પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Wednesday, 14 June 2017

પલાઠી વાળીને બેસી રહેલા લોકો માટે દુનિયા પાસે સમય જ નથી...


પલાઠી વાળીને બેસી રહેલા લોકો માટે દુનિયા પાસે સમય જ નથી...

-     પુલક ત્રિવેદી
-      
સો સવાસો વર્ષ પહેલાંની એક સત્ય ઘટના છે. શીઝુઓકા જાપાનનું એક નાનું અમથું ગામ. આ ગામમાં ગીહેઈ હોન્ડા નામનો લુહાર રહે. નાનુ-મોટું લુહારી કામ કરીને ગીહેઈ એના પરિવારનું ગુજરાન ચલાવે. જુની પુરાણી સાઈકલો સસ્તા ભાવે ખરીદી, લુહારી કામથી રીપેર કરી વેચવાનું પણ એ સાઈડ બાય સાઈડ કામ કરી લેતો. ૧૭ નવેમ્બર, ૧૯૦૬માં ગીહેઈને ત્યાં પારણું બંધાણુ. ફુલ જેવું મજાનું બાળક જોઈને ગીહેઈ પરિવારનો હરખ સમાતો ન હતો.
ગીહેઈએ બાળકનું નામ સોઈચોરો રાખ્યું. સોઈચોરોને રમત-ગમત વધુ રસ. ભણવાને અને સોઈચોરોને બાર ગામનું છેટું રહેતું. નાનપણથી જ પિતા સાથે લુહારી કામ કરવામાં એને આનંદ આવે. ૧૬ વર્ષની ઉંમર થતાં સુધીમાં તો સોઈચોરોએ અભ્યાસ બિલકુલ છોડી દીધો. એ અરસામાં અખબારમાં આર્ટ શોકાઈ કંપનીમાં મિકેનીકની જગા માટેની વિજ્ઞાપન સોઈચોરોએ જોઈ. અરજી કરી અને પસંદ પણ થઈ ગયો. સોઈચોરો આર્ટ શોકોઈ કંપનીમાં મિકેનિક તરીકે નોકરી કરવા ગામડેથી ટોકીયો પહોંચી ગયો.



