પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Monday, 26 October 2020

દિવસભર કામ કર્યા પછી પણ અમુક લોકોનુ એનર્જી લેવલ કેમ જોરદાર હોય છે ?

 



અસફલતા એક ચુનોતી હે
, સ્વીકાર કરો,

કયા કમી રહ ગઈ, ઉસ કા સુધાર કરો,

જબ તક ના સફલ હો, નીંદ ચૈન કો ત્યાગો તુમ,

સંઘર્ષ કા મૈદાન છોડ મત ભાગો તુમ,

કુછ કિયે બિના હી જય જયકાર નહીં હોતી,

હિંમત કરનેવાલો કી કભી હાર નહીં હોતી...

 

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પિતા ડૉ. હરિવંશરાયજીની કવિતાનો આ અંશ હંમેશા હૃદયમાં રાખવા જેવો છે. આત્મવિશ્વાસની પ્રેરણાથી ચિક્કાર ભરેલા આ શબ્દો આગળ વધવા માટે બુસ્ટર ડોઝ જેવા છે. વ્યક્તિ ગમે એટલો પ્રતિભાવંત અને કાબેલ હોય પણ જો આત્મવિશ્વાસની કમી હશે તો એ કશું પ્રાપ્ત કરી નહીં શકે. જ્યારે આત્મવિશ્વાસ ડગુમગુ હોય ત્યારે પોતના દરેક કાર્યો ઉપર સંદેહ અને સંશય રહેવાનો. પોતાનાથી સંતુષ્ટ, દ્રઢ નિશ્ચય અને લગનપૂર્વકની મહેનત આ ત્રણ બાબતો આત્મવિશ્વાસના પાયામાં છે.





થોડા સમય પહેલા ઊરીનામની ફિલ્મ આવી હતી. આ ફિલ્મના નાયક વીકી કૌષલ દ્વારા બોલાયેલોહાઉ ઈઝ ધ જોશડાયલોગ બહુ પોપ્યુલર થયો. મુળતઃ આ સંવાદ લોકપ્રિય થયો એની પાછળ પ્રત્યેક વ્યક્તિની આત્મવિશ્વાસની ભાવના જોડાયેલી છે. આત્મવિશ્વાસના કારણે આનંદ અને ઉત્સાહ વધે છે. કોઈપણ કાર્ય સારી રીતે પાર પાડવા માટે ઉત્સાહ અને ઉલ્લાસ અત્યંત આવશ્યક છે. પણ પ્રશ્ન એ છે કે, જોશઆવે છે ક્યાંથી ? કેટલાક લોકોનુ દિવસભર ૧૨ કલાક કામ કરીને પણ એમનું એનર્જી લેવલ કાબિલે તારીફ હોય છે. જ્યારે કેટલાક થોડું કામ કરીને પણ ઢીલા ઢફ થઈ જતા હોય છે.





જો આગળ વધવાની, સફળતાના શિખરો સર કરવાની ઇચ્છા હોય તો વ્યક્તિએ પોતાની જાતને ઓળખવી પડશે. પોતાના મન અને હૃદયના જોશને પકડી પાડવો પડશે. શેમાં રસ પડે છે એ બાબતને ઓળખી લેવી પડે. પછી એ દિશામાં આગળ વધવાનું નક્કી કરવું પડે. અથવા તો જે કામ હાથ ઉપર હોય એમાં હૃદયપૂર્વક રસ પેદા કરવો જોઇશે. જીવનમાં આગળ આવવા માટેનું ટોનિક જ જોશછે. આપણે એ સમજી લેવાનું રહે છે કે, જે કામ કરીએ છીએ એમાં આપણો સો ટકા રસ છે કે નહીં ? સંભવ છે કે, કોઈ કામમાં વારંવાર નિષ્ફળતા મળે પરંતુ અંદર ઉત્સાહ અને ઉમંગ હશે તો એ કાર્ય સફળ થતા દુનિયાની કોઈ તાકાત રોકી નહિં શકે.





