પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 13 April 2021

બાળક ઉપર ઉપદેશો નહીં ઉદાહરણરૂપ વર્તણૂંક અસર કરે છે...

 




ક્લાસ રૂમમાં બેઠેલા પ્રત્યેક ભુલકાઓના દિલમાં તેમની સામેથી બોલતા શિક્ષકની તસવીર ઉજાગર થતી હોય છે. આ છબી કેવી અને કેટલી ઉપસાવવામાં આવે છે તે શિક્ષક ઉપર નિર્ભર હોય છે. એક બાળકને ઘડીને સમાજને અર્પિત કરવાનું પવિત્ર કામ શિક્ષકનું હોય છે. સંસ્કાર વગર અપાયેલું અક્ષરજ્ઞાન કાગળના ફૂલો જેવું હોય છે. દેખાવ તો રૂપકડો લાગે પણ એમાં સુગંધ ન મળે. બાળકનું હૃદય કાચ જેવું સાફ હોય છે. એને ઉપદેશો નહીં ઉદાહરણ જોઈએ. શિક્ષકનું ઉદાહરણીય વર્તન એના કોમળ હૃદય ઉપર જડબેસલાક રીતે અંકીત થઈ જતું હોય છે.


ગુજરાત અને મહારાષ્ટ્રની સીમાઓને અડીને આવેલા મોટી દેવરૂપેણ ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષક ઉત્પલભાઈના ઉદાહરણીય શિક્ષણ કાર્યની નોંધ લેવી પડે એમ છે. નાના એવા ગામમાં કામ કરતા આ શિક્ષકે મોટી વૈચારિક છલાંગ મારી છે. ઉત્પલભાઈએ એમની જમીનમાં ૫૦ હજાર જેટલા વૃક્ષો ઉછેર્યા છે. એમણે અઢી એકર જેટલા વિસ્તારમાં જાંબુ, બોર, જમરૂખ, ચેરી વગેરે ફળાઉ રોપા ઉછેર્યા છે. એમના ‘ફ્રુટ ગાર્ડન’નું જતન દાદ માગી લે એવું છે.

શાળાના બાળકોને સમયાંતરે ઉત્પલભાઈ એમના ફ્રુટ ગાર્ડનમાં લઈ જઈને છોડનું જતન કરવાનું પ્રત્યક્ષ શિક્ષણ આપે છે. વિદ્યાર્થીઓ ફ્રુટ ગાર્ડનમાં છોડની માવજત કરતા કરતા ફળ તોડીને મોજથી ખાય ત્યારે એને ખ્યાલ આવે છે કે, એક ફળ તૈયાર કરવામાં કેટલો પરિશ્રમ કરવો પડે છે. ઉત્પલભાઈના વિદ્યાર્થીઓ ફ્રુટ ગાર્ડનમાં ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. સરગવો જબરો ગુણકારી અને વધે પણ ખુબ ઝડપથી. આ શિક્ષકવીરે ગયા વર્ષે તેના ખેતરમાં સરગવાના હજારો બી રોપ્યા હતા. આજે એક વર્ષ બાદ તેમની વાડીમાં અસંખ્ય સરગવાના ઝાડ સરસ ડેવલપ થઇ ગયા છે. આસપાસના ગામના ૬૦ થી ૭૦ ટકા લોકો ઉત્પલભાઇની વાડીનો સરગવો ખાતા થઇ ગયા છે.