સોઈચોરોને આર્ટ શોકાઈ કંપનીએ નોકરી ઉપર તો રાખ્યો પણ એને માત્ર કાર ધોવાનું કામ આપ્યું. પ્રમાણમાં નાની કંપનીમાં સોઈચોરો સૌથી નાની વયનો મિકેનિક હતો. થોડા જ દિવસો કાર સફાઇનુ કામ ક્ર્યા પછી સોઈચોરોએ કંપનીના માલિકને મિકેનિકનું કામ કરવા માટે વિનંતી કરી. માલિકે આ નાનકડા છોકરાની આંખોમાં કામનું ઝનુન જોયું. એમણે સોઈચોરોને કંપનીના રેસીંગ કાર સેકશનમાં જુનિયર મિકેનિકની જગા ઉપર કામગીરી સોંપી. સોઈચોરોને દોડવું’તું ને ઢાળ મળ્યો. એણે ખૂબ લગન અને મહેનતથી કામ કર્યું અને થોડા જ સમયમાં સારા મિકેનિક તરીકે એ ઉભરી આવ્યો.
૧૯૨૪માં જાપાનમાં ખૂબ પ્રતિષ્ઠિત એવી પાંચમી કાર ચેમ્પિયનશીપ રેસ યોજાવાની હતી. આર્ટ શોકાઈ કંપનીએ આ કાર ચેમ્પિયનશીપમાં એની રેસીંગ કાર ઉતારી. અને આર્ટ શોકાઈ કંપનીની કાર આ રેસમાં સૌથી પહેલી આવી. સોઈચોરો આ કારની મિકેનીક ટીમનો અગત્યનો હિસ્સો હતો. કાર ચેમ્પિયનશીપમાં વિજેતા થયા પછી આર્ટ શોકાઈ કંપની જાપાનની સૌથી લોકપ્રિય કાર મેન્યુફેકચરીંગ કંપની બની ગઈ. અને પછી તો કંપનીએ ઘણીબધી એની શાખાઓ પણ ખોલી. એ પૈકી એક શાખા સંભાળવાની જવાબદારી સોઈચોરોને આપવામાં આવી. ૧૯૨૨થી ૧૯૨૮ સુધીની ૬ વર્ષની સોઈચોરોની આ યાત્રામાં એણે ઘણું બધું પામી લીધું. સોઈચોરોએ ૧૯૨૮માં આર્ટ શોકાઈ કંપની છોડી પોતાનું ગેરેજ ખોલ્યું. થોડા જ સમયમાં એણે કાર માટે સસ્તા અને ટકાઉ પીસ્ટન રીંગ બનાવવાનો નિર્ણય કર્યો. ટોકસાકી કંપની બનાવી સંશોધન કરી પીસ્ટન વેચવા માટે સોઈચોરોએ મોટી મોટી કંપનીના સંપર્ક કર્યા. ટોયોટો કંપનીમાં સોઈચોરોને પીસ્ટન રીંગ સપ્લાય કરવાનો કોન્ટ્રેક્ટ મળ્યો. બરાબર એ જ અરસામાં એક રેસમાં સોઈચોરોને અકસ્માત થયો. સોઈચોરો ખાસ્સો જખમી થયો. ત્રણ સાડાત્રણ મહિના હોસ્પિટલના બીછાને રહ્યો. દરમિયાનમાં ટોયોટો કંપનીએ સોઈચોરોની પીસ્ટન રીંગ ડીસક્વોલિફાય થઇ અને રિજેક્ટ કરવામાં આવી. સોઈચોરોને જબરજસ્ત પછડાટ લાગી. એની તમામ કમાણી ડુબી ગઈ. ફરી સોઈચોરોએ મહેનત કરી અને પીસ્ટન રીંગની ક્વોલિટી ઇમ્પ્રુવ કરી. મહેનત કરીને ઉભા થતાં થતાં ફરી પાછી સોઈચોરો ઉપર બીજી એક આફત આવી. ૧૯૪૪માં બીજા વિશ્વયુદ્ધ સમયે બી-૨૯ હુમલામાં સોઈચોરોની ફેકટરી આગમાં સંપૂર્ણપણે નષ્ટ થઈ. સોઈચોરો ભાંગી પડ્યો... પણ અટક્યો નહીં.
જબ આંખો મેં અરમાન લીયા, મંઝીલકો અપના માન લીયા,
હૈ મુશ્કીલ ક્યાં, આસાન ક્યાં, જબ ઠાન લીયે તો બસ ઠાન લીયા...
યુદ્ધની સમાપ્તિ બાદ સોઈચોરોએ ૪.૫૦ લાખ યેનમાં કંપનીના અવશેષો વેચી નાખ્યા. અને એ પૈસાથી ઓકટોબર-૧૯૪૬માં ટેકનિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ખોલી યુદ્ધમાં ખતમ થઈ ગયેલી જાપાનની આર્થિક હાલતના સમયે જાપનીઝ લોકો સાઈકલ ઉપર ફરતા. એમની સાયકલ ઉપર નાનકડું એન્જિન બનાવી એને ફીટ કરવાનો વિચાર સોઇચોરોને આવ્યો.
જાપાનીઝ લોકોને સોઈચોરોનો આ આઈડિયા ખૂબ ગમ્યો. અને આમ જોવા જઈએ તો બાઈસિકલ ઉપરથી બાઈકના જન્મ થવાની આ પ્રથમ ઘટના હતી. બસ અહીંથી સોઈચોરોની સફળતાના માર્ગ મોકળા થવા લાગ્યા. આ બાઈકનું નામ હતું સુઝુવા જેની કિંમત એ જમાનામાં ભારતીય કરન્સી મુજબ લગભગ ૧૫૦૦ રૂપિયા જેટલી હતી. ૧૯૪૯માં સોઈચોરોએ એની કંપનીનું નામ ‘હોન્ડા’ રાખ્યું. અને પછી સોઈચોરોએ ક્યારેય પાછું વળીને જોયું નથી.
