પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 16 December 2019

હૈદરાબાદના એ સીધાસાદા યુવાને ઇન્ટરનેશનલ જાયન્ટ કંપનીના વર્કકલ્ચર કેવી રીતે બદલ્યું ?


હૈદરાબાદના એ સીધાસાદા યુવાને ઇન્ટરનેશનલ જાયન્ટ કંપનીના વર્કકલ્ચર કેવી રીતે બદલ્યું ?

દરેક વ્યક્તિની એક અલગ કહાની હોય છે. દરેકની સંવેદનાના સ્તર જુદા જુદા હોય છે. સંવેદના સફળતાની ગુરુચાવી છે. ભારતીય મુળના સત્યા નડેલાએ શીખેલા સંવેદનાના પદાર્થપાઠની વાત અસરકારક તો છે જ સાથે સાથે એટલી જ રોમાંચથી ભરેલી છે. જ્યારે માઈક્રોસોફ્ટ કંપની તેના ચાર દાયકાના સૌથી કપરા કાળમાંથી પસાર થતી હતી એવા સમયમાં સત્યા નડેલાએ માઈક્રોસોફ્ટના સીઈઓ તરીકે જવાબદારી સંભાળી હતી.



વર્ષ ૧૯૯૨ની વાત છે. માઈક્રોસોફ્ટ કંપનીમાં ટેકનોક્રેટ્સની ભરતી કરવામાં આવતી હતી. મેનેજર રિચાર્ડ ટૈડ યુવાન ટેકનોક્રેટ્સના ઈન્ટરવ્યૂ લઈ રહ્યા હતા. સત્યા નડેલા પણ એક ઉમેદવાર તરીકે એમાં હતાં. ઈન્ટરવ્યૂ વખતે ટૈડે સત્યાને પૂછ્યું કે ‘તમે રસ્તા પર ચાલતા જતાં હોવ અને ફૂટપાથ ઉપર કોઈ બાળક ચોધાર આંસુએ રડતું હોય, તો એ સમયે તમારી શું પ્રતિક્રિયા હોય ?’ સત્યાએ તરત જવાબ આપ્યો. ‘હું આપતકાલિન તત્કાલ સેવાને ફોન કરીને વાહન બોલાવી રડતું બાળક એમને સોંપી દઉ.’ ઈન્ટરવ્યૂ લેનાર ટૈડે સત્યાને વિનમ્રતાપૂર્વક કહ્યું ‘ મિત્ર, આવા વખતે સંવેદના બહુ મોટું કામ કરતી હોય છે. તમે ભારોભાર સંવેદનાથી છલકતા હોવા જોઈએ. તમારે એ બાળકને ઊંચકીને એની સાથે સંવેદનાસભર લાગણીપૂર્વક વર્તન કરવું જોઈએ એવું મને લાગે છે.’
સત્યા નડેલાને એમની ટેકનિકલ હોંશિયારી અને ક્ષમતા અનુસાર માઈક્રોસોફ્ટ કંપનીએ જોબ ઓફર કરી. પરંતુ તે દિવસથી યુવા સત્યા સમજી ગયા કે, એમણે તેમના માટે અને પોતાના અંગત જીવનમાં સહાનુભૂતિથી સંવેદનાના પદાર્થપાઠ શીખવાની તાતી જરૂર છે. સત્યાના પોતાના જીવનમાં પણ અનેક વિડંબનાઓ રહી છે.  સત્યાનો દીકરો જૈન ગંભીર બિમારીથી પીડાય છે. વળી પરિવારમાં બીજી બે દીકરીઓ પૈકી એક દીકરીની પણ વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. આ વાતનો ઉલ્લેખ સત્યા નડેલાએ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એમના પુ્સ્તક ‘હીટ રિફ્રેશ’માં ઉલ્લેખ કર્યો છે. એ તો સર્વસ્વીકૃત છે કે, સત્યા નડેલાને એમની સમજદારી, અક્કલ-હોંશિયારીને કારણે કામ મળ્યું અને ત્યાર પછી માઈક્રોસોફ્ટની પ્રગતિનો ઇતિહાસ દુનિયા જાણે છે. આજે માઈક્રોસોફ્ટમાં સંવેદના અને સહાનુભૂતિ કાર્યસંસ્કૃતિ બની ગઈ છે. કદાચ એટલા માટે જ આ કંપની ૫૯૩.૧૫ અબજ ડોલરની માર્કેટ વેલ્યુ સાથે ગ્લોબલ ટેક કંપની તરીકે આળસ મરડીને ફરી પાછી બેઠી થઈ છે. વર્ષ ૨૦૧૪માં સત્યા નડેલા માક્રોસોફ્ટના જ્યારે સીઈઓ તરીકે આવ્યા ત્યારે સૌથી પહેલું કામ તેમણે માઈક્રોસોફટ કંપનીની કાર્યસંસ્કૃતિને બદલીને સંવેદનાસભર સંસ્કાર આપવાનું કર્યું. સવા લાખ જેટલા કર્મયોગીઓની ફોજ સાથે આજે માઈક્રોસોફ્ટની સંવેદનાસભર સંસ્કૃતિ વિશ્વભરમાં ટોપ પરફોર્મર તરીકે જાણીતી છે.  
