મેનેજમેન્ટ ગુરૂ શ્રીકૃષ્ણનો
લીડરશીપ અંદાજ...
આખા વિશ્વમાં કૃષ્ણ એક એવું વ્યક્તિત્વ કે જે જુગાર રમીને
પણ શરાફતનો શાનદાર માર્ગ બતાવે છે, હજારો પટરાણીઓ રાખીને પણ ચારિત્ર્યવાન બનવાના
પદાર્થપાઠ શીખવે છે. સોમરસ પીને પણ સત્યનિષ્ઠા સમજાવે છે. કપટના ખેલ ખેલીને પણ
સત્યની સમજ સ્પષ્ટ કરે છે. લીડરોનો લીડર અને બધા બોસનો બીગબોસ એટલે શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણનો
લીડરી અંદાજ મેનેજમેંટ ગુરુઓ માટે સદાય અભ્યાસનો રસપ્રદ વિષય રહ્યો છે.
લીડર એટલે બીગ બોસ. લીડર એટલે કામયાબીનો ગુરુમંત્ર. બધાને
બોસ બનવું છે. બીજા બધાથી બે ડગલાં આગળ છું એવું બતાવવું છે. આ બોસ બનવાના દેખાડામાં જ ટીમવર્ક ખોરવાઈ જાય
છે. કૃષ્ણ બધા બોસનો બોસ છે. લીડર એ સૌને સાથે લઈને ચાલે. સૌના કૌશલ્યને બહાર
લાવવાનું હુનર જેની પાસે હોય એ જ સાચો બોસ. અર્જુનની ક્ષમતાને સુપેરે સમજીને એનો
યથોચ્ચિત ઉપયોગ કરતાં જેણે શીખવ્યું એ વાસુદેવ સાચો લીડર છે. સાથીઓની ક્ષમતાને
ઉજાગર કરવાની સાથે સાથે સાથીઓની ખામીને પણ
અલગ તારવીને એને દૂર કરવાનું-ચાળવાનું કામ લીડરનું છે.
સામાન્ય રીતે લીડર એના સાથીઓમાં કોન્ફિડન્સનો અખૂટ ખજાનો
ભરી આપતાં હોય. કૃષ્ણએ પાંડવ સેનામાં વિશ્વાસનો મજબુત સરંજામ ભરીને કામિયાબીની
કેડી કંડારી દીધી હતી. મેનેજમેન્ટના નિષ્ણાતોના મતે બોસ ભય ઊભો કરે. સામે પક્ષે
કૌરવ સેના બહુ મોટી હતી. શસ્ત્ર સરંજામ પણ વિપુલ માત્રામાં હતા પણ એમાં દૂર્યોધનનો
ભય હતો. દૂર્યોધન સેનાની ભૂલો શોધતો હતો.
જ્યારે પંડવ પક્ષે લીડર કૃષ્ણ પ્રશ્નોના સમાધાન આપી પાંડવ સેનાને સવારતા હતા. લીડર
આખી કાર્ય રચનાને રસપ્રદ અને આનંદમયી બનાવી દે છે. જ્યારે બોસ કોઈપણ કાર્યને માત્ર
એક સફળતા અને નિષ્ફળતાનો દ્રષ્ટિકોણ જ આપતો હોય છે.
કોઈપણ ક્ષેત્રમાં બોસની સૌથી મોટી કોઈ ભૂલ થતી હોય તો એ
સાથીઓને ‘સરસ કામ કર્યું’ એવા સ્વીકારના શબ્દોનો અભાવની હોય છે. તમે જ આ કામ સરસ
રીતે પાર પાડી શકો. આપણે સાથે મળીને આ દિશામાં પ્રયાસ કરીએ તો ચોક્કસ વિજેતા બનીએ
એવી ભાવના અને ચેતનાનો સંચાર ન કરવાનું ગંભીર પરિણામ મહાભારતમાં દૂર્યોધને
ભોગવ્યું. જ્યારે સામે પક્ષે ભગવાન શ્રીકૃષ્ણે આપણે સૌ સાથે મળીને સૌકોઈના સાથ અને
સહકારથી અસત્ય પર સત્યનો અને અનિષ્ટ ઉપર ઈષ્ટનો વિજય કરવાના છીએ એવા પોઝીટીવ વેવ્ઝ
અર્જુન, ભીમ, યુધિષ્ઠિરની આખી પાંડવ સેનાના પ્રત્યેક સેનાની હૃદયમાં ભરી દીધા. ભલે
પાંડવ સેના નાની હતી પણ બીગ બોસ શ્રીકૃષ્ણની કુનેહપૂર્વકની લીડરશીપથી સંપૂર્ણ હતી.
સામે પક્ષે ખૂબ વિશાળ એવી દૂર્યોધનની સેના ઘમંડ અને વિશ્વાસ વગરની હોવાથી અપૂર્ણ
હતી.