૧૯૬૧માં સોઇચોરોની હોન્ડા કંપની પ્રતિમાસ એક લાખ મોટરસાઈકલનું ઉત્પાદન કરતી.  તે વધીને ૧૯૬૮માં ૧૦ લાખ મોટરસાયકલનું ઉત્પાદન કરવા સુધી પહોચ્યું. થોડા જ વર્ષોમાં જાપાન દેશની આર્થિક પરિસ્થિતિ સુધરતાં સોઈચોરોએ ટુ વ્હીલર ઉપરથી ફોર વ્હીલર ઉપર પણ હાથ અજમાવ્યો. હોન્ડા કંપની સમગ્ર વિશ્વ ઉપર છવાઈ ગઈ. એની પાછળનું મુખ્ય કારણ એ હતું કે સોઈચોરો એવા વ્યક્તિ હતા કે, મુશ્કેલીના વાવાઝોડા સામે પણ એ ઝૂક્યા નહીં. ટૂટ્યા પણ મહેનત અને લગનથી ફોનોનેક્ષ પક્ષીની માફક ફરી ઊઠ્યા. કંપનીના નાના કામદારો સાથે મળીને સોઈચોરો રોજેરોજ કામ કરે. નાના કર્મચારીઓને પણ એ મોટા અધિકારીઓ જેટલું સન્માન આપતાં. ૫ ઓગસ્ટ, ૧૯૨૧માં સોઈચોરો આ ફાની દુનિયા છોડીને ચાલી નીકળ્યા. પણ સોઈચોરોએ દુનિયાને સંઘર્ષ દ્વારા સુલતાન બનવાની કરામત શીખવી. તેમની આ કહાનીમાં સંઘર્ષ છે, તકલીફ છે, પ્રશ્નો છે, અને મુશ્કેલીઓ છે. પણ એની સામે મુકાબલો કરવાની હિંમતની વાત છે. લક્ષ્ય નક્કી કરી આગળ વધવાની તમન્નાની તાસીરની તસવીર છે.
ન સંઘર્ષ ન તકલીફ તો ક્યાં મજા હે જીને મેં, બડે બડે તુફાન થંભ જાતે હૈ, જબ આગ લગે સીને મેં... સોઈચોરોના દિલમાં આગળ વધવાની એક આગ હતી. તોફાન સામે મુકાબલો કરવાની હિંમત હતી. અને એટલે જ ‘ હોન્ડા ધ પાવર ઓફ ડ્રીમ્સ ‘ સુત્ર ચરિતાર્થ થયું. મુશ્કેલીઓ આવે ત્યારે મુઠ્ઠીઓ વાળીને ભાગી જઈને પલાયનવાદનો આશરો લેવો એ તો સૌથી સહેલો માર્ગ છે. જીવનના પ્રત્યેક ડગલે એક પરીક્ષા થતી હોય છે. ડરવાવાળાને કશું મળતું નથી. દુનિયા હિંમતપુર્વક લડવાવાળાની હોય છે. કામયાબી લડવૈયાને ઘુંટડીએ પડે છે. લેખક, ચિંતક અને ફિલોસોફર થોમસ ટેન કહે છે કે, જીવનમાં જેટલો મોટો સંઘર્ષ હોય એટલી જ ભવ્ય જીત હોય છે. જીવન હારવા માટે નથી, જીતનું બીજુ નામ છે જીવન. મુશ્કેલી અને સમસ્યાઓના ડરથી જીતી ન શકાય. ‘ હાઉ ટુ વીન ફ્રેન્ડ્સ એન્ડ ઇંફ્લુએંસ પીપલ ‘ બેસ્ટ સેલર બુકના રચયિતા ડેલ કાર્નેગીના મતે, ડર નામની વસ્તુ દુનિયામાં ક્યાંય અસ્તિત્વ ધરાવતી જ નથી. એ તો માત્ર ને માત્ર માણસના દિમાગના કોઈક ખૂણે પોષાઈ રહેલો શેતાન છે. કોઈ દિવસ એવું સાંભળ્યું છે ખરૂં કે, મહેનત કરી હોય અને મંજીલ ન મળી હોય. ઊભા થઈને ચાલ્યા નહીં પણ દોડ્યા હોઈએ અને લક્ષ્ય સુધી ના પહોંચ્યા હોય એવું શક્ય છે ખરું ? કવિએ સરસ વાત કરી છે કે,
એ રાહે લેહી જાયેગીં મંઝીલ તક, હોંસલા રખ,
કહીં સુના હૈ કી અંધેરેને સવેરા હોને ન દીયા...
સ્વામી વિવેકાનંદ કહેતાં કે, પોતાની જાતને નિર્બળ અને અસમર્થ સમજવુ એ જીવનમાં સૌથી મોટું પાપ છે. દુનિયા તો તમારા પર આંગળી ઉઠાવવા, ટીકા કરવા માટે તૈયાર થઈને જ બેઠી છે, એવી ભ્રાંતિ મગજમાં લઈને ચાલવાથી જ પ્રગતિ અટકે છે. મહેનત ન કરનારા અને બેસી રહેલા લોકો માટે દુનિયા પાસે સમય જ નથી. દુનિયા તો સફળ થયેલા લોકોની વિશે વિચારતી હોય છે. લોકો ટીકા ત્યારે જ કરશે કે જ્યારે તમે કંઈક બની ગયા હશો. જીવન પોતાની જાતને શોધવા કરતા પોતાની જાતને બનાવવામાં છે.

