લોકહૈયાનો ધબકાર ‘કાગવાણી’
-પુલક ત્રિવેદી
લોકસાહિત્ય એ સંસ્કૃતિનો પ્રાણ છે. એક ઓરડાના ખૂણામાં ખુરશી
ઉપર કે ખાટ ઉપર બેસીને એકલા એકલા વાંચવા માટે લોકસાહિત્ય નથી. લોકસાહિત્ય તો
ગવાતું હોય. ઝરણાં અને નદીઓની માફક સતત-અવિરત લોકો વચ્ચે ખળખળ વહેતું હોય. લોકોને
ઘડતું હોય. પ્રશિક્ષિત કરતું હોય. સાહિત્યના સ્વરૂપો અને રંગ-ઉમંગ જુદા જુદા હોય
છે. પ્રસંગ, પદ્ધતિ, વાદ્ય અને સમુદાય અનુસાર લોકસાહિત્ય ચોક્કસ રીતે પ્રસ્તુત
થતાં હોય છે. માનવીના જીવનમાં ભિન્ન ભિન્ન સ્વરૂપોની સાથે સાહિત્ય જોડાયેલું છે.
માનવ જીવનના ભિન્ન ભિન્ન સ્વરૂપોની સાથે જ એ પાંગરતું હોય છે. ખરું પૂછો તો જીવનનો
અંશ જ લોકસાહિત્ય છે. લોકગીતોનો જ દાખલો લઈએ તો, બહેનો માટેના લોકગીતો છે, તો
પત્ની માટેના નોખા લોકગીતો છે. ભાઈઓ માટેના જુદા લોકગીતો તો પુરુષો માટેના અલગ
લોકગીતો, લગ્નના લોકગીતો, ખેડૂતોના લોકગીતોમાં પણ અનેક પ્રસંગોને અનુરૂપ બળદ સાથે
કોશ હાંકતાં, ખેતર ખેડતાં, લણણી કરતાં, બીજ વાવતાં નોખાં નોખાં લોકગીતોના પ્રકાર
છે. નવરાત્રિના ગરબાના લોકગીતો કે હોળી પર્વના લોકગીતો પણ અલગ છે. લોકગીતો જ એક
એવો વિષય છે કે જેની ઉપર એક આખા પુસ્તકનુ સર્જન
થઇ શકે.
ગુજરાતી લોકસાહિત્યનું અભિન્ન અંગ એટલે ચારણી સાહિત્ય.
ચારણી સાહિત્યનું ગુજરાતી લોકસાહિત્યમાં બહું મોટું પ્રદાન છે. ગત સપ્તાહમાં ચારણી
સાહિત્યના ભિષ્મપીતામહ કાગ બાપુની પુણ્યતિથી ગઈ. ફેબ્રુઆરી ૨૨, ૧૯૭૭માં દુલા ભાયા
કાગે અનંતની યાત્રા આરંભી. કાગબાપુની વાત આવે એટલે સહુથી પહેલા ‘આવકારો મીઠો...’
યાદ આવ્યા વગર ન રહે. આ લોકગીતમાં માનવીય સંબંધોના તંતુને ગાઢ-પ્રગાઢ કરવાની ચાવી
ખૂબ સરળ અને તરલ રીતે કાગબાપુએ વણી લીધી છે. જેટલી વાર વાંચો કે સાંભળો કે ગાવ
‘આવકારો...’ એમા એક અલગ જ માનવીય સંવેદનાનો અનુભવ થયા વગર ન રહે.
તારે આંગણીએ કોઈ આશ કરીને આવે રે- આવકારો મીઠો આપજે રે...
તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે જી
માનવીની પાસે કોઈ માનવી ન આવે રે,
તારા દિવસની પાસે દુખીયા આવે રે – આવકારો...
કેમ તમે આવ્યા છો ? એમ નવ કહેજે રે
એને ધીરે ધીરે તું, બોલવા દે જે રે - આવકારો...
વાતું એની સાંભળીને, આડું નવ જોજે રે
એને માથું એ હલાવી, હોંકારો દે જે રે – આવકારો...
‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે – આવકારો મીઠો
માત્ર પાંચ ધોરણ સુધીનો જ અભ્યાસ. પરંતુ માનવીય સંવેદનાઓ
અને જીવનના ગુઢાર્થના તત્વને સમજીને પ્રસ્તુત કરવામાં કાગબાપુની અદભુત શૈલી રહી
છે. પ્રાથમિક શિક્ષણથી માંડીને અનુસ્નાતક કક્ષા સુધી કાગબાપુની વાણી અને લોકગીતો
ઉપર અભ્યાસ થયો છે અને હજુ આજે પણ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના મહુવા તાલુકાના મઝાધર(કાગધામ)માં
નવેમ્બર ૨૫, ૧૯૦૨ના રોજ કાગબાપુનો જન્મ થયો. આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જીવનનાં
ગુઢાર્થને લોકગીતોના માધ્યમથી લોકો વચ્ચે કાગબાપુએ ગુંજતું કર્યું છે. વિનોબા
ભાવેની ભૂદાન ચળવળમાં તેમની જમીન દાનમાં આપી. લોકોનું ઘડતર કરતી આઠ વોલ્યુમમાં
પથરાયેલી ‘કાગવાણી’ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. રામાયણ, મહાભારત અને ગાંધીયન
ફિલોસોફીની છાંટ કાગબાપુના દુહાઓમાં આવતી હોય છે.
