પ્રિય વાચકબંધુઓ,

પ્રશ્નો, મુશ્કેલીઓ, વિડંબણાઓ અને પીડામાંથી પસાર ન થયા હોય એવા કેટલા લોકો ? ચાર રસ્તાના ખૂણે મોચી કામ કરીને પેટીયું રળતો છગન હોય કે પછી અબજોનો વેપાર કરતાં મુકેશ અંબાણી કે રતન ટાટા હોય, કે પછી બીલ ગેટ્સ કે બેઝોસ જેફરી હોય. દરેકના જીવનમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. જે મુશ્કેલીમાં મુશ્કરાય અને ગમગીનીમાં પણ આનંદથી ગીત ગાય એ જીવનને માણી શકે છે. સવલતોને સુખ સમજવા કરતાં અંતરમનની ચેતનાઓનો ફૂવારો જ સાચાં સુખનો પ્રદેશ છે એ સચ્ચાઇને સમજવી પડે. જીવનમાં જ્યારે સમસ્યા આવે ત્યારે એના ઉકેલ માટે ફાંફા મારવા કરતાં આનંદ આપતાં પ્રસંગોને યાદ કરી હસતાં ખેલતાં આગળ વધવાની કોશિષ જ કામયાબ બનાવે છે. જેમ જીવનમાં કશું મુશ્કેલ નથી એમ જીવનમાં કશું આસાનીથી પણ મળતું નથી. પ્રશ્નો, મુશ્કેલીઓ, તકલીફોને અતિક્રમીને જીવનમાં આનંદનો આફતાબ ખીલવવા માટેના વિવિધ માર્ગોને શબ્દ દેહ આપીને બ્લોગ સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મે ‘આત્મનાદ’ સ્વરૂપે પ્રતિ સપ્તાહ આવતી મારી નિયમિત કોલમમાં જીવનના વિવિધ રંગોને શબ્દ પિંછી વડે કલ્પનાના આકાશને વધુ રંગીન બનાવવાની કોશિશ કરી છે. આશા છે કે, મારી નિયમિત કોલમ ‘આત્મનાદ’નું આ બ્લોગ અવતરણ વાચક મિત્રોને ગમશે.

- પુલક ત્રિવેદી

Tuesday, 31 January 2017

આલોચના : અડચણ કે અવસર...

આલોચના : અડચણ કે અવસર...
       -   પુલક ત્રિવેદી

   એક જાણીતી ડિમ્ડ યુનિવર્સિટીના હોનહાર ખેલાડીની વાત છે. પ્રતિવર્ષ આ યુનિવર્સિટી કોલેજના આશાસ્પદ જાંબાઝ રમતવીરોને નવાજવા જાજરમાન કાર્યક્રમ યોજે. આ વર્ષે પણ પરંપરા અનુસાર કોલેજના ઓડિટોરિયમમાં ગરીમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આખુ ઓડિટોરિયમ વિદ્યાર્થીઓ અને નિમંત્રિતોથી ખીચોખીચ ભરેલું હતું.  કાર્યક્રમમાં સૌથી આકર્ષણરૂપ જાહેરાત હોય છે, ‘સ્પોર્ટસમેન ઓફ ધ યરના નામની ઘોષણા.
ઉદઘોષકે જ્યારે જણાવ્યું કે, હવે ગણમાન્ય મહાનુભાવસ્પોર્ટસમેન ઓફ ધ યરડિકલેર કરાશે અને કોલેજના એ જવામર્દ, લાડકા ખેલાડીને ટ્રોફી અને પુરસ્કાર આપશે. હોલમાં ‘પીનડ્રોપ સાયલંસ’ છવાઈ ગયું. સૌ કોઈના કાન એ ખુશનસીબ ખેલાડીનું નામ સાંભળવા બેતાબ હતા. અને મુખ્ય મહેમાને ઘોષણા કરી વિવેક રાવલ’. આખુ ઓડિટોરીયમ તાળીઓના ગડગડાટ અને ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો.



