પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 30 June 2020

બહારથી નકારના પોકારો ન સંભળાય ત્યાં સુધી જીવનમાં અશક્ય કશું નથી

    અનરાધાર વરસાદ વરસતો હતો. ગામની બાજુમાંથી પસાર થતી નદી બે કાંઠે ધસમસતી વહેતી હતી. ગામના સંપન્ન પરિવારના બે ભાઈઓને વરસાદી વાતાવરણમાં નદીમાં નાહવાની ઇચ્છા થઇ. વરસાદ બંધ થતા વેંત આ બન્ને ભાઇઓ નદીમા નાહવાની મજા લેવા માટે કાંઠે પહોંચી ગયા. બન્ને ભાઈઓ નદીમાં નાહવા પડ્યા. નહાવાની મસ્તીમાં એક ભાઈને સમજ ન પડી અને ઊંડા પાણીમાં દૂર તણાવા લાગ્યો. બીજા ભાઈ અને કાંઠે ઊભેલા ગામ લોકોએ એને બચાવવા ખૂબ બૂમો પાડી બચાવવાના ખુબ પ્રયત્નો કર્યા પણ કોઈ કામમાં ન આવ્યા. એનો ભાઈ વધુને વધુ દૂર તણાવા લાગ્યો. એ બહાર આવી અને ગામના લોકો સાથે તણાઈ ગયેલા ભાઈનો વિલાપ કરતો બેઠો હતો એવામાં દૂરથી એક ફકીર કોઈ યુવાન સાથે ચાલતો ટોળા નજીક આવતો દેખાયો. વધુ નજીક આવતા ખબર પડી કે એની સાથેનો યુવાન બીજો કોઈ નહીં પણ એનો ભાઈ જ હતો.




તાણાઇ ગયેલા ભાઈને જોઈને એ ખૂબ ખુશ થઈ ગયો એને ભેટીને પૂછવા લાગ્યો, ‘તું કેવી રીતે બચી ગયો ? પાણીનું વહેણ તો બહુ જબરજસ્ત હતુ.ભાઈના પ્રશ્નનો જવાબ આપે એ પહેલાં ફકીરે કહ્યું, “એ એટલા માટે બચી ગયો કે, જ્યારે એ તણાતો હતો ત્યારે આજુબાજુમાં ‘તું નહીં બચી શકે...’ એવું કહેવાવાળું કોઈ ન હતું. એટલે એણે હિંમત એકઠી કરી બચવાનો મરણીયો પ્રયાસ કર્યો. એક લાકડાના સહારે એ તરીને બહાર આવી ગયો. જ્યાં સુધી બહારથી નકારના પોકારો ન સંભળાય ત્યાં સુધી જીવનમાં અશક્ય કશું નથી.”




સામાન્ય રીતે દરેકની જિંદગીમાં આવું જ બનતું હોય છે. જ્યારે મુશ્કેલી કે તકલીફનો સમય હોય ત્યારે કોઈ કહે કે, ‘આ અશક્ય છે.’ એટલે પ્રયાસો કરવાના હથિયાર હેઠા કેમ મૂકી દેવામાં આવે છે ? આનું સીધું કારણ એટલું જ છે કે, લોકોના પ્રયત્નો, પોતાની શક્તિઓ અને સંભાવનાઓ અંગે બીજાએ કહેલા આકલનના આધારે વર્તન કરતાં જોવા મળે છે. વ્યક્તિના મનમાં દરીયો ભરીને અસિમ સંભાવનાઓ પડી હોય છે. કોઈકના નકાર માત્રથી કમજોરી આવી જતી હોય છે.

હેરી એન્ડ્રીસ રનીંગનો બ્રિટીશ કોચ. રનીંગની દુનિયામાં હેરીનું નામ બહુ આદરથી લેવાય. વર્ષ ૧૯૦૩માં એણે સ્ટેટમેન્ટ આપ્યું કે, ‘ચાર મિનિટમાં એક માઈલની દોડનો વિશ્વ વિક્રમ કોઈ તોડી શકશે નહીં.જ્યારે પ્રમાણિકપણે કોઈ સિદ્ધહસ્ત વ્યક્તિ કોઈ વાત પ્રમાણિત કરે ત્યારે લોકોના દિલો દિમાગ ઉપર એ વાત ઘર કરી જતી હોય છે. બરાબર ૫૦ વર્ષો પછી રોજર બેનીસ્ટરે વર્ષ ૧૯૫૪માં એક માઈલની દોડ ત્રણ મિનિટ ઓગણસાહીંઠ સેકન્ડ અને ચાર માઈક્રો સેકન્ડમાં દોડીને નવો કીર્તિમાન સ્થાપ્યો. કોચ હેરી એન્ડ્રીસના સ્ટેટમેન્ટને સાચુ માની બેઠેલા લોકોને રોજરે નવું વિચારવા મજબૂર કરી દીધાં.




