કમ નહીં, ચાંદની, નસીબ,
દામિની જેવી હિટ ફિલ્મો ઋષિ કપૂરે આપી. ફિલ્મોની સાથે-સાથે ઋષિ કપૂરના જીવનમાં પણ
હવે મેચ્યોરિટી આવવા લાગી હતી. ૨૦૦૦ના દશકમાં આવેલી મુલ્ક, ડી-ડે, ૧૦૨ નોટ આઉટમાં ઋષિ કપૂરના
અભિનયના ઓજસ ભૂલી શકાય એવા નથી. ૯૦થી વધુ ફિલ્મોમાં રોમેન્ટિક રોલ કરી ચૂકેલા ઋષિ
કપૂરે વર્ષ ૨૦૦૦ના આરંભમાં કહ્યું હતું કે, ‘મારી કેરિયરના પ્રથમ અઢી દાયકા તો
ટીશર્ટ અને રંગબેરંગી જેકેટ્સ પહેરી હિરોઈનો સાથે સ્વિટ્ઝરલેન્ડમાં ગીતો ગાવામાં
કાઢી નાખ્યા અને લોકોને ખૂબ બેવકૂફ બનાવ્યા. એક્ટિંગ તો હું હવે કરી રહ્યો છું. ઋષિ
કપૂર અને નીતુ સિંહે સાથે ૧૫ જેટલી ફિલ્મોમાં સાથે કામ કર્યું.
બહુ ઓછાને ખબર હશે કે ઋષિ કપૂર માત્ર ત્રણ
વર્ષના હતાં ત્યારે સૌથી પહેલા કેમેરો ફેસ કર્યો હતો. રાજ કપૂર અને નરગીસની મુખ્ય
ભૂમિકાવાળી શ્રી ૪૨૦ ફિલ્મના ‘પ્યાર હુઆ,
ઈકરાર હુઆ...’ ગીતમાં ઋષિ કપૂર સ્ક્રીન પર દેખાયા હતા. ઋષિ કપૂર પુત્ર રણબીરથી ખાસ
ખુશ ન હતા. એ કહેતા કે, ‘હું જાણું છું કે, હું એક મહાન કલાકારનો દીકરો છું પણ મને
ખબર નથી કે, હું એક મહાન કલાકારનો બાપ પણ છું કે નહીં.’ પુત્ર રણબીરની ફિલ્મો વિશે
એ કહેતા કે, ‘મેં રણબીરની ફિલ્મો જોઈ છે પણ મને તેની કોઈ ફિલ્મ ગમી નથી.’ રિશી
કપૂરની આત્મકથા ‘ખુલ્લમખુલ્લા ઋષિ કપૂર અનસેન્સર્ડ’ ૧૫મી જાન્યુઆરી ૨૦૧૭માં પ્રકાશિત થઈ હતી.
ઋષિની મેચ્યોરિટીના એક પ્રસંગની વાત છે.
લિજેન્ડરી એકટર હેન્ડસમ વિનોદ ખન્નાના નિધન વેળા ઋષિ કપૂરે સોશિયલ મીડિયા ઉપર
મૂકેલી પોસ્ટે લોકોના હદયને હચમચાવી મૂક્યા હતા. ૨૦૧૭માં વિનોદ ખન્નાના નિધન બાદ
તેમના અંતિમ સંસ્કારમાં ખૂબ ઓછા લોકો પહોંચ્યા હતા. નવી જનરેશનનો એક પણ કલાકાર આવ્યો
ન હતો. આ વાતને લઈને ઋષિ કપૂર નવી પેઢી ઉપર ખુબ નારાજ થઇ ગયા હતા અને બેક-ટૂ-બેક
ટ્વીટ કરીને હૈયાવરાળ કાઢી હતી. એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, ‘શરમજનક ! નવી જનરેશનનો એક પણ એક્ટર વિનોદ
ખન્નાની અંતિમ યાત્રામાં પહોંચ્યો નહીં. કેટલાક તો તેમની સાથે કામ પણ કરી ચૂક્યા
છે. સન્માન આપતાં તો શીખવું જ જોઇએ.’ બીજી ટ્વીટમાં તેમણે લખ્યું કે, ‘આવું કેમ ? જ્યારે હું મૃત્યુ પામુ ત્યારે મારે મારા મોત માટે તૈયાર રહેવું જોઈએ. કોઈ મને
કાંધ નહીં આપે. હાલના એક્ટર્સથી હું ખૂબ નારાજ છું. ગુસ્સામાં છું. ગઈ રાત્રે