એક પિતા એના આઠ દસ વર્ષના દીકરા સાથે રજાઓમાં હીલ સ્ટેશન ઉપર ફરવા ગયા. બન્ને સવારે ખુશનુમા વાતાવરણમાં એક ઊંચા પહાડ ઉપર ટ્રેકીંગ કરવા નીકળી પડ્યા. અચાનક દીકરાનો પગ લપસી પડ્યો અને એ પડી ગયો. ઘુંટણ છોલાઈ ગયા. પડતી વખતે દીકરાના મ્હોમાંથી ચીસ નીકળી ગઈ, ‘ઓહ મા...’ પહાડની વાદીઓમાંથી પણ એવો જ અવાજ આવ્યો ઓહ મા...’ બાળક તો અચંબામાં પડી ગયો. એણે જોરથી પ્રશ્નો પૂછ્યો કોણ છો તમે ?’ સામેથી એવો જ પ્રત્યુતર મળ્યો. હવે બાળકે કહ્યું, ‘તું ડરપોક છેજવાબમાં પણ તું ડરપોક છેસંભળાયું. બાળકની આ ક્રિયાઓ જોઈ રહેલા પિતા નજીક આવ્યા અને એને કહ્યું બેટા, એમ કહે કે, હું વિજેતા છું’. બાળકે પિતાએ કહ્યા મુજબ બુમ પાડી. સામેથી પણ જવાબ મળ્યો. ‘હું વિજેતા છું.’





બાળક તો ખુશ થઈ ગયો એનો ઉત્સાહ વધી ગયો. આ નાનકડી વાતમાં પિતાએ એ દિવસે પુત્રને જીવન જીવવામાં આત્મવિશ્વાસના ટોનિકના ટીન એના દીકરાને ભેટ આપી દીધા. વ્યક્તિને જીવનમાં જે કોઈ સફળતા મળે છે એની પાછળ એના કૌષલ્ય ઉપરાંત આત્મવિશ્વાસનો મોટો હાથ હોય છે. લાઓત્સે કહે છે કે, ‘સ્વસ્થ શરીર મોટી દોલત, ‘સંતોષ કુબેરનો ખજાનો અને આત્મવિશ્વાસ સૌથી પાક્કો મિત્ર હોય છે. ડર લાગતો હોય એવા જીવનના તમામ અનુભવોમાં વ્યક્તિની શક્તિ, સાહસ અને આત્મવિશ્વાસ વધતો હોય છે.

પૈસાનું સંચાલન અને આયોજન કરતા આત્મવિશ્વાસનું સંચાલન વધુ સારા પરિણામો આપે છે જ્યારે અંતર આત્મવિશ્વાસથી ભરેલું હોય ત્યારે હૃદયમાં અપાર આનંદ ઊઠતો હોય છે. આનંદસભર ચિત્તથી અદભુત કામ થતા હોય છે. ચાલતી ટ્રેનમાંથી ફેકવામાં આવેલી, એક પગ કપાઈ ગયા બાદ પણ આત્મવિશ્વાસ સાથે એવરેસ્ટ સર કરનારી અરૂણીમા સિન્હાની આઈકોનિક કહાની કોણ ભૂલી શકે ? એ અમિતાભનો પ્રબળ આત્મવિશ્વાસ તો હતો કે, એ રૂપેરી પડદે મહાનાયક બનશે. બાકી ૭૦ના દાયકામાં કોલકતા રેડિયો સ્ટેશને જેના અવાજને રીજેક્ટ કર્યો અને અસંખ્ય નિર્દેશકોએ જેની લાંબી સુકલકડી કાયા તથા સામાન્ય ચહેરાને જોઈને એને ફિલ્મોમા કામ આપવાનો નનૈયો ભણ્યો ત્યારે કલ્પના હતી કે, આ વ્યક્તિ ભવિષ્યમાં વન મેન ઈન્ડસ્ટ્રીતરીકે મશહુર થશે.

આત્મવિશ્વાસ પાછળ એક સાયંટિફિક પ્રક્રિયાને સમજવા જેવી છે. મનુષ્યના મગજમાં એક ડોપામીન નામનું કેમિકલ હોય છે. મગજમાં ડોપામીન સપ્રમાણ એટલે કે બેલેન્સમાં રહે તે ખૂબ જરૂરી છે. ડોપામીન જરૂરથી વધે કે ઘટે તો વ્યક્તિ નાસીપાસ થઈ જાય. વાતવાતમાં ગુસ્સો કરવા લાગે. કોઈપણ કાર્ય માટે મુડ ન આવે. અને જો ડોપામીન બેલેન્સ હોય તો વ્યક્તિમાં ઉત્સાહ જોવા મળે. દરેક કામમાં એને આનંદ પડે.