તાજેતરમાં ઉત્પલભાઈએ એમના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક સરસ વિચાર અમલાં મૂક્યો છે. એમના એક મિત્ર પાસેથી ૨૦-૨૫ રૂપિયામાં ચંદનના રોપા એમણે ખરીદ્યા છે. એમના દરેક વિદ્યાર્થીને ઉત્પલભાઈ એક ચંદનનો રોપો આપે છે અને કહે છે, ‘આ ચંદનના રોપાને ઘરના આંગણાંમાં વાવીને બરાબર માવજત કરજો. તમે કોલેજમાં જશો ત્યારે આ છોડ તમને મોટર સાઈકલ અપાવશે.’ આની પાછળ એમનું લોજિક એ છે કે, ચંદનનો છોડ પાંચેક વર્ષમાં ખાસ્સો મોટો થઈ જતો હોય છે. ચંદનના છોડની ડાળીનો એક કિલોનો બજાર ભાવ આજે રૂ. ૧૮૦૦ જેટલો હોય છે. પ્રાથમિક શાળામાં ભણતો વિદ્યાર્થી પાંચ સાત વર્ષે જ્યારે કૉલેજમાં જવા માટે સજ્જ થાય ત્યારે આ ચંદનનું વૃક્ષ એની આર્થિક તાકાત બની શકે છે. એમની શાળાના બાળકો હોંશે હોંશે ચંદનના રોપાની સાર સંભાળ લઇને એને ઉછેરી રહ્યાં છે

આ શિક્ષકના પ્રકૃતિપ્રેમનો ઇતિહાસ રસપ્રદ છે. ઉત્પલભાઈને બાળપણથી જ વૃક્ષો અને જંગલો પ્રત્યે લગાવ થવાના મૂળમાં એમના પિતા ભરતભાઈ છે. પિતા બાળ ઉત્પલને રોપાઓ ઉછેરવા અને માવજત કરવા હંમેશા સાથે લઈ જતા. શરૂ શરૂમાં એમને કંટાળો આવતો. પછી તો યુવાનીના ઉંબરે પગ મુકતા સુધીમાં ભાઇ ઉત્પલને જંગલ, વૃક્ષો, પહાડો, નદીઓ, પશુ, પંખી વગેરે સાથે સખત લગાવ થઇ ગયો. દોઢ બે દાયકા પહેલાં એક દિવસ ઉત્પલભાઈ એમના મિત્ર સાથે નર્મદા જિલ્લા પાસેના સાતપૂડાના જંગલોમાં ટ્રેકીંગમાં ગયા ત્યારે એમની નજર પુવલો પર પડી. મુસળીને આદિવાસી વિસ્તારમાં પુવલો કહે છે. જંગલમાં પુવલો કુદરતી રીતે જ વિપુલ પ્રમાણમાં ઉગતી હોય છે. આદિવાસી બાંધવો પુવલાની ભાજી ટેસથી ખાય છે. ઉત્પલભાઈએ પાંચ-સાત મુસળીના છોડ મુળ સાથે ઉખાડીને પોતાની થેલીમાં મૂકી દીધા. ઘરે આવી કુંડામાં એ રોપી દીધા. પરંતુ થોડા દિવસોમાં આ છોડ મુરઝાઈ ગયા. આ જોઈને એ ખૂબ વ્યક્થિત થઈ ગયા. એમનો આ પ્રથમ પ્રયોગ નિષ્ફળ નીવડ્યો પણ અહીંથી એમની પ્રકૃતિ પ્રેમની યાત્રા સડસડાટ ચાલી.

ઉત્પલભાઈના વૃક્ષો અને પ્રકૃતિ પ્રેમના કારણે દુર્લભ પંખીઓની સંખ્યા પણ કિલ્લોલ કરતી વધી રહી છે. એમણે  યુ-ટ્યુબ ઉપર જાપાનના મિયાવાકી વૈજ્ઞાનિકના સંશોધન અહેવાલ દ્વારા જાણ્યું કે કુદરતી રીતે જંગલો બનતા ૨૦૦થી ૩૦૦ વર્ષો લાગતા હોય છે પરંતુ સિસ્ટેમેટિક એપ્રોચથી વ્યક્તિ ત્રણથી પાંચ વર્ષમાં ગાઢ જંગલનું નિર્માણ કરી શકે છે. એમણે આ મિયાવાકી સંશોધનના આધારે જ અઢી એકર વિસ્તારમાં પ્રગાઢ જંગલ ઊભું કરવાનું બીડું ઝડપ્યું છે. મુળ સ્વભાવે શિક્ષક અને એમાં ભળી પ્રકૃતિના લગાવની વૈચારિકશક્તિ. પછી તો પુછવુ જ શું, આ શિક્ષકે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર એકલા હાથે નંદનવન ખડુ કરવાની દિશામાં પગરણ માંડ્યા છે. સાથે સાથે વિદ્યાર્થીઓને અનુભવ શિક્ષણના પદાર્થપાઠ પણ શિખવતા જાય છે.

