પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Saturday, 25 May 2019

સમય વિત્યા પછી આવતી સમજ કોઇ કામની નથી


સમય વિત્યા પછી આવતી સમજ કોઇ કામની નથી

પ્રતિ વર્ષ મે અને જૂનના મહિનાઓ એટલે આપેલી પરીક્ષાઓના પરિણામ પ્રાપ્ત કરવાના મહિનાઓ. આખુ વર્ષ કરેલી મહેનત કેટલી ઊગી નીકળી તેનો ક્યાસ મેળવવાનો સમય. આ સમયગાળામાં યુવાન મિત્રો સ્વાભાવિક રીતે જ ખૂબ એકસાઈટેડ રહેવાના. કેટલાક લોકો એવુ કહેતા જોવા મળે કે, ‘ અપેક્ષા મુજબ તારૂ પરિણામ નથી આવ્યું યાર ! ‘ આવા લોકોના અભિપ્રાયથી ક્યારેય નાસીપાસ ન થવાય. કામિયાબી ક્યારેય હાથની રેખાઓમાં કે કોઇની ટીકા ટીપ્પણીઓમાં હોતી જ નથી. સફળતા તો માથા ઉપરથી ટપકતા પસીનાની પછવાડે હોય છે. જેટલી દમદાર મહેનત એટલી શાનદાન સફળતા. જીવનમાં હારવું કે જીતવું જરૂરી નથી. જીવન એક રમત છે. એને આનંદથી રમવાની છે. સમજ એક એવી શક્તિ છે કે જે સમયસર સમજ આવે તો જ કામની. જો સમય વિત્યા પછી સમજ આવે તો એ કોઇ કામની નથી.



એસએસસી, એચએસસી, સ્નાતક, અનુસ્નાતક કોઈપણ પરીક્ષાનુ પરિણામ ભૂલેચૂકે પણ નબળું આવે તો એવું માનવાની ભૂલ ક્યારેય ન કરવી કે, જીવનમાં હવે કશું થઈ નહીં શકે. સાથે સાથે જો થોડું ઘણું સારું પરિણામ આવે તો એવું પણ ન માની બેસવું કે, આપણે સર્વગુણ સંપન્ન છીએ. આ બન્ને વિચારો ઘાતક છે. આ બે વિચારોની મધ્યમાં એક વિચાર એવો પણ છે કે, તમારી પાસે કંઈપણ કરી શકવાની ઐશ્વરીય શક્તિ છે. તમારી આંતરિક શક્તિઓ અમર્યાદ છે. તમે કશું પણ હાંસલ કરી શકો એમ છો. આ વિચારમાં જ સાચુ સામર્થ્ય રહેલું છે. આવા વિચારોમાં આત્મવિશ્વાસનો ખજાનો છે.



ઘણા મિત્રોને નસીબને દોષ દેવાની આદત હોય છે. કેટલાક એમ કહેતા ફરતા હોય છે કે, ‘હું ગમે તેટલું કરું પણ મારું નસીબ જ વાંકુ છે.’ આ માત્ર પલાયનવાદ છે. પરિસ્થિતિથી ભાગીને સમાધાન ક્યારેય ન થાય. નસીબને ટોકવાથી કશું ન વળે. પોતાની ક્ષમતા અનુસારનો દિવો તમારે પોતે જ પ્રગટાવવો પડે. માત્ર સપનાઓ જોવાથી સફળતાના ફુલોનો ખોળામાં વરસાદ ન થાય. એના માટે તો મહેનતની ડાળીને બરાબર હચમચાવવી પડે.



