પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Friday, 2 June 2017

રોદણાં રોવાના હજાર બહાના હોય છે...

રોદણાં રોવાના હજાર બહાના હોય છે...
-પુલક ત્રિવેદી

આગળ વઘવું હોય તો રોદણાં રોવાના છોડવા પડે. મોટા બનવું હોય તો નાની-નાની વાતોમાં સમય વ્યતીત કરવાનું ન પાલવે. માણસ પાસે રોદણા રોવાના હજાર બહાના હોય છે. એક ચોક્કસ ફોર્મેટમાં જ જીવવાનું અને ધાર્યા પ્રમાણે ન બને એટલે પછડાટ અનુભવી માયુસ થઈ જવાની માનસિકતા જ જીવનને નિરસ બનાવી દે છે. ગમગીન બનાવી દે છે.



એક ભાઈ એના મિત્રને કહે કે, ‘મારી પત્ની કોઈ પણ  વાતે મારી સાથે સહમત થતી નથી. કાયમ કોઈને કોઈ વાતે કજીયો કરે છે. એના આવા સ્વભાવથી મારું જીવન એણે બદતર બનાવી દીધું છે. પત્નીની વર્તણૂંકની મુશ્કેલી કરતાં મૂળ તકલીફ રોદણાં રોવાની એમની મનઃસ્થિતિની છે. શું એમના મિત્ર આગળ એમણે વ્યક્ત કરેલી વાત અને રોયેલા રોદણાંથી એમનો મિત્ર પત્નીને બદલી આપશે ? કે પછી પત્નીનો સ્વભાવ બદલાઈ જશે ? શા માટે પોતાની તકલીફને મોટું સ્વરૂપ આપી અન્ય પાસે એની દયામણી રજૂઆત કરીને સિમ્પથીલેવાની મનોવૃત્તિ રાખવી જોઈએ ?



