સંગીત શબ્દનો સંસ્કૃત ભાષામાં શાસ્ત્રાર્થ સમ+ગીત થાય છે. સંગીત
શબ્દ સ્વયં એક આહલાદ આપે એવો શબ્દ છે. સમ્યક પ્રકારેણ ગીયતે ઇતિ સંગીત. મહાકવિ કાલિદાસે તેમના મહાકાવ્યગ્રંથ અભિજ્ઞાન શાકુતલમાં સંગીતની
પરિભાષા વર્ણવતા લખ્યું છે કે, ગીતં, વાદ્યં
નર્તન, ચ ત્રયં સંગીતમુચ્યતે એટલે ગીત, વાજીંત્ર અને નૃત્ય ત્રણેયનું સુયોગ્ય સામંજસ્ય હોય એને સંગીત કહેવાય. સંગીતદર્પણમાં પંડિત દામોદરજીએ સંગીત વિશે જણાવ્યું છે, ‘ગીત વાદિન નૃત્યાંના રક્તિઃ સાધારણ ગુણઃ અતો
રક્તવિહીન યત્ન તત સંગીતમ ઉચ્યત. પંડિતજીના આ શબ્દોનો સરળ અર્થ છે, ગીત, વાદન અને નૃત્ય ત્રણેયનો એક સર્વસામાન્ય
ગુણધર્મ મનોરંજન છે.
સંગીતની વાત નીકળે અને વિશ્વપ્રસિદ્ધ રેકોર્ડ
કંપની હીઝ માસ્ટર્સ વોઈસની યાદ ન આવે એ શક્ય ન બને. એચએમવી
કંપનીનો લોગો યાદ છે ? માઈક્રોફનમાં મોઢું ખોસીને તલ્લીન થઈને સાંભળતો
પેલો શ્વાન. યાદ આવ્યું ને !
એચએમવીના આ લોગો પાછળની એક રસપ્રદ કહાની છે. સને ૧૮૯૮ પહેલા એચએમવી કંપની ધ
ગ્રામોફોન કંપની તરીકે ઓળખાતી. આ બ્રિટીશ કંપની હતી. એ જમાનામાં ફ્રાન્સિસ નામનો જાણીતો ચિત્રકાર એના ભાઈ માર્ક સાથે
લંડનમાં રહે. ફ્રાન્સિસને પઇન્ટિંગનો અને માર્કને ગાવાનો
જબરો શોખ. માર્ક હંમેશા પોતાના અવાજમાં કંઈક ગાતો રહે અને
એને રેકોર્ડ કરતો રહે. માર્ક પાસે એક ફોનોગ્રામ હતું. સમયાંતરે
ફોનોગ્રામમાં પોતાના ગીતો માર્ક સાંભળે. માર્ક પાસે એક નિપર નામનો શ્વાન. આ નિપર માર્કનો જીગરજાન દોસ્ત હતો. માર્ક
બિમાર પડ્યો અને થોડા સમયમાં એનું અવસાન થઈ ગયું.
માર્કનો ફોનોગ્રામ હવે તેના ભાઈ ફ્રાન્સિસ પાસે
રહેતું. જ્યારે ભાઈ માર્કની યાદ આવે ત્યારે ફ્રાન્સિસ
ફોનોગ્રામમાં માર્કે રેકોર્ડ કરેલા ગીતો સાંભળે. ફ્રાન્સિસ
જેવું ફોનોગ્રામ શરૂ કરે અને માર્કનો અવાજ સંભળાય એટલે શ્વાન નિપર જ્યાં પણ હોય
ત્યાંથી દોડતો આવી ફોનોગ્રામના ભુંગળા સામે ગોઠવાઈ જાય. એક
ચિત્તે નિપર માર્કનો અવાજ સાંભળે જાય. ફ્રાન્સિસે આ દ્રશ્ય તેના બ્રશ અને
કલરથી કેનવાસ ઉપર જીવંત કર્યું. એણે ચિત્રનું નામ આપ્યું હીઝ માસ્ટર્સ
ચોઈસ. ત્યાર બાદ બે ત્રણ વર્ષો પછી નિપર પણ મૃત્યુ
પામ્યો.
