પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Sunday, 22 April 2018

ચાલો, મનમા પડેલી અખૂટ શક્તિઓને બહાર કાઢીએ, ખુલ્લા આકાશમાં વિહરીએ...


ચાલો, મનમા પડેલી અખૂટ શક્તિઓને બહાર કાઢીએ, ખુલ્લા આકાશમાં વિહરીએ...


કાગજ કી નાવ નહીં,
ઔર ડૂબ ગઇ,
બાત ડૂબને કી નહીં,
ઉસકે હૌંસલે કી હૈ,
ઔર કૌન મરા કિતના જિયા, 
સવાલ યે નહીં, 
બાત તો હૌંસલે કી હૈ,
બાત તો જીને કી હૈ,
કિતના જિયા યે બાત બેમાની હૈ
કિસ તરહ જિયા,
કાગઝી નાવ કા હૌંસલા દેખીએ,
ડૂબના નહીં...
હિન્દિ સાહિત્યના જાણીતા કવિ શ્રી દેવેન્દ્રકુમાર મિશ્રાની ‘હૌંસલા’ નામની કવિતામાં મનની અસીમ સંભાવનાઓના અખૂટ ભંડારની વાતને અદભૂત રીતે રજુ કરવામાં આવી છે. આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલી અદભૂત તાકાત મનમાં હોય છે. સપનાઓને વાસ્તવિકતામાં મન પલટાવી શકે છે. જો મનની તાકાતને કેળવવામાં સફળ થઈ જઈએ તો જે ઇચ્છીએ એ મેળવી શકીએ. જે બાબત પરેશાન કરતી હોય, દુઃખદાયક હોય એ ખુશી અને આનંદમાં પરિવર્તન થઈ શકે છે. આખા બ્રહ્માંડમાં એવી કોઇ શક્તિ જ પેદા નથી થઇ કે જે મનની તાકાતથી વધુ શક્તિશાળી હોય.


