પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 24 January 2017

ખુદથી જ ખુલે ખુશીઓના ખજાનાના દ્વાર...

ખુદથી જ ખુલે 
ખુશીઓના ખજાનાના દ્વાર ...
       -         પુલક ત્રિવેદી

દરેક માણસને ખુશ રહેવું છે. ખુશ રહેવાનો દરેકનો દ્રષ્ટીકોણ અલગ અલગ હોય છે. જીવનમાં શું જોઈએ ? એકદમ કોપી બુક સ્ટાઈલની પરફેક્ટ જિંદગી કે પછી ખુશહાલ હેપ્પી મોડ ઉપરની જિંદગી ? જિંદગી પરફેક્ટ નહી પણ ખુશ હોવી જોઇએ. જીવનમાં આનંદ અને ઉત્સાહના ફુવારા ઉડવા જોઈએ. ખુશી બધુ સમુસુથરું હોય એ નથી. ખુશી તો પરફેક્શનની પેલે પાર જોવાની શક્તિમાં છે.

એક ભાઈ હંમેશા રોદણાં જ રોતા રહે કે પેલા પાસે મારાથી મોટો બંગલો છે, એની પાસે વૈભવી કાર છે, તેનો દીકરો પણ ખૂબ કમાય છે વગેરે વગેરે. મારી પાસે તો નાની ગાડી છે, થ્રી બીએચકેનો ફ્લેટ છે. મને ઈશ્વરે હંમેશા અન્યાય જ કર્યો છે. એમનો જીવનનો દ્રષ્ટિકોણ જ કોઈની સરખામણીમાં સુખ શોધવાનો છે. જ્યારે સરખામણીના બધા દ્વાર ચપોચપ બંધ થાય ત્યાર પછી જ ખુશીઓના ખજાનાનો દ્વારા ખુલતો હોય છે. આવી નિરાર્થક સરખામણીથી ખુશી તો મળે નહીં ઉપરથી નકારાત્મકતાના જાળા સર્જાતા જાય. નકારાત્મક વિચારોવાળા વ્યક્તિઓથી દૂર રહેવું હિતકારી રહે છે. નકારાત્મકતા હળવેથી પાછલા બારણામાંથી સરખામણીને પ્રવેશ આપી દે છે.
શું ગુમાવ્યું એના કરતાં શું મેળવ્યું એના ઉપર ધ્યાન રહે તો ખુશી મળે. ઘણા લોકો મોટી સફળતામાં પણ ખુશ નથી થઈ શકતા. જ્યારે કેટલાક લોકોને નાની અમથી વાતમાં પણ આસમાન જેટલી ખુશી મળી જતી હોય છે. જીવનનો પ્રત્યેક દિવસ અનેક નવીખુશીઅનેક નવા અરમાનસાથે ઉગે છે. આપણી ખુશીની પસંદગી આપણે પોતે કરવાની હોય છે. ખુશીની પસંદગીના પેરામીટર સ્વયં નક્કી કરવા જોઈએ. દુઃખી થવાના કારણો કરતાં ખુશ રહેવાના કારણોને તપાસતા રહેવું પડે. ખુશી કોઈ સંબંધોથી નથી શરૂ થતી કે કોઈ નોકરીમાં પ્રગતિ કે સત્તામાંથી તે નથી જન્મ લેતી. ખુશી નાણાંમાંથી નથી આવતી કે સવલતોના વૈભવમાંથી તે પેદા નથી થતી. ખુશી મનની મોજમાંથી અને હૃદયની હુંફમાંથી પ્રગટતી હોય છે.
પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના સલામતી સ્ટાફના એક અધિકારીએ બ્રહ્મવિહારી સ્વામીને સરસ વાત કરી. એની વિડીયો ક્લીપ વાયરલ થઇ છે. આ અધિકારીને એક પ્રાઈવેટ એરલાઈન્સે ઊંચા પગારની પાયલોટની જોબ ઓફર કરી. કલામ સાહેબના પ્રેમ અને સદભાવના કારણે આ અધિકારીને કલામ સાહેબને આ વાત કહેવાની હિંમત નહોતી ચાલતી કે, મારે રાષ્ટ્રપતિભવનની આ નોકરી છોડી પાયલોટની બીજી નોકરી કરવી છે. કલામ સાહેબને આ વાતની ખબર પડી. તેમણે આ અધિકારીને બોલાવીને ખૂબ સાહજિકતાથી કહ્યું મારે પણ રાષ્ટ્રપતિભવન છોડવું છે. અને હું ઇચ્છુ છું કે, જ્યારે હું રાષ્ટ્રપતિભવન છોડું અને પ્રાઈવેટ એરલાઈન્સના વિમાનમાં બેસું ત્યારે એ વિમાનના પાયલોટ તમે હોવ. પેલો અધિકારી એક મિનિટમાં જ હળવો ફુલ થઈને ખુશ ખુશાલ ગયો. બીજાના મુખ ઉપર ખુશીના નિમિત્ત બનવામાં કેટલો મોટો આનંદનો ખજાનો મળતો હોય છે એનુ આ એક જબરજસ્ત ઉદાહરણ છે.  અન્યને આનંદ આપવાના માર્ગે ખુશીઓની શીતળ લહેરોનો અનુભવ થતો હોય છે. સૌથી મોટી ખુશી બીજાને આપણા દ્વારા મળતી શાતા અને આનંદમાં આપણી ખુશીઓનો સાચો અર્થ મળતો હોય છે. જ્યારે કોઈના મોઢા ઉપર આવેલા સ્મિત અને આનંદનું કારણ તમે બન્યા હોવ એનાથી રૂપકડી કોઇ ક્ષણ હોતી નથી.
