પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 19 May 2020

કોરોના પછી વૈશ્વિક ઇન્ડસ્ટ્રીયલ સિનારીયો કેવો હશે ?

 

અમેરિકન સમાજશાસ્ત્રી અને ડેમોગ્રાફર કિંગ્સલી ડેવીસના સામાજિક પરિવર્તનોના વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આખી દુનિયા સલામ કરે છે. હૂવરના સિનિયર ફેલો એવા ડેવિસની સામાજિક પરિવર્તનોના તાણાવાણાની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાય છે. બદલાતા જતા સમાજ અંગેના એમના એક તારતમ્ય અનુસાર, 'સામાજિક સંસ્થાઓના માળખામાં અને કાર્ય પ્રણાલીઓમાં અન્ય વૈકલ્પિક બાબતોનો પ્રવેશ સામાજિક પરિવર્તનનું ઉદભવ સ્થાન છે.' ચિંતકો મેસીવર અને પેજના મતે, ' માનવસર્જિત રહેણી કરણી, વલણો અને ભૌતિક પરિવર્તનો એટલે જ સામાજિક બદલાવ.' આમ તો, સામાજિક પરિવર્તન સર્વસ્વીકૃત અને સાર્વત્રિક રીતે નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એ પણ સત્ય છે કે, દરેક સમાજમાં અને દરેક સમયે કોઇપણ અપવાદ વગર આ પ્રક્રિયાના આપણે સૌ સાક્ષી બનતાં રહ્યાં છીએ. પરિવર્તનોને કારણે સમાજની ગતિ અને દિશા નક્કી થતી હોય છે. મહદાંશે લોકો પણ પરિવર્તન હૃદયપૂર્વક ઇચ્છતા જ હોય છે. કેટલીક વાર ઈચ્છા અનુસાર તો કેટલીકવાર અનિચ્છાએ પરિવર્તન તો થતું હોય જ હોય છે. તેનો મને કે કમને સ્વીકાર પણ કરવો જ પડતો હોય છે.




આજે કોરોનાની વૈશ્વિક મહામારીએ વિશ્વ સમસ્તની સામાજિક પરિભાષામાં ધરમૂળ બદલાવી દીધી છે. હવે વિશ્વને 'કોરોના પહેલા' અને 'કોરોના પછી' એમ બે કાળખંડમાં જોવામાં આવશે. આખી દુનિયાનો સિનારિયો બદલાઈ જવા પામ્યો છે. સામાજિક વર્તણુકથી માંડીને અર્થ ઉપાર્જનના દરેક ક્ષેત્રોમાં નવા અભિગમે આકાર લીધો છે. આજે જીવન જીવવાની  જદ્દોજહદમા 'સર્વાઈવલ ઓફ ક્વિકેસ્ટ' અગત્યનું સૂત્ર બનીને ઉભરી આવ્યું છે. કોરોનાએ અમેરિકા, ચાઈના, રશિયા જેવી મહાસત્તાઓથી માંદીને ભારત જેવા વિકાસશીલ દેશો અને જાપાન, જર્મની, ઓસ્ટ્રેલિયા જેવા ઔદ્યોગિક સંપન્ન રાષ્ટ્રોને અલગથી વિચારવા મજબુર કરી દીધા છે. કયા ક્ષેત્રો મૃતપાય થવા જ ઇ રહ્યાં છે અને કયા ક્ષેત્રો ઉભરી આવશે એની સૌ કોઇ ગણતરીઓ માંડી રહ્યાં છે. એક આકલન મુજબ કોરોનાએ દાયકાઓથી એસ્ટાબ્લિશ જાયન્ટ ઉદ્યોગોને વિનાશની ધાર ઉપર લાવી દીધા છે. એક જમાનામાં સીઇઓ અને તજજ્ઞ કર્મશીલો માટે મબલખ નાણા હતાં. હવે આ જોબ માર્કેટ અંતિમ શ્વાસો લઈ રહ્યું છે. શોપીંગ મોલ અને રિટેલ માર્કેટ લગભગ પડી ભાંગ્યા છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી અને ટુરિઝમનો વ્યવસાય બિલકુલ મૃતપાય બની જવાનો છે. સિનેમા અને લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને સર્વાઇવલ ફાંફાં છે. ઉબર અને ઓલા જેવી ટ્રાન્સપોર્ટ સર્વિસ અને ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ ભૂંસાઇ જવાની છે. રેસ્ટોરન્ટ બિઝનેસથી માંડીને હોસ્પિટાલિટી સેક્ટર ખલાસ થઈ જવાનું છે. ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ જેવી લાઇવ સ્પોર્ટસનો જમાનો પૂરો થઈ ગયો છે. ઇવેન્ટ મેનેજમેન્ટ સેક્ટર અને રિયલ એસ્ટેટનો દાયરો ખૂબ સીમિત થઈ જશે.