ધબકાર –

મેદાનમાં હારેલો વ્યક્તિ ફરીથી લડીને જીતી શકે છે, પણ મનથી હારેલો વ્યક્તિ ક્યારેય જીતી શકતો નથી.



Saturday, 10 June 2017

જીદ કરવાવાળો જ જીતતો હોય છે...

જીદ કરવાવાળો જ
જીતતો હોય છે...
-     પુલક ત્રિવેદી

દુનિયા બે પ્રકારના લોકોથી ભરેલી છે. એક એવા લોકો છે કે જે ઇતિહાસ બનાવે છે. અને એક એવા લોકો છે કે, જે ઇતિહાસને વાંચતા હોય છે. ભીડથી અલગ હટીને કંઈક નવું કરવાવાળા લોકોના માથા ઉપર ઇતિહાસ ઘડનારાનો મુગટ શોભતો હોય છે. ઇતિહાસ બનાવનારા લોકોમાં એવું તો કયું તત્વ હોય છે કે, એ ઇતિહાસ રચી નાખે છે. ઇતિહાસ રચવાવાળાની થીંકીંગ પ્રોસેસ આઉટઓફ બોક્ષ હોય છે. કંઈક જુદુ કરવાની આગ એમના દિલોદીમાગમાં સતત પ્રજવળતી હોય છે. આવા લોકો જીદ્દી હોય છે. અનોખું અને આગવું કરવાની એમની જીદની પરાકાષ્ઠા ઇતિહાસ રચી નાખે છે.
કંઈક જુદુ કરવાની તમન્નાવાળા લોકો મનમાં જીદને પાળતાં હોય છે અને દિવસે દિવસે એમની આ જીદને સખત પરિશ્રમ અને અનુભવના ખાતરથી પોષીને મોટી કરતાં હોય છે. રતન ટાટાના જીવનમાં બનેલી એક બહુ જાણીતી ઘટના યાદ આવે છે. શરૂઆતના તબક્કામાં ૧૯૫૮માં રતન ટાટાએ પહેલવહેલી પેસેન્જર કાર ઈન્ડીકા કાર માર્કેટમાં લોન્ચ કરી. આ કાર બદનસીબે ખાસ ચાલી નહીં. અને ટાટા મોટર્સ ભારે ખોટમાં ચાલવા લાગી. રતન ટાટાને એમ લાગ્યું કે, ટાટા મોટર્સ વેચી નાખું અને અન્ય બીઝનેસમાં રોકાણ કરું. રતન ટાટા તેમની ટીમ સાથે ડેટ્રોઈટ જવા રવાના થયા અને ફોર્ડ કંપનીના બીલ ફોર્ડ સાથે ટાટા અને એની ટીમે ટાટા મોટર્સની પેસેન્જર વેહીકલ વેચવા સંદર્ભે ચર્ચા વિચારણા કરી. આ ચર્ચા વિચારણા ત્રણ કલાકથી પણ વધુ ચાલી અને વાતમાં ને વાતમાં બીલ ફોર્ડે રતન ટાટાને ટોણો મારતાં કહ્યું, ‘અમે ટાટા મોટર્સ પેસેન્જર વેહીકલ ખરીદીને તમારા પર અહેસાન કરીએ છીએ. તમને પેસેન્જર વેહીકલ બનાવવાની સુઝ નથી, આવડત નથી તો પછી આ બીઝનેસમાં શા માટે પડ્યા ?’



બીલ ફોર્ડની આ વાત રતન ટાટાના હૃદય સોંસરવી ઉતરી ગઈ. આખી રાત રતન ટાટા ઉંઘી ન શક્યા અને બીજા દિવસે સવારે ફોર્ડ કંપનીને કોઈપણ પ્રકારની જાણકારી આપ્યા વગર એમની ટીમ લઈને ડેટ્રોઈટથી હિન્દુસ્તાન પાછા આવી ગયા. પાછા આવીને રતન ટાટાએ ટાટા મોટર્સ ઉપર ખૂબ ધ્યાન કેન્દ્રીત કર્યું. ખંતપૂર્વકની મહેનત અને સંશોધન-પૃથક્કરણ દ્વારા ટાટા પેસેન્જર વેહીકલને આગળ વધારી. અને એક તબક્કે ખોટ કરતી કંપનીમાંથી નફો રળતી ટાટા પેસેન્જર વેહીકલ કંપનીમાં પરિવર્તિત કરી.
કાળ ચક્ર એવું ફર્યું કે, ફોર્ડ કંપની લોસમાં ગઈ. દિનપ્રતિદિન ફોર્ડ નુકસાનીના ખપ્પરમાં વધુ ને વધુ હોમાતી ચાલી. રતન ટાટાએ બીલ ફોર્ડને સામેથી ફોર્ડ કંપની ખરીદવા મેસેજ મોકલ્યો. જે રીતે મુંબઈથી ડેટ્રોઈટ ટાટાની ટીમ ગઈ હતી બિલકુલ એ રીતના હવે ડેટ્રોઈટથી બીલ ફોર્ડ અને એની ટીમ મુંબઈ આવી. ટાટાએ રૂપિયા ૯૬૦૦ કરોડમાં ફોર્ડની બે પેસેન્જર વેહીકલ બનાવતી કંપની ખરીદી અને ત્યારે બીલ ફોર્ડે ટાટાને કહ્યું, ‘જગુઆર અને લેન્ડરોવર પેસેન્જર વેહીકલ બનાવતી મારી કંપની ખરીદીને તમે અમારી ઉપર ઉપકાર કર્યો છે. અમે તમારું અહેસાન નહીં ભુલી શકીએ.’ આ છે એક પેશનની કમાલ. એક જીદથી થયેલી જીતની કમાલ.  



