જિન્દગી અચાનક અકસ્માતે
બનતી નથી
-
પુલક ત્રિવેદી
માનવી તરીકેનો જન્મ લેવો એ એક અકસ્માત છે. જીવન અને જિંદગી વચ્ચે ભેદ છે. જન્મ અચાનક બનતી ઘટના છે. જિન્દગી અચાનક અકસ્માતે બનતી નથી. જિંદગી તો માનવી એની ચોઈસથી ઘડે છે.
ઈશ્વરે આપેલા મનુષ્ય અવતારને અવસર બનાવી
જિંદગીનો જન્મ આપી શકાય. જિંદગીના જન્મ માટે જીવનના કેટલાક પાયાના તત્વોમાનું એક છે. ‘વિવેક’. બીજા શબ્દોમાં કહીએ તો સંયમ અને કંટ્રોલ. વિવેક જીવનમાં ખુશીઓ ભરી દે છે. ઈજીપ્શિયન લોકો માને છે કે, જ્યારે મૃત્યુ થાય છે ત્યારે પ્રભુ
ઓરેસીસના દરબારમાં માનવીના આત્માને લઈ જવામાં આવે છે. ઓરેસીસ ભગવાને એને બે પ્રશ્નો પૂછે છે. આ બે પ્રશ્નોના જવાબ ઉપરથી જીવને આગળ
ક્યાં મોકલવો એનું ભાવિ નક્કી કરવામાં આવતું હોય છે. આ બે પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન, ‘તમે, જીવનમાં ખુશી લાવ્યા હતા ?’
અને બીજો પ્રશ્ન, ‘તમે ખુશીની ખોજ કરી હતી ? ’ઈજીપ્તની
પરંપરા મુજબની આ માન્યતા પ્રથમ દ્રષ્ટિએ ખુબ સામાન્ય પ્રકારની લાગે પરંતુ એમાં
જીવનનો મહત્વનો એંગલ ઉજાગર થાય છે. માનવીના જીવનમાં ખુશી આપવા અને ખુશી લાવવા
માટેનો સાચા અને સારા દોસ્તનુ નામ ‘વિવેક’ છે.
વિવેક વ્યક્તિને સુસંસ્કૃત અને સક્ષમ બનાવવાનો રાજમાર્ગ
બતાવે છે. જેટલા પ્રમાણમાં વિવેક એટલી ત્યાં ખુશી અને સભ્યતા. જીવનના ત્રિકોણીયા ઘાટના આચાર, વિચાર અને વાણીના ત્રણેય ખૂણાનો વિવેક ‘જિંદગી’ને
જન્મ આપે છે.
વિચાર વિવેક :
વિચાર માનવીની સાચી શક્તિ છે. હજારો-લાખો વિચારો આવે અને જાય. કયા વિચારને પાળવો, પોષવો અને વટવૃક્ષ
બનાવવો તથા કયા વિચારને વાળવો કે બાયપાસ કરવો એનો વિવેક ‘જીવન’ને ‘જિંદગી’
બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિચારોના ચાલતા ધમાસાણ ટ્રાફિકમાં મનને કેળવવા
માટે વિવેકરૂપી શિક્ષક જોઈએ. વિચારોની શૃંખલાને યોગ્ય ખાનામા મુકી એના
સર્વોત્તમ પરિણામો મેળવી જીંદગીમાં ખુશીઓ વિચાર વિવેક લાવે છે. એક મિત્ર હંમેશા
દરેક વ્યક્તિના વર્તનમાં હકારાત્મકતા જ જુએ. કાર્ય આરંભ કરતા પુઉર્વે એ હમેશા
ઇશ્વરને પ્રાથના કરે કે ‘ પ્રભુ મારૂ કાર્ય સફળ થવા જઇ રહ્યું છે એ માટે તારો
એડવાંસમાં આભાર માનું છું.’ આ મિત્ર હમેશા દરેક કાર્યના અંતે સિધ્ધિને વર્યા છે.
કોઇ વાર ક્યારેક અટ્ક્યા પણ છે ત્યારે ઇશ્વરને નિમિત્ત ન બનાવતા પોતાના પ્રયાસમાં
કચાશ છે એમ વિચારી વધુ દમદાર પ્રયત્નમા આ મિત્ર લાગી જાય છે અને પરિણામ મેળવે છે. વિવેકપૂર્ણ
હકારાત્મક વિચારોની આ મજબુત તાકાત જ જીંદગી બનાવે છે.
