પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 28 August 2018

ક્યાં સુધી થોકબંધ નેગેટીવ શેડ મનમાં લઈને ચાલતા રહીશુ ?


ક્યાં સુધી થોકબંધ નેગેટીવ શેડ મનમાં લઈને ચાલતા રહીશુ ?


બ્રેઈન ડ્રેઈન પુસ્તક ચિંતક ચાર્લ્સ એફ. ગ્લાસમેનનું સુંદર સર્જન છે. નકારાત્મક ખ્યાલોની અસરો અંગે પુસ્તકમાં રસપ્રદ વિચારો રજૂ કરવામાં આવ્યા છે. ગ્લાસમેન કહે છે કે, નકારાત્મક વિચારોમાં વિશ્વાસ રાખવો એટલે સફળતાના રાહમાં સ્વયં અવરોધો ઊભા કરવા. મનમાં નકારાત્મક ખ્યાલોને વિસ્તાર આપવામાં કેટલાક લોકો બહુ પારંગત હોય છે. ઉગતા સૂરજના કિરણોને આવકાર આપવાનું છોડીને સૂર્યોદય પહેલાના અંધકારને વાગોળીને બેસી રહેનારા ક્યારેય આગળ વધી નથી શકતા.
નકારાત્મક વિચાર એટલે અંધકાર. જો એમ લાગે કે, વિશ્વ અંધકારથી ભરેલું છે તો પહેલા પોતાનામાં પડેલા પ્રકાશને જોવો જોઈએ. જો એમ લાગે કે, દુનિયામાં દુષ્ટતા ભરેલી છે તો પોતાનામાં પડેલી ભલાઈને બહાર લાવવી જોઈએ. વ્યક્તિએ આગળ વધીને જ્યાં પહોંચવુ છે ત્યાં જવા માટે સકારાત્મક વિચારો વાહક બનતા હોય છે. મનનાં નબળા વિચારો દૂર સુધી જવાનો માર્ગ રોકે છે.
વિસ્ટન ચર્ચિલ જેટલા મુત્સદી શાસક હતાં એટલા જ સબળ ચિંતક હતા. ચર્ચિલ કહેતા કે, ‘એક નિરાશાવાદી અને નકારાત્મક વ્યક્તિને પ્રત્યેક અવસરમાં અવરોધ દેખાતો હોય છે. જ્યારે આશાવાદીને દરેક કઠણાઈઓમાં આગળ વધવાનો નવો અવસર દેખાતો હોય છે. સકારાત્મક દ્રષ્ટિકોણવાળો વ્યક્તિ હંમેશા ભાવિના પેટાળમાં છુપાયેલી અદ્રષ્ય ઘટનાને ચિત્રપટની જેમ જોઈ લેતો હોય છે. આવા વ્યક્તિઓ અસંભવ લાગતી વાતને સંભાવનાઓમાં પલટાવી નાખવાનું સામર્થ્ય ધરાવતા હોય છે.
સામાન્ય રીતે જ્યારે એમ વિચાર આવે કે, આ ઘટનામાં મેં કેટલું બધું ગુમાવ્યું છે ત્યારે સમજી લેવુ પડે કે, આગળ વધવાની ક્ષમતા ગુમાવી દીધેલી વ્યક્તિ છે. જ્યારે એમ વિચારવામા આવે કે, આ ઘટનામાં મેં કેટલું મેળવ્યું છે તો પરિસ્થિતિનો  દ્રષ્ટિકોણ બદલાઈ જતો હોય છે. જ્યારે બે વ્યક્તિ સામ સામે ભેગા થાય છે, ત્યારે બન્ને વચ્ચે બહુ થોડુ જ અંતર દ્રષ્ટિકોણનું હોય છે. એમની વચ્ચેનુ અંતર વધારે છે કે ઓછુ એ એમના સકારાત્મક અને નકારાત્મક વિચારો ઉપરથી નક્કી થતું હોય છે.
