જીવનનો દ્રષ્ટિકોણ ધારણાઓના બંડલ ઉપર ઘડાતો હોય
છે. દ્રષ્ટિકોણ વાસ્તવિકતાને ઉજાશ આપવાનુ કામ કરે
છે. જ્યારે વ્યક્તિ નવા દ્રષ્ટિકોણવાળા વિચારોને
પ્રવેશ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે તેની સમજમાં પરિવર્તન આવતું જતું હોય છે. પરિણામે નવી શક્યતાઓ અને નવા એંગલ સાથે નવી શરૂઆત માટે મન તૈયાર થવા
લાગે છે. ઘણીવાર વ્યક્તિની ધારણા બહુમત ધરાવતા લોકો કરતા
જુદી પણ હોઈ શકે. પરંતુ એવું માનવાનું કારણ બિલકુલ નથી કે, પોતાની ધારણા કરતા વધુ મત વિપરીત હોય ત્યારે તમારું અનુમાન
અને તારતમ્ય ખોટું છે. તમારા અનુભવ, મૂલ્યો
અને જ્ઞાનના આધારે તમારો વિચાર ઘડાયો હોય છે. સામાન્ય
રીતે આ પ્રકારનું જાગૃત ચિંતન સત્ય અને ધારણાઓ બન્નેને સ્પષ્ટ રીતે બહાર લાવવામાં
મદદરૂપ થતું હોય છે.
કોઈ બાબતની જાણકારી અને અજ્ઞાનતા આ બન્નેની
વચ્ચે ધારણાનો એક દરવાજો દેખાતો હોય છે. બીજા લોકોની ધારણાઓના આધારે પોતાનો
અભિગમ ક્યારેય ન બાંધી શકાય. આમ જોવા જઈએ તો જીવન અસંખ્ય ધારણાઓથી
ઘેરાયેલું હોય છે. મનમાં હકારાત્મકતા અને નકારાત્મકતાના દ્વંદ્વ
હમેશાં ચાલતા રહેતા હોય છે. કાર્યોના પરિણામો ઉપરથી વ્યક્તિની
મન:સ્થિતિ સમજી શકાતી હોય છે.
ત્રણ જીગરજાન મિત્રોની વાત છે. ત્રણેય મિત્રો એક બીજાની કંપનીમાં ખૂબ ખુશ રહેતા. સપ્તાહમાં બે થી ત્રણવાર ભેગા ન થાય તો એમને ચેન ન પડતું. એક દિવસ સવારના પહોરમાં એક મિત્રએ બીજા મિત્રને ફોન કર્યો. સામાન્ય ખબર અંતર પૂછીને પેલા મિત્રએ બન્નેના કોમન મિત્રની વિશે વાત
કરતા કહ્યું કે, ‘પલાશ આર્થિક બાબતોમાં અત્યંત ચીકણો છે. દરેક વખતે પૈસાની ગણતરીઓ
માંડતો હોય છે.’
બીજા મિત્રએ શાંતિથી વાત સાંભળીને પ્રત્યુતર આપ્યો. ‘યાર, તું એકાદ-બે પ્રસંગો ઉપરથી આ અભિપ્રાય બાંધી રહ્યો છે. ખરેખર એવું ન પણ હોય.’ ત્યારે એણે કહ્યું, ‘ના, દોસ્ત હું જ્યારે કોઈ અભિપ્રાય ઉપર આવુ
છું ત્યારે માન્યતાઓ અને કોઈના કહેવાના આધારે તે નક્કી નથી કરતો. મારી ધારણાઓ અને માન્યતા પાછળ સંખ્યાબંધ અનુભવો અને તારણોનો નક્કર
આધાર હોય છે.’
સાચી કે ખોટી જે કોઈપણ ધારણાઓ હોય છે એની અસર
પડતી હોય છે. જ્યારે ધારણાઓને યોગ્ય દ્રષ્ટિકોણ મળે છે
ત્યારે અનેક નવી બાબતો તેમાંથી જન્મ લેતી હોય છે. લોકો
માત્ર એ જ જોતા હોય છે જેટલું એમને જોવું હોય છે. સત્ય
સાથે એમને કોઈ લેવા દેવા હોતી નથી. પરંતુ એ પણ એટલું જ સત્ય છે કે, વ્યક્તિનો અભિપ્રાય એની મૂડી છે. તથ્યો
અને સત્યો વચ્ચે નિરર્થક સંઘર્ષની જરૂર નથી. વૈચારિક ભિન્નતા અને ધારણાઓના આધારે
ઘણા યુદ્ધો લડાયા અને લાખો લોકોનો ભોગ લેવાયો.
