પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Friday, 13 December 2019

૨૦મી સદીની બેસ્ટ સેલર બુકની લેખિકા રોલીંગના સંઘર્ષમય જીવનની દિલચશ્પ કહાની


૨૦મી સદીની બેસ્ટ સેલર બુકની લેખિકા રોલીંગના સંઘર્ષમય જીવનની દિલચશ્પ કહાની

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------






જે પુસ્તકની વિશ્વમાં ૪૦૦ મિલિયન નકલો ચપોચપ વેચાઇ ગઇ અને જેના ઉપરથી
આઠ ફિલ્મો બની એને પ્રસિધ્ધ કરવા માટે પહેલાં ૧૨ પ્રકાશકોએ ઇન્કાર કર્યો હતો

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

મારા જીવનમાં જેનો સૌથી મોટો મને ડર હતો એ સાચો પડ્યો. હવે હું આઝાદ થઈ ગઈ છું. આગળ વધવા માટે મારી પાસે ત્રણ જ અમુલ્ય કારણો હતાં. પહેલું કારણ જેને હું અનહદ પ્રેમ કરતી હતી એવી મારી દીકરી જેસીકા, બીજું કારણ મારું ટાઈપરાઈટર અને ત્રીજું કારણ એક મજબૂત વિચાર. આ ત્રણ દમદાર કારણોના પાયા ઉપર મેં મારી મુશ્કેલ જિંદગીને સજાવી અને સવારી અને આગળ વધારી. ’ આ શબ્દો વિશ્વની બેસ્ટ સેલર હેરિ પોટર બુક સીરીઝ લખનાર જે. કે. રોલીંગના છે. એનું આખું નામ જોન કેથલીન રોલીંગ. આખી દુનિયા એને એક અત્યંત સફળ નવલકથાકારના રૂપમાં જુએ છે. પરંતુ રોલીંગનું બાળપણ અને યુવાની ભયાનક મુશ્કેલીઓ અને સંકટોમાં પસાર થયું છે એ બહું ઓછા લોકો જાણે છે.



રોલીંગ કહે છે કે, મહેનત, હિંમત અને લગનથી કલ્પનાઓ સાકાર થઈ શકે છે. ભાગ્ય સાહસિકોના ખોળામાં રમતું હોય છે. એક સંકલ્પ મનુષ્યની સાચી તાકાત બની જતો હોય છે. રોલીંગે પોતાની જાતને બખુબી સમજી છે. એણે સંકટોનો તાકાતથી સામનો કરીને સફળતાની સીડી ચઢી છે. બીજાને જાણવા કરતાં પોતાનામાં પડેલી શક્તિઓને રોલીંગે સુપેરે સમજી છે. જ્યારે વ્યક્તિ બીજાના દમ ઉપર ઉડતો હોય છે ત્યારે પોતાની શક્તિઓથી આસમાન સર કરવાનું હુનર એ ભૂલી જાય છે. હોંશિયાર વ્યક્તિ પોતાના અનુભવોથી તાકાત મેળવે છે. એનાથી પણ વધારે અકલમંદ તો એ કહેવાય કે, જે બીજાના અનુભવો ઉપરથી પણ પદાર્થપાઠ પ્રાપ્ત કરીને આગળ વધે.



જે. કે. રોલીંગે પોતાના દમખમ પર આસમાન સર કર્યું છે. રોલીંગના સંઘર્ષમય જીવનની કહાની ખૂબ દિલચશ્પ અને રોમાંચક છે. ૩૧ જુલાઈ, ૧૯૬૫માં ઈંગ્લેન્ડમાં જોનનો જન્મ થયો. માતા-પિતાના રોજે રોજના કજીયા અને ઝઘડા જોનના બાળમાસન પર શૂળની જેમ ચૂભતા રહેતાં. રાતોની રાતો એ સૂઈ શકતી ન હતી. ટુટીયું વળીને એ ચોંધાર આંસુએ રાતભર રડતી રહેતી. ૧૭ વર્ષે જોને ઘર છોડી દીધું. ઓક્ષફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે એણે એન્ટરંસ ટેસ્ટ આપી. અહીં પણ એની કમનસીબીએ એને બરાબર સાથ આપ્યો. એન્ટરંસ ટેસ્ટમાં એ રીઝેક્ટ થઈ. પરિણામે એણે એકસીટર યુનિવર્સિટીમાં અભ્યાસ શરુ કર્યો. ત્યારબાદ એણે માન્ચેસ્ટરના ચેમ્બર ઓફ કોમર્સમાં કામ કરવાનું શરૂ કર્યું.