ભારત સરકારે ગુજરાતના અદના અને લોકપ્રિય લોક કવિ દુલાભાયા
કાગને પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યા છે. કવિ કાગ ૨૦મી સદીના સૌરાષ્ટ્રની એક અદભુત
વિરલ વિભૂતિ સ્વરૂપે અવતર્યા. ચારણી વાણી જેમને વારસામાં મળી તેને અધુનિક યુગને
અનુરૂપ સુયોગ્ય વિનિયોગ સાધીને કાગબાપુએ નાની પણ મજબુત ક્રાંતિ સર્જી. માનવીય
જીવનની એવી કોઈપણ સંવેદનશીલ બાબત નહીં હોય કે જેના વિશે કાગબાપુએ તેમના શબ્દોની
સરવાણી વહાવી ન હોય. કાગબાપુના કાવ્યો, ગીતો, વાતોમાં આવતાં માનવીય વિવિધ
સંવેદનાના ભાવ, લાગણી અને પીડા લોકોને પોતાની જ વાત હોય એમ લાગતું. કદાચ એટલે જ
કાગબાપુ માનીતા લોકકવિ - લોકગાયક બની લોકોના લોકોના હદયમાં ઉતરી ગયા. કવિ દુલાભાયા
કાગ ગુજરાતના ગૌરવ છે. એમની વાણી આજે પણ ગામેગામ ગવાય છે. એમણે રચેલા સાહિત્ય
ઉપરથી ઘણાં બૃહદ સંશોધનો થયા, લેખો લખાયા અને પુસ્તકો રચાયા.
સૌરાષ્ટ્રની ધરતીના છોરું કવિ શ્રી દુલાભાયા કાગે સાહિત્ય,
ગીત, સંગીત દ્વારા માત્ર સંસ્કૃતિનું સંવર્ધન જ નથી કર્યું પણ ક્રાંતિકારી વિચારો
દ્વારા તેમણે સમાજમાં રહેલા દૂષણોને દૂર કરવા માટે પણ અદભુત કામ કર્યું છે. ભગવાને
આપેલા એમને મજાના કંઠનો કવિશ્રી કાગે ભરપુર ઉપયોગ કર્યો અને સમાજ જીવનમાં
ઊર્ધ્વગામી પરિવર્તન લાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા કવિશ્રી કાગ લોકહૈયાના
ધબકારને પીછાણતાં હતાં, એને ગાતાં હતાં. અને એટલે જ એમની રચનાઓ આટલી ઊંચી સ્વીકૃતિ
પામી શકી. લોકહૈયે સદાકાળ ઝીલાતી રહી છે ‘કાગવાણી’. રવિશંકર મહારાજે કાગબાપુ વિશે
લખ્યું છે કે, એમના જેવા કવિઓ બનાવી શકાતા નથી એ તો કુદરતની બક્ષીસ સ્વરૂપે જન્મતા
હોય છે. કંઠ, કવિતા અને કહેણીના મૂલ્યનિષ્ઠ લોકકવિ અને ભક્તકવિ પદ્મશ્રી દુલાભાયા
કાગની પુણ્યતિથિએ એમણે રચેલા કેટલાક દુહાઓ મમળાવવાની મોજ આવશે.
એ છે અંજવાળું, પાળીને નોતરવું પડે;
આવે અંધારું કિધા વિણનું કાગડાં
(તળપદી ભાષામાં
કાગબાપુ કહે છે કે, પ્રકાશને આવકાર છે, અંધકારને જાકારો આપવો જોઈએ. ઉત્તમ ગુણો
મહેનત સિવાય ન મળે. મન મસ્તિષ્કનાબંધ મકાનમાં પ્રકાશ પ્રવેશી ન શકે.)
વીરો સાચો હોય,
એને ફોકટ ફેરવીએ નહીં
કામે લાગે કોઈ
કસટ વખતે કાગડા
(સાચો કિંમતી હીરો
બે-પાંચ પૈસાના કામમાં ગીરો મૂકીને વેડફાય નહીં, કપરા સમયમાં એની મોટી કિંમત મળે
છે.)
સાદાઈ ને ચતુરાઈ,
મીઠપ ને મોટપ બધી
વેલી લિયે વિદાય,
જ્યારે કુમત આવે કાગડા
(જ્યારે કુબુદ્ધિ
સુજે ત્યારે સાદાઈ, ચતુરાઈ, મીઠાશ અને મોટપ જતી રહે છે.)