યુવાનીમાં એક વાત સ્પષ્ટ સમજી લેવી પડે કે, જ્યારે મુશ્કેલીથી દૂર ભાગવામાં આવે ત્યારે મરી તો નથી જવાતું પણ જીવવાનું ભારરૂપ જરૂર લાગવા લાગે છે. કોઈ નાનકડી ખુશામત કરે અને ખુશ થઈ જનારા અને કોઈ થોડી ટીકા કરે ત્યારે નાખુશ થઈ જનારાએ સમજી લેવું પડે કે એ કઠપુતળીથી વિશેષ કંઈ નથી. આવી વ્યક્તિઓની સુખ-દુઃખની દોર બીજાના હાથમાં હોય છે. અંતઃકરણપૂર્વક ખુશ રહેવું હોય તો ક્યારેય બીજાની ખુશામત કે ટીકાને તમારા ઉપર સવર જ ન થવા દેવી જોઇએ. દુનિયામાં એવા ઘણા લોકો પણ છે કે, તરબુચ ખરીદતા પુછે કે. ‘ ગળ્યું છે ને ? ‘ અને પછી એની ઉપર મીઠું ભભરાવીને ખાય.
એક વાસ્તવિકતા એ પણ છે કે, જ્યારે તમે પરીક્ષાનો સામનો કરવા જાવ ત્યારે સફળ થાવ એવી શુભેચ્છા આપનારા જ્યારે તમે ખરેખર સફળ થઇને બહાર આવો ત્યારે તમારી સફળતા એ લોકોને સૌથી વધુ વ્યથીત કરી મુકતી હોય છે. હૃદયમાં કંઈક અલગ હોય અને જીભથી જુદું નાટક ભજવાતું હોય ત્યારે એવી પરિસ્થિતિ અત્યંત વરવી અને ભદ્દી લાગે. આગળ આવવા માટે આપણું હૃદય અને મન જે કહે એ જ સાચું માનવું. આપણો મિજાજ જ એવો હોવો જોઈએ કે કોઈના હોઠો ઉપર ગમે તે વાત હોય આપણા હોઠો ઉપર માત્ર આત્મવિશ્વાસ મુસ્કાન જ હોય.
સરખામણી હંમેશા અળખામણી હોય છે. પોતાની જાતની સરખામણી બીજા સફળ કે અસફળ વ્યક્તિ સાથે કરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. ચંદ્ર અને સુરજ બન્નેમાં તેજ છે. બન્નેની ચમક છે પણ બન્નેના સમય અલગ અલગ છે. બન્નેની તીવ્રતામાં ફર્ક છે. બધા લોકો એક જ પ્રયાસમાં સફળ ન પણ થઇ શકે. જ્યારે નિષ્ફળતા મળે ત્યારે જ સમયની સાચી ગતાગમ પડી જતી હોય છે. દુનિયા ખૂબ ઝડપથી બદલાતી જાય છે. બદલાતી દુનિયા સાથે આપણે પણ ઝડપથી બદલાવું પડે. જુની પુરાણી રીતે સફળતાના માપદંડો ન રાખી શકાય.
નિષ્ઠાપૂર્વકની મહેનત ક્યારેય નિષ્ફળ નથી જતી. હૃદયની ઉર્મિ ક્યારેય તમને કમજોર નહીં થવા દે. એક નાનો બદલાવ મોટી કામિયાબીનો ટર્નીંગ પોઈન્ટ બની જતો હોય છે. અસફળતા એટલે તમે હજુ સફળ નથી થયા. લક્ષ્ય પ્રાપ્ત નથી થવાનું એમ લાગે ત્યારે લક્ષ્ય ન બદલાય. લક્ષ્ય સુધી પહોંચવા માટે બીજો માર્ગ શોધવા પ્રયાસ કરવો પડે. નવા રસ્તા ઉપર હિંમતપૂર્વક આગળ વધવાની નવેસરથી શરૂઆત કરવી પડે.
આપણી ક્ષમતાઓ અને શક્તિઓ આપણે જાતે જ શોધવી પડે. આપણી ખામીઓ તો કોઈપણ શોધી કાઢશે. કેટલાક લોકો ખામીઓ શોધવામાં ડોક્ટરેટ થયેલા હોય છે. હંમેશા કશું નવું અને મોટા ગજાનું કરવા તત્પર રહેવાની આવડત મોટી પૂંજી છે. મોટી છલાંગ મારવાની તૈયારી હોય એ જ સાચી સ્પિરિટ છે. સિંહનાદ કરી હિંમતપૂર્વક તમારે સફળ બનવાનુ છે, તમારા પોતાના માટે નહીં તો એમના માટે કે જે તમને નિષ્ફળ જોવા માગે છે. એમના માટે કે જે તમારી પ્રગતિ નથી જોઈ શકતા. યાદ રહે કે, લહેરો કી ફીતરત હૈ શોર મચાને કી, મંજીલ ઉસી કી હોતી હૈ જો નજરો મેં તુફાન દેખતા હૈ. બીજાને સફાઈ આપવામાં સમય ક્યારેય ન બગાડવો જોઇએ. લોકો તો એટલું જ સમજશે જેટલું એ સમજવા માગતા હોય છે અથવા જેટલું સમજી શકવાની એમની શક્તિ હશે એટલુ જ એ લોકો સમજશે. હકીકત તો એ છે કે, સાચુ જ્ઞાન તમને ક્યારેય ભયભીત નહીં થવા દે. હૃદયમાં પડેલું સત્ય ક્યારેય તમને કમજોર નહીં થવા દે.