પ્રશ્ન એ થાય કે, ડોપામીનનું લેવલ જાળવવું કઈ રીતે ? તજજ્ઞો કહે છે કે, ડોપામીન ડીપ બ્રિધિંગથી બેલેન્સ રહે છે. ઊંડા શ્વાસ લેવાથી મગજમાં ડોપામીન કેમિકલનું સ્તર જળવાઈ રહે છે. ઊંડા શ્વાસ શારીરિક ઊર્જાની સાથે માનસિક ચેતનાઓ અને આત્મવિશ્વાસ વધારાવાનું મહત્વનું કામ કરે છે.  એટલે જે લોકો ઊંડા શ્વાસ લેવાની ચમત્કારિક શક્તિનો પ્રયોગ નથી કરતા એમણે સત્વરે આ દિશામાં આગળ વધવું જોઈએ અને હા, પીત્ઝા, પાસ્તા, સેન્ડવીચ, દાબેલી જેવા જંક ફુડ લેવાનું છોડી દેવું હિતાવહ છે. જંકફૂડ ડોપામીનનું પ્રમાણ ખૂબ વધારી દેતા હોય છે.

વિશ્વના માંધાતાઓના મત અનુસાર આજના યુગમાં માનવીની સરેરાશ ઉંમર ૭૮ વર્ષની છે. જેમાં ૨૯ વર્ષ ઉંઘવામાં, ત્રણથી ચાર વર્ષ અભ્યાસમાં, ૧૦ થી ૧૨ વર્ષ ધંધા રોજગાર માટે, ૧૦ થી ૧૨ વર્ષ રોજીંદી ક્રિયાઓ માટે, નવથી દસ વર્ષ મનોરંજન માટે ખર્ચ થઈ જતા હોય છે. એટલે એનો સીધો અર્થ એ થાય કે, આપણા આનંદ અને સપના સાકાર કરવા માટે આપણી પાસે ૧૩૨ જેટલા મહિના માત્ર બચે છે. તો પછી નિરાશા અને હતાશા માટે જીવનમાં કોઈ સ્થાન જ ન હોવુ જોઇએ. જીવન આત્મવિશ્વાસથી છલોછલ ભરેલું હશે તો ઉત્સાહ અને આનંદ આપોઆપ છવાતા રહેશે.

 

ધબકાર :

મુશ્કેલીમાં મને માર્ગ મળી જશે કે પછી હું માર્ગ શોધી કાઢીશવાળો એટીટ્યુડ જ આત્મવિશ્વાસ છે.






Monday, 19 October 2020

પતિ અને પિતા બન્ને વચ્ચે સામંજસ્યની કલા નારીને નારાયણી બનાવે છે

 



પ્રેમ, લાગણી અને આદરની હાટડીઓ નથી હોતી. પ્રેમ લાગણીઓના તંતુઓથી સચવાતો હોય છે. લાગણીમાં આદરનો ભાવ વણાયેલો હોય છે. પ્રેમ અને લાગણીનો અભાવ  હોય ત્યારે વ્યક્તિ લમણે હાથ મૂકીને પોતાના ભાગ્યને રડતો બેસે છે. જો દ્રષ્ટી હોય તો પ્રેમના ઝરણા ઘણા છે. પિતા, માતા, બહેન, ભાઈ, મિત્ર, સંતાનો, સગા આ બધામાં દીકરીનો પિતા માટેનો પ્રેમ અદભુત અને દિવ્યતાપૂર્ણ છે. દીકરી એટલે સવાઈ મા. પુત્રીને ‘મા’ થી અધિક ‘સવાઈ મા’ એટલે કહેવાઈ  છે કે, મા ઘડપણમાં પુત્રનો સહારો મળે એટલે કદાચ પ્રેમ કરતી હોય એવુ બની શકે પણ દીકરી બાપને કોઇ પણ અપેક્ષા કે કારણ વગર માત્ર પ્રેમ કરે છે. પેલી કહેવત છે ને કે, ‘મા વિના સૂનો સંસારએની સામે એમ કહી શકાય કે, ‘દીકરી વિના સંસારમાં અંધકાર.’ જીવનમાં નિસ્વાર્થ અને પારસ જેવો પ્રેમ પામવો હોય તો એક દીકરીના બાપ અવશ્ય બનવું પડે.