વર્ષોથી વિશ્વમાં જેની હાક બોલતી હતી એવા ઉદ્યોગો અને ક્ષેત્રો મરણપથારીએ છે ત્યારે એમ થાય કે, હવે લોકો કરશે શું ? કયા નવા ક્ષેત્રો ઉપર કામ થશે ? વર્ષોથી ચાલ્યા આવતા આ ઔદ્યોગિક એરીયા ઠપ કેમ થયા એની પાછળનું મુખ્ય કારણ લોકોની પ્રાથમિકતામાં ધરમૂળથી આવેલો બદલાવ છે. દુનિયાભરના લોકોમાં આરોગ્ય જાગૃતિ એક અલગ કક્ષાએ પહોંચી છે. લોકોની મનોરંજનની વિચારસરણીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વિશ્વના તમામ દેશના લોકો તેમના ખર્ચમાં ધરખમ ઘટાડો કરવા લાગ્યા છે. પર્યાવરણમાં ઉર્ધ્વગામી પરિવર્તન આવ્યું છે. શિક્ષણ વ્યવસ્થા અને બિઝનેસ મોડેલ સમૂળગા બદલાવા જઇ રહ્યાં  છે.




કોરોના મહામારી બાદની દુનિયા કેવી હશે ? ઉદ્યોગોના નવા આયામો શા હશે ? આવા પ્રશ્નો સહજ રીતે લોકોના માનસપટ ઉપર રમવા લાગ્યા છે. એ તો નિર્વિવાદ છે કે, હવેનો યુગ ડિજિટલ યુગ હશે. લોકોની જીવનજરૂરી તમામ આવશ્યકતાઓ ડિજિટલ મોડ ઉપર હશે. જોબ માર્કેટ તૂટવાની સાથે 'ગીગ ઇકોનોમિ'નો મોટા પ્રમાણમાં ઉદય થશે. આ 'ગીગ ઇકોનોમી' એટલે કામના પ્રમાણમાં વળતરની પરિભાષા. વ્યક્તિની ક્ષમતા અનુસાર તેને ‘ટાસ્ક’ આપવામાં આવશે. ‘ટાસ્ક’ મુજબ જ નાણાં ચૂકવાશે. પે-રોલનો કન્સેપ્ટ વિશ્વમાં ક્યાંય હશે જ નહીં. કોઇ પણ કંપનીના પે-રોલ ઉપર કર્મચારીઓ નહિ હોય. સ્ટોક માર્કેટ ઈન્ડસ્ટ્રીઝમાં જબરજસ્ત બૂમ આવશે કારણ કે, માર્કેટ ડાઉન થાય ત્યારે ઓછા ભાવે શેરની ખરીદી કરવાવાળા સ્ટોક માર્કેટમાં વધુ રોકાણ કરવા પ્રેરાશે.