બીજી બાજુ લીડરે એના સાથીઓને સાચી વાત કહીને જાણે અજાણે ઉભો
થતો ઘમંડ દુર કરવાનુ પાયાનુ કામ કરવાનુ હોય છે. કુરૂક્ષેત્રના સમરાંગણનો એક નાનકડો
પ્રસંગ કૃષ્ણની લીડરશીપ ક્વોલીટીનું જાગતું ઉદાહરણ છે. કર્ણના બાણથી પાંચ સાત
પગલાં અર્જુનનો રથ પાછો પડતો ત્યારે કૃષ્ણ કર્ણના પ્રહારને બિરદાવતાં. જ્યારે
અર્જુનના પ્રહારથી સેંકડો ફૂટ કર્ણનો રથ પાછો પડતો પણ કૃષ્ણ અર્જુનના બાણના કોઈ
વખાણ ન કરતા. આવું ઘણીવાર બન્યું. અર્જુનથી આ બાબતમાં પૂછ્યા વગર ન રહેવાયું અને
શ્રીકૃષ્ણને પૂછ્યું અચ્યુત્ ‘ મારા પ્રહારથી સેંકડો ફૂટ કર્ણનો રથ પાછો પડે છે
અને એના પ્રહારથી માત્ર બે-પાંચ ફૂટ મારો રથ પાછો જાય છે તોય તમે કર્ણના પ્રહારને
બિરદાવો છો અને મારા આક્રમણને બિરદાવતાં નથી. ‘ ત્યારે લીડર કૃષ્ણએ અર્જુનને એની
ક્ષમતાની સાથે સમજના અભાવને સરસ રીતે ઉજાગર કરતાં કહ્યું, પાર્થ, તારા રથમાં હું
બેઠો છું. અને છતાંય આ રથ પાંચથી સાત પગલાં પાછળ હટાવવાની અદભુત ક્ષમતા કર્ણના
પ્રહારમાં છે. જો આ રથ ઉપર હું સવાર ન હોત તો કદાચ આ રથ કર્ણના પ્રહારથી જોજનો દૂર
જઈને પડ્યો હોત.
આનાથી પણ વિશેષ બીગબોસ કૃષ્ણએ અર્જુનને યુધ્ધના છેલ્લા
દિવસે મેનેજમેંટનો અદભૂત પાઠ ભણાવતાં આંખો ખોલી આપી. મહાભારતના યુદ્ધના છેલ્લા
દિવસે શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું ‘ પાર્થ, પહેલાં તું નીચે ઉતર. ‘ પાર્થે
વિસ્મયભરી રીતે શ્રીકૃષ્ણ સામે જોયું કારણકે સામાન્ય રીતે પહેલાં સારથી રથમાંથી
નીચે ઉતરે અને પછી બાણાવળી રથમાંથી નીચે ઉતરતા હોવાનો ઉપક્રમ હોય છે. પણ
શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુન પહેલાં નીચે ઉતર્યા પછી શ્રીકૃષ્ણ રથની નીચે ઉતર્યા.
કૃષ્ણ સાત કદમ દૂર ગયા અને રથ બળીને ભસ્મ થઈ ગયો. ત્યારે અર્જુનને સાક્ષાત્કાર થયો
કે, મારી શક્તિ કરતાં હજારઘણી શક્તિ શ્રીકૃષ્ણ સ્વરૂપે મારા રથમાં બિરાજમાન હતી
જેને પરિણામે ગુરુદ્રોણ, કર્ણ, દૂર્યોધન, ભીષ્મ જેવા મહાબલીઓના પ્રહાર સામે પણ
મારો રથ અડિખમ ઊભો રહ્યો.
લીડર એની ટીમ સાથે સતત, સઘન વાતચીતનો સેતુ જાળવી રાખતો હોય
છે. જ્યારે બોસ માત્ર સૂચનાઓ અને સંદર્ભો ઉપર ટીમને હાંકે જતો હોય છે. યુદ્ધના
સમરાંગણમાં શ્રીકૃષ્ણએ પાર્થ સાથે ગીતા સ્વરૂપે વાતચીત અને સંવાદનો સેતુ સાધીને
માનસિક રીતે મહાભારતનું યુદ્ધ પાંડવ પક્ષે કરી લીધું હતું. લીડરની સાચી તાકાત જ આ
છે. લીડર વિઝનને વાસ્તાવિકતામાં પલટી નાખે. અસત્યના અસુર સામે સત્યના સુરનો ઈનોવેશન લીડર કૃષ્ણએ પાર્થને સમજાવી આપ્યો. આમ
પણ લીડરનું સ્ટાન્ડર્ડ-કક્ષા લીડરે નક્કી કરેલા લક્ષ ઉપરથી જ આવે. લીડર ટીકાઓનો
થોડો વધુ ભાગ પોતાને હિસ્સે લઈ લેતો હોય અને સફળતાનો થોડો ઓછો હિસ્સો પોતાને ભાગે
લેતો હોય છે. કૃષ્ણએ મહાભારત લીડ કરી. લીડર સમરાંગણને લીડ કરે છે એ ઉપરથી શબ્દો
બન્યો લીડર. જ્યારે બોસ માત્ર ને માત્ર ડ્રાઈવ કરે છે. એટલે કે માત્ર સમુહને
હંકારનારો વ્યક્તિ. છેક મહાભારત કાળથી આજપર્યંત અને કદાચ લાખો વર્ષ સુધી શ્રીકૃષ્ણ
એક આદર્શ લીડર હતા, છે અને રહેશે.
ધબકાર:
લીડર શ્રીકૃષ્ણ
આશાઓનો સૌથી મોટો ડિલર અને ક્ષમતા ઉજાગર કરનારો સૌથી મોટો પથદર્શક છે.