જીદ કરવાવાળો જ જીતતો હોય છે. પોતાની જાતને પ્રશ્ન પુછવો પડે કે મારી જીદ કઇ છે ? પોતાની જાતને ચેલેન્જ આપવી પડે. તમારું ગાંડપણ શેમાં છે એ તમારે જ સમજવું પડે. ગાંડપણ જ ઇતિહાસ બનાવે છે. માઈક્રોસોફટ કંપનીના સીઈઓ સત્યનારાયણ નડેલા જ્યારે અમેરિકામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતાં હતાં તે સમયની વાત છે. લેબમાં સત્યનારાયણના પ્રોફેસરે સ્લીપીંગ બેગ જોઈ. પ્રોફેસરને આશ્ચર્ય થયું કે લેબમા સ્લીપીંગ બેગ ક્યાંથી આવી ! તપાસ કરી તો ખબર પડી કે આ તો સત્યનારાયણની સ્લીપીંગ બેગ છે. સત્યનારાયણ લેબમા જ્યારે કામ કરતાં કરતા થાકતા ત્યારે સ્લીપીંગ બેગ ખોલીને થોડો સમય આરામ કરી લેતાં અને ફ્રેશ થઇને ઊભા થઈને ફરી પાછા એમના સંસોધન કાર્યમાં ગુંથાઈ જતાં. ઇતિહાસ રચવાવાળા હંમેશા ખુલા આસમાનમાં ઉડવાની ચાહત રાખતાં હોય છે. સદાય દોડવાની તમન્ના એમનામાં ઠસોઠસ ભરેલી હોય છે. અટકવાનું, રોકાવાનું, ઝૂકવાનું કે પાછું વળવા જેવા શબ્દો આ જીદ્દી માણસોની ડિક્ષનરીમાં હોતા જ નથી. ઇતિહાસ રચવાવાળા માર્ગની પરવા ક્યારેય નથી કરતાં. એ લોકો હંમેશા વિચારતાં હોય છે કે જો માર્ગની પરવા કરીશું તો લક્ષ્યરૂપી સુન્દરીને માઠું લાગી જશે.
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યનારાયણ નડેલાને કોઈકે એમ પૂછ્યું કે માઈક્રોસોફ્ટમાં ભરતી કરતી વેળા તમે શું ધ્યાન રાખો છો. ત્યારે નડેલાએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે અમે વ્યક્તિમાં બે પ્રકારની બાબતોને ચકાસીએ છીએ. એક તો એમની વૈચારિક સ્પષ્ટતા (ક્લેરીટી) અને બીજું કાર્ય કરવા માટે એમનામાં રહેલી ઉર્જા (એનર્જી). જે વ્યક્તિમાં એનર્જી અને ક્લેરીટીનો સમન્વય હોય એ પહાડની ચોટી ઉપર જ બીરાજતો હોય. આવા લોકો જ ઇતિહાસ બનાવતા હોય. ભારતીય હોકી ટીમના સીતારા ધ્યાનચંદ માટે લોકો કહેતાં કે એમની હોકીમાં કોઈ ચુંબક તો નથી ને કે બોલની એમની હોકી સ્ટીકથી આટલો ચીપકેલો રહે છે. કરાટે ચેમ્પિયન બ્રુસ-લીના પંચને કેમેરામાં કંડારવા માટે કેમેરા સ્પેશ્યલ સ્લો મોશનમાં ચલાવવા પડતાં હતાં. પાબલો પીકાસો પેઈન્ટીંગ કરવા બેસતાં ત્યારે ઘણીવાર ૭૨-૭૨ કલાક સુધી કશું જ બોલતાં ન હતાં. ગુગલના સીઈઓ સુન્દર પીચાઈ હાલતાં, ચાલતાં, રીક્ષામાં બેસતાં, જમતાં, કોલેજ જતાં આવતાં સતત અવિરત હંમેશાં વાંચતા. એક લક્ષ્ય કેન્દ્રીત વ્યક્તિ જ ઇતિહાસ બનાવી શકે. જેના સ્પષ્ટ વિચારો હોય અને જેનુ ઉર્જાવાન વ્યક્તિત્વ છે એ આપોઆપ ભીડથી અલગ તરી આવે છે.  
જીવનમા હમેશા બે રસ્તાઓ હોય છે. એક તો જે થાય છે એને થવા દો અને સહન કરતાં રહો. અથવા સ્પષ્ટતાપૂર્વક ઊર્જા પ્રાપ્ત કરીને જવાબદારી ઉપાડો અને પરિસ્થિતિને પલટાવો. જ્યાં સુધી હારતો નથી ત્યાં સુધી માણસ જીતેલો હોય છે. અને એ પણ એટલું જ સાચુ છે કે, જે હારે છે એ જ તો ભવિષ્યમાં જીતે છે. જ્યારે કોઈ ચીજ મેળવવા માટે હૃદયના ઊંડાણથી જનૂનપૂર્વક એની જીદ કરો તો એ જીદને પૂરી કરવા માટે આખું બ્રહ્માંડ તમારી પાછળ તાકાત બનીને ઊભું હોય છે. જરૂરિયાત છે કૌશલ્ય કેળવવાની. કૌશલ્ય નિર્માણ થશે તો કામિયાબી પાછળ દોટ મુકીને આવશે. થ્રી ઇડિયટ ફિલ્મના રેન્ચો બાબા(આમિર ખાને ભજવેલુ કેરેક્ટર) પણ આ કહે છે, ‘ કામિયાબી કે પીછે મત ભાગો, ખુદ કો કાબીલ બાનાઓ... કામિયાબી તો જખ મારકે પીછે પીછે ચલી આયેગી...’ માણસનો ડર અને જીદની ઉમ્મીદ આ બે વચ્ચેનો સમય બહુ કમાલનો હોય છે. જે આ સમજે છે એની જીદ જીત સુધી પહોંચી શકે છે. ઇતિહાસ વાંચીને ગોખવાનો વિષય નથી. જીદ કરીને જીત મેળવવાની છે. ક્લેરીટી અને એનર્જીના સમન્વયથી ઇતિહાસ બનાવવાનો છે. તમારો બનાવેલો ઇતિહાસ દુનિયા વાંચશે એવો દ્રઢ સંકલ્પ જ જીતનો પાયો હોય છે. મુક્કદર હાથની રેખાઓ કરતા મનમાં વાળેલી ગાંઠ એટલે કે જીદમા સમાયેલુ હોય છે. ગાંડપણની હદ સુધીની જીદ જીવનનો આહલાદ છે... જીદમા હમેશા ‘વાહ’ હોય એમા ક્યારેય ‘આહ’ ન હોય.