પણ પછી થોડી જ ક્ષણોમાં ફરી હોલમાં શાંતિ પથરાઈ ગઈ અને પહોળી આંખે બધા જ આશ્ચર્યચકિત થઈ જોવા લાગ્યા. વિવેક એની જગા ઉપરથી ઊભો થઈને તેના ફેકલ્ટી લક્ષ્મણ રાજવીરસિંહ જ્યાં બેઠા હતા ત્યાં ગયો અને ખૂબ આદરથી તેણે લક્ષ્મણ રાજવીરસિંહને વંદન કર્યા. આશીર્વાદ લીધા. વિદ્યાર્થીઓ ફાટી આંખે આ દ્રશ્ય એટલા માટે જોઈ રહ્યા કે, આખું વર્ષ આ ફેકલ્ટી રાજવીરસિંહ સાહેબ વિવેકની પ્રત્યેક મેચ વખતે સખત આલોચના અને ઝાટકણી કાઢતા. વિવેકના વિક્રમજનક દેખાવમાં પણ રાજવીરસિંહ ટીપ્પણી કરવાનુ ચૂકતા નહીં. બીજા ખેલાડીઓને રાજવીર સર ઉપર ખૂબ ગુસ્સો આવતો કે વિવેકની આટલી સારી રમત હોવા છતાં રાજવીર સર વિવેકને કેમ ટોકતા જાય છે. પણ આજે જ્યારે વિવેકે પ્રતિષ્ઠીત એવોર્ડ મળતા રાજવીર સરને વંદન કર્યા ત્યારે હાજર રહેલા સૌ કોઇને આશ્ચર્ય થયું.
વિવેક તેની વિનીંગ સ્પીચમાં માત્ર એટલું જ બોલ્યો કે, ‘‘મારી પ્રત્યેક રમત વેળા મને રાજવીર સરની ટીપ્પણી હજુ વધુ સારી રમત માટે નવો લક્ષ્ય બનતી અને મને વધુ સારા દેખાવની લગની લાગતી. પરિણામે હું દિવસે દિવસે વધુને વધુ બહેતર ખેલાડી બનતો ગયો. એક દિવસ હું ભારતીય ક્રિકેટ ટીમમા સ્થાન પ્રાપ્ત કરીને મારા દેશનું નામ રોશન કરીશ. રાજવીર સર, યુ આર આફટર માય સકસેસ...’’
આલોચનામાં છે જીવન બદલવાની જબરજસ્ત તાકાત. જો એમ લાગે કે બીજાની ટીકા-ટીપ્પણી હાનિકારક છે તો સમજી લેજો કે, થોડો સમય તમારે બ્રેઈન સ્ટ્રોમીંગ માટે ફાળવવો જરૂરી છે. સામાન્ય રીતે કોઈને આલોચના ગમતી નથી, અને એના કારણો પણ હોઈ શકે. મોટા ભાગના માણસો આલોચનાને વિકાસ આડેનો અંતરાય માનીને અટકી જતા હોય છે. જ્યારે કેટલાક વિવેક જેવા મિત્રો આલોચનાને વિકાસ માટેના અવસરમાં પલટાવી નાખતા હોય છે.
હ્યુમન સાયકોલોજી એવી હોય છે કે, જ્યારે પણ કોઈ કામ કરવામાં આવે ત્યારે કાર્ય પૂર્ણ થતાં પહેલાં એના માટે લોકો શું વિચારશે ? મારા આ કાર્યથી ફલાણાભાઈ ટીકા તો નહીં કરેને ? વગેરે વગેરે વિચારોના વમળો, કાર્યને સર્વાંગ રીતે પરિપૂર્ણ કરવામાં મોટા વિઘ્ન ઊભાં કરતાં હોય છે. જો કે આલોચના અંગેના આ પ્રકારના નકારાત્મક વિચારોને મનમાં પ્રવેશની છૂટ જ ન આપવી જોઈએ. તમે કાર્ય કરશો તો આલોચકો પેદા થશે. અને જો કાર્યમાં સફળતા મળશે તો સો ટકા આલોચના થવાની જ છે. કાર્ય નહીં કરો તો પણ આલોચના થવાની છે. આલોચનાના ડરને મનમાંથી ફેંકી દેવો પડે. ઓશોએ સરસ સૂત્ર આપ્યું છે કે, ‘સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ...’ કોઈ શું કહેશે એ વિચારો કાઢી નાખીએ અને હૃદયના ઊંડાણમાંથી આવતા અવાજને અનુસરીને કાર્ય કરીએ તો મજા પડે.