સામાન્ય રીતે ધારણાં કરતાં પૂર્વધારણા વધુ ખતરનાક સાબિત થતી હોય છે. જ્યારે કોઈપણ પ્રકારનો અનુભવ ન હોય અને માત્ર માનસિક ખ્યાલોના આધારે અભિપ્રાય બાંધવામાં આવે ત્યારે એના દુષ્પરિણામ મળતા હોય છે. એક કચેરીમાં નવા અધિકારીએ હોદ્દાનો હવાલો સંભાળ્યો. એ કચેરીમાં વર્ષોથી કામ કરતા બીજા એક અધિકારીને નવા આવેલા અધિકારી માટે પહેલેથી જ કોઇ ગ્રંથી હતી. જૂના અધિકારી નવા આવેલા અધિકારી સાથે કોઈ વાત ન કરે અને એનાથી અતડા રહે. આમને આમ આઠ-દસ વર્ષ ચાલ્યું. એ કચેરીના અન્ય એક અધિકારીએ પેલા જૂના અધિકારીને કહ્યું, ‘નવા આવેલા અધિકારી ખૂબ સારા અને સૌમ્ય છે. ચાલો, હું તમને એમની સાથે લઈ જાઉં.’ પેલા જુના અધિકારી કચવાતે મને નવા આવેલા અધિકારીની ચેમ્બરમાં ગયા. વાતચીત કરી. પછી તો કલાકો સુધી વાતો કરતા રહ્યા. જૂના અધિકારીએ મનમાં બાંધેલા પૂર્વાગ્રહોના ખ્યાલોના પાળા તૂટી ગયા. ગ્રંથિઓ અને પૂર્વાગ્રહોનો મહાસાગર પળમાં ઓગળી ગયો. આજે આ બન્ને અધિકારીઓ ખૂબ સારા મિત્રો છે.
તમે જે જુઓ છો અને સાંભળો છો તે તમે જ્યાં ઊભા
છો અને તમે કેવા પ્રકારના માણસ છો એના ઉપર અવલંબિત હોય છે. સામેવાળા
વ્યક્તિ કે ઘટના કેવી છે તે જોવી અને સમજવી મુશ્કેલ નથી. શરત
એટલી છે કે, પૂર્વ ધારણાઓ અને પોતાનો બચાવ કરવાની
મૂર્ખતાપૂર્ણ વર્તણૂંકો કરતા રહેવાની બાબતમાંથી છૂટકારો મેળવી લેવામાં આવે. એક લોજીક એવું પણ છે કે, ધારણા એ શારિરીક પ્રક્રિયા માત્ર છે. જેના દ્વારા વિશ્વની તમામ બાબતોનું અર્થઘટન અને સમજણ બનતી હોય છે. સામાન્ય રીતે સમજણ વિચારો, માન્યતાઓ અને વર્તણૂંકથી ઘડાતી હોય છે. ત્યારબાદ વ્યક્તિ જે વિચારે છે તેના આધારે તેનું વર્તન વ્યાખ્યાયિત
થતું હોય છે. ખરેખર તો વ્યક્તિએ સૌથી વધારે જો કોઈ બાબત
નિયંત્રિત રાખવાની હોય તો તે પોતાના વૈચારિક દ્રષ્ટિકોણને બદલવાની છે.
ધારણાઓ સત્ય નથી હોતી પરંતુ એ ખૂબ ઝડપથી
વ્યક્તિ માટે સાચી બની જતી હોય છે. આની પાછળનું પ્રબળ કારણ એ હોય છે કે
આપણે ધારણાઓના આંચળા નીચે સત્ય સમજવાની પરંપરામાં ઘડાતા જતા હોઈએ છીએ. ધારણાઓ અવધારણાઓમાં ત્યારે જ પરિવર્તિત થઈ જતી હોય છે જ્યારે
વ્યક્તિના મનમાં નકારાત્મક વિચારોના જાળા ભરાયેલા હોય. સૌથી
પહેલા મનમાંથી નેગેટિવિટી દૂર કરી સરાકારાત્મક વિચારોના પ્રવેશની જગા બનાવવી પડશે. જ્યારે કોઈપણ વ્યક્તિ માટે ધારણા કરવામાં આવતી હોય ત્યારે એ વ્યક્તિ
કરતા ઘટનાઓ અને ઘટનાઓના સત્યના તત્ત્વ સુધી પહોંચવાનો પ્રયાસ કરવો પડે. અન્યથા ઉપરછલ્લા અભિપ્રાયો ધારણા કરતાં અવધારણાઓના જંગલમાં લઈ જશે.
ધબકાર :
અન્યની જે બાબત ત્રાસદાયક લાગતી હોય
ત્યારે એ જ બાબત પોતાની જાતને સમજવામાં સહાયરૂપ બનતી હોય છે.
https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/sep2020/29092020-4.pdf