પ્રિયંકા ચોપરાની પાર્ટીમાં ઘણા ચમચા જોવા મળ્યા, પરંતુ વિનોદ ખન્નાને ત્યાં ખૂબ ઓછા. હું આ તમામથી અત્યંત નારાજ છું’
ઋષિના કહેવાનું તાત્પર્ય એ હતું કે, દરેક
પરિવારમાં વડીલે એમના કુટુંબના ૧૮થી ૨૦ વર્ષના બાળકોને સમાજમાં કોઇના નિધનના
પ્રસંગે અવશ્ય લઈ જવા જોઈએ. ગુજરી જનારા વડીલ મિત્રો ઉંમરલાયક હોય છે. ગુજરી
ગયેલાના વડીલ મિત્રો નનામીને એપાર્ટમેન્ટ કે બંગલાની બહાર ઊભેલી શબવાહિની સુધી લઈ
જતાં હાંફી જાય છે - થાકી જાય છે. યુવાનોએ મોતનો મલાજો પાળતા શીખવું જોઇએ. સામાન્ય
રીતે કોઈના મૃત્યુના સમાચારનો ફોન આવે ત્યારે પહેલો પ્રશ્ન એ જ પૂછવામાં આવે છે કે,
‘બેસણું ક્યારે છે ?’ નનામી ખભે ઉચકનાર યુવાનો હોતા જ નથી. મૃતદેહને સ્મશાને લઈ
જવા માટે શબવાહિનીમાં મૂકવામાં આવે ત્યારે ભેગા થયેલા લોકો પૈકી ૭૦ ટકા હાથ જોડીને રવાના થઇ
જતા હોય છે. બાકી બચેલા ૩૦ ટકા પૈકી ૮૦ ટકા દાહસંસ્કાર શરૂ થયા બાદ હાથ જોડી નીકળી જાય છે. છેલ્લે અસ્થી
લેવાના સમયે પરિવારના પાંચ સાત સભ્યો જ બચ્યાં હોય છે. આ ખૂબ દયનીય સ્થિતિ હોય છે.
ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિથી વિપરીત આ વાત ઋષિ કપૂર સહન ન કરી શક્યા.
ઋષિ કપૂરના શબ્દોમાં સચ્ચાઈની સાથે ભારોભાર રોષ
પણ છે. એમની વાત આંખના ખુણા ભીના કરી દે એવી છે. ચાર દાયકાની ફિલ્મી કારકિર્દીમાં
૭૦ના દાયકાની ઈમેચ્યોરીટીથી ૨૦૦૦ના દશકની મેચ્યોરિટી સુધીની ઋષિ કપૂરની સફર આ બે
પ્રસંગો ઉપરથી એમના ચરિત્રમાં આવેલા પરિવર્તનનો પરિચય આપે છે. સમય એક એવો
સુગંધીદાર અને ઝાગદાર સાબુ છે કે, જે ભલભલાનું ચરિત્ર ધોઇને સ્વચ્છ અને સુઘડ બનાવી
દે છે.
ઋષિ કપૂર એની બેબાક વાત માટે જાણિતા હતા. એમના
દિલમાં જે હોય એ સ્પષ્ટ કહી દેતા. ‘માંસ ખાનારા હિન્દુ’નું ટ્વીટ અને ‘હિટ એન્ડ રન’
કેસના ચુકાદા વખતે સલમાન ખાનને એમણે જાહેરમાં જે ટેકો આપવાનુ સ્ટેન્ડ લીધું તેની
ખુબ ટીકા થઇ હતી. એમની બીજી ઇનિંગ્સમાં એમણે ‘અગ્નિપથ' ફિલ્મની રીમેકમાં નેગેટીવ ભૂમિકામાં દમદાર
એક્ટિંગનો પરિચય આપ્યો હતો. ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ ‘ધ બોડી’ હતી. બહુમુખી
પ્રતિભા ધરાવતા આ વર્સેટાઈલ કલાકારે ચાર-ચાર દાયકાઓ સુધી સિલ્વર સ્ક્રીન ઉપર રાજ
કર્યું. અલવિદા ઋષિ...
ધબકાર :
જવાની રોકવાની તાકાત જમાનામાં નથી, લાખ પ્રયત્નો
કરે દુનિયા પ્રેમના પ્રવાહને કદી અટકાવી નહીં શકે. - ઋષિ કપૂર





