રફતાર જીવન છે. રફતારની મજા પણ છે. તેજ રફતારયુક્ત આજના યુગમાં પ્રતિપળ એક નવી ચેલેન્જ સામે ઊભી જ હોય છે. પડકારભર્યા આ સમયમાં વ્યક્તિ ચોમેર ચિંતાઓના ચકરાવામાં રહે છે. ચિંતાઓ ક્યારે ઉદાસીનું ઘર બની જાય છે એની ખબર સુદ્ધા નથી પડતી. એક સંશોધન પ્રમાણે ભારતમાં ૧૫ ટકા લોકો એન્ગ્ઝાઈટીના શિકાર હોય છે. જ્યારે એટલા જ એટલે કે, ૧૫ ટકા લોકો ડિપ્રેશનમાં હોય છે. મહાનગરોમાં ૫૦ ટકા લોકો દોડધામના કારણે પુરતી ઊંઘ લેતા જ નથી. મુંબઇ, દિલ્હી જેવા શહેરોમાં લોકો માંડ ચારથી પાંચ કલાક જ સાઉન્ડ સ્લીપ લેતા હોય છે. શોધકર્તાઓ કહે છે કે, ૮૬ ટકા શારીરિક બિમારી પાછળનું મુખ્ય કારણ અનિંદ્રા હોય છે.
અમેરિકાના જાણીતા લેખક-વિચારક રીયોબસનું એક સરસ વિધાન હૃદયમાં કોતરી રાખવા જેવું છે. ‘ચિંતા આવતી કાલ નહીં એની તાકાતથી તમારી આજને તહસ-નહસ કરી નાખતી હોય છે.’ સૌથી મોટી તકલીફ એક બીજાની નિકટ ન આવવાની હોય છે. કોઈની ખરાબ પરિસ્થિતિમાં એની પડખે ઊભા રહેવાની અને સમસ્યાઓને સુલજાવવાની મસમોટી ચુનૌતી છે. દિવેલીયું ડાચુ અને ઉદાસીનતાભર્યા સ્વભાવની સંસ્કૃતિ નીકટતાનો સૌથી મોટો દુશ્મન છે. ‘હું’માંથી ‘આપણે’નો બદલાવ પ્રસન્નતાનુ મોટું કારણ બની જાય છે.
કેટલાક મહાશયો ઉદાસીને દાસીની જેમ સતત જોડે જ રાખે છે. એક ક્ષણ પણ ઉદાસીનો કેડો આવા લોકો છોડતા નથી. જે વ્યક્તિ ભીતરથી ખાલી ખમ્મ હોય એ ઉદાસ જ રહે. કોઈની ઉદાસ આંખોમાં આનંદના શમણાં ભરી શકવાનો મોકો મળે તો એ તરત ઝડપી લેવામાં મજા છે. સંતોષ અને સકારાત્મકતા ઉદાસીને આઘી હડસેલવાના બે અમોઘ શસ્ત્રો છે. ખુશી આનંદની એક અદભુત અવસ્થા છે. પ્રસન્નતા એટલે શું ? જેમ અંધારાની ગેરહાજરી એટલે પ્રકાશ એમ ઉદાસીનતાની ગેરહાજરી એટલે પ્રસન્નતા. પ્રસન્ન હોવું અને પ્રસન્ન દેખાવામાં આસમાન જમીનનો ફરક છે. આજે તો પ્રસન્નતાના દેખાડાના ચહેરા પાછળ પ્રસન્નતાનો ખરો ચહેરો ઢંકાઈ જાય છે. આનંદના આંસુ વેદનાના આંસુ કરતા ક્યાંય વધુ મુલ્યવાન હોય છે. વિશ્વનું સૌથી દમદાર અને અમૂલ્ય કોઈ દ્રવ્ય હોય તો તે આંસુ જ છે. સાયંટિફિકલી નહીં પણ મેન્ટલી-હાર્ટિયલી ટેસ્ટ થાય ત્યારે ખબર પડે કે, એમાં માત્ર ૧ ટકો પાણી અને ૯૯ ટકા લાગણીઓની સંવેદના છે.