રોજર બેનિસ્ટર પછી એક દશકમાં જ એટલે કે વર્ષ ૧૯૬૪માં જીમ રેયોન નામના શાળામાં ભણતા નાના છોકરાએ એક માઈલની દોડ ત્રણ મિનિટ અને ઓગણસાહીંઠ સેકન્ડમાં પૂરી કરી. જીમ આ જબરજસ્ત સફળતા એટલે હાંસલ કરી શક્યો કારણ કે એના મનમાં હેરીનું અસંભવવાળુ સ્ટેટમેન્ટ હતું જ નહીં. એના મનમાં તો હતું કે જો રોજર બેનીસ્ટર આ દોડ ચાર મિનિટથી ઓછા સમયમાં પુરી કરી શકે તો તેનાથી ઓછા સમયમાં હું આ દોડ કેમ પૂરી ન કરી શકું ?

કોઈકના કહેવાથી જે કાર્ય પચાસ વર્ષો સુધી અસંભવ લાગતું હતું પરંતુ જ્યારે કોઈ નકારાત્મકતા ન નડે ત્યારે તે પૂરુ થતા માત્ર એક દશકનો જ સમય લાગ્યો. ૨૯૬૩ વન ડે ઈન્ટરનેશનલ મેચ પછી સચિન તેંડુલકરે પ્રથમ બેવડી સદી કરી એ પહેલાં વન ડે ઈન્ટરનેશનલમાં બેવડી સદી શક્ય જ નથી એમ લોકો સમજતા હતા. વર્ષ ૨૦૧૦માં સચિને લોકોની માન્યતા જ બદલી નાખી. સચિનની બેવડી સદી બાદ માત્ર ૧૬ મહિનામાં ૨૫૦ વન ડે પછી વિરેન્દ્ર સેહવાગે સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો. પછી તો રોહિત શર્મા, ક્રિસ ગેઈલ, માર્ટીન વગેરેએ વન ડે ઈન્ટરનેશનલમાં ડબલ સદી કરી. હવે તો એવા ખ્યાલ સાથે ખેલાડીઓ મેદાનમાં ઉતરે છે કે, ‘એ લોકો કરી શક્યા છે તો હું પણ કરી શકીશ.૫૦ વર્ષોમાં વન ડે ઈન્ટરનેશનલમાં અસંભવ લાગતી બેવડી સદી આજે દસ વર્ષ પછી બેવડી સદીઓની લાઈન લાગી ગઈ.




મૂળ વાત તો એ છે કે, જ્યાં સુધી ઘટના ઘટતી નથી ત્યાં સુધી જ એ અસંભવ લાગે. જ્યારે એક વાર ઘટના બની જાય પછી અનેકને એમાં આશા દેખાય છે. વર્ષ ૧૯૫૫માં જાણીતા વૈજ્ઞાનિક ડૉ. લી. દી. ફોરેસ્ટે છાતી ઠોકીને કહ્યું હતું કે, ‘માનવી ક્યારેય ચાંદ ઉપર નહીં પહોંચી શકે.’ વર્ષ ૧૯૬૯માં નીલ આમસ્ટ્રોંગે ચંદ્ર ઉપર નાનું ડગલું ભરી માનવ જાતની મોટી છલાંગ મારી. એવી જ રીતે લોર્ડ કેલ્વીને કહ્યું હતું કે, ‘માત્ર પક્ષી જ હવામાં ઊડી શકે માણસ ક્યારેય ઊડી ન શકે.આ પછી ૧૬ વર્ષના સમયગાળામાં રાઈટ બ્રધર્સે બાયસિકલના પુર્જાઓથી હવાઈ જહાજ બનાવ્યું હતું. શારીરિક રીતે અપંગ ફેંકલીન રુઝવેલ્ટ બાર વર્ષ સુધી વિશ્વની મહાસત્તા અમેરિકાના પ્રમુખ રહ્યાં હતા. સુધા ચંદ્રાના પગ ન હોવા છતાં અદભુત ડાન્સર બન્યા હતા. બન્ને પગે હેન્ડીકેપ અરૂણીમા સિન્હા એવરેસ્ટ ઉપર પહોંચી શક્યા.

‘અશક્ય’ નામનો શબ્દ બહારથી આવીને વ્યક્તિના મનોબળને તોડી નાખે છે. પ્રતિકૂળ પરિસ્થિતિ હંમેશા આવે અને જાય, પરંતુ અનુકુળ ન હોય એવી પરિસ્થિતિનો વ્યક્તિ કેવી રીતે સામનો કરે છે અને અસંભવ વાત સંભવ કેવી રીતે બનાવે છે એ અગત્યનું છે. જગતના સૌથી વિનાશકારી દિવસો માનવજાતિએ જ્યારથી અસંભવ શબ્દનો પ્રયોગ કરવાનો શરૂ કર્યો ત્યારથી આરંભાયા.

 

ઘબકાર :

મન મોટું, વિચાર ઉમદા અને લક્ષ્ય ઊંચું હોય ત્યારે કશું અસંભવ ન લાગે.




https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/june2020/30062020-4.pdf


No comments:

Post a Comment