એ પણ હકીકત છે કે, હવે લોકો ઉપભોક્તાવાદ છોડીને ઉત્પાદકીય હિસ્સો બનવા તરફ વધુ આકર્ષાશે. પોતાની આવશ્યકતા મુજબ અનાજ, ફર્નિચર, શાકભાજીનું ઉત્પાદન વ્યક્તિ પોતાની જાતે જ કરવા વિચારતો થશે. સોલાર, વિન્ડ, ટાઇડલ જેવી વૈકલ્પિક ઉર્જાનું ક્ષેત્ર વધુ વિકાસ પામશે. આયુર્વેદ હોમિયોપેથી જેવા વૈકલ્પિક તબીબી ક્ષેત્રો ઝડપથી બહાર આવશે. મેન્ટલ હેલ્થ ક્લિનિક અને સાઇકિયાટ્રિસ્ટના વ્યવસાયમાં તેજી આવવા જઇ રહી છે. ઈન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝ, વિડીયો ગેમ, હેલ્થ કેર ઇન્ડસ્ટ્રીઝ, સ્પિરિચ્યુઅલ સાયન્સ, ડેટા સાયન્સીઝ અને નેટવર્કીંગ માર્કેટની આગામી સમયમાં બોલબાલા હશે. શિક્ષણ જગતમાં મોટું પરિવર્તન આવશે. ક્લાસરૂમ એજ્યુકેશન આગામી ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. ઓનલાઇન નેટવર્કિંગથી શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવશે. ચોક એન્ડ બોર્ડ, પેન એન્ડ પેડ મેથડોલોજીનું આગામી સમયમાં કોઇ સ્થાન નહીં હોય. શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઓનલાઇન સ્માર્ટ કોચિંગથી આગળ વધશે. ગાંધીનગરની ચેમ્પ્સ એકેડેમી, કિશોર ક્લાસીસ જેવા કોચિંગ ક્લાસિસ અને કોલેજો તથા યુનિર્વસીટીઓ ઓન લાઇન એજ્યુકેશન ઉપર સ્વીચ ઓવર થઇ ચુક્યા છે.




સામાજિક પરિવર્તનોની સંકલ્પનાના પાયામાં લોકોની રહેણીકરણી, વિચારો, માન્યતાઓ, વલણો, પરંપરાઓ અને પ્રણાલીમાં આવેલા ૩૬૦ ડીગ્રીએ બદલાવ છે. આના પરિણામે સામાજિક માળખું, ઇંટર પર્સનલ બિહેવિયર અને કર્તવ્ય ધરમૂળથી બદલાઈ રહ્યા છે. બદલાવ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. કબીર, રહીમ, તુકારામ, તુલસીદાસ જેવા જાગેલા આત્માઓ સામાજિક બદલાવનું કારણ બન્યા હતા. સત્ય, અહિંસા, સ્વચ્છતા અને સ્વદેશીના વિચારો સાથે ગાંધીજી આઝાદી કાળમાં બદલાવના નિમિત્ત બન્યા. ઇતિહાસ સાક્ષી છે કે, પરિસ્થિતિ તો હંમેશા બદલાતી જ રહે છે. માનવીના કાર્યો અને કાર્યપ્રણાલી પણ ક્રમશઃ બદલાયા જ કરતા હોય છે. તો પછી બદલાવ અને પરિવર્તનથી દુઃખી થવાની ક્યાં જરૂર છે ? કોરોનાની મહામારીથી બદલાવ આવ્યો છે એનો સ્વીકાર કરવાનો છે. એક વાત તો ચોક્કસ છે કે, ‘બદલાવ આવ્યો’ કે ‘બદલાવ લાવવો પડ્યો’ એની પળોજણમાં પડ્યા વિના હસતા મોંએ આગળ વધવાનું નામ જ જીવનનું સંગીત. જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ શામ... એક દરવાજો બંધ થયો તો ચિંતા શેની ? આગળ વધવાના બીજા અનેક દરવાજા ખુલી જશે. નવી તરાહ, નવો ઉત્સાહ અને નવા વિચારો હંમેશા રાહ જોઇને બેઠા હોય છે. ‘જસ્ટ કમ  ફોરવર્ડ એન્ડ ગ્રેબ ઇટ...’

 

ધબકાર :

દરેક પરિવર્તન એક નવા અવસરને જન્મ આપે છે, પરાણે બદલાવવું પડે એ પહેલાં ચેતી જઇને બદલાઇ જવામાં સમજદારી છે.