મોટાભાગના લોકો ધારેલું હોય અને વિચારેલું હોય એ મળી જાય એટલે એને ખુશી સમજવાની ભુલ કરતા હોય છે. ધારેલું મળે એ તો સફળતા માત્ર છે પરંતુ જે મળે એમાં આનંદ થાય એનુ નામ જ પ્રસન્નતા. પ્રસન્નતાનો સૌથી મોટો ગુણ એ છે કે, વ્યક્તિ સ્વયં જ્યાં સુધી ન ઇચ્છે ત્યાં સુધી એ ક્યારેય સમાપ્ત નથી થતી. જો એકના એક જોક ઉપર ફરી હસવું ન આવે તો પછી એક જ દુઃખ ઉપર વારંવાર ઉદાસ રહેવામાં શું સાર છે ?
દાર્શનિક ઓશોના મતે ઉદાસીનતાના મૂળમાં નિરાશા છે. નિરાશાનો જન્મ આશા સાથે લગ્ન કરવાથી થાય છે. આશા અને નિરાશા સતત સાથે સાથે ચાલતા હોય છે. આશાઓ જ ન હોય તો નિરાશાનું કોઈ સ્થાન રહેતું નથી. આશાઓ મનની બારીએથી ડોકાતી હોય છે. આપણે મનમાં આશાઓના ઈન્દ્રધનુષ રચીએ છીએ અને એને પકડવા આંધળી દોડ મૂકીએ છીએ. જ્યારે ઈન્દ્રધનુષ્ય હાથ નથી લાગતુ ત્યારે સંસારને ગાળો આપીએ છીએ. ખરેખર તો આ ઈન્દ્રધનુષ્ય મનની લીલા છે અને દોષ ઈશ્વરે રચેલા આ મઝાના સંસારને આપવા લાગીએ છીએ. સંસાર તો ફિલ્મની સ્ક્રીન માત્ર છે. બિલકુલ શ્વેત, કોરી અને ખાલી. અસલી પ્રોજેક્ટર માણસનું મન છે. જ્યાંથી આશા, આકાંક્ષા અને અરમાનોના ઈન્દ્રધનુષ્યના ખેલ સંસારની સ્ક્રીન ઉપર રચાતા હોય છે.
લાચારી ઉદાસીનતાની સગી માસી છે. ખુદ્દારી અને ખુમારી પ્રસન્નતાના બે
મજબુત બાજુબંધ છે. એક ૮૦ વર્ષના દાદા અમદાવાદના કાંકરીયા પ્રાણી સંગ્રહાલય બહાર બિસ્કીટ
અને નાસ્તાના પડીકા વેચે. કોઈએ એમને કહ્યું ‘દાદા, આ ઉંમરે તમે આટલી મહેનત કેમ
કરો છો ? તમને કોઈ ઘરડા
ઘરમાં મૂકી દઉ નિરાંતે ત્યાં ભોજન કરો અને આરામ કરી જીવન વ્યતીત કરો.’ દાદાએ એ ભાઈને
સરસ જવાબ આપ્યો, ‘બેટા જ્યાં સુધી હાથ પગ ચાલે ત્યાં સુધી બીજા ઉપર બોજો થોડો બનાય ? ખાવાની અને રહેવાની તો તમે ગોઠવણ કરી
આપશો પણ મારી ખુમારી અને ખુદ્દારીનો આનંદ ક્યાંથી આપશો ?’