સવાલ એ થાય કે હૈદરાબાદથી આવેલો મૃદુભાષી સીધોસાદો એક નવયુવાન માઈક્રોસોફ્ટ જેવી જાયન્ટ કંપનીમાં આ કક્ષા સુધી કેવી રીતે પહોંચ્યો ? એવું તો શું કારણ છે કે, સત્યાને વિશ્વભરમાં એક અલગ ઓળખ મળી છે. આજે સમસ્ત વિશ્વમાં સત્યાની સંવેદનાને સમજવાની કોષિશ થઇ રહી છે. સત્યાનું બાળપણ એક અત્યંત સામાન્ય પરિવારમાં પરંતુ ખુશહાલ રીતે વીત્યું. નૈતિકતા અને મૂલ્ય આધારિત જીવન એના પરિવારનું સૌથી મહત્વનું અંગ હતું. સત્યાનો સનદી પિતા બુક્કાપુરમ અને સંસ્કૃતના જાણકાર માતા પ્રભાવતિ દેવીની છત્રછાયામાં વિકાસ થયો. સત્યાને તેની માતા હંમેશા કહેતી કે, ‘ બેટા, હૃદય કહે એ પ્રમાણે કામ કરજે. પોતાની ક્ષમતા મુજબ ગતિ અનુસાર કામ કરજે. કામ ત્યાં સુધી કરજે કે જ્યાં સુધી એ કામમાં મજા આવે. મન લગાવીને કામ કરજે. હેતુ માટે કામ કરને. પછી જોજે જીવનમાં ક્યારેય તું નિષ્ફળ નહીં જાય. ‘ સત્યાએ માતાના આ વચનો હૃદયમાં કંડારીને રાખ્યા છે.
સત્યા સંવેદનાના એવા મુકામ પર પહોંચ્યા છે કે, સૌ કોઈને એના આ ચરિત્રને સમજવા માટે રસ પડે. માઈક્રોસોફ્ટ સીઈઓ તરીકે નડેલાની હંમેશા એવી કોશિષ હોય છે કે, તે દરેક લોકોના વિચાર, તેમની ભાવના અને કાર્યયોજનાઓ હૃદયપૂર્વક સમજી શકે. બિમાર પુત્રના સંવેદનાસભર પિતા હોવાના નાતે પણ સત્યાને હરપળ એવો અહેસાસ થયા કરતો હોય છે કે, માઈક્રોસોફ્ટ ટેકનિકલી એવી પ્રોડક્ટ માર્કેટમાં મૂકે કે, લોકોના જીવનમાં ઊર્ધ્વગામી બદલાવ આવી શકે. સત્યા નડેલાનું વ્યક્તિત્વ એટલું બધું સૌમ્ય અને સરળ છે કે, પહેલી મુલાકાતમાં એ કોઈને એવો અહેસાસ પણ નથી થવા દેતા કે, એ વિશ્વની કોઈ બહુ મોટી કંપનીના સીઈઓ છે. નડેલા હંમેશા માને છે કે, સમસ્યાઓને દૂર કરવા માટે અને લોકો સાથે જોડાવા માટે ‘ ઈમોશનલ ઈન્ટેલિજન્ટ ‘ સૌથી વધારે કારગત નીવડે છે.
કોઈપણ ઘટના કે વ્યક્તિની વર્તણૂંકના પ્રતિભાવમાં સંવેદનાનું તત્વ સફળતાનું પ્રથમ પગલું છે. સાથે સાથે કોઇ પણ બાબત કે ઘટના ઉપર તરત જ પ્રતિભાવ આપવો પણ યોગ્ય નથી. પરિસ્થિતિનું પૃથક્કરણ કરી વાતને સમજવામાં થોડોક સમય લેવામાં આવે તો ઘટના સાચા અર્થમાં સમજી શકાય. એક વખત ટ્રેનમાં એક ભાઈ એના ૧૫-૧૭ વર્ષના દીકરાને લઈને મુસાફરી કરતાં હતાં. બારીની બહાર જોઈને એમનો યુવાન દીકરો મોટે મોટેથી બોલવા લાગ્યો ‘ જૂઓ પપ્પા, ઝાડ પાછળ દોડે છે ? આ પહાડ પણ કેવા પાછળ રહી ગયા છે...’ યુવાનની આવી વર્તણૂક જોઈને સામે બેઠેલા એક પ્રવાસી ભાઈએ કહ્યું, ‘ મિત્ર, મને લાગે છે કે, તમારા દીકરાની માનસિક સ્થિતિ યોગ્ય નથી. એને કોઈ સારા તબીબને બતાવવું જોઈએ તેવું હું માનું છું. એ કેવી વીચિત્ર વર્તણૂક કરી રહ્યો છે ? ‘