ધબકાર – “ મેરે સીનેમેં જો જખમ હૈ વો તો ફૂલ કે ગુચ્છે હૈ, હાં હમ પાગલ હૈ પાગલ હી રહને દો, કેવલ પાગલ હી અચ્છે હૈ. “ – ભગતસિંહ



Friday, 2 June 2017

રોદણાં રોવાના હજાર બહાના હોય છે...

રોદણાં રોવાના હજાર બહાના હોય છે...
-પુલક ત્રિવેદી

આગળ વઘવું હોય તો રોદણાં રોવાના છોડવા પડે. મોટા બનવું હોય તો નાની-નાની વાતોમાં સમય વ્યતીત કરવાનું ન પાલવે. માણસ પાસે રોદણા રોવાના હજાર બહાના હોય છે. એક ચોક્કસ ફોર્મેટમાં જ જીવવાનું અને ધાર્યા પ્રમાણે ન બને એટલે પછડાટ અનુભવી માયુસ થઈ જવાની માનસિકતા જ જીવનને નિરસ બનાવી દે છે. ગમગીન બનાવી દે છે.



એક ભાઈ એના મિત્રને કહે કે, ‘મારી પત્ની કોઈ પણ  વાતે મારી સાથે સહમત થતી નથી. કાયમ કોઈને કોઈ વાતે કજીયો કરે છે. એના આવા સ્વભાવથી મારું જીવન એણે બદતર બનાવી દીધું છે. પત્નીની વર્તણૂંકની મુશ્કેલી કરતાં મૂળ તકલીફ રોદણાં રોવાની એમની મનઃસ્થિતિની છે. શું એમના મિત્ર આગળ એમણે વ્યક્ત કરેલી વાત અને રોયેલા રોદણાંથી એમનો મિત્ર પત્નીને બદલી આપશે ? કે પછી પત્નીનો સ્વભાવ બદલાઈ જશે ? શા માટે પોતાની તકલીફને મોટું સ્વરૂપ આપી અન્ય પાસે એની દયામણી રજૂઆત કરીને સિમ્પથીલેવાની મનોવૃત્તિ રાખવી જોઈએ ?