ઘણા સમય પહેલાંની એક લોકકથા યાદ આવે છે. લોક સાહિત્યકારોએ આ લોકકથાને અલગ અલગ સ્વરૂપે જ્યારે પ્રસ્તુત કરી છે, ત્યારે આંખોમાંથી ચોધાર અશ્રુધારાને લોકો રોકી શક્યા નથી. એક નગરમાં આધેડનું નિધન થયું. અંતિમ સંસ્કાર માટે એમને સ્મશાન લઈ ગયા. એ ત્રણ દીકરા અને એક દીકરીના પિતા હતા. સ્મશાનમાં મૃતદેહને ચિતા ઉપર બરાબર ગોઠવીને અગ્નિ આપવા માટે જ્યાં એમનો પુત્ર આગળ વધ્યો ત્યાં જ એકઠા થયેલા લોકોમાંથી એક પિસ્તાળીસ પચાસ વર્ષના પડછંદ કાયા ધરાવતા ભાઈ ઝડપથી આગળ આવ્યા અને બુમ પાડી, ‘...ઈ છોકરા, અગ્નિ આપતા પહેલાં ઊભો રહે. ચિતા ઉપર સુતેલા આ ભાઈએ મારી પાસેથી દસ લાખ ઉછીના લીધાં હતાં. મારા એ પૈસા અહીં ઊભેલા એમના સગા, દીકરાઓ કે મિત્રોમાંથી કોણ મને પાછા આપશે એ નક્કી કરો. પછી જ હું અગ્નિ સંસ્કાર કરવા દઈશ.’




આ સાંભળીને સ્મશાન આવેલા બધા તો હબક ખાઈ ગયા. મૃતાત્માના ત્રણેય દીકરા આઘાપાછા થવા લાગ્યા. સ્મશાનમાં સોંપો પડી ગયો. વાત ઘરે બેઠેલી મહિલાઓ સુધી પહોંચી. બધા ચિંતા કરવા લાગ્યા કે હવે શું થશે ? ઘરે બધી મહિલાઓ સાથે બેઠેલી મૃત્યુ પામેલા આધેડની દીકરી પળનો ય વિલંબ કર્યા વગર ઊભી થઈને સ્મશાન પહોંચી ગઈ. દીકરીએ પેલા પડછંદ દેખાતા ભાઈને બે હાથ જોડીને વિનંતી કરી, ‘કાકા, મારી પાસે આ ઘરેણા છે, એની કિંમત સાતેક લાખ થાય છે. એ તમે લઈ લો. બાકીના ત્રણ લાખ હું મારા ઘરે જઈને તરત તમને આપવા પાછી આવીશ. પિતાજીના દેહાંતના સમાચાર સાંભળ્યા એટલે કશુ લીધા કર્યા વગર જ સાસરેથી દોડી આવી છું. એટલે પાસે એટલી રકમ નથી. પણ મારા ઉપર વિશ્વાસ રાખી મારા પિતાના અગ્નિસંસ્કાર કરવા દો. આટલું કહી પર્સમાંથી ઘરેણાની પોટલી કાઢીને પેલા ભાઇ સામે ધરી. પછી એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.



પેલા ભાઈ દીકરીની નજીક આવીને પ્રેમથી એના માથે હાથ મૂકીને બોલ્યા, ‘બેટા, આ ઘરેણા સાચવીને મુકી દે. તારા પિતા તો એકદમ સજ્જન વ્યક્તિ હતા. એમણે મને દસ લાખ નથી આપવાના. ખરેખર તો મારા ધંધામાં ખોટ આવતા મેં એમની પાસેથી ૧૫ લાખ ઉછીના લીધા હતાં. મારે ૧૫ લાખ એમને પાછા આપવાના છે. તારા પિતાના અવસાનના સમાચાર મળ્યા એટલે હું ૧૫ લાખ લઈને તાબડતોબ અહીં સ્મશાન આવ્યો. મને મૂંઝવણ થઈ કે, આટલી મોટી રકમ કોને આપું ? કોણ એમના સાચા વારસ છે ? એટલે મેં આ કીમીયો કર્યો. હવે મને વિશ્વાસ થઈ ગયો છે દીકરી, તું જ એમની સાચી વારસદાર છે.એમ કહી રૂપિયા ૧૫ લાખ રોકડા દીકરીના હાથમાં મૂકીને સ્મશાનની બહાર આંખો લુછતા જતા રહ્યાં.