એક મિત્રએ સરસ વાત કરી. શાળામાં ટીચરે મલ્ટીપલ ચોઈસનો સવાલ લખી કહ્યું, આ સવાલ બે માર્કસનો છે. આ પ્રશ્ન હલ કરીને આગળ વધી શકાશે. જેને આવડે એ બોર્ડ ઉપર આવી સાચો જવાબ લખે. બધા વિદ્યાર્થીઓ મથવા લાગ્યા. એવામાં એક વિદ્યાર્થી આગળ આવ્યો અને આખો સવાલ ભૂસી નાંખ્યો. શિક્ષકને ગુસ્સો આવ્યો અને પૂછ્યું આમ કેમ કર્યું ? વિદ્યાર્થીનો જવાબ સાંભળીને શિક્ષક રાજી થઈ ગયા. વિદ્યાર્થીએ કહ્યું, સર જે સવાલ નથી જ આવડતો એની પાછળ સમય બગાડવા કરતાં બાકીના ૯૮ માર્કસ મેળવવા અસરકારક પ્રયાસ કેમ ન આદરું ? આ એપ્રોચ નકારાત્મકતાને હડસેલી સકારાત્મકતાના આવિષ્કારનો છે.
એક કહેવત હંમેશા લોકો ટાંકતા ફરતા હોય છે. આપણે જેવું વિચારીએ છીએ એવું જ બને છે. અંગ્રેજીમાં આના માટે શબ્દ ટેલીપથીછે. જ્યારે કોઈપણ કામ શરૂ કરવામાં આવે ત્યારે મનોમન દ્રઢ વિચાર કરવામાં આવે કે, આ કાર્યમાં હું સફળ જ થઈશ. તો કાર્યના આરંભે જ અડધી સફળતા પ્રાપ્ત થઈ જાય છે.
ઘણીવાર માનવી અજાણતા જ નેગેટિવ ખ્યાલથી અન્ય વ્યક્તિનું મૂલ્યાંકન કરી દેતો હોય છે. એક સમારંભમાં અતિથિવિશેષ કાર્યક્રમના સ્થળે આવ્યા ત્યારે કાર્યક્રમના આયોજક મંડળના એક વરિષ્ઠ સભ્યએ મુખ્ય મહેમાનની આગતા સ્વાગતા કરી, એમને ડાયસ સુધી દોરી જવાની કામગીરી ખૂબ નિષ્ઠાથી કરી. પરંતુ મુખ્ય મહેમાને આ આયોજક મંડળના સભ્ય સામે નજર સુદ્ધા ન નાખી. સત્કારવા આવેલા ભાઈના મનમાં તો મુખ્ય મહેમાન માટે મોટી નકારાત્મક છબી કંડારાઈ ગઈ. એ મનમાં વિચારવા લાગ્યા કે, આ મુખ્ય મહેમાન ખુબ ઘમંડી છે. પણ ૧૫-૨૦ મિનિટમાં જ એમને ખબર પડી કે, કાર્યક્રમના ચીફ ગેસ્ટ જોઈ શકતા નથી. અને સાંભળી પણ શકતા નથી. એક મિનિટમાં એ મિત્રનો મુખ્ય મહેમાન માટેનો નેગેટીવ એપ્રોચ સંવેદનામાં પલટાઈ ગયો.
આપણે કેટકેટલા નેગેટીવ શેડ મનમાં લઈને ચાલતા રહીશુ ? અને ક્યાં સુધી આ થોકબંધ નેગેટીવ શેડના પ્રભાવમાં રહીશુ ? આ નકારાત્મકતાના બીજને આપણે ખોટી ધારણાઓનુ ખાતર અને અહમના પાણીથી વિસ્તાર આપતા રહીએ છીએ. પિતા - પુત્રનો એક પ્રસંગ યાદ આવે છે. દીકરાની વૈભવશાળી ઓફિસમાં પિતાજી અચાનક જઈ ચડે છે. અને બેટાના ખભે હાથ મૂકી પૂછે છે, ‘બેટા દુનિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે.’ દીકરો જવાબ આપે છે હું’. પિતાને પુત્રના જવાબથી થોડો અફસોસ થયો. એમનું માનવું હતું કે પુત્ર કહેશે પિતાજી તમે સૌથી શક્તિશાળી છોપણ દીકરાએ કહ્યું ‘ હું શક્તિશાળી છું ‘ પિતાજીને લાગ્યું કે, પુત્રને પાંખો આવી ગઈ એટલે એને મારુ મહત્વ નથી રહ્યું. થોડીવાર રહીને પિતાએ કહ્યું હવે હું જાઉં છું.’ કેબિનના દરવાજે પહોંચી પિતાએ પુત્ર સામે જોઇને કહ્યું, દુનિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે ? પુત્રએ એક જ સેકન્ડમાં જવાબ આપ્યો, ‘પિતાજી તમે.