આ કોઈ સંત-મહંતના આશીર્વાદની વાત નથી કે પછી કોઈ જાદુઈ લાકડીના ખેલની વાત નથી. ખરેખર મનની શક્તિને સમજવા માટે નાનો અમથો પ્રયત્ન ઘણા મોટા ફાયદા કરાવે છે. મનમાં પડેલી જોરદાર શક્તિને સમજવાનો ક્યારેય પ્રયાસ કર્યો છે ખરો ? આપણું મન બે ભાગમાં કામ કરતું હોય છે. ચેતન મન અને અચેતન મન. ચેતન મનને અંગ્રેજીમાં કોન્શયસ માઈન્ડ અને સચેતન મનને સબકોન્શ્યસ માઈન્ડ તરીકે આપણે જાણીએ છીએ. આપણે જ્યારે કોઈ વિચાર કરીએ ત્યારે આપણું ચેતન મન એ વિચારના તાત્વિક પાસા ઉપર પૃથક્કરણ કરી નિર્ણય લેવાનું કામ કરે છે. જ્યારે આપણું અચેતન મન આપણી ભાવનાઓ, લાગણીઓ, માન્યતા, આદત, યાદો વગેરેને નિયંત્રિત કરવાનું કામ કરે છે. સાચું પૂછો તો અચેતન મનમાં થતો આ ધમધમાટ જ આપણા જીવનને સુનિયંત્રિત કરવાનું મહત્વપૂર્ણ કામ કરતો હોય છે.
સામાન્ય રીતે આપણી આદતો આપણી માન્યતાનું મૂળ હોય છે. એક ભાઈ પાસે સરસ ફોર વ્હીલર હતું. પરંતુ પાંચ-સાત કિલોમીટર દૂર આવેલી એમની ઓફિસે એ હંમેશા સાયકલ ઉપર જ જતાં. સાયકલીંગને તેમની શારીરિક તંદુરસ્તીનો રાઝ એ ભાઇ માને છે. સાયકલ ઉપર ઓફિસ જવાથી શરીરને ફાયદો થાય છે એવી એમની આદત માન્યતામાં બદલાઈ ગઈ. એવી જ રીતે બીજા એક મિત્ર બાઈક અથવા કારમાં ઓફિસ જઈ ૧૫ મિનિટ વધુ મળતા કચેરીમાં વધારે કામ થઈ શકે એવી માન્યતા ધરાવે છે. એક મિત્ર માટે સાયકલ ઉપર ઓફિસ જવું એ ફાયદાકારક હોવાની માન્યતા છે. જ્યારે બીજા માટે કારમાં આફિસ જવું વધુ ફાયદાકારક છે એવી માન્યતા છે.
વિચારો, માન્યતાઓ, ભાવનાઓ અને લાગણીઓ આદતના આધારે ઘડાતી હોય છે. આપણી જુની યાદોના પડીકાઓ પણ આપણી આદતને ઘડતા હોય છે. આપણું ચેતન મન મગજનો માત્ર ૧૦ ટકા હિસ્સો જ ઉપયોગ કરે છે. જ્યારે અચેતન મન (સબકોન્શ્યસ માઈન્ડ) ૯૦ ટકા મગજનો ઉપયોગ કરતું હોય છે. મજાની વાત તો એ છે કે, મોટા ભાગના લોકોને સબકોન્શ્યસ માઈન્ડની તાકાતનો કોઈ અંદાજ જ નથી હોતો. પરિણામે સબકોન્શ્યસ માઈન્ડનો ઉપયોગ જ કરવામાં નથી આવતો. જે લોકો સબકોન્શ્યસ માઈન્ડની શક્તિઓ સમજીને એનો ઉપયોગ કરે છે એ સામાન્યમાંથી અસામાન્ય બની જતાં હોય છે શ્રી અરવિંદ ઘોષ, રબીન્દ્રનાથ ઠાકુર, ગાંધીજી, ઓશો, સ્ટીવ જોબ્સ, બીલ ગેટ્સ, સોક્રેટીસ, ગુર્જેફ જેવા લોકોએ સબકોન્શ્યસ માઈન્ડને પ્રોગ્રોમ કર્યું અને અસામાન્ય વ્યક્તિત્વ બનાવીને દુનિયાને નવો માર્ગ બતાવ્યો.
સબકોન્શ્યસ માઈન્ડની શક્તિઓને સમજવા વિશ્વમાં હજારો પરિક્ષણો કરવામાં આવ્યા. આ બધા ટેસ્ટમાં પ્લેસીબો ઈફેક્ટનામનો ટેસ્ટ એકદમ સચોટ છે. એક સરખી બિમારીનો ભોગ બનેલા લોકોને ભેગા કરવામાં આવ્યા. એ લોકોને બે જુથમાં વહેંચી દેવામાં આવ્યા. એક જુથને એ બિમારી માટે વિશ્વની શ્રેષ્ઠ ટેબલેટ આપવામાં આવી. બીજા જુથને ટેબલેટમાં ખાંડનો ભુકો ભરીને કહેવામાં આવ્યું,તમારી બિમારી માટેની આ વિશ્વની સૌથી ઉત્તમ અને અલ્ટીમેટ ટેબલેટ છે.’ બરાબર એક મહિના પછી બંને જુથની તબિયત ચકાસવામાં આવતા બન્ને જુથની તબિયતની રીકવરી એક સરખી જણાઈ. દવાએ કમાલ કરી એના કરતા વધારે કમાલ માન્યતાએ કરી. જે જુથ ખાંડના ભુકાવાળી દવા ખાતું હતું પણ એ દવા વિશ્વની ઉત્તમ દવા છે એવા વિચારોને એમના સબકોન્શ્યસ માઈન્ડે સ્વીકારીને બીમારી દૂર થઈ રહી હોવાના સંકેત આપ્યા અને ખરેખર એ લોકો સાજા થવા લાગ્યા.
આ પરિક્ષણની વાત સાથે આખા દિવસમાં આપણી સાથે બનતી નાની-મોટી અનેક ઘટનાઓને મૂકી નિષ્પક્ષ રીતે મુલવણી કરી જોઈએ. એક મિત્રને પ્રમોશન આવ્યું. સિનિયર અધિકારીઓ સામે એમને પ્રેઝન્ટેશન માટે જવાનું થયું. મનોમન આ મિત્રને થયું હું બરાબર રજૂઆત નહીં કરી શકું તો, મારી વાત એમને યોગ્ય નહીં લાગે તો વગેરે વગેરે જેવા નકારાત્મક વિચારો આવતા એ મિત્રનું સબકોન્શ્યસ માઈન્ડ નકારાત્મક બાબતોના સિગ્નલોથી ભરાઈ ગયું. એ મિત્રનો દેખાવ અત્યંત નબળો થયો.
હવે સવાલ એ છે કે સબ કોન્શયસ માઈન્ડનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. આપણે જ્યારે સુવા માટે પથારીમાં પડીએ ત્યારે ઉંઘ આવે એ પહેલાની પાંચ મિનિટમાં કોન્શયસ માઈન્ડ એટલે કે ચેતન મન ધીમે ધીમે સુશુપ્ત અવસ્થામાં સરકતુ હોય છે. અને આ એવો સમયગાળો હોય છે કે સબકોન્શ્યસ માઈન્ડ સૌથી વધુ પાવરફુલ બનતુ હોય છે. આ પાંચ-સાત મિનિટના સમયમાં સબકોન્શ્યસ માઈન્ડને આપવામાં આવતા સિગ્નલ સૌથી અસરકારક પુરવાર થતાં હોય છે.
કોન્શયન્સ માઈન્ડની જેમ સબ કોન્શયસ માઈન્ડ ક્યારેય ઉંઘતું નથી. એ સતત અવિરત કાર્ય કરતું હોય છે. રાત્રે સુતા પહેલા જે કંઈ પણ સબકોન્શ્યસ માઈન્ડને ફીડઅપ કર્યું હશે એની ઉપર આખી રાત સબકોન્શ્યસ માઈન્ડ ખેડાણ કરતું રહેશે અને સવારે ચેતન મન જાગ્રત થતા એને એ પ્રમાણેના સિગ્નલ આપશે. આગળ આવેલા સફળ વ્યક્તિઓ હંમેશા સબકોન્શ્યસ માઈન્ડને હકારાત્મક અને ખુશનુમા વિચાર મોકલી આનંદનો માહોલ ઊભો કરવાનું જાણે છે. ધ્યાન ધરવાની પદ્ધતિનો સાદો નિયમ માત્ર આટલો જ છે. સબકોન્શ્યસ માઈન્ડના પાવરનો વધુ ઉપયોગ કરવાનો રીયાઝ કરતા રહેવું પડે. મગજની ૯૦ ટકા શક્તિઓને વ્યવસ્થિત સમજીને એને એનાલાઈઝ કરવાથી એનો ફાયદો મળે. ધ્યાન ધરવું એ માત્ર આધ્યાત્મિકતાનો હિસ્સો છે એમ સમજવા કરતાં વધારે સબકોન્શ્યસ માઈન્ડના પાવરને સફળ થવાની સીધી સટ નિસરણી તરીકે જોવામાં ફાયદા વધુ છે. ‘ હું સર્વ શ્રેષ્ઠ છુ, શક્તિશાળી છું, વિજેતા છું, પ્રભુ મારી સાથે છે અને આ મારો સમય છે...’ એ. પી. જે. અબ્દુલ કલામજીએ કહે છે કે, આ પાંચ બાબતોના સિગ્નલ સબકોન્શ્યસ માઈન્ડને સતત આપતા રહો અને મનની અમાપ શક્તિઓ ખિલવીને આકાશી ઉડાન ભરો.

ધબકાર :
મનની સમજ અને શીતળતામાં અદભૂત શક્તિ રહેલી છે, ધગધગતા ગરમ લોખંડને ઠંડુ લોખંડ આસાનીથી તોડી - મરોડી શકે છે.




No comments:

Post a Comment