એમ કહેવાય છે કે, દીકરીને ઘડવામાં માતાનો સિંહફાળો હોય છે. પરંતુ બાપને સાચવવામાં, પિતાની પડખે ઊભા રહેવામાં દીકરી જેવો કોઈનો લાગણીસભર હેતાળ હાથ હોતો નથી. માની છત્રછાયા વગર દીકરી સૂની છે અને દીકરી વગર બાપ સૂનો છે. ઘણાખરા કિસ્સાઓમાં એવું પણ બને કે, સાસરે ગયેલી દીકરીને સાસરીયાઓની તદ્દન અલગ જીવન શૈલીને અપનાવવાની હોઈ પિયરીયાઓ અને પિતા માટે એની પાસે પર્યાપ્ત સમય ન પણ હોય. ઘણા કિસ્સાઓમાં સાસરીયાઓ અને પતિની વિચારશરણી પિતા, માતા, ભાઈ બહેન સાથે મેળ ન પણ ખાતી હોય. ઘણીવાર એવુ પણ બને કે, પતિ પ્રેમના ઓઠા તળે દીકરીને સ્માર્ટલી પિયરીયાઓથી દુર રાખવાના પ્રયત્નોમાં મશરૂફ પણ હોઇ શકે. આવા સંજોગોમાં પણ દીકરી બેલેન્સ રાખી હસતા મોંએ તમામ પરિસ્થિતિઓમાં હલ કાઢે છે. એટલે જ એને નારીમાંથી નારાયણીનું સ્થાન મળતુ હોય છે. જગતમાં બહુ ઓછા પરિવાર હશે કે જ્યાં દીકરીએ બાપને ઢાંક્યો નહીં હોય.



દીકરી પિતાનો શ્વાસ કરતા પણ વધુ વિશ્વાસ છે. માગણી વગરની લાગણીનું ઉત્તમ ઉદાહરણ પુત્રીપ્રેમ સિવાય બીજુ શું હોઈ શકે ? ચાલશે, ભાવશે, નભશે અને ફાવશે ચાર શબ્દો દીકરી માટે જીવન મંત્ર જેવા હોય છે. લગ્ન પહેલા પિતા સામે ચપ ચપ જવાબો આપતી, મમ્મીનું કહ્યું ન માની પોતાની મસ્તીમાં રહેતી, ભાઈને ભાળ્યો ન મૂકતી, બહેનો સાથે લમણા લેતી અને સોસાયટીમાં હાક મારતી ચાલી જતી દીકરી લગ્ન થતા એક જ રાતમાં ધીર ગંભીર અને પાકટ બની જતી હોય છે. વેવિશાળ પછી દીકરીના પ્રેમમાં અનેક ગણો વધારો આપોઆપ થઇ જતો હોય છે. લગ્ન પછી પિતા અને પિયરીયાઓની વાટ ભુલી જતી દીકરીઓના કિસ્સા હજારો લાખોમાં એકાદ બે જ હશે. ફોન ઉપર પિતાનો બદલાયેલો અવાજ સાંભળતા વેંત એક પળમાં જ પિતાની મૂંઝવણ પામી જાય એ દીકરી. દીકરીને એમનેમ બાપનું હૈયું નથી કહેવાતુ.

નોકરીમાં મોટા સાહેબ અને સાથીઓ, સેવકો ઉપર રૂઆબદાર બાપને આખી દુનિયામાં એની દીકરી જ સટાક દઈને કહી શકે કે, ‘તમે ચુપ થઈ જાવ.’ બહાર વાઘ બની બધાને ખખડાવતા બાપને દીકરી ખખડાવી નાખે ત્યારે પિતા ચુપ રહે છે. પિતાની આ ચુપ્પીમાં પણ અંતરનો આનંદ હોય છે. પુત્રીનું ખખડાવવું પિતા માટે પ્ર્મનું નજરાણું હોય છે. પ્રત્યેક યુવાન પુત્રી પિતાને બાળક સમજી ટપારવાની એની ફરજ સમજે છે. એ જ દીકરી જ્યારે બીજું કોઈ બાપ માટે એક આની પણ ઘસાતું બોલે ત્યારે એક શબ્દ પણ સાંખી નથી લેતી પછી એ સાસરઈયા હોય કે દુનિયાનો કોઇ પણ વ્યક્તિ હોય. એને મન તો એનો પિતા જ સર્વશ્રેષ્ઠ રીયલ હીરો છે.

એક મિત્રની પુત્રીએ મને એક વાર સરસ વાત કરી કે, ‘અંકલ, મારા પપ્પા ભગવાન તો નથી જ. ભગવાન સુખ અને દુઃખ બન્ને આપે છે, પણ મારા પપ્પા તો મને માત્ર સુખ આપે છે.’ જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓ અને તકલીફો અનુભવાય ત્યારે હૃદયપૂર્વક દીકરી સાથે થોડો સમય બેસવાથી બરફાચ્છાદીત પહાડ ઉપર બેઠા હોય એવી શીતળતાનો અહેસાસ થયા વગર નથી રહેતો.

 

ધબકાર :

પતિ અને પિતા વચ્ચે સામંજસ્યની કલા નારીને નારાયણી બનાવે છે.



https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/oct2020/20102020-4.pdf