હવે પિતાના આશ્ચર્યનો પાર ન રહ્યો બે-પાંચ મિનિટ પહેલાં પુત્રએ જે પ્રશ્નના જવાબમાં હુંકહ્યું હતું એ જ પ્રશ્નના જવાબમાં હવે તમેકહે છે. પિતાએ આ મૂંઝવણ દીકરાને કહી. ત્યારે પુત્રએ સરસ જવાબ આપ્યો. ‘પિતાજી તમે પહેલા આ પ્રશ્ન પૂછ્યો ત્યારે તમારો હાથ મારી પીઠ ઉપર હતો. એનો અર્થ દુનિયાની સૌથી મોટી તાકાત મારી પાછળ હતી એટલે મેં કહ્યું હુંઅને હવે એ હાથ મારી પીઠ ઉપર નથી એટલે મેં કહ્યું તમે’. મારી શક્તિ તો તમે છો.’ બે પાંચ મિનિટ માટે નકારાત્મક વિચારોના જાળામાં સપડાયેલા પિતાને નકારાત્મકતાની ભયાનકતા સમજાઈ ગઇ.
પ્રત્યેક નકારાત્મક વિચાર અસફળતા અને દુઃખના વમળોના મોટા સ્ત્રોત હોય છે. નકારાત્મક વિચારો ધસમસતા પુરના પાણી જેવા હોય છે અને એ સંબંધોની સુસંસ્કૃત હરિયાળીને ખેદાનમેદાન કરી નાખે છે. નકારાત્મક વિચારોના માર્ગે જવાનું ટાળવુ પડે. એને વધારે સમય આપી મનમાં ઉછરવા ન દેવાય. જરા હટકે અલગ વિચારવાનું શરૂ કરી દેવુ પડે. ‘હું છલોછલ હકારાત્મકતાથી ભરેલો વ્યક્તિ છું. હું બધું જ કરી શકુ છું. આવી રહેલી ક્ષણ મારા માટે સારા સમાચાર અને શુભત્વના સંકેત લઈને ઊભી છે.’ આવા વિચારો મનમાં અને હૃદયમાં ઊર્જા ભરી દે છે.
એક તળાવમાં ઉગેલા કમળની આસપાસ કાદવને જોવામાં આવે તો એ નિરાશાવાદનો અંધકાર છે. પણ તળાવના કાદવમાં સુંદર મઝાના કમળના ફૂલ, એના આકર્ષક રંગ અને આસપાસ ફરતા ભ્રમરને જોવામાં આવે તો એ સકારાત્મકતાના આનંદનો આશાવાદ છે. એ જ જીવનમાં હકારનો ઉત્સવ છે. સકારાત્મક વિચારોના બીજ વાવીએ તો સુસંસ્કૃત આનંદના ફળથી લદાયેલુ વૃક્ષ મળશે. સકારાત્મક સ્વભાવ સંસ્કારી ચારિત્ર્ય ધડશે અને એનાથી જ ભાગ્ય ઘડાશે. આપણા મનમાં જ સમસ્ત આનંદનુ વિશ્વ સમાયેલુ પડ્યુ છે, માત્ર એને જોવાની અને સમજવાની જરૂર છે. સકારાત્મક વિચારોની માસ્ટર કીથી આનંદના કમાડ ખોલવા સજ્જતા સ્વયં કેળવવાની હોય છે.

ધબકાર :
સુખનુ એક દ્વાર બંધ થતુ હોય છે ત્યારે બીજા અનેક ઉઘડેલા દ્વાર સામે જ હોય છે, પણ આપણે બંધ દ્વાર જોવામાં જ એટલા વ્યસ્ત રહીએ છીએ કે અન્ય ખુલેલા દ્વાર સામે આપણે જોતા જ નથી.





No comments:

Post a Comment