જે લોકો તમારી વારંવાર ટીકા કરે છે કે આલોચના કરે છે એમને એનો કોઈ અંદાજ જ નથી કે તમે જે જગા ઉપર છો તે જગાએ પહોંચવા માટે તમે કેટલો પરિશ્રમ કર્યો છે. તમારી ક્ષમતા, મહેનત, કુરબાનીનો એમને કોઈ ખ્યાલ જ નથી હોતો. એ લોકો તો માત્ર તમારી સફળતા જોઈને વાત કરતા હોય છે. ખરેખર તો આવા આલોચકો મનોમન સ્વીકારતા હોય છે કે, એમના કરતાં તમે ઘણા આગળ છો. એટલે આવા આલોચકોને શુભેચ્છકો જ માનવા જોઈએ.
જ્યારે આલોચના થાય ત્યારે પોતાની જાતને સ્પષ્ટ કરવા માટે કુદી પડવાથી હંમેશા ઘર્ષણનો માહોલ ઊભો થાય છે. એક ભાઈ ઘણો બધો ખર્ચો કરીને આંગણાના બગીચામાં રંગબેરંગી ફુલોના નવા ઘણાબધા ઈમ્પોર્ટેડ પ્લાન્ટલાવીને રોપ્યા. એમના પડોશી મિત્રએ એમની ટીકા કરતાં કહ્યું આ ઈમ્પોર્ટેડ પ્લાંટના ફુલો માત્ર દેખાવના હોય એમાં સુવાસ ન હોય. ગુલાબ, મોગરા, સેવંતી જેવા છોડ જ સારા. બસ, ખલાસ. પેલા ભાઈ પડોશી મિત્ર ઉપર તાડુકી ઊઠ્યા. તમને ગાર્ડનીંગની કંઈ ગતાગમ નથી. તમને કોઈ સમજ નથી પડતી આ પ્લાંટની કિંમત શું છે. તમે તો કુવામાના દેડકા છો... વગેરે વગેરે. વાત ઝઘડામાં  પરિણમી. સો વાતની એક વાત આલોચના થાય ત્યારે તમારા કૃત્યને સારું અને સાચુ ઠેરવવા મથવામાં સાર નથી. ટીકા હંમેશા વધુ બહેતર બનવા માટેનો માર્ગ મોકળો બનાવે છે.
ટીકાઓની એક મજા એ પણ છે કે, તમને સતત અહેસાસ કરાવે છે કે, તમે સંપૂર્ણ નથી. અને એટલે જ એ તમારી પ્રતિભા હંમેશા જમીનથી જોડાયેલી રાખવામાં મદદરૂપ બને છે. આલોચનાના કારણે આત્મવિશ્વાસનું સમતોલન જળવાઈ રહે છે. સાથે સાથે સારા શ્રોતા બનવાનો સદગુણ પણ આમાંથી ખીલે છે.
આલોચનાને અવસરમાં પલટાવવા માટે ચાર સરળ માર્ગો છે. એક તો તમે જેને રોલ મોડેલમાનો છો એ વ્યક્તિ આ પ્રકારની આલોચના વખતે કેવી રીતે વર્ત્યા હતા તેનો અભ્યાસ કરવો જોઈએ અને એ પ્રમાણે આલોચનાનો મુકાલબો કરવાથી સારો માર્ગ પ્રાપ્ત થઈ શકે. બીજુ આલોચનાને આગળ વધવાના નવા માર્ગ તરીકે કેમ ન જોઈ શકાય ? ત્રીજુ આલોચનાથી દર્દ ચોક્કસ થાય પણ એ ટીપ્પણીથી વિકાસ માટે જરૂરી છે એ રીતે જોઈ શકાય. આલોચનાના સમયે સૌથી મહત્ત્વનો ચોથો માર્ગ છે એક ઊંડો શ્વાસ લઇને મનોમન વિચારો કે, તમે ફાઈટર છો... તમે કંઈક શીખી રહ્યા છો અને આગળ વધી રહ્યા છો.
અબ્રાહમ લિંકને આલોચના માટે સરસ વાત કરી હતી કે, જો કાર્યનું પરિણામ સારું હોય તો કોઈનીય આલોચનાની પરવા કરવાની જરૂર નથી અને જો અંતે પરિણામ યોગ્ય ન મળે તો દેવદૂતો વખાણે તો પણ કોઈ ફરક પડતો નથી. એ વાત તો અત્યંત સ્પષ્ટ છે કે, જે લોકો તમારી પાછળ તમારી આલોચના કરે છે એ તમારી હાજરીનું સન્માન કરે છે. હકારાત્મક આલોચના સાચો મિત્ર છે. ખોટા વખાણ તમારો ભયંકર મોટો દુશ્મન છે. જ્યાં સમજ ન પડે ત્યાં ક્યારેય આલોચના કરવાની મુર્ખામી ન કરવી. આવી સમજ વગરની ટીપ્પણીઓ હકારાત્મક બનીને રહી જાય છે. આલોચના આગળ આવવાનો અમૂલ્ય અવસર છે.

ધબકાર :
તમે આલોચના સહન કરી નથી શકતા તો તમને કોઈની આલોચના કરવાનો અધિકાર નથી.

000000000000000000