ધબકાર :
એક નિરાશાવાદીને હંમેશા મુશ્કેલી દેખાતી હોય છે. એક આશાવાદીને મુશ્કેલીમાં આગળ વધવાનો અવસર દેખાતો હોય છે.






લો, દિન આ ગયે ‘મેંગો રોમાંસ’ કે...


લો, દિન આ ગયે ‘મેંગો રોમાંસ’ કે...


સાચું કહેજો પીત્ઝા, બર્ગર, મંચુરિયન ગમે એટલું ખાવ પણ જ્યારે હાફુસ કે કેસર કેરીની સુવાસ આવે તો મનોમન ડોલી નથી ઉઠતા ? મેંગો નામ પડતા ઉનાળાનો પસીનો સુકાઇ જાય અને મેંગોના રોમાંસની શીતળતા મહેસુસ થવા લાગે. મે-જુન મહિનામાં અમદાવાદના કાલુપુર ફ્રુટ માર્કેટ અથવા મુંબઈ, વલસાડ કે તાલાલાના કેરી બજારમાંથી પસાર થાવ અને મોઢામાં બંને ગલોફામાં પાણીનો ફુવારો ન છૂટે એવું બને ખરું ? ૪૨ ડિગ્રીની કાળઝાળ ગરમીમાં આમ્રફળ આનંદનું સરનામુ છે. કેરી એટલે સ્વાદ અને સુગંધના મસ્ત મઝાના આકાશમાં વિહરવાની નૈસર્ગિક મોજ. 'આમ્ર' મુળત: સંસ્કૃત શબ્દ છે. ‘આમ્ર’ એટલે આંબો. ‘આમ્રફળ’ એટલે આંબાનું ફળ. મે મહિનો આવતાની સાથે કેરીની અનેક જાત માર્કેટમાં કિલ્લોલ કરતી શાનથી ગોઠવાઈ જાય.



ભારતમાં ૨૪ જાતની કેરીઓ જોવા મળે છે. જેમાં કેસર અને હાફુસ ઉપરાંત કાગડા, લંગડો, રાજાપુરી, તોતાપુરી, દશેરી, પાયરી, સરદાર, નીલમ, આમ્રપાલી, બેગમ, પલ્લી, વનરાજ, નીલફાન્સો, જમાદાર, મલ્લિકા, રત્ના, બદામ, નિલેશ, દાડમિયો વગેરેનો સમાવેશ થાય છે. કોઈપણ જાતની કેરી હોય, કેરીનું નામ માત્ર મનલુભાવન છે. આ તમામ જાતો પૈકી ગુજરાતના સુરત-વલસાડની ‘હાફૂસ’ અને તાલાળા-જુનાગઢની ‘કેસર’નો દબદબો અનોખો છે.
ભારતમાં સૌથી વધુ સવા લાખ એકર વિસ્તારમાં આંબા ઉત્તર પ્રદેશમાં છે. એના પછી તામિલનાડુ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આસામનો નંબર આવે છે. મહારાષ્ટ્રમાં થતી ‘આલ્ફાંસો’ અને ‘પાયરી’ જાતની કેરી અત્યંત સ્વાદિષ્ટ હોય છે. સમગ્ર વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ જોઈએ તો ભારત ૨૧.૪૩ લાખ હેક્ટર વિસ્તારમાં આંબાના વાવેતર સાથે પ્રથમ ક્રમે આવે છે. જ્યારે ૪.૪૫ લાખ હેક્ટર આંબાના વાવેતર સાથે ચીન બીજા ક્રમે છે. થાઈલેન્ડમાં ૨.૮૫ લાખ હેક્ટર, પાકિસ્તાનમાં ૨.૧૫ લાખ હેક્ટર, મેક્સિકોમાં બે લાખ હેક્ટર, બ્રાઝિલમાં ૮૯ હજાર હેક્ટર અને વિયેતનામમાં ૫૨૦૦૦ હેક્ટર વિસ્તારમાં આંબાનું વાવેતર થાય છે.