એક વખત રોલીંગ માન્ચેસ્ટરથી લંડન જઈ રહી હતી. ટ્રેન ચાર કલાક મોડી હોવાથી તે રેલવે પ્લેટફોર્મમાં પર બેઠી હતી. એના મનમાં જાદુગરીનો અભ્યાસ કરતાં એક નાનકડા બાળકની વાર્તાના પ્લોટે આકાર લીધો. લંડન પહોંચીને એણે આ વાર્તાના પ્લોટને કાગળ ઉપર ઉતારવાની શરૂઆત કરી. લેખન કાર્ય શરૂ કર્યું એના થોડા સમયમાં જ રોલીંગની માતાનું મૃત્યું થયું. એ અત્યંત દુખી થઈ ગઈ. લેખન કાર્ય અટકી ગયું. માના મૃત્યુના દુખને ભુલવા માટે એણે ફરી પાછી કલમ ઉપાડી લખવાની શરૂઆત કરી.



આર્થિક સ્થિતિ ખૂબ કથળી ગઈ હતી. એણે પોર્ટુગલ જઈને અંગ્રેજીની શિક્ષિકા તરીકે નોકરી કરીને જીવન નિર્વાહ શરૂ કર્યો. નોકરીનો સમય સાંજનો રાખ્યો અને દિવસ દરમિયાન લેખન કાર્યમાં એ વ્યસ્ત રહેતી. એ જ સમયગાળામાં એને પોર્ટુગલમાં જ્યોર્જ નામના એક જર્નાલિસ્ટ સાથે પ્રેમ થઈ ગયો. ૧૬, ઓકટોબર ૧૯૮૨માં જ્યોર્જ અને જોને લગ્ન કર્યા. વર્ષ ૧૯૯૩માં એક દીકરી જન્મી. જોન બાળપણમાં જેસીકાની આત્મકથા વાંચીને ખૂબ પ્રભાવિત થઈ હતી. એણે જેસીકાના તમામ ઉપન્યાસ વાંચ્યા હતા. એણે દીકરીનું નામ પણ જેસીકા જ રાખ્યું. મુશ્કેલીઓ રોલીંગનો પીછો જ છોડતી ન હતી. જ્યોર્જ સાથે સહજીવન બરાબર ન ચાલતાં એણે જેસીકાના જન્મ બાદ ૧૯૯૩માં જ્યોર્જ સાથે છૂટાછેડા લઇ લીધાં. જોન જસીકાને લઈને એની બહેનના ઘરે જતી રહી. જો કે આ સમગ્ર સમયગાળા દરમિયાન રોલીંગે હેરી પોટરના ત્રણ પ્રકરણો તો પુરા કરી દીધા હતાં.