જે  વ્યક્તિથી સમસ્યા થતી હોય કે જેની વર્તણૂંક સામે પ્રશ્ન હોય એ જ વ્યક્તિને ‘ પોઈન્ટ બ્લેન્ક ‘ વાત કેમ ન કરાય ? સમસ્યા એકની સાથે હોય અને સમાધાન અન્ય વ્યક્તિઓ પાસે શોધવા માણસો ફાંફાં મારે છે. પરિણામે પ્રશ્નનો ઉકેલ તો નથી જ આવતો પણ એ વધુને વધુ વકરતો જાય છે. માનસપટ ઉપર એ સમસ્યા વધુ વિકરાળ ભરડો લેતી જાય છે. જે વ્યક્તિ પાસે દુઃખડા રડવામાં આવે એ વ્યક્તિ સામાન્ય રીતે ઠાવકુ મોં રાખીને એક કાને સાંભળીને બીજા કાનેથી તમારી દર્દભરી દાસ્તાન કાઢી  નાખે છે. એને તમારી સમસ્યાના સમાધાનમાં રસ હોતો જ નથી. મનમાં એ તમારા રોદણાથી રાજી થતો હોય છે. બે-પાંચ હજારમાં એકાદ વ્યક્તિ તમારી સમસ્યાનું સમાધાન શોધવા જેન્યુઈન પ્રયાસ કરતો હોય છે.
મારા વ્યવસાયમાં મંદી છે, મારો પુત્ર મને ગાંઠતો નથી, મારી દીકરીને કોઈકની સાથે લફરૂં છે, સમજતી નથી, પત્ની કંકાસ કરે છે, પતિ પાસે મારી માટે ટાઈમ નથી, પપ્પા ચીંગુસ છે, એમના હાથે પૈસા છૂટતા નથી... વગેરે વગેરે ગણવા બેસીએ તો હજારો રોદણાંઓની યાદી લાંબીને લાંબી બનતી જાય. આ બધી સમસ્યાઓનો અંત દુઃખડા વ્યક્ત કરવામાં છે ખરો ! જેની સામે દુઃખડા રડવામાં આવે એ પ્રશ્ન હલ કરી શકશે ખરો ? ઘણા લોકો તો એવા હોય છે કે, સરસ મઝાની હોટલમાં ભોજન માટે નિમંત્રણ આપ્યું હોય, ૧૦૦ વાનગીઓ ભોજનના થાળમાં હોય. સાત-આઠ મીઠાઈઓ, પાંચ-સાત ફરસાણ, જ્યુસ, અથાણાં, પાપડ, શાકભાજી, સલાડ, ફ્રૂટ, આઈસ્ક્રીમ, સુપ વગેરે વગેરે. આટ આટલી વાનગીઓ થાળીમાં હોય અને પૂછો કે, ‘બોસ, ડીશ બરાબર લાગી ને... ભોજન ભાવ્યુને...’ તો મોઢું સહેજ વાંકુ કરી કહે કે, ‘‘આમ તો ઠીક, પણ અંજીરનો હલવો હોત તો ઓર મોજ પડી જાત.’’ આવા વ્યક્તિને શું કહેવું...! ૫૬ ભોગ થાળીમાં હોય અને એક ચકતુ અંજીરના હલવા માટે રોદણાં રોઈ શકે એની આનંદ કરવાની અને આગળ જોવાની તમન્ના જ મરી પરવારી હોય છે.
જીવનમાં સમસ્યાઓ હોય, મુશ્કેલીઓ આવે, તકલિફો તો રહેવાની જ. જો સમસ્યા, મુશ્કેલી, તકલીફ કે પ્રશ્ન નથી તો એવા જીવનનો કોઈ અર્થ નથી. પ્રશ્નો વગરની એકધારી સવલતસભર જિંદગી થોડા સમયમાં જ બોરીંગ લાગવા લાગે. સમસ્યા વગરનું જીવન ત્રાસ આપે. કાળી ડીબાંગ રાત વગર સવારના સુરજના કુમળા તડકાની કોઈ વેલ્યુ જ નથી સમજાતી. સમસ્યાઓમાંથી જ નવી તાકાતનું સર્જન થયું હોય છે. પ્રશ્નોમાંથી જ પરિવર્તન થતુ હોય છે. મુશ્કેલીમાંથી જ આગળ વધવાનો મહામાર્ગ મળતો હોય છે. સમસ્યાઓ તમારી છે. એની સામેની લડાઈ પણ તમારે જ લડવાની છે. યોદ્ધો નીડર હોય. આગળ વધતો હોય. એની આંખોમાં ચમક હોય. એના ચહેરા ઉપર આત્મવિશ્વાસ છલકતો હોય. સમસ્યા સામે ઘુંડણીએ ન પડાય. સામનો કરવો પડે. કોઈ તમને માર્ગ બતાવી શકે પણ ચાલવાનું તો તમારે સ્વયં જ હોય. હજારો પુસ્તકો કે અનેક લેખો તેમના અનુભવો કે વિચારો આપી શકે. એને અમલમાં તો તમારે જ મૂકવા પડે. તમારી લડાઈ કોઈ બીજો કેમ લડે ? તમારે જ સમસ્યા સામે શસ્ત્ર ઉપાડીને વીર-યોદ્ધા બનવું પડે.
આપણી જિંદગી આપણે રોજે રોજ બનાવીએ છીએ. સમસ્યાઓનો હસતા મોંએ શાંત ચિત્તે મુકબલો કરવાની જગ્યાએ રોદણાં રોવામાં સમય બગાડનારો મોટો નથી બની શકતો. બહુ પર્સનલબનવામાં સાર નથી. જેને આજે તમારી સૌથી નજીક સમજો છો અને તમારી દાસ્તાન સંભળાવો છો, એ જ વ્યક્તિ કદાચ કાલે તમારાથી સૌથી દૂર પણ હોઈ શકે છે. ‘હાઈ એનર્જીવાળાઉર્જાવાન લોકો સાથે રહેવું પડે. ઉર્જાવાન લોકો સામે કોઈપણ સમસ્યા રજૂ કરશો તો કહેશે ‘‘ છોડ યાર, આ તો બહુ નાની વાત છે. આના કરતાં પણ પહાડ જેવડી મોટી મુશ્કેલી મારી જિંદગીમાં આવી ત્યારે મે એને આમ ચપટીમાં દૂર કરી હતી. ’’ રોવાવાળાની જમાતમાં સમસ્યાનું સમાધાન તો નથી જ મળતું પણ પ્રશ્ન  ડિપ્રેશન ના લેવલ સુધી પહોંચી જાય છે.
જે વ્યક્તિ રોવાનું છોડીને સમશ્યાનો દ્રઢતાથી મુકાબલો કરતો હોય છે, તે કદાચ આગળ ન વધી શક્યો હોય એવું બને પણ હૃદયથી અને મનથી સંતુષ્ટ અને તરોતાજા જરૂર બનતો હોય છે. જ્યારે તમે કોઈ નિર્ણય નથી લેતા તો તે પણ તમારો એક નિર્ણય જ છે. જીવનના નાના-મોટા વળાંકો ઉપર ઊભા રહી તાકી ન રહેવાય. નિર્ણય લઈ આગળ વધવું પડે. તમારી કોઈ ભુલ માટે બીજાને દોષ ન આપી શકાય. બહાનાબાજી સૌથી મોટી કાયરતા છે. રડવાથી કશું નહીં બદલાય. સમયસર અને ઝડપી નિર્ણય જીવનમાં બદલાવ લાવતો હોય છે. જીવનમાં એક નિર્ણય લઈ લેવો જોઈએ કે, ‘ કોઈની પણ આગળ રોદણાં રોવા નથી. સમસ્યાઓનો હસતા મોંએ સામનો કરી આગળ વધવા હંમેશા તૈયાર રહેનારની જીત થાય.

ધબકાર :
‘મારા જીવનમાં મુશ્કેલીઓ ન આવે...’ એવી ઈશ્વરને પ્રાર્થના કરવા કરતાં, ‘સમસ્યાઓનો મુકાબલો કરવા પ્રભુ મને શક્તિશાળી યોદ્ધો બનાવ’ એવી પ્રાર્થના વધુ કારગત નીવડે છે.
----------------------