યુવાન અને તેજોતર્રાર કવિ ભાવેશ ભટ્ટનો એક જાણીતો શેર છે, ‘કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય, થાય તો મારી આસપાસ ન થાય...’ સામાન્ય રીતે ઉદાસી ગઝલકારોનો પ્રિય વિષય રહ્યો છે. ઉદાસીની સંવેદનામાંથી ટપકતી વેદનાઓને ગઝલકારો હંમેશા હોંશે હોંશે વાચા આપતા હોય છે. એ વાત પણ એટલી જ સાચી છે કે શબ્દોના આફતાબથી ઉદાસીના જંગલમાં પ્રશન્નતાના પુષ્પો પણ આ જ ગઝલકારોની કલમમાંથી મનમાં સુગંધ ભરી દેતા હોય છે. જગતના પ્રસિદ્ધ વિચારક અરસ્તુ કહે છે કે, ‘સારા સંબંધો, રૂપિયા પૈસા, સફળતા, આરોગ્ય આપણી ખુશી છે. પરંતુ આ બધુ તો ખુશી પ્રાપ્ત કરવાના સાધન માત્ર છે. ખરેખર પ્રસન્નતા તો આ બધાના અંત પછી જ ઉગતી હોય છે.’ પસન્ન રહેવા માટે કેટલીક પ્રાથમિક બાબતો ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવું જોઈએ. અનાદી કાળથી ભારતીય મહાદ્વીપમાં યોગ, પ્રાણાયામ અને વ્યાયામનો અપાર મહિમા રહ્યો છે. આ મહિમા પાછળ સોલીડ સાયંટીફિક કારણો પણ છે. યોગ, પ્રાણાયામ અને વ્યાયામના પરિણામે શરીરમાં એન્ડોર્ફીન હોર્મોન વિકસે છે. એન્ડોર્ફીન લોહીના પરિભ્રમણને સુયોગ્ય બનાવી તણાવ દૂર કરીને માણસનો મુડ સુધારે છે.
એક ચાવી ‘મંત્રાચેન્ટીંગ’ની પણ છે. દાર્શનિકોના મંતવ્ય અનુંસાર ‘મંત્રાચેન્ટીંગ’ ઉદાસી દૂર કરવામાં કારગત નીવડે છે. જ્યારે પણ મુડ ઓફ થાય, મજા ન આવે ત્યારે કોઈપણ મંત્રનો જાપ શરીરના બિનજરૂરી આવેગો ઘટાડી મનને શાંત કરવામાં મદદ કરે છે. એકલતા ઉદાસીની આગને હંમેશા હવા આપીને ભડકાવવાનું કામ કરતી હોય છે. બને ત્યાં સુધી મિત્રો, પરિવાર, સ્નેહી સાથે કોઇપણ વાતને ખુલ્લા મને શેર કરવાની ટેવ હોય એની આસપાસ ઉદાસી ભટકતી નથી. ઉંઘ અને નિયમિત આહાર પણ એટલા જ જરૂરી છે. પુરતી નિંદ્રા, મંત્રોચ્ચાર, વોક, પ્રકૃતિદર્શન તણાવને દૂર કરવાનુ કામ છે. જે લોકો ઉચાટ પેદા કરતા હોય એવા લોકોથી દૂર રહેવામાં સાર છે. જે આનંદ આપે તેવા લોકોની સાથે સતત જીવંત સંપર્કમાં રહેવાનું સુત્ર અપનાવવા જેવું છે.
ઉદાસીનતા દુર કરવાની વાત, ચશ્મા ઉતારીને ટેબલ ઉપર મૂકવા જેટલી સહજ બાબત તો છે નહીં. ઉદાસી આપણા અસ્તિત્વ સાથે વણાઈ ગઈ છે. એક તરફ દુઃખનો દાવાનળ અને બીજી તરફ ઉદાસીઓનું આકાશ જાણે અજાણે આ બન્ને હારોહાર રાખવાની આપણને આદત પડી ગઇ છે. ઉદાસી દૂર કરવા સંબંધો સાચવવા પડે. સંબંધો ન માત્ર સાચવવા પડે એને હૃદયપૂર્વક ઉત્સવની જેમ ઉજવતા રહેવું પડે. ખુશીઓની ઈમારત સ્મીત, આભાર અને કોઈને પણ દુઃખી ન કરવાના ત્રણ આધારસ્તંભો ઉપર ઊભી હોય છે.
ધબકાર : પ્રસન્નતાનો પુરસ્કાર સમજ ઉપર નિર્ભર છે.





