એક બાજુ લગ્ન વિચ્છેદ, બીજી બાજું કામનો અભાવ વળી નાનકડી દીકરીની જવાબદારી અને આર્થિક મુશ્કેલીઓ. ચારેબાજુથી ઘેરાયેલી રોલીંગ અત્યંત ડિપ્રેસ થઈ ગઈ હતી. એક તબક્કે તો આપઘાત કરવાનો કુવિચાર પણ તેને આવી ગયો. ફૂલ જેવી જેસીકાને જોઈને એનું મન પાછું પડી ગયું. લેખન કાર્ય તો સતત ચાલતું જ રહ્યું. હેરી પોટર સીરીઝનું પહેલું પુસ્તક ‘ હેરી પોટર એન્ડ ધ ફીલોસોફર્સ સ્ટોન ’નું લેખન કાર્ય પૂર્ણ થયું. એના જુના ટાઈપરાઈટર ઉપર ટાઈપ કરીને આ પહેલી નવલકથા પ્રસિદ્ધ કરવા માટે પહેલાં ૧૯૯૫માં એણે ૧૨ પ્રકાશકો પાસે મોકલી. કમનસીબીની ચરમસીમા તો એ હતી કે આ તમામ પ્રકાશકોએ એના પુસ્તકને છાપવાનો સોય ઝાટકીને ઈનકાર કરી દીધો. બરાબર એક વર્ષ પછી બ્લુમ્સ બેરી પ્રકાશન હાઉસે ‘ હેરી પોટર એન્ડ ધ ફીલોસોફર્સ સ્ટોન ’નું પ્રકાશન કરવાનું નક્કી કર્યું. પરંતુ પ્રકાશન કરતાં પહેલાં પ્રકાશકે રોલીંગને સલાહ આપી કે, ‘ તું લેખન કાર્ય છોડીને કોઈ બીજું કામ શરૂ કરી દે તો સારું. ‘ ૨૬ જૂન ૧૯૯૭માં આ પુસ્તક રીલીઝ થયું. અને પછી તો આ પુસ્તકે ઇતિહાસ સર્જ્યો. ૨૦૦૧માં રોલીંગે ડો. નીલ મુરે સાથે બીજા લગ્ન કર્યાં. ૨૦૦૩માં પુત્ર ડેવીડ ગોર્ડનને જન્મ આપ્યો. રોલીંગના બીજા લગ્ન પણ સફળ ન રહ્યાં.