ઉત્પાદનની રીતે જોઈએ તો ૧.૩૫ લાખ ટન કેરીના ઉત્પાદન સાથે દુનિયામાં ભારત સૌથી આગળ છે. ૩૭.૫૨ હજાર ટન ઉત્પાદન કરીને ચીન બીજા ક્રમે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં ચીન કરતા ચાર ગણા કરતાં વધુ કેરીનુ ઉત્પાદન થાય છે. પાકિસ્તાનમાં ૨૨ હજાર ટન કેરીનું ઉત્પાદન થાય છે.
કેરી ન ભાવતી હોય એવા લોકો દિવો લઇને શોધવા પડે ! દુનિયામાં મળતા તમામ ફળોમાં કેરી એક એવું સર્વગુણ સંપન્ન ફળ છે કે જેમાં સ્વાદ, વિર્ય, વર્ણ અને આરોગ્યવર્ધક એમ ચારેય ગુણો છે. તજજ્ઞ વૈદ મહારાજો આજે પણ પેટ અને આંતરડાના રોગોમાં પંચકર્મની પ્રક્રિયામાં માત્ર કેરીનો રસ અને દૂધ આપીને અકસીર ઉપચાર કરે છે. આ વીધિને ‘આમ્રકલ્પ’ કહે છે. આયુર્વેદના જાણકારો છાતી ઠોકીને કહે છે કે ગેસ, સંગ્રહણી, કબજિયાત, આંતરડાંની નબળાઈ, અપચો, લીવરના રોગો જેવા અનેક ત્રાસદાયક દર્દમાં ‘આમ્રકલ્પ’ વિધિથી અત્યંત પ્રભાવક પરિણામો પ્રાપ્ત થાય છે.
કેરી એકમાત્ર એવું ફળ છે કે જેનું સમગ્ર અસ્તિત્વ સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટછે. કેરીની ગોટલીથી માંડીને છાલ સુધી ઉપયોગમા લઇ શકાય છે. કાચી કેરીના ઝીણા કટકા કરીને કાંદા-કેરીનું કચુંબર ભોજનની થાળીમાં શોભતું હોય છે. અથાણાનો આત્મા કાચી કેરી છે. જેને લૂ લાગી હોય તેને કાચી કેરી શેકીને તેના રસમાં ખાંડ ભેળવીને પીવડાવવાથી લૂ ઉપર અક્સિર અસર કરે છે. એક કાચી કેરીમાં ૩૫ સફરજન, નવ લીંબુ, ત્રણ સંતરા જેટલું વિટામિન ‘સી’ હોય છે. કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાઈબર હોવાથી વધારાની ચરબી દૂર કરવામાં તે ઉપયોગી થાય છે. કાચી કેરીના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
આયુર્વેદ વિજ્ઞાનના ભીષ્મ પિતામહ મહર્ષિ ચરકે ‘ચરક સંહિતા’માં માનવ શરીર માટે અત્યંત ઉપયોગી એવા ૧૦ ઉત્તમ ઔષધ સમાન ફળની યાદી આપી છે. આયાદીમાં કેરી પણ છે. મહર્ષિ ચરક કહે છે કે, કેરી ઉપરાંત આમળા, બહેડા, કરમદા, અમ્લવેતસ, દાડમ, બોર, જાંબુડી, લીંબુ, વૃક્ષામ્બ ફળ શરીર માટે અત્યંત ગુણકારી છે. મહર્ષિ વાગ્ભટ્ટ અને સુશ્રુતે કેરીને લોહી વધારતી અને રક્તના વિકારને દૂર કરતી એક ઉત્તમ ઔષધિ તરીકે મૂલવી છે.