પેલા ભાઈએ પણ બહુ જ વિનમ્રતાથી જવાબ આપ્યો. ‘ હા દોસ્ત. તમારી વાત બિલકુલ સાચી છે એ બહુ અલગ રીતે વર્તી રહ્યો છે. પરંતુ હમણાં પંદરેક દિવસ પહેલાં જ એની આંખોનું ઓપરેશન કરવામાં આવ્યું છે. એ જન્મથી જોઈ જ શકતો નહતો અને હવે એ દુનિયા જોઈ શકે છે અને પહેલીવાર ટ્રેનમાં બેસીને મુસાફરી કરી રહ્યો છે એટલે ખુબ એક્સાઇટેડ છે. ‘ આ સાંભળીને સાથી પ્રવાસીના પગ નીચેથી જમીન ખસી ગઈ. એને અત્યંત ગ્લાની થઈ. એણે દિલગીરી વ્યક્ત કરીને આ ભાઈ અને તેના દીકરા સાથે બેસીને ભોજન કર્યું. આખી આ ઘટનાનું તાત્પર્ય એ છે કે, યુવાનની વર્તણૂંક જોઈને ઘટનાને સમજ્યા વગર કોઈ અભિપ્રાય ઉપર આવી જઈને પ્રતિક્રિયા આપવાથી આખી વાતનું સ્વરુપ બદલાઇ ગયું.
વિશ્વના ટોપ ટેન સીઈઓમાં નવમા સ્થાને છે એવા માઈક્રોસોફટના સત્યા નડેલાની સંવેદનશીલતા તેમને પોતાને અને માઈક્રોસોફ્ટને એક નવી જ ઊંચાઈ આપી છે. મહદઅંશે લોકો સંવેદનસીલ હોય છે. એવું કહેવાય છે કે, સંવેદનશીલ લોકો નબળા મનના હોય છે. જે પોતાની જાતને સમર્થ અને શક્તિશાળી માને છે એ મોટા ભાગે અસંવેદનશીલ હોય છે. એવું પણ જોવા મળે છે કે, કેટલાક લોકો પોતાના માટે ખૂબ સંવેદનશીલ હોય છે. પરંતુ બીજા માટે એ એટલા સંવેદનશીલ નથી હોતા. એનાથી વિપરીત ઘણા લોકો બીજા માટે સંવેદનશીલ હોય છે પણ પોતાના માટે સંવેદનશીલ નથી હોતા. ખરેખર તો જે વ્યક્તિ સંવેદનશીલ નથી એ હૃદયની ઉષ્મા, મનનો આનંદ અને પ્રેમની પરિભાષાથી અજાણ છે. સાચી વાત તો એ છે કે, ભરપુર સંવેદનશીલ બનવું પડે. સંવેદનશીલતા કરૂણાનો પર્યાય છે. કરુણા બે રીતની હોય છે. એક સમજદાર વ્યક્તિની કરૂણા અને બીજી અણસમજુની કરૂણા. કરેલા કાર્યોના પરિણામમાં અણસમજુ કરૂણા ડોકાતી હોય છે. જ્યારે સમજદાર વ્યક્તિની કરૂણાના પાયામાં અજ્ઞાન સામેની કરૂણા હોય છે. સંવેદનામાં વિશ્વાસ હોવો જોઇએ. સંવેદના એ એક એવી શક્તિ છે કે, જે વિરાન થઈ ગયેલી દુનિયામાં પણ આનંદનો પ્રકાશ રેલાવી શકે છે. સંવેદના પથ્થરમાં પણ ભગવાન પેદા કરી શકે છે. સંવેદનહીનતા ભગવાનના બનાવેલા હાડમાસના આ શરીરને પણ પથ્થરદિલ બનાવી નાખે છે.

ધબકાર :
જે વ્યક્તિ પોતાની સમસ્યાઓનું ઠીકરું બીજાના માથા ઉપર ફોડવા તત્પર હોય છે એ અસંવેદનશીલ છે, એ પોતાની મુશ્કેલીઓ ક્યારેય દૂર કરી શકતો નથી.