પેલી કહેવત છે ને કે, ‘કુવામાં હોય તો હવાડામાં આવે’ એ સાચુ પણ ખરેખર તો એમ કહેવું જોઈએ કે, ‘જેવું કુવામાં હોય એવું જ હવાડામાં આવે’. એટલે સીધી વાત કે જો શિક્ષકનું વર્તન અનુકરણીય હશે તો વિદ્યાર્થી અવશ્ય સાચા અર્થમાં જીવનના પદાર્થપાઠ મેળવી શકશે. ગાંધીજીના ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજી કહેતા કે, જ્ઞાન તો દોરો પરોવેલી સોય જેવું હોય છે. દોરો પરોવેલી સોય કદી ખોવાતી નથી એમ જ્ઞાન પરોવેલી જિંદગીથી સંસારમાં ભુલા નથી પડાતું. જાગૃત શિક્ષક બાળકની જિંદગીમાં જ્ઞાન પરોવવાનું કાર્ય કરે છે અને પછી એ જીવનમાં ક્યરેય ખોવાતો નથી. જગતમાં કેળવણી જેવો બીજો કોઈ ઉત્તમ વ્યવસાય છે જ નહીં.

બાળક દીપકની જ્યોત છે. એને પ્રજ્વલિત કરવાનું ઉમદા કાર્ય શિક્ષકના શીરે હોય છે. શિક્ષક બાળકને પ્રેરિત કરવા માટેનું ચાલક બળ હોવો જોઈએ. એક આદર્શ શિક્ષક જીવનભર શીખતો હોય છે. જેટલું એ વધુ શીખશે એટલુ એના વિદ્યાર્થીઓને એ વધુ સારી રીતે પ્રેરિત કરી શકશે. ગાંધીનગરની ચેમ્પ્સ એકેડેમીના ડાયરેકટર કેવલ ત્રિવેદીએ કહે છે કે, ‘હું વિદ્યાર્થીઓને કોઈ દિવસ શીખવતો નથી, હું તો એવા સંજોગોનું નિર્માણ કરું છું કે, તે સંજોગોમાંથી જ વિદ્યાર્થી અઢળક પ્રાપ્ત કરી શકે.’ કેળવણી બાળકોમાં રહેલી શક્તિઓને સાચી દિશા આપે છે. વૈચારિક પરિપકવતા વગર શીખવું એ નિરર્થક ખાડો ખોદવાના પરિશ્રમથી વધુ કંઈ નથી. સ્વવિવેક વિનાના વિચાર વિનાશક છે. જીવનની તમામ સારી નરસી પરિસ્થિતિઓમાં અડગ ઊભા રહેવાનું બળ શિક્ષણ છે. શિક્ષકોમાં પુસ્તકીયા જ્ઞાન કરતાં ક્યાંય વધુ એમની ઉદાહરણીય વર્તણૂંકમાંથી શિક્ષણનો નિચોડ ટપકતો હોય છે.


ધબકાર : ‘ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે, જેના વડે આત્માને, પોતાની જાતને, ઇશ્વરને અને સત્યને ઓળખી શકાય’ – ગાંધીજી





https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/21april/13042021-4.pdf

2 comments:

  1. એકદમ સાચી વાત ઉત્પલભાઈ ની વાત કેવલ સર ના વિચારો થઈ હું ઘણો જ પ્રભાવિત છું

    ReplyDelete
  2. Excellent Pulak bhai..Proud of you

    ReplyDelete