છંદા ગીતાં ને
સોરઠાં, સોરઠ સરવાણી,
(એટલાં) રોયાં
રાતે આંસુએ, (આજ) મરતાં મેઘાણી
(ખવેરચંદ
મેઘાણીના અવસાન વેળા કાગ બાપુએ હદયનાં ઉંડાણથી આ દુહો ગાયો. ચારણી છંદો, ગીતો,
સોરઠી ભાષા અને સોરઠ એ ચારેય ઝવેરચંદ મેઘાણીના જવાથી લોહીના આંસુએ રડ્યા છે.)
તનડા તુંટે તોય
પ્રિતું પાલકશે નહીં,
જળમાં ખીલાન જોય,
કાટ ન બોળે કાગડા
(જળની થાપટે
લાકડાનાં પાટીયાનાં ટુકડે ટુકડા થઈ જાય, કાંઠે પહોંચવુ પણ કઠીન થાય તેમ હોય છતાંય
લાકડામાં ઠોકેલી ખીલીને લાકડું પાણીમાં છોડી દેતું નથી.)
લોકસાહિત્યના વિવિધ પ્રકારો ઉપર માનવીએ સંવેદનાને અદભુત
રીતે ઝીલનાર કવિ દુલાભાયા કાગે લોક જીવનને ચારણી સાહિત્યમાં જીવતું અને ધબકતું કરી
દીધું છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ‘કલમ અને કિતાબ’માં લોકસાહિત્ય માટે જે
વાત કરી છે એ અહીં અક્ષરશઃ મૂકવાની ઇચ્છા છે. “ આપણો લોકસમૂહ પામર નથી (ક્ષુદ્ર
નથી). એ તો આપણી જુગ જુગ ઘુંટેલી સંતવાણી, લોકવાણીના સમૃદ્ધિ ભંડારની વારસદાર જનતા
છે. એનો સંસ્કાર અત્યારે સુશુપ્ત છતાં જીવતો છે. વિરાટ લોકસમૂહને લાગણીઓના
સક્ષમતાથી વિહોણો ગણી ઉવેખો ના. આપણી વિમુખતોનો ચોર – કોટવાળ વાળો દંડ એમના પર ન
નખો, છાપખાનાની વાંસથી બનેલી સગવડોએ લેખકોને વિભ્રમમાં નાખ્યા છે. એમને એકાદ –બે
પુસ્તકોને અંતે ફેંકી દેનાર વાચકોની આલમ બેવકૂફ નથી હોતી. વાચકો જ્વલંત નામોથી નથી
ઠગાતાં, લેખકોની કૃતિઓનું બોધિપણું વાચકની બુદ્ધિ બરાબર તોળી લે છે. પ્રકાશનોની તો
અટવી ઉગી નીકળી છે. પુસ્તકોની ખરીદીમાં અનેક કુટુંબો કોઈ ચોક્કસ દોરવણી વગર
આંધળુકીયા કરે છે. દળદાર પુસ્તકો અને મોટી કિંમત આ બે વાતોની લત ગ્રાહકોને લગાડી
છે. તે પણ આપણે અને રમકડાં જેવી નાની ચોપડીઓનો નાદ પણ આપણે જ લગાડી શકીએ. વાચકોનો
આવો રસ પલતો એ લેખકોને પ્રકાશનો ઉભયનો પ્રશ્ન છે. ” રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ
મેઘાણીએ કહેલી આ વાતમાં દુલાભાયા કાગની જીવનની એક એક ક્ષણ ઉજાગર થતી હોય એમ લાગે
છે. જો કે, મેઘાણીએ આ વાત કાગબાપુના સંદર્ભમાં કરી છે એમ કહેવાનું તાત્પર્ય નથી.
અહીં માત્ર મેઘાણીજીની આ વિચારધારાને કાગબાપુના જીવન અને કવન સાથે બંધબેસતી હોઈ પ્રસ્તુત
કરવાની ઇચ્છા રોકી ન શકાઇ. દુલાભાયા કાગ એટલે લોકો વચ્ચે રહીને લોકોનું ઘડતર
કરનારા અને લોક જીવનની નક્કર વાસ્તવિકતા સમજાવી નવતર કેડી કંડારનારા સંત. શબ્દ અને
સંગીતે મઢી ભક્તિસભર ‘કાગવાણી’ સદાકાળ ચિરંજીવ રહેશે. સાહિત્ય અને શિક્ષણની જે
સૃષ્ટિ કાગબાપુએ ઊભી કરી છે તે આવનારા યુગો સુધી નિઃસંદેહપણે અવિસ્મરણીય બની
રહેશે.
ધબકાર
:
‘કાગ’
આપણી શ્રધ્ધા જગતમાં શુકનથી લઇને શ્રાધ્ધ સુધીનું પ્રતીક છે. ભગતબાપુનુ જીવન અને
કવન પણ ખુબજ આદરણીય અને શ્રધ્ધેય રહ્યું. – મોરારી બાપુ





No comments:
Post a Comment