વાણી વિવેક :
ક્યારે, ક્યાં, કેટલું અને કોની સામે બોલવું આ
ચાર ‘ક’નો વિવેક જરૂરી છે. પ્રસંગને ઉજાગર કરે એવા શબ્દો આનંદ આપે. ઊંચા સૂર કે ખૂબ નીચા અવાજમાં
અભિવ્યક્તિનો કોઈ અર્થ ન સરે. અન્યના વિચારો એમની વાણી શાંતિપૂર્વક સાંભળવાના
વિવેક જીવનને એક નવે ઉઘાડ આપે છે. અન્યની વૈચારિક વાણી જીવનમાં નવતર મોડ આવતો હોય
છે. શબ્દોનું
પ્રમાણ જળવાય અને કયા શબ્દોને વિરામ અપાય એની સુજ અને સંયમ જરૂરી છે.
આચાર વિવેક :
વર્તનમાં
વિવેક સૌથી મહત્વની બાબત છે. શારીરિક વય અને બૌદ્ધિક વય મુજબ વર્તણૂંકમાં
વિવેક જીવનને મૂલ્યવાન જિંદગી બનાવે છે. તત્વચિંતક અને લેખક જેકસન બ્રાઉને આચરણમાં
વિવેક માટે ખૂબ સરસ કહ્યું છે કે, વિચારો ભલે મોટા હોય પણ નાની નાની
વર્તણૂંકોમાંથી ખુશી શોધી લેવી પડે. ગુલાબ જોવાનો આનંદ અવશ્ય મેળવવો જોઇએ પણ સુવાસ
માણવાનું કદી ન ચુકાવું જોઈએ.
કમલનયન બજાજ આગળ અભ્યાસ કરવા વિદેશ જતા હતા
ત્યારે ગાંધીજીએ એમને વાણી, વર્તન અને વિચારમાં ‘ વિવેક’
શીખવતી સરસ વાત કરી હતી. એમણે બજાજને કહ્યું કે, ‘ ભાઇ, બોલવાનું ઓછું રાખજે, સાંભળજે બધાનું પણ કરવાનું જે હદયથી ખરું
લાગે તે જ. પ્રત્યેક
પળનો હિસાબ રાખજે. પૈસાનો
રૂઆબ ન કરીશ અને જીવન ગરીબની માફક જીવજે. બુદ્ધિની તીવ્રતા કરતા લાગણીશીલ વર્તન અગત્યનું
છે. એટલે
વર્તનમાં વિવેક રાખજે.’ બાપુએ કમલ બજાજ સામે વિચાર, વાણી અને વર્તનના વિવેકપૂર્ણ
સામંજસ્યને માત્ર ચાર લીટીમાં મસ્ત રીતે પ્રસ્તુત કરી ‘ વિવેક ‘ના ખજાનાને ખોલી
નાખ્યો.
અકસ્માતે મળેલા માનવી જીવનને વિવેકના સથવારે
મઝાની જિંદગી બનાવવા આપણે સ્વયં જ જાગૃત પ્રયાસ કરવાના હોય છે. બીજી કોઈ વ્યક્તિ આપણા જીવનને ‘ જિંદગી ’
કેવી રીતે બનાવી શકે ? કોઈ ક્યારેક એમ કહે કે, ‘ મારા જીવનમાં ફલાણી બાબત બની તેમાં મારો બિલકુલ
વાંક નથી પણ જો ધ્યાનપૂર્વક એ વાતનું પોતે
આકલન કરે તો ક્યાંકને ક્યાંક એની પરિસ્થિતિના મૂળમાં એની સ્વયંની જ વાણી, વિચાર કે વર્તનમાં ‘વિવેક’નો
અભાવ જણાશે.વિવેકપૂર્ણ
વ્યક્તિત્વ આસપાસના વ્યક્તિઓને પણ પ્રેરણા આપે છે. જ્યારે વિચારહીન અને વિવેકશુન્ય વ્યક્તિની
અધોગતિમાં બીજા પણ ઢસડતા જાય છે.
ધબકાર
:
વાણી, વિચાર અને વર્તનમાં સમન્વય સધાય પછી જે
જીવાય એને જ જિંદગી કહેવાય. – ‘ખુમાર’
તિરમીઝી





No comments:
Post a Comment