ચિત્ર તૈયાર થયા પછી ફ્રાન્સિસને લાગ્યું કે, આ ચિત્ર સંગીતને લગતું હોઈ મ્યુઝિક કંપનીઓને ઉપયોગી થઈ શકે છે. એણે એક પછી એક ઘણી મ્યુઝીક કંપનીઓને આ ચિત્ર બતાવ્યું. બધી કંપનીઓને ચિત્ર ખૂબ ગમ્યું. પણ
સાથે સાથે ગ્રામોફોન સામે શ્વાન જોઈને હસતા અને ફ્રાન્સિસની ઠેકડી ઉડાવતા. જો કે ફ્રાન્સિસ તેના ઇરાદાઓમાં મક્કમ રહ્યો હાર્યો નહીં. એણે છેલ્લે બ્રિટનની જાણીતી મ્યુઝિક કંપની ધ ગ્રામોફોનનો સંપર્ક
કરીને તેના માલિકોને આ ચિત્ર બતાવ્યું. તેણે ચિત્રની હકીકત વર્ણવી કે, ‘સ્વર્ગસ્થ
મારા પ્રિય ભાઇ માર્કનો આ શ્વાન નિપર તેના માલિકના અવાજનો દિવાનો હતો. માર્કના અવસાન પછી જ્યારે પણ ફોનોગ્રામ ઉપર એ માર્કના ગીતો સાંભળવા
ફોનોગ્રામ ચાલુ કરે ત્યારે માલિક માર્કના ગીત સાંભળવા નિપર જ્યા હોય ત્યાંથી દોડતો
આવીને ફોનોગ્રામની સામે આ રીતે બેસી જાય. એટલે મને આ ચિત્ર દોરવાની પ્રેરણા મળી
અને એનું નામ હીઝ માસ્ટર્સ વોઈસ રાખ્યું છે.’
ધ ગ્રામોફોન કંપનીના માલિકોને ચિત્ર અને એનો
કોન્સેપ્ટ ગમી ગયો. ૧૦૦ પાઉન્ડમાં આ ચિત્ર ધ ગ્રામોફોન કંપનીએ ખરીદી
લીધું ખરૂ પરંતુ કંપનીએ ચિત્ર ખરીદ્યા પછી આઠ વર્ષ સુધી એનો ઉપયોગ ન કર્યો ચિત્રને
મૂકી રાખ્યું. કંપની અસમંજસમાં હતી કે, આ
ચિત્રનો ઉપયોગ કરીશુ અને લોકો કદાચ એમ વિચારશે કે આટલા મોટા ગાયકો અને સંગીતકારો કંપની
પાદે છે એમને છોડીને એક શ્વાનને કેમ કંપનીએ મૂક્યો છે ? તો એનો શો જવાબ આપીશું ? આખરે સને ૧૯૯૮માં ધ ગ્રામોફોન કંપનીએ
ભૂંગળા સામે બેઠેલા નિપર શ્વાનના ચિત્રને કંપનીના લોગો તરીકે ઉપયોગમાં લીધો. એટલું જ નહીં કંપનીએ એનું નામ ધ ગ્રામોફોન કંપની બદલીને હીઝ માસ્ટર્સ
વોઈસ, એચએમવી કરી દીધું. પછી
તો એચએમવીના શ્વાન નિપરવાળા લોગો અને કંપનીના નામની વિશ્વભરમાં ધૂમ મચી ગઈ. એ જમાનામાં મ્યુઝિક કંપનીઓમાં એચએમવી શહેનશાહ ગણાવા લાગી.