રોલીંગે જિંદગીની ઝંઝાવાતોની સામે બાથ ભીડીને પણ તેનું લેખન કાર્ય સતત ચાલુ રાખ્યું. એક પછી એક હેરિ પોટરના સાત પુસ્તકોની સીરીઝ લખાઈ. એની ઉપરથી આઠ બ્લોક બસ્ટર ફિલ્મો બની. હેરી પોટર સીરીઝની ૪૦૦ મિલિયનથી વધુ નકલો વેચાઇ. ૨૦મી સદીમાં સૌથી વધુ વેચાયેલા પુસ્તકમાં હેરી પોટરની ગણના થાય છે. જોકે ડેન બ્રાઉનની ‘ધ વિંચી કોડ’ હેરી પોટર કરતા એક કદમ આગળ છે. એક બિલિયન ડોલર રોલીંગને હેરિ પોટર સીરીઝમાંથી પ્રાપ્ત થયાં. રોલીંગ ઈંગ્લેન્ડની મહારાણી કરતાં પણ વધુ સંપત્તિવાન બની ગઈ. રોલીંગ ગરીબાઈમાંથી આગળ આવી હોવાને કારણે ગરીબોના દુ:ખ દર્દને એણે સુપેરે અનુભવ્યાં હતાં. એણે ૧૬ કરોડ ડોલર ચેરીટીમાં આપી દીધા. સફળ બનવા માટે માત્ર એક ટેલેન્ટ કાફી છે. રોલીંગ પાસે લખવાની કળા હતી. આ કળાને ઓળખવાની એનામાં શક્તિ હતી. જેને પોતાની ટેલેન્ટ પર વિશ્વાસ છે એને લક્ષ્ય સુધી પહોંચતા કોઇ રોકી શકતું નથી. રોલીંગની કહાની જોઇને પેલી પ્રચલિત પંક્તિ યાદ આવે કે, ‘મંજીલ ઉસી કો મિલતી હે, જીન કે સપનો મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહીં હોતા, હોંસલે સે ઉડાન ભરી જાતી હૈ...’
સફળ થવાવાળો વ્યક્તિ હંમેશા પોતાની શક્તિઓ ઉપર વિશ્વાસ રાખતો હોય છે. જ્યારે હારવાવાળો વ્યક્તિ નકારાત્મકતાના ઘેરામાં સપડાયેલો હોય છે. કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોય એ એટલા માટે આશીર્વાદરૂપ હોય છે કે, વ્યક્તિ એનામાં પડેલી શક્તિઓના આધારે કોઈપણ કામ કરી શકે છે. મેડિકલનો અભ્યાસ કરનારો વ્યક્તિ તબીબ જ બને અને એન્જિનિયરીંગનો અભ્યાસ કરેલો વ્યક્તિ એન્જિનિયર જ બને. પરંતુ કોઈપણ ડિગ્રી વગરનો યુવાન કદાચ ઉત્કૃષ્ટ ફોટોગ્રાફર, સફળ ચિત્રકાર કે પ્રસિધ્ધ લેખક પણ બની શકે. હારવાવાળા લોકો સામાન્ય રીતે ભાગ્યમાં વિશ્વાસ રાખે પણ પાક્કા ઇરાદાવાળા લોકો પરિણામમાં વિશ્વાસ રાખતા હોય છે. સફળતા એ માત્ર એક સંયોગ નથી, સફળતા તો વ્યક્તિના પોતાના દ્રષ્ટિકોણ ઉપર અવલંબિત હોય છે. દ્રષ્ટિકોણ વ્યક્તિ પોતાની જાતે પસંદ કરતો હોય છે. મરેલી માછલીઓ પાણીના વહેણમાં તણાઈ જતી હોય છે પરંતુ જીવીત માછલીઓ ધસમસતા પ્રવાહમાં પણ પોતાનો માર્ગ જાતે શોધી કાઢે છે. વ્યક્તિએ પોતાની ક્ષમતાઓને જાતે જ ઓળખવાની હોય છે. રોલીંગ જેવા વ્યક્તિઓમાં એકલા ચાલવાની અને મુશ્કેલીઓ સામે બાથ ભીડવાની હિંમત હતી એટલે એક દિવસ એવો આવ્યો કે એની પાછળ હજારો લાખો લોકો જોડાતા ગયાં.
ચાઈનીઝ તત્વચિંતક કન્ફ્યુસીએસ કહે છે કે, ક્યારેય ન પડવામાં મહાનતા નથી પણ જેટલી વાર પડીએ એટલી વાર બમણી તાકાતથી ઊભા થઈને આગળ વધવામાં મહાનતા છે. સફળ થવાની રાહ જોવા કરતાં જ્યાં બેઠા છીએ ત્યાંથી ઊભા થઈને એક ડગલું મંડાય એ સાચી સમજ છે. કોઈપણ કામ શરૂ કરતા પહેલા પોતાની જાતને વ્યક્તિએ ત્રણ પ્રશ્નો પૂછવા જોઈએ. આ કામ હું શા માટે કરું છું ? આ કામનું શું પરિણામ આવશે ? આ કામમાં હું સફળ થઈશ કે કેમ ? અને જો આ ત્રણેય પ્રશ્નોના ઉત્તર સંતોષકારક મળે તો આંખો મીંચીને આગળ વધી જાવું જોઈએ. એક સફળ બીઝનેસમેન અને એક સારા વિચારક ડેલ કંપનીના સીઈઓ માઈકલ ડેલે સફળ થવાની ચાવી આપતાં કહ્યું છે કે, સફળ થવા માટે અત્યંત ગુણવાન, દિવ્યતાપૂર્ણ શક્તિઓ અથવા બહુ વધારે ઉચ્ચ અભ્યાસની જરૂરી નથી. સફળ થવા માટે તો એક સારી સમાયોજન અને સપનાની જરૂર છે.

ધબકાર :
ખબર નથી પડતી કે લોકો દુઃખથી કેમ ડરે છે ? જીવનની શરૂઆત જ રડવાથી થઈ છે.



No comments:

Post a Comment