ખુશી એ તો એક સફર છે. એ કોઈ અંતિમ પડાવ કે લક્ષ્ય નથી. જીવનની પ્રત્યેક પળના પૈડા ફરતા જાય અને એમાંથી નવા અનુભવો મળતા જાય. પોતાની દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણથી ખુશી મળે અને એનાથી જ જીવન ભર્યુ ભર્યુ બને છે. હારેલાનું સ્મિત પ્રતિસ્પર્ધકની જીતનારના વિજયની કિંમત કોડીની કરી નાખે છે. હારમાં પણ આનંદ અને ખુશ રહેવાનું હુનર આવડી જાય તો પછી માત્ર જીત જ છે.
મન-હૃદયના ઉંડાણમાંથી નિષ્પન થતો આનંદ અજબની ચેતના આપતો હોય છે. ગીત ગાવ તો એવી રીતે મુક્ત મને ગાવ કે કોઈ તમને સાંભળતું જ નથી. આંખો મીંચીને ગાવ પછી જુઓ આ ગીતમાં કેવા મઝાના લય અને સુર મળે છે. નૃત્ય કરો તો એવી રીતે કરો કે તમને કોઈ જોતું નથી, ક્યારે તરછોડાવાના નથી એમ સમજપૂર્વક પ્રકૃતિના તમામ પાસાને પ્રેમ કરો. ખુશીના આ બધા સરળ માર્ગો ઉપર ચાલી તો જુઓ ! પૃથ્વી જ સ્વર્ગ છે એમ સમજીને જીવવામાં મોજ છે.
સમરાંગણ કે રમતમાં હારેલો ફરી પાછો ક્યારેક વિજયી બની શકે પરંતુ પોતાના મનથી હારેલો, મનમાં દુઃખોના પહાડ ઊભા કરીને જીવનારો ક્યારેય ખુશ રહી શકતો નથી. જીવનમાં ખુશ રહેવાના બે આસાન માર્ગો છે જે ગમે છે એ કામ કરો અથવા પાસે છે એને ગમતું કરો. ખુશી મેળવવા ફાંફા મારનાર કરતા ખુશીઓ વહેંચનાર સદાય ખુશ હોય છે. બગીચામાં ઉગતા પ્રત્યેક ફુલોની અલગ અલગ તાસીર હોય છે, ભિન્ન ભિન્ન સુગંધ હોય છે. ફુલનું સૌંદર્ય અને સુગંધ એની આગવી ઓળખ છે. દરેકનો ખીલવાનો અને હસવાનો આગવો અંદાજ હોય છે. ગુલાબ કોઈ દિવસ મોગરાની સુવાસની સાથે સરખામણી ક્યાં કરે છે ? કે પછે ચંપો ક્યા ચમેલીની સુવાસથી જલે છે? એટલે જ બગીચાના તમામ પુષ્પો સદાય ખુશ અને આનંદીત લાગતા હોય છે. ભગવતીકુમાર શર્માએ એક મખમલી શેરમાં પુષ્પના પમરાટની ખુશીને મસ્ત રીતે ઉજાગર કરી છે લ્યો, વરસાદ આવ્યો અચાનક મળસ્કે, સુગંધોનું ઉઘડ્યું છે પુસ્તક મળસ્કે.’
જે અંતઃકરણપૂર્વક ગમતું હોય એ કામ કરવામાં હૃદયમાંથી ઉત્સાહ થતો હોય છે. ગમતું કામ કરતાં હૃદયના ઉંડાણમાંથી સારું લાગે. કહેવાય છે ને કે, જો તમારો શોખ જ તમારો પ્રોફેશન હોય તો તમને કોઈ દિવસ કામ ઉપર જાવ છો એવું ફીલ જ નહીં થાય. તમને કામ કરતા મોજ વધુ લાગશે અને કાર્યને ચાર છંદ લાગશે એ નફામાં. ખુશી મેળવવા માટે હરહંમેશ એક બાળકની જેમ જિજ્ઞાસુ બનવુ જોઈએ.
બાળકને કોઈપણ નવી બાબત માટે પ્રશ્નો પુછી પુછીને જાણકારી મેળવવાનો આનંદ હોય છે. મોટપણ આપણામાના બાળકના સદગુણોને છીનવી લે છે. જિજ્ઞાસાવૃત્તિને સદાય જીવંત રાખવી જોઇએ. સદાય નવા નવા પ્રશ્નોની હારમાળા લઇને માહિતી મેળવવાની મોજ કરવી જોઇએ. ખુશ રહેવાની એક ચાવી સંબંધો પણ છે. મિત્રો, સગા, દાંપત્ય જીવન પ્રત્યેક વિભાગ માટે પૂરતો સમય ફાળવીને અમૂલ્ય આનંદ મેળવવાનો હોય છે. સંબંધ સાચવવા અને તેમાંથી ખુશી મેળવવા માટે સંબંધના છોડને પ્રેસ, સમય, ધ્યાન અને દરકારનું ખાતર પાણી નીરતા રહેવું પડે. જીમમાં જઈને વ્યાયામ, મોર્નિંગ વોક, યોગ દ્વારા શરીર સાચવવું જરૂરી છે પણ એથીય વધુ જરૂરી છે ખુશ રહીને શરીરને તરોતાજા રાખવાની. સો વાતની એક વાત ખુદથી જ ખુલે છે ખુશીઓના ખજાનાના દ્વાર.

ધબકાર
થયેલી ભુલના દુ:ખ કરતાં વધુ મોટી ભુલ તો એ છે કે, દુઃખને મનમાં પ્રવેશવાની તક આપવામાં આવે છે.

No comments:

Post a Comment