જે  વ્યક્તિથી સમસ્યા થતી હોય કે જેની વર્તણૂંક સામે પ્રશ્ન હોય એ જ વ્યક્તિને ‘ પોઈન્ટ બ્લેન્ક ‘ વાત કેમ ન કરાય ? સમસ્યા એકની સાથે હોય અને સમાધાન અન્ય વ્યક્તિઓ પાસે શોધવા માણસો ફાંફાં મારે છે. પરિણામે પ્રશ્નનો ઉકેલ તો નથી જ આવતો પણ એ વધુને વધુ વકરતો જાય છે. માનસપટ ઉપર એ સમસ્યા વધુ વિકરાળ ભરડો લેતી જાય છે. જે વ્યક્તિ પાસે દુઃખડા રડવામાં આવે એ વ્યક્તિ સામાન્ય રીતે ઠાવકુ મોં રાખીને એક કાને સાંભળીને બીજા કાનેથી તમારી દર્દભરી દાસ્તાન કાઢી  નાખે છે. એને તમારી સમસ્યાના સમાધાનમાં રસ હોતો જ નથી. મનમાં એ તમારા રોદણાથી રાજી થતો હોય છે. બે-પાંચ હજારમાં એકાદ વ્યક્તિ તમારી સમસ્યાનું સમાધાન શોધવા જેન્યુઈન પ્રયાસ કરતો હોય છે.
મારા વ્યવસાયમાં મંદી છે, મારો પુત્ર મને ગાંઠતો નથી, મારી દીકરીને કોઈકની સાથે લફરૂં છે, સમજતી નથી, પત્ની કંકાસ કરે છે, પતિ પાસે મારી માટે ટાઈમ નથી, પપ્પા ચીંગુસ છે, એમના હાથે પૈસા છૂટતા નથી... વગેરે વગેરે ગણવા બેસીએ તો હજારો રોદણાંઓની યાદી લાંબીને લાંબી બનતી જાય. આ બધી સમસ્યાઓનો અંત દુઃખડા વ્યક્ત કરવામાં છે ખરો ! જેની સામે દુઃખડા રડવામાં આવે એ પ્રશ્ન હલ કરી શકશે ખરો ? ઘણા લોકો તો એવા હોય છે કે, સરસ મઝાની હોટલમાં ભોજન માટે નિમંત્રણ આપ્યું હોય, ૧૦૦ વાનગીઓ ભોજનના થાળમાં હોય. સાત-આઠ મીઠાઈઓ, પાંચ-સાત ફરસાણ, જ્યુસ, અથાણાં, પાપડ, શાકભાજી, સલાડ, ફ્રૂટ, આઈસ્ક્રીમ, સુપ વગેરે વગેરે. આટ આટલી વાનગીઓ થાળીમાં હોય અને પૂછો કે, ‘બોસ, ડીશ બરાબર લાગી ને... ભોજન ભાવ્યુને...’ તો મોઢું સહેજ વાંકુ કરી કહે કે, ‘‘આમ તો ઠીક, પણ અંજીરનો હલવો હોત તો ઓર મોજ પડી જાત.’’ આવા વ્યક્તિને શું કહેવું...! ૫૬ ભોગ થાળીમાં હોય અને એક ચકતુ અંજીરના હલવા માટે રોદણાં રોઈ શકે એની આનંદ કરવાની અને આગળ જોવાની તમન્ના જ મરી પરવારી હોય છે.
જીવનમાં સમસ્યાઓ હોય, મુશ્કેલીઓ આવે, તકલિફો તો રહેવાની જ. જો સમસ્યા, મુશ્કેલી, તકલીફ કે પ્રશ્ન નથી તો એવા જીવનનો કોઈ અર્થ નથી. પ્રશ્નો વગરની એકધારી સવલતસભર જિંદગી થોડા સમયમાં જ બોરીંગ લાગવા લાગે. સમસ્યા વગરનું જીવન ત્રાસ આપે. કાળી ડીબાંગ રાત વગર સવારના સુરજના કુમળા તડકાની કોઈ વેલ્યુ જ નથી સમજાતી. સમસ્યાઓમાંથી જ નવી તાકાતનું સર્જન થયું હોય છે. પ્રશ્નોમાંથી જ પરિવર્તન થતુ હોય છે. મુશ્કેલીમાંથી જ આગળ વધવાનો મહામાર્ગ મળતો હોય છે. સમસ્યાઓ તમારી છે. એની સામેની લડાઈ પણ તમારે જ લડવાની છે. યોદ્ધો નીડર હોય. આગળ વધતો હોય. એની આંખોમાં ચમક હોય. એના ચહેરા ઉપર આત્મવિશ્વાસ છલકતો હોય. સમસ્યા સામે ઘુંડણીએ ન પડાય. સામનો કરવો પડે. કોઈ તમને માર્ગ બતાવી શકે પણ ચાલવાનું તો તમારે સ્વયં જ હોય. હજારો પુસ્તકો કે અનેક લેખો તેમના અનુભવો કે વિચારો આપી શકે. એને અમલમાં તો તમારે જ મૂકવા પડે. તમારી લડાઈ કોઈ બીજો કેમ લડે ? તમારે જ સમસ્યા સામે શસ્ત્ર ઉપાડીને વીર-યોદ્ધા બનવું પડે.
આપણી જિંદગી આપણે રોજે રોજ બનાવીએ છીએ. સમસ્યાઓનો હસતા મોંએ શાંત ચિત્તે મુકબલો કરવાની જગ્યાએ રોદણાં રોવામાં સમય બગાડનારો મોટો નથી બની શકતો. બહુ પર્સનલબનવામાં સાર નથી. જેને આજે તમારી સૌથી નજીક સમજો છો અને તમારી દાસ્તાન સંભળાવો છો, એ જ વ્યક્તિ કદાચ કાલે તમારાથી સૌથી દૂર પણ હોઈ શકે છે. ‘હાઈ એનર્જીવાળાઉર્જાવાન લોકો સાથે રહેવું પડે. ઉર્જાવાન લોકો સામે કોઈપણ સમસ્યા રજૂ કરશો તો કહેશે ‘‘ છોડ યાર, આ તો બહુ નાની વાત છે. આના કરતાં પણ પહાડ જેવડી મોટી મુશ્કેલી મારી જિંદગીમાં આવી ત્યારે મે એને આમ ચપટીમાં દૂર કરી હતી. ’’ રોવાવાળાની જમાતમાં સમસ્યાનું સમાધાન તો નથી જ મળતું પણ પ્રશ્ન  ડિપ્રેશન ના લેવલ સુધી પહોંચી જાય છે.
જે વ્યક્તિ રોવાનું છોડીને સમશ્યાનો દ્રઢતાથી મુકાબલો કરતો હોય છે, તે કદાચ આગળ ન વધી શક્યો હોય એવું બને પણ હૃદયથી અને મનથી સંતુષ્ટ અને તરોતાજા જરૂર બનતો હોય છે. જ્યારે તમે કોઈ નિર્ણય નથી લેતા તો તે પણ તમારો એક નિર્ણય જ છે. જીવનના નાના-મોટા વળાંકો ઉપર ઊભા રહી તાકી ન રહેવાય. નિર્ણય લઈ આગળ વધવું પડે. તમારી કોઈ ભુલ માટે બીજાને દોષ ન આપી શકાય. બહાનાબાજી સૌથી મોટી કાયરતા છે. રડવાથી કશું નહીં બદલાય. સમયસર અને ઝડપી નિર્ણય જીવનમાં બદલાવ લાવતો હોય છે. જીવનમાં એક નિર્ણય લઈ લેવો જોઈએ કે, ‘ કોઈની પણ આગળ રોદણાં રોવા નથી. સમસ્યાઓનો હસતા મોંએ સામનો કરી આગળ વધવા હંમેશા તૈયાર રહેનારની જીત થાય.

ધબકાર :
‘મારા જીવનમાં મુશ્કેલીઓ ન આવે...’ એવી ઈશ્વરને પ્રાર્થના કરવા કરતાં, ‘સમસ્યાઓનો મુકાબલો કરવા પ્રભુ મને શક્તિશાળી યોદ્ધો બનાવ’ એવી પ્રાર્થના વધુ કારગત નીવડે છે.
----------------------



No comments:

Post a Comment