સંગીત સાથે સંકળાયેલી માર્ક અને શ્વાન નિપરની આ
વાત સંગીતના સામર્થ્ય અને આહલાદને અભિવ્યક્ત કરવા માટે પૂરતી છે. નાઉ બેક ટુ મ્યુઝિક મેજીક. ભારતીય મહાદ્વિપની વાત કરીએ તો
વેદકાલીન સમયથી સંગીતના ઉલ્લેખો જોવા મળે છે. સંગીતના
મૂળ સ્ત્રોત વેદ છે. હિન્દુસ્તાની સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે, બ્રહ્માજીએ નારદમુનીને સંગીતનું વરદાન આપી નવાજ્યા છે. સામવેદમાં વૈદિક સપ્તક અનુસાર સાત સ્વરો છેડાતા હતા. જો કે એ પણ સત્ય છે કે, પ્રાચીન વૈદિક સમયગાળા દરમિયાન
ઉપયોગમાં લેવાતા સંગીતનું કોઈ લેખિત પ્રમાણ આજે ઉપલબ્ધ નથી. ષડજ
(સા), ઋષભ (રે), ગંધાર
(ગ), મધ્યમ (મ), પંચમ
(પ), ધૈવત (ધ) અને
નિષાધ (નિ) એમ સા,રે,ગ,મ,પ,ધ,નિ સાત શુદ્ધ સ્વર ભારતીય
સંગીતની દેન છે.
ઘણી જગ્યાએ સંગીતનો હેલ્થ થેરેપી તરીકે
ઉપયોગમાં લઈને આરોગ્ય વિષયક થતા ફાયદાઓના પણ ઉદાહરણો જોવા મળ્યા છે. સંગીતને આરોગ્ય ઉપચાર તરીકે ઉપયોગમાં લઈ શકાય ખરું એવો સહજ પ્રશ્ન
જરૂર થાય. આ પ્રશ્નનો જવાબ હકાર કે નકારમાં આપી શકાય
એટલું સરળ નથી. અકસ્માત થાય અને પગમાં સળીયો ઘૂસી જાય ત્યારે
તબીબ પાસે જઈને તે ઓપરેશનથી દૂર કરી ટાંકા લેવા જ પડે. સંગીતથી
સળીયો બહાર ખેંચી ન શકાય. પરંતુ એવા ઘણા રોગ છે જેમાં સંગીત થેરાપી સરસ
અસર કરી શકે છે. સાંધાના દુખાવો, લોહીનું
ઉચુ દબાણ, હૃદયના ધબકારાની અનિયમિતતા વગેરેમાં સંગીત
થેરાપીની અસર ચોક્કસ જોવા મળી છે.
વ્યક્તિના મનમાં છૂપાયેલા અનેક સત્યો કે, જેની
જાણ વ્યક્તિને નથી હોતી એવી બાબતો બહાર ખેંચી લાવીને સ્વયં સાથે
મુલાકાતનો અવસર સંગીત આપે છે. સૌ કોઈએ અનુભવ્યું જ હશે કે, જ્યારે એમનું મન અશાંત હોય ત્યારે પ્રિયપાત્ર કે મનપસંદ સંગીત શાંતિ
આપી પુનઃ પ્રફુલ્લીત બનવામાં મદદરૂપ બન્યું હોય. એમ
કહી શકાય કે, પ્રિયપાત્ર અને મનપસંદ સંગીત બન્નેની ભૂમિકા એક સરખી છે. એક રીતે જોવામાં આવે તો, એ પણ હકીકત છેને કે, પ્રિયપાત્ર પરમાત્માના દર્શન મનપસંદ સંગીત આરતી અને આરાધનામાં ઉજાગર
થતા જોવા મળે છે.
ધબકાર : તમે સંગીતને સ્પર્ષી નથી શકતા પરંતુ સંગીત
તમને જરૂર સ્પર્ષી જાય છે.
No comments:
Post a Comment