જેનું વજન ઓછું હોય અને શરીર વધારવું હોય તેમના માટે પાકી કેરી આરોગવી આશીર્વાદ સમાન છે. કેરીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા ખનીજ તત્વો વિપુલ માત્રામાં હોય છે. શરીર માટે ઉપયોગી એવા ક્વારસીટીન, બીટાકેરોટીન અને એસ્ટ્રાગાલીન તત્વો કેરીમાંથી મળે છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્વોમાં ફ્રીરેડિકલ્સને નિષ્ક્રિય કરવાની તાકાત પડેલી હોય છે. કેરી બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખવા માટેનું ઉત્તમ પ્રાકૃતિક ઔષધ છે. કેરીમાં ફાઇબર પેકિટન નામનુ તત્વ પણ હોય છે. ફાઇબર પેકિટનથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે અને ગ્રંથિઓમાં કેન્સર સેલ્સને વિકાસ પામવા દેતુ નથી. અપચો અને એસીડીટીની સમસ્યામાં કેરી રામબાણ ઉકેલ છે. કેરીમાં આવતુ આયર્નનું તત્વ ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક છે.
પચાસે પહોંચેલા કાન ખોલીને સાંભળી લે... સોરી આંખો પહોળી કરીને વાંચી લે. કેરીમાં વિટામિન ‘એ’ અને ‘સી’ હોવાથી તે શરીરમાં કોલાજન પ્રોટીનના સર્જનમાં અત્યંત ઉપયોગી થાય છે. જેના પરિણામે લોહીની નળીઓ ખુલે છે અને ચામડીના છીદ્રો સુરક્ષિત રહે છે. પરિણામે ચામડી વધુ તેજવાન બને છે. એટલે સ્વાભાવિક રીતે જ યુવાની બરકરાર રહે છે.
એક એવી માન્યતા છે કે કેરી ખાવાથી ડાયાબીટીસ વધે છે. આધુનિક શોધકર્તાઓના અહેવાલો એવો નિર્દેશ કરે છે કે, માત્ર કેરી ખાવામાં આવે તો ડાયાબિટીસમાંથી પણ છુટકારો પ્રાપ્ત થઈ શકે છે. જોકે આ વિષય પર હજુ શોધકર્તાઓના અભ્યાસ અને પરિક્ષણોની પ્રક્રિયા ચાલુ છે. કેરીમાં વિટામિન '' પૂરતા પ્રમાણમાં હોવાથી આંખોનું તેજ વધે છે. કેરીની ગોટલી મુખવાસના કામમાં આવે છે. શોધકર્તાઓ તો ત્યાં સુધી કહે છે કે, કેરીની ગોટલી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
ભગવાને બળબળતો ઉનાળો આપ્યો છે તો તેની સાથે આમ્રફળ સ્વરૂપે અનેરું આકર્ષણ પણ આપ્યું છે. કેરી સ્વાદની મહારાણી તો છે જ પણ સાથે સાથે સ્વાસ્થ્યની સિપાઈ સલાર પણ છે. સ્વાદની મહારાણી અને સ્વાસ્થ્યની પહેરેદાર એવી કેરીને મન ભરીને માણી લો. પેસ્ટિસાઇડ અને કાર્બાઇડનો બેફામ ઉપયોગ કરી ખતરનાક ખેલ ખેલતા લોકોથી બચીને ઓર્ગેનિક કેરીનો સ્વાદ માણવાનો આગ્રહ સ્વાદ સાથે શરીરને સાચવશે. કેરી એટલે સૌનું ગમતું, સૌનુ પ્યારૂ ઉનાળાનું અમૃત. લેખિકા કુસુમ બુધવાર લિખિત અને પેંગ્વિન બુક્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત ‘રોમાન્સ ઓફ મેંગોઝ’ પુસ્તકના ૨૯૦ પાનામા કેરીને લગતી માહિતીનો વિપુલ ખજાનો છે. પ્રત્યેક ભારતવાસીનુ પ્રિય અને દિલે અઝીઝ ફળ કેરી કાપીને, ચૂસીને, ઘોળીને, રસ બનાવીને જેમ અનુકૂળ પડે તેમ આત્મસાત કરવામાં ભારે મોજ છે.

ધબકાર : સંયમપૂર્વક ખવાય તો ‘આમ્રફળ’ ‘અમૃતફળ’ છે.