સ્મીત અને સહાય આ બે એવા જોરદાર
પરફ્યુમ છે કે, જેટલા વધારે બીજા ઉપર છાંટવામાં આવે એટલા વધારે
સ્વયં સુગંધીત થવાય. ફુલોની સુગંધ તો કેવળ હવાના રૂખ પ્રમાણે એક જ
દિશામાં ફેલાય પરંતુ નિસ્વાર્થ સૌજન્યપૂર્ણ સેવાકીય કાર્યની સુવાસ ચોમેર ફેલાય. પૈસા અને સત્તા કમાવવા સૌ મહેનત કરે છે પરંતુ જ્યારે વ્યક્તિ પોતાની
ક્ષમતા અને આવડતનો આસપાસના લોકો અને સમાજને આગળ લાવવા માટે ઉપયોગ કરે છે ત્યારે
અનેરો સંતોષ અનુભવે છે. ભોજન અને પારિવારિક આનંદ માટે પશુઓ પણ મહેનત
કરતા જ હોય છે. જીવન ઈશ્વરે આપેલી અણમોલ બક્ષિસ છે. ખુશી, ગમ અને સ્મીત તો હોય એનું નામ જ જિંદગી છે. જીવનને જે અંદાજથી જોવામાં આવે એ જ દ્રષ્ટિકોણથી જીવન પણ આપણને જુએ
છે.
બનાસકાંઠાના નાના એવા લવાણા ગામના એક
યુવાનની વાત છે. નામ એનું વખતસિંહ રાજપૂત ગરીબ ખેડૂત
માનસુંગજીના પરિવારમાં જન્મેલા આ યુવાને બાળપણથી જ અભાવો અને મુશ્કેલીઓ સામે ઝીંક
ઝીલી છે. પરિસ્થિતિ સામે ઝૂક્યા વગર તકલીફોમાં માર્ગ
કાઢી એ આગળ આવ્યો. આ યુવાને પોતે આગળ આવીને બેસી રહેવાને બદલે આખા
સમાજ માટે કંઈક કરવાનું નક્કી કર્યું. એની નોકરી કચ્છ જિલ્લામાં પરંતુ એના
વિસ્તારના યુવાનોના વિકાસ માટે એનું મન સતત વિચારતું રહેતું. એણે
ટેકનોલોજીના સહારે કચ્છમાં બેઠા બેઠા બનાસકાંઠાના રાજપૂત નવયુવાનો માટે સરસ આયોજન
કરી લીધું.
કોરોના મહામારીના કપરા કાળમાં શૈક્ષણિક
સંસ્થાઓની કામગીરી થતી નહતી ત્યારે આ યુવાને બનાસકાંઠાના હિંદવાણી રાજપુત સમાજના
યુવાનો માટે ખાસ યોજના તૈયાર કરી અમલમાં મૂકી. સૌ
પ્રથમ એણે જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરતા સમાજના હોનહાર યુવાનોના સેલ નંબર
મેળવી એક ગ્રુપ બનાવ્યું. ત્યારબાદ ગ્રુપના તમામ યુવાનમિત્રોને પરીક્ષા
સંબંધી વાચવાનું ઉપયોગી સાહિત્ય પુરું પાડવાની શરૂઆત કરી.
અને પછી છેલ્લા ત્રણ મહિનામાં વખતસિંહે ૨૦ જેટલા વેબિનારો યોજી માર્ગદર્શન આપવાનું
સતકાર્ય કર્યું છે.
આમ તો ગામની શાળામાં પ્રાથમિક અભ્યાસ
કરનારા વખતસિંહ પાસે પૂરતા પૈસા ન હોવાથી રાત્રે ખેતમજૂરી કરે અને દિવસે શાળાએ
ભણવા જાય. કોલેજમાં જઈ સ્નાતક બન્યા બાદ એણે બી.એડ. પણ કર્યું. પછી
માસ્ટર્સ કરી પીએચડી પણ થયો. અનુસ્નાતક અને પીએચડીના અભ્યાસ માટે
એણે રાત્રે સિક્યોરિટીની નોકરી પણ કરી. હવે એ ડૉ. વખતસિંહ
રાજપુત છે.
સમયનું ચક્ર ફર્યું. ચારેક વર્ષ પહેલા ભાઈ વખતસિંહને કચ્છની શાળામાં શિક્ષકની સરકારી
નોકરી મળી. નોકરી મળતા વખતસિંહને એવો વિચાર આવ્યો કે, હું તો ગરીબાઈ સામે લડીને જંગ જીતી ગયો પરંતુ મારા સમાજના બીજા ગરીબ યુવાન
મિત્રોનું શું ? એને આ ખ્યાલ સુવા દેતો ન હતો. એના ઉજાગરા રંગ લાવ્યા. બનાસકાંઠાના હિંદવાણી રાજપુત સમાજના
યુવાનો માટે એણે રીતસર શૈક્ષણિક યજ્ઞ આરંભ્યો.
ડૉ. વખતસિંહ
સાથે દાનાભાઈ, પઢિયારજી જેવા બીજા યુવાન મિત્રો ખભે ખભા
મિલાવી જોડાતા ગયા. ધીમે ધીમે આ મિત્રોથી સમાજ સેવાની સુગંધ બનાસકાંઠા
હિંદવાણી રાજપુત સમાજના ઘેર ઘેર ચોમેર પ્રસરવા લાગી. વાત
કોઈ એક વ્યક્તિ વિશેષની સ્નથી. વાત છે,
સારું કામ કરવાની ઇચ્છા રાખતા અને કામને અંજામ આપવાના પરિશ્રમની. સારું કામ કરવાવાળા લોકોને કોઈ દિવસ પ્રસંશાની જરૂર નથી હોતી. ખીલેલા તાજા પુષ્પોને અત્તરની જરૂર નથી પડતી.
તકલીફો, મુશ્કેલીઓ
અને આફતો હંમેશા કંઈક શીખવી જતી હોય છે. યુવાન વખતસિંહને જીવનમાં જો તકલીફો અને
મુશ્કેલીઓ ન આવી હોત તો કદાચ એને આ દિશા ન સાંપડી હોત. ભાગ્યનું
પુસ્તક પહેલાથી ક્યારેય લખાયું નથી હોતું એમાં પ્રતિદિન એક પાનુ સ્વાનુભવની શાહીથી
લખાતુ જાય છે. જેનું મન મસ્ત હોય એની બાહોમાં દુનિયા સમસ્ત
હોય. જીવન તો બધાનું એક સરખું હોય છે, વખતસિંહ જેવા કેટલાક હૃદયપૂર્વક જીવતા હોય છે તો કેટલાક જીવવા ખાતર
જીવતા હોય છે.
વ્યક્તિની ઇચ્છાશક્તિ અને દ્રઢ
સંકલ્પશક્તિ એને સામાન્યમાંથી અસામાન્ય બનાવી દે છે. લોકો
માને છે કે જીવન ખૂબ ટુંકું છે. એક જ વાર જીવન મળે છે, પરંતુ જો એ સમાજ અને આસપાસના લોકો માટે જીવાય તો પર્યાપ્ત છે. શિક્ષણનું અંતિમ લક્ષ્ય નોકરી હશે ત્યાં સુધી સમાજમાં માત્ર નોકરો જ
પેદા થતા રહેશે પરંતુ જ્યારે માલીક બનવાનો અને અન્યને આગળ લાવવાનો ધ્યેય હશે
ત્યારે એ શિક્ષણ નહીં જ્ઞાન બની જશે. કારણો હશે તો સારા બનીને બધા ફરતા જોવા
મળશે પણ અકારણ સૌની પડખે ઊભા રહેનારા ભીડથી અલગ તરી આવતા હોય છે.
ધબકાર –
‘મંઝીલ ભી જીદ્દી હૈ, રાસ્તે ભી જીદ્દી હૈ, દેખતે હૈ કલ ક્યા હો, હોંસલે ભી જીદ્દી હૈ..’ –
